Opinion Magazine
Number of visits: 9448760
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલિત અધિકારોના વિસ્મૃત લડવૈયા : જોગેન્દ્રનાથ  મંડલ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|6 February 2025

ચંદુ મહેરિયા

બાબાસાહેબ ડો. આંબેડકરના સાથી, પકિસ્તાનના પહેલા કાયદા મંત્રી અને દલિતોના અધિકારો માટે આજીવન સંઘર્ષરત જોગેન્દ્રનાથ મંડલ (જન્મ : ૨૯મી જાન્યુઆરી ૧૯૦૪ — અવસાન : ૫મી ઓકટોબર ૧૯૬૮) જીવનના અંતિમ વરસોમાં જ ભૂલાવા માંડેલા. ચોસઠ વરસની વયે તેમણે એક વિસ્મૃત નાયક તરીકે આ દુનિયાની વિદાય લીધી હતી. પૂર્વી બંગાળના દલિતોના હિત માટે મંડલે ભારતના વિભાજન પછી પાકિસ્તાનમાં રહેવાની પસંદગી કરી હતી તે નિર્ણય ખોટો પડ્યો. પાકિસ્તાનની બંધારણસભાના સભ્ય અને બંધારણસભાની પહેલી બેઠકના અધ્યક્ષ રહી ચૂકેલા મંડલ ભારતમાં મહાપ્રાણ (મહાન વ્યક્તિ) મટી ‘ભારતીય પાકિસ્તાની’ નાગરિકની ઓળખ પામ્યા હતા. તો પાકિસ્તાને તેમને વિશ્વાસઘાતી, જુઠ્ઠા અને કાયર કહ્યા હતા. પાકિસ્તાનથી મોહભંગ થતાં તેઓ પાકિસ્તાન છોડી ભારત પરત ફર્યા પણ અહીં લોકોનો વિશ્વાસ પુન: સંપાદિત ન કરી શક્યા તેથી. રાજકીય અસ્પૃશ્ય અને ગુમનામ નાયક બની જીવ્યા.  

વર્તમાન બાંગ્લાદેશ અને તત્કાલીન બ્રિટિશ ભારતના પૂર્વી બંગાળના બારીસાલ જિલ્લાના એક નાના ગામમાં તેમનો જન્મ થયો હતો. દલિતોમાં દલિત એવી નામશૂદ્ર જ્ઞાતિના ખેતમજૂર પરિવારમાં જન્મેલા જોગેન્દ્રનાથ ૧૯૩૨માં જિલ્લા મથક બારીસાલની કોલેજમાંથી સ્નાતક થયા અને પછી કલકત્તાની લો કોલેજમાંથી એલ.એલબી. કર્યું હતું. પરંતુ કોલેજકાળથી જ તેમનો ઝોક જાહેર કાર્યો તરફ હતો. એટલે ના તો એમણે વકીલાત કરી કે ના તો સરકારી નોકરી. મહાદલિત એવા નામશૂદ્રો અને અન્ય શોષિતોના સવાલો ઉકેલવા મથવું એ જ એમનું જાહેર કાર્ય અને વ્યવસાય બન્યા હતા.

જોગેન્દ્રનાથ મંડલ

જોગેન્દ્રનાથ મંડલની સંસદીય કારકીર્દિનો આરંભ બહુ જ શાનદાર હતો. ૧૯૩૫ના ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ અનુસાર દેશમાં પ્રાંતિક સ્વરાજ આવ્યું ત્યારે બંગાળ વિધાનસભાની સામાન્ય બેઠક પર કાઁગ્રેસના ઉમેદવારને હરાવીને તેઓ જીત્યા હતા. ભાગલા પૂર્વેની બંગાળની સરકાર અને વચગાળાની કેન્દ્ર સરકારમાં ૧૯૩૭થી ૪૬ અને પાકિસ્તાનની પહેલી સરકારમાં ૧૯૪૭થી ૫૦ તેઓ મંત્રી હતા. મહંમદ અલી ઝીણાના પ્રીતિપાત્ર હોવાના કારણે ભારતની વચગાળાની સરકારમાં મુસ્લિમ લીગના ક્વોટામાંથી ઝીણાએ મંડલની કેબિનેટ મિનિસ્ટ્રર તરીકે પસંદગી કરી હતી. કાયદો, ન્યાય, સહકાર, શ્રમ અને કશ્મીર જેવા મંત્રાલયોનું કામ તેમના શિરે ભારત અને પાકિસ્તાનની કેન્દ્ર સરકારોમાં અને બંગાળની રાજ્ય સરકારમાં નિભાવવાનું આવ્યું હતું.

ડો. બાબાસાહેબ આંબેડકર, નેતાજી સુભાષચન્દ્ર બોઝ અને કાયદે આઝમ મહંમદ અલી ઝીણા સાથે મંડલના ઘનિષ્ઠ સંબંધો હતા. યુવા વયથી જ તેઓ નેતાજીથી બહુ પ્રભાવિત હતા. નેતાજીને કાઁગ્રેસે પક્ષમાંથી દૂર કર્યા પછી તેઓ મુસ્લિમ લીગ તરફ ખેંચાયા હતા. સુભાષબાબુએ મંડલને “મધુર વ્યવહાર, અડગ દૃઢ સંકલ્પ અને સેવા પ્રત્યેની અન્યય ભક્તિ ધરાવતી વ્યક્તિ”  ગણાવ્યા હતા. ડો. આંબેડકર અને જોગેન્દ્રનાથની મિત્રતા દીર્ઘ અને અતૂટ હતી. ૧૯૪૨માં તેઓ પ્રથમ વખત મળ્યા હતા. ડો. આંબેડકર સ્થાપિત “ઓલ ઇન્ડિયા શેડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન”ની બંગાળ શાખાના તેઓ પ્રમુખ હતા. ૧૯૪૬માં તેઓ ફેડરેશનના ઉમેદવાર તરીકે બંગાળ વિધાનસભામાં ચૂંટાયા હતા. ડો. આંબેડકરને માટે બંધારણ સભામાં પ્રવેશવું અનિવાર્ય હતું. પણ ચૂંટાવું મુશ્કેલ હતું. ત્યારે મંડલે  બંગાળમાંથી બંધારણસભામાં તેમના પ્રવેશનો કઠિન માર્ગ સરળ કરી આપ્યો હતો. મંડલ અને આંબેડકરના વિચારોમા ભિન્નતા આવી ત્યારે પણ બંનેએ દોસ્તી ટકાવીને એકબીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. 

વિભાજન પછી પાકિસ્તાન સાથે જોડાયેલા જોગેન્દ્રનાથ મંડલ માટે દલિતોનું હિત સર્વોપરી હતું. એટલે જ તેમણે પાકિસ્તાન જવાનો નિર્ણય લીધો હતો કે તે લેવા તેમને મજબૂર કરાયા હતા. બંગાળ વિધાનસભામાં જ્યારે કોઈ એક પક્ષને બહુમતી ન મળી ત્યારે ગઠબંધન સરકાર રચવી પડી હતી. આમ તો મંડલ એકલા જ ચૂંટાયા હતા. પરંતુ તેમણે દલિત ધારાસભ્યોનું જૂથ બનાવ્યું હતું. તેના સમર્થન સિવાય સરકાર રચવી મુશ્કેલ હતી. મંડલે સમર્થન માટે ત્રણ દલિતા ધારાસભ્યોને પ્રધાનપદ, ત્રણને સંસદીય સચિવ પદ, દલિત   વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને સ્કોલરશીપ તથા વસ્તી મુજબ અનામતની માંગણી કરી હતી. હિંદુ નેતાઓને તે માંગ સ્વીકાર્ય નહોતી પરંતુ મુસ્લિમ નેતાઓને મંજૂર હતી. એટલે મંડલે મુસ્લિમ લીગને સાથ આપવાનું નક્કી કર્યું હતું. શાયદ આ જ અનુભવે તેઓ પાકિસ્તાન તરફ પણ ખેંચાયા હતા. પાકિસ્તાનની પસંદગી સંદર્ભે તેમણે કહ્યું હતું કે તેમને ગાંધી નહેરુના ભારત કરતાં ઝીણાના પાકિસ્તાનમાં દલિતોના હિતને વધુ મહત્ત્વ મળશે તેમ લાગે છે. વળી, મુસ્લિમોને એક લઘુમતી તરીકે તેમના અધિકારો માટે ભારતમાં જે સંઘર્ષ કરવો પડ્યો છે તે  તેઓ તેમના દેશની દલિત લઘુમતીને નહીં કરવા દે અને તેમનું વલણ વધુ ઉદાર અને ન્યાયી  હશે તેમ માનીને તેમણે દલિત મુસ્લિમ એકતામાં ભરોસો મૂક્યો હતો.

૧૯૪૮માં ઝીણાના અવસાન પછીના પાકિસ્તાનના શાસકોને મંડલની પાકિસ્તાન પ્રત્યેની દેશભક્તિ પર શંકા રહેતી હતી. પ્રધાનમંડળના ઘણાં ગોપનીય નિર્ણયો મંડલથી છુપાવવામાં આવતા હતા. ઘણા નિર્ણયોની તેમને મોડેથી અને બહારથી જાણ થતી હતી. આ બધી બાબતોથી તેમ જ દલિતોની હાલતથી તેમને ચિંતા થઈ હતી. એટલે ૧૯૫૦માં તેઓ ભારત આવતા રહ્યા અને અહીંથી જ તેમણે પ્રધાન પદનું રાજીનામું પાકિસ્તાનના વડા પ્રધાનને મોકલી આપ્યું હતું. રાજીનામાના પત્રમા મંડલે પાકિસ્તાન સરકારની સાંપ્રદાયિક અને દલિત વિરોધી નીતિઓને કારણે તેમણે આ નિર્ણય કર્યાનું સ્પષ્ટ જણાવ્યું હતું. પાકિસ્તાનની સરકાર અને પોલીસના સાથથી લઘુમતી દલિતોને રંજાડવામાં આવતા હોવાનું અને હિંસા થતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. 

વિભાજન પૂર્વેના બંગાળની કુલ આશરે ૫ કરોડની વસ્તીમાં ૨ કરોડ ૮૦ લાખ મુસ્લિમો અને ૨ કરોડ ૨૦ લાખ હિંદુઓ હતા. હિંદુઓમાં ૮૦ લાખ દલિતો હતા અને ૮૦ લાખ દલિતોમાં ૩૫ લાખ મંડલના જાતભાઈઓ એવા નામશૂદ્રો હતા. મુસ્લિમ બહુલ પૂર્વી બંગાળમાં વસતા નામશૂદ્રોના હિતમાં તેમણે પાકિસ્તાનનો વિકલ્પ પસંદ કર્યો હતો. પરંતુ ઝીણાના અવસાન પછીના શાસકોએ તેમને ખોટા ઠેરવ્યા હતા. આ સંદર્ભમાં ગજલ આસિફના પીએચ.ડી. થીસિસ “મંડલ એન્ડ પોલિટિકસ ઓફ દલિત રેકગ્નિશન ઈન પાકિસ્તાન”નું એક મૂલ્યાંકન પણ નોંધપાત્ર છે કે જોગેન્દ્રનાથ મંડલે પાકિસ્તાનના નિર્માણમાં દલિતોની આઝાદીનું સ્વપ્ન સાકાર થતું જોયું હતું. પરંતુ તેઓ પાકિસ્તાનની લઘુમતી એવા હિંદુઓને એક સમાન માની બેઠા હતા. તેમની વચ્ચેનો ભેદ તેઓ સમજ્યા નહોતા. લઘુમતી હિંદુઓમાં કથિત ઉચ્ચ જ્ઞાતિના હિંદુઓ અને દલિતો વચ્ચેના અંતરને સમજવામાં મંડલે થાપ ખાધી હતી. તેથી તેમનું દલિત મુસ્લિમ ભાઈચારાનું સપનું રોળાઈ ગયું હતું. 

દલિતો માટે ગુણવતાયુક્ત શિક્ષણ અને ન્યાયતંત્ર, અર્થતંત્ર, રાજકારણ, શિક્ષણથી માંડીને સહકારી ક્ષેત્ર એમ તમામમાં દલિતોનું પર્યાપ્ત પ્રતિનિધિત્વ એ મંડલના દલિત અધિકારો માટેના સંઘર્ષના મુખ્ય મુદ્દા હતા. તે માટે તેઓ આજીવન ઝઝૂમ્યા હતા. ભારત પરત આવીને તેઓ શરણાર્થીઓના અધિકારો માટે કાર્યરત રહ્યા. ૧૯૫૦ પછી તેઓ ચાર ચૂંટણીઓ લડ્યા પણ એકેય જીતી શક્યા નહીં કેમ કે તેમનો જનાધાર રહ્યો નહોતો. સત્તા સિવાય તેઓ દલિતોના સવાલો સતત ઉઠાવતા રહ્યા. તેઓ માત્ર પૂર્વી બંગાળના જ દલિત નેતા નહોતા. આખા દેશની દલિત ચળવળ સાથે જોડાયેલા રહેતા હતા. ૧૯૬૪માં અમદાવાદમાં ભરાયેલા આંબેડકરવાદીઓના અધિવેશનમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા. 

જોગેન્દ્રનાથ મંડલના જન્મનાં લગભગ ૧૨૦ વરસો અને નિર્વાણનાં ૫૫ વરસો પછી આજે તેમના જીવનકાર્યોનું મૂલ્યાંકન કરીએ ત્યારે તત્કાલીન સમય સંદર્ભે તેમના નિર્ણયોને તપાસવા જોઈએ, નહીં કે આજના સમય સંદર્ભે. તો જ તેમને ઉચિત ન્યાય કરી શકાશે અને આધુનિક દલિત ઇતિહાસના નિર્માતા તરીકેના તેમના પ્રદાનને સમજી શકાશે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

6 February 2025 Vipool Kalyani
← ગાંધી એટલે શું ?
દીવાર @ 50 : જો પચ્ચીસ બરસ મેં નહીં હુઆ થા તે 1975માં થયું હતું →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved