Opinion Magazine
Number of visits: 9445955
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડાગદર બાબૂ : ધર્મેન્દ્ર-જયાની અધૂરી પ્રેમ કહાની

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 March 2023

રાજ ગોસ્વામી

યાદગાર ફિલ્મોની આગળ-પાછળની કહાનીને યાદ કરીએ છીએ, પણ આજે એક એવી ફિલ્મની વાત, જે કોઈએ જોઈ નથી. મતલબ કે એવી અધૂરી ફિલ્મની વાત, જે ઓલમોસ્ટ 80 ટકા પૂરી થઇ ગઈ હતી, પણ એની પટ્ટી એવી તૂટી કે પાછી ચકરડા પર ચઢી ના શકી. ફિલ્મ જો પૂરી થઈને દર્શકો સમક્ષ આવી હોત તો સાચે જ યાદગાર અને સુપરહિટ સાબિત થઇ હોત.

એવું કેમ વિશ્વાસથી કહી શકાય? કારણ કે એ ફિલ્મનો આધાર એક એવી કાલજયી હિન્દી નવલકથા હતી, જેના ઉલ્લેખ વગર હિન્દી સાહિત્યની વાત અધૂરી રહી જાય. તેનું નામ હતું ‘મૈલા આંચલ,’ તેના રચિયતા હતા ફણીશ્વર નાથ રેણુ અને તેના પરથી બનનારી ફિલ્મનું નામ હતું ‘ડાગદર બાબુ’ (ડોકટર બાબૂ). કલાકારો હતાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન, ઉર્મિલા ભટ્ટ, ઉત્પલ દત્ત અને અમજદ ખાન. નિર્દેશક હતા નબેન્દુ ઘોષ, નિર્માતા હતા એસ.એચ. મુન્શી અને સંગીતકાર હતા આર.ડી. બર્મન. એનાં 12 ગીતો રેકોર્ડ થઇ ગયાં હતાં.

અનિલ કપૂરના પિતા સુરિન્દર કપૂરે, 1981માં, રાકેશ પાંડે, રાધા સલૂજા, ગુલશન અરોરા અને અભી ભટ્ટાચાર્યને લઈને ‘મૈલા આંચલ’ નામથી એક ફિલ્મ બનાવી હતી, પરંતુ રેણુ સાથે તેનો સંબંધ માત્ર ટાઈટલ પૂરતો જ હતો, અથવા એવું કહો કે તેમણે ટાઈટલ ચોરી લીધું હતું. ‘મૈલા આંચલ’ નાયિકા પ્રધાન ફિલ્મ હતી. તેમાં એક અનાથ પણ પ્રેગ્નન્ટ છોકરીની આપવીતીની વાર્તા હતી.

‘ડાગદર બાબુ’ અથવા મૂળ નવલકથા ‘મૈલા આંચલ’માં એક એવા ડોકટરની વાર્તા હતી જે બિહારના એક સાવ પછાત ગામને તેનું કાર્યક્ષેત્ર બનાવે છે. એમાં એ બતાવામાં આવ્યું હતું કે તેને કેવી રીતે ત્યાં ગરીબી, કુરિવાજો, અજ્ઞાનતા, બીમારીનો સામનો કરવો પડે છે.

‘મૈલા આંચલ’ને હિન્દી સાહિત્યની પહેલી આંચલિક નવલકથા કહેવામાં આવે છે. આંચલ એટલે સાડીનો પલ્લુ અથવા છેડો, એમાં ‘ઇક’ પ્રત્યાય લગાવીને આંચલિક બંને, જેનો અર્થ થાય છે આંચલ સંબંધી. હિન્દીમાં આંચલનો અર્થ જનપદ, અથવા ક્ષેત્રીય અથવા પ્રાંતીય થાય છે. જે છેવાડાનો વિસ્તાર છે તે આંચલિક.

બિહારના મેરીગંજ ગામની એમાં વાર્તા હતી, જે હજુ ‘મેલુ’ છે અને જ્યાં સુધી ગરીબી અને અજ્ઞાનતા સમાપ્ત નહીં થયા ત્યાં સુધી મેલુ જ રહેવાનું છે. તેનાં ત્રણ પ્રમુખ પાત્રો હતાં; કમલી- જે એક અજ્ઞાત બીમારીથી પીડાય છે, ડો. પ્રશાંત – જે ડોક્ટર બનીને ગામમાં સેવા આપવા આવે છે અને વિશ્વનાથ મલિક – જે કમલીના પિતા અને જમીનદાર છે.

2020માં, અમિતાભ બચ્ચને સ્વામી વિવેકાનંદના વેશમાં પત્ની જયાનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેઅર કર્યો હતો. એ સ્ટિલ ફોટો આ અધૂરી ‘ડાગદર બાબૂ’નો હતો, જો કે બચ્ચને ભૂલમાં તેને બંગાળી ફિલ્મ ગણાવી હતી. ફિલ્મમાં કમલી બનતી જયા ડોક્ટર પ્રશાંતના પ્રેમમાં પડી જાય છે એટલે તે બીમારીનું નાટક કરે છે અને ડોક્ટરને બોલાવે છે. ડોક્ટર આદર્શવાદી છે અને સ્વામી વિવેકાનંદમાં તે ખૂબ માને છે. ડોકટરને પ્રભાવિત કરવા માટે કમલી વિવેકાનંદનો વેશ ધારણ કરે છે. ડોકટર જ્યારે તેને જોઇને ચકિત થઇ જાય છે ત્યારે તે માથા પરથી ફેંટો ઉતારીને અસલી રૂપ જાહેર કરે છે.

‘મૈલા આંચલ’ માટે પદ્મશ્રી ખિતાબ મેળવનારા ફણીશ્વર રેણુ (1921-1977) નેપાળની સીમા પર આવેલા બિહારના ફારબિસગંજના હતા. હિન્દી વિવેચકો ‘મૈલા આંચલ’ને પ્રેમચંદની ‘ગોદાન’ની કક્ષાએ મૂકે છે. 1954માં તેમણે લખેલી ‘મારે ગયે ગુલફામ’ વાર્તા પરથી બાસુ ભટ્ટાચાર્યએ 1966માં રાજ કપૂર અને વહીદા રહેમાન સાથે મશહૂર ફિલ્મ ‘તીસરી કસમ’ બનાવી હતી. એનો સ્ક્રીનપ્લે નબેન્દુ ઘોષે લખ્યો હતો. ‘તીસરી કસમ’ની સફળતાથી પ્રેરાઈને નબેન્દુએ બતૌર નિર્દેશક ‘મૈલા આંચલ’ પરથી ‘ડાગદર બાબૂ’ બનાવાનું નક્કી કર્યું હતું. 

નબેન્દુ ઘોષ એક પ્રમુખ બંગાળી લેખક હતા અને તેમણે ‘તીસરી કસમ’ ઉપરાંત ‘સુજાતા,’ ‘બંદિની,’ ‘દેવદાસ,’ ‘મજલી દીદી’ અને ‘અભિમાન’ ફિલ્મોના સ્ક્રીનપ્લે લખ્યા હતા. 60ના દાયકામાં તેમણે અશોક કુમાર અને ઇન્દ્રાણી મુખર્જીને લઈને ‘પ્રેમ – એક કવિતા’ નામની’ ફિલ્મ બનાવવા પ્રયાસ કર્યો હતો. ગુરુ દત્તની ‘કાગજ કે ફૂલ’ની વાર્તાની ક્રેડીટને લઈને તેમને દત્ત સાથે ઝઘડો થયો પછી તે તેમની પત્ની  ગીતા દત્તને લઈને એક ફિલ્મ કરવા માંગતા હતા. 

નબેન્દુ ઘોષની વાર્તા પરથી બિમલ રોયે 1954માં ‘બાપ બેટી’ (નલિની જયવંત, બાળ કલાકાર આશા પારેખ અને નાઝિર હુસેન) ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મના નિર્માતા એસ.એચ. મુન્શી બિહારના ગયા શહેરના હતા. તેમની બહુ ઈચ્છા હતી કે રેણુની ‘મૈલા આંચલ’ પરથી હિન્દીમાં ફિલ્મ બનાવવી જોઈએ અને તેનું નિર્દેશન નબેન્દુએ કરવું જોઈએ. 

70ના દાયકાના મધ્યમાં ફિલ્મનું શુટિંગ શરૂ થયું હતું અને લગભગ 80 ટકા જેટલી ફિલ્મ બની ગઈ પછી નિર્માતા મુન્શી અને ફિલ્મ વિક્રેતા-ફાયનાન્સર મનિયા દાગા (એ પણ બિહારના હતા) વચ્ચે ઝઘડો થયો અને કામ અટકી ગયું. રેણુના પુત્ર દક્ષિણેશ્વર પ્રસાદ રાયના કહેવા પ્રમાણે ફિલ્મ સામાયિક ‘માયાપુરી’માં ‘ડાગદર બાબૂ’ની જાહેરાત પણ થઇ ગઈ હતી. તેની 13 રીલ બની ચૂકી હતી.

નબેન્દુના દીકરા શુભંકર ઘોષ આ ફિલ્મમાં સહાયક પણ હતા. તેમના કહેવા પ્રમાણે, “આ ઝઘડા દરમિયાન જ મુન્શીનું અવસાન થઇ ગયું હતું. ફિલ્મની નેગેટિવ્સ બોમ્બે લેબમાં રાખવામાં આવી હતી. 80ના દાયકામાં મુંબઈમાં પૂર આવ્યું તેમાં એ ખરાબ થઇ ગઈ હતી. પછી તેનું શું થયું તે કોઈને ખબર નથી.”

હિન્દી લેખક-પત્રકાર ડો. અરવિંદ દાસ આ ફિલ્મ બાબતે પૂરક માહિતી આપે છે. તેઓ કહે છે કે ફિલ્મના કલાકારો મશહૂર હતા. રેણુના ગામ ફારબિસગંજમાં જ્યારે તેનું શુટિંગ ચાલતું હતું ત્યારે ધર્મેન્દ્ર અને જયાને જોવા માટે લોકોની ભીડ ભેગી થઇ હતી. આર.ડી. બર્મને તેમાં અસાધારણ સંગીત આપ્યું હતું અને તે મુન્શી પરિવાર પાસે સચવાયેલું પડ્યું હોવું જોઈએ.

શુભંકર કહે કે કે તેમના પિતા નબેન્દુ ઘોષ અને રેણુ અચ્છા દોસ્ત હતા. તેઓ કાયમ તેમની પાસે ‘મૈલા આંચલ’ની પોકેટ બૂક રાખતા હતા. એ ઘણાં વર્ષોથી તેના સ્ક્રીનપ્લે પર કામ કરતા હતા. રેણુ મૈથિલી ભાષાની ફિલ્મો સાથે થોડો વખત સંકળયેલા હતા અને એમાંથી જ તેમને હિન્દી ફિલ્મો તરફ રુચિ જાગી હતી, પરંતુ બોલીવૂડમાં સાહિત્યિક કૃતિઓ સાથે જે છેડછાડ થતી હતી તેનાથી તે નારાજ હતા.

જેમ કે, ‘તીસરી કસમ’નો અંત બદલવા માટે તેમની પર ખૂબ દબાણ કરવામાં આવ્યું હતું પરંતુ તેઓ રાજી થયા ન હતા. એવી જ રીતે તેમને ‘ડાગદર બાબૂ’ને લઈને પણ આશંકા હતી. હિન્દીના જાણીતા લેખક રોબિન શો પુષ્પ તેમના સંસ્મરણમાં લખે છે કે રેણુએ તેમને કહ્યું હતું કે તે કદાચ ‘ડાગદર બાબૂ’ ફિલ્મને નહીં જુવે. કેમ એવું? પૂછતાં તેમણે કહ્યું હતું, “હું પહેલાં ફિલ્મની સમીક્ષા વાંચીશ … જોવા વાળાઓનો મત જાણીશ … બધું બરાબર લાગશે, ત્યારે જોવા જઈશ. બાકી, જે મૈલા આંચલે મને જે યશ આપ્યો છે, માન આપ્યું છે, સાહિત્યમાં સ્થાપિત કર્યો છે … એ કૃતિના વિકૃત રૂપને જોવાનું મારામાં સાહસ નથી.”

કાશ આ ફિલ્મ પૂરી થઇ હોત અને કાશ રેણુએ તે જોઈ હોત! કાશ આપણે પંચમ’દાનું સંગીત સાંભળી શક્યા હોત!

(પ્રગટ ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”, 15 માર્ચ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

15 March 2023 Vipool Kalyani
← બી.બી.સી. પર ઇન્કમટેક્સની કાર્યવાહીનો મુદ્દો ઉઠાવતા બ્રિટનના વિદેશમંત્રી જેમ્સ ક્લેવરી 
કાયદાથી ગુજરાતી ભાષાને ટકાવી શકાય ખરી?  →

Search by

Opinion

  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 
  • કોર્ટને કોર્પોરેટ કંપનીનું હિત દેખાય છે, જાહેરહિત દેખાતું નથી ! 
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved