Opinion Magazine
Number of visits: 9448780
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોનાનું એક વર્ષ

રિમ્મી વાઘેલા|Opinion - Opinion|30 March 2021

એપ્રિલ અને મે મહિનાની કાળઝાળ ગરમીમાં, ગયા વર્ષે જ્યારે રસ્તાઓ પર કોઈ જ ચહેલપહેલ દેખાતી નહોતી, ત્યારે મજૂરોનાં ટોળેટોળાં, માથા પર કાખમાં સામાન સાથે જોવા મળતા હતા. રેલવે સ્ટેશનની બહાર બેઠા હોય, ખોરાક – પાણી વગર, ભૂખ્યા-તરસ્યા કલેકટર ઑફિસની બહાર, પોલીસના ડંડા ખાતા, લૂ લાગવાથી પરેશાન, નાનાં બાળકો, વૃદ્ધો સાથે, હજાર હજાર કિલોમીટર એમ જ પગપાળા જવા નીકળેલા આ મજૂરોની હિજરત કોરોનાના એક વર્ષે ભુલાતી નથી. એટલે જ આંખો બંધ કરીને જ્યારે એક વર્ષ પહેલાનું દ્રશ્ય વિચારીએ છીએ તો તપતા સૂરજની નીચે તંત્રની નીંભરતા અને બિનસંવેદનશીલતાથી વધુ તપી ગયેલા હતાશ નિરાશ ભૂખ્યા દર્શન ચહેરાઓ સામે તરવરી ઊઠે છે.

કોરોના મહામારીને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. ગયું આખું વર્ષ એક ’હોલોકોસ્ટ’ની જેમ પસાર થયું. ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમથી શરૂ કરીને એક વર્ષે યોજાયેલી ક્રિકેટ મેચ પછી ફરી વધેલા સંક્રમણના કેસોએ આપણને એક વર્ષ બાદ  એ જ સ્થિતિએ લાવીને મૂકી દીધા છે.

લાખો લોકોના ધંધારોજગાર એવા પડી ભાંગ્યા છે કે હજુ આજે પણ ઊભા થઇ શકવાની સ્થિતિમાં નથી. જે કંપનીઓ – ફૅક્ટરીઓ જે પગાર સાથે કર્મચારીઓને નોકરીએ રાખતી હતી, આજે અડધા પગારે પણ વધુ સમય માટે ત્યાં કામ કરવું પડી રહ્યું છે. અનેક લોકોએ પોતાનો જૂનો ધંધો પડતો મુકીને માસ્ક અને સેનીટાઇઝરનો ધંધો ચાલુ કર્યો છે. એવા બનાવો પણ જોવા મળ્યા હતા કે ખાનગી શાળાના શિક્ષકોની નોકરી જવાથી તેમણે ચા નાસ્તાની લારી શરૂ કરી હોય. આ દ્રશ્યો આખા દેશમાં હતાં. એક તરફ ધીમે ધીમે સ્થિતિ સામાન્ય છે, તેવું જણાવીને બધું ખોલવામાં આવ્યું. પરંતુ જાહેર પરિવહનનાં સાધનો તો અનેક મર્યાદા સાથે શરૂ કરાયાં. ટ્રેન નિયમિત શરૂ થઈ, પરંતુ તેને નિયમિત ગણવાના બદલે ’વિશેષ’ ટ્રેન ગણીને વધારે ભાડું હજુ આજની તારીખમાં પણ વસૂલવામાં આવી રહ્યું છે. સિનિયર સિટીઝન કે બાળકોને અપાતું કન્સેશન રેલવેમાં આજની તારીખે પણ બંધ છે. તો ટૂંકા અંતરમાં એક શહેરથી બીજા શહેર નોકરી કરતા લોકો માટે હજુ આજે પણ ટ્રેનની સુવિધાનો અભાવ છે.

સૌથી મોટી નિષ્ફળતા તો આપણા આરોગ્ય તંત્રની આપણી સામે આવી. શરૂઆતમાં જ્યારે આપણે આ મહામારી વિશે યોગ્ય રીતે પરિચિત કે માહિતગાર નહોતા, એ સમયે અનેક આરોગ્યકર્મીઓએ માસ્ક કે પી.પી.ઈ. કિટ વગર પણ લોકોના પડખે ઊભા રહીને પોતાની ફરજ અદા કરી હતી. મને યાદ છે શરૂઆતના દિવસો. મારી એક મિત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનના શહેરી આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરે છે. તેણે કહ્યું હતું કે એમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પોતાના શહેરી આરોગ્ય કેન્દ્ર માટે સાડા ચારસો જેટલી પી.પી.ઈ. કિટની માંગ કરી હતી. પરંતુ એમના આરોગ્ય કેન્દ્ર પર કોર્પોરેશને માત્ર બે કિટ પહોંચાડી હતી. મને એક બીજુ દૃશ્ય પણ યાદ આવે છે.આખો દેશ બંધ હતો. અમદાવાદનો આવો સૂનકાર મેં આજ પહેલાં ક્યારે ય જોયો નથી. પણ એક દિવસ મીઠાખળી ગામની બહાર ઢગલાબંધ ગાડીઓ પાર્ક થયેલી જોઈ. પછી જાણવા મળ્યું કે એ ગાડીઓ ડૉક્ટરોની હતી, જે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના હોલમાં થઈ રહેલા માસ્ક વિતરણના કાર્યક્રમમાં પોતાના માટે માસ્ક લેવા માટે આવ્યા હતા. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાશોના ઢગ અને એ જ સ્થિતિ રાજકોટ, સુરત, જેવાં શહેરોની પણ થઈ. ધમણ વેન્ટિલેટરની વાત (જો કે તેને વેન્ટીલેટર કહેવું કે કેમ તે બાબતે હજુ સુધી કોઈ નિશ્ચિતતા નથી), વેન્ટિલેટર થકી હોસ્પિટલોમાં આગ લાગવી, શ્રેય હોસ્પિટલનો ગોઝારો અકસ્માત, આ બધું એક પછી એક માનસપટ પર જાણે કે ચાલી રહ્યું છે.

સૌથી ખતરનાક તો લાગ્યું હતું, સરકારનું ડેટા મેનેજમેન્ટ. જરૂર પડી ત્યારે આંકડાઓ વધુ બતાવ્યા, જરૂર પડી ત્યારે આંકડાઓ ઓછા દર્શાવ્યા. સરકારી આંકડાઓમાં તો ક્યારે ય સ્મશાનની બહાર અંતિમ સંસ્કાર માટે લાગેલી લાઈનોના આંકડા હતા જ નહિ. એ જ સ્થિતિ હજુ આજે પણ છે. સ્મશાનમાં કોરોના પ્રોટોકોલ મુજબ જેટલા લોકોના અંતિમ સંસ્કાર થાય છે, તેનાથી સાવ અડધો આંકડો અખબારોમાં પ્રસિદ્ધ થાય છે.

સામાજિક રીતે પણ અનેક કડવા-મીઠા અનુભવમાંથી પસાર થવાનું બન્યું. કોરોના સંક્રમિત લોકો પ્રત્યે એક નવા પ્રકારની અસ્પૃશ્યતા જોવા મળી, તો બીજી તરફ અનેક સંવેદનશીલ લોકોએ કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર સંક્રમિત લોકોની વચ્ચે, હિજરત કરતા મજૂરોનાં ટોળાંઓની વચ્ચે પોતાની હૂંફ પ્રસરાવી હતી.

સૌથી વધુ ભોગવવાનું આવ્યું, વિદ્યાર્થીઓના ભાગે. શાળા-કૉલેજો બંધ, ’ડિજિટલ ઇન્ડિયા’ની વાસ્તવિકતાની વચ્ચે જબરદસ્તી ઑનલાઇન શિક્ષણ થોપવામાં આવ્યું. અને ઑનલાઈન શિક્ષણના નામે મહામારીથી પીડાતા લોકોની પાસેથી નિયમિત ફી પણ ઉઘરાવવામાં આવી. અનેક વાલીઓ, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થી સંગઠનોએ માંગણી કરી હતી કે આ શૈક્ષણિક સત્રને શૂન્ય વર્ષ જાહેર કરીને તમામને ફીમાંથી મુક્તિ આપવામાં આવે. પરંતુ ખાનગી સંચાલકોના ઇશારે લોકોની માંગણી ફગાવી દેવામાં આવી. વાસ્તવિકતામાં કોઈ પણ પ્રકારના શૈક્ષણિક કાર્ય વગર એટલી જ ફી ખંખેરવામાં આવી. સ્માર્ટ ફોન કે ઘરે ટી.વી. ના હોવાથી સાવ નાની ઉંમરના વિદ્યાર્થીઓની આત્મહત્યાના સાક્ષી પણ આપણે બનવું પડ્યું. અને કદાચ થોડાક સમય પછી મહામારીમાં સત્તાના ગેરવહીવટના કારણે થયેલ ડ્રૉપ આઉટનું વાસ્તવિક ચિત્ર પણ આપણને જોવા મળશે.

મહામારીથી જાણે લોકોને ઓછો ત્રાસ આપી શકાયો હોય, તેમ રોજેરોજ વધતા જતા પેટ્રોલ-ડિઝલના ભાવ, રાંધણગેસના ભાવ, એમાં ખતમ થઇ ગયેલી સબસિડી, જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો, આ તમામ પ્રશ્નો તો વિકરાળ મોઢે સામાન્ય લોકોની સામે ઊભા જ છે.

અલબત્ત, અનેક લોકો કોરોના મહામારીને સંપૂર્ણપણે રાજકીય પણ માને છે. કારણ કે સરકારની કાર્યવાહી પણ લોકોની આ માન્યતાને ટેકો આપે છે. એક તરફ પ્રધાન મંત્રી સહિત અનેક નેતાઓની જંગી સભાઓ પણ થાય છે, ચૂંટણીઓ પણ યોજાય છે, અને દંડ અને પોલિસના ડંડા માત્ર સામાન્ય લોકોના હિસ્સે આવે છે. એટલે અનેક લોકો હજુ રસી લેવાથી પણ ડરે છે.

લોકડાઉન લાગુ કરતા પહેલાં પ્રધાન મંત્રીએ કહ્યું હતું કે આપણે આ આફતને અવસરમાં પરિવર્તિત કરીએ. અને તંત્રએ ખરેખર આ વાતને તાત્કાલિક પકડી પાડી. એટલે જ આ મહામારી દરમિયાન મજૂર વિરોધી કાયદાઓ પસાર કરવા, કૃષિ કાયદાઓ પસાર કરવા, રેલવેનું – એરપોર્ટનું ખાનગીકરણ કરવું, નવી શિક્ષણ નીતિ જેનો સમગ્ર દેશમાં મોટા પાયે વિરોધ થયો હતો તેને લાગુ કરવી, એવા તો અનેક લોકવિરોધી પગલાંઓ લોકોનો મત ચૂપ કરીને લાગુ કરી દેવામાં આવ્યા.

પરંતુ કોરોના મહામારી અને પછી સરકારની બેદરકારીથી જન્મેલી નવી મહામારીની વચ્ચે સમગ્ર દુનિયામાં બે ચળવળે આપણા સૌમાં એક આશા જન્માવી છે. એક હતી, અમેરિકામાં ‘Black Lives Matter’. જે રીતે અમેરિકામાં પણ ગરીબ અશ્વેત લોકો સાથે મહામારી દરમિયાન ભેદભાવ થયો અને ગરીબ હોવાના કારણે તેમણે ભોગવવાનું આવ્યું એ અપમાન અને અવહેલનાની સામે ‘I can’t breath …’, જ્યોર્જ ફ્લોયડનાઆ શબ્દો આપણા સૌની વેદનાનું પ્રતીક બન્યા. તો આપણા દેશમાં પણ સો દિવસ કરતાં વધુ દિવસોથી ચાલી રહેલું ખેડૂત આંદોલન એ આંદોલનના ઇતિહાસમાં એક નવું પ્રકરણ છે. આંદોલન એટલે માત્ર નારાબાજી નહીં, પરંતુ જીવનનાં તમામ પાસાંઓને આવરી લેતું એક નવા સમાજનું સપનું. દિલ્હીની બોર્ડર ઉપર દેશભરના ખેડૂતોએ નવા સમાજનું સપનું પોતાના આંદોલનમાં પ્રતિબિંબિત કરીને બતાવ્યું કે જે આંદોલનોમાં ગીતો અને નાટકો પણ હોય, લાઈબ્રેરી પણ હોય, મેડિકલ કેમ્પ પણ હોય, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના સ્ટોલ પણ હોય, સરકાર વીજળી કાપી નાખે, પાણીનો પુરવઠો ખોરવી નાખે તો આંદોલનના સ્થળે બોર ખોદી નાખવાની તાકાત પણ હોય! અને એટલે જ આ બંને આંદોલનો કોરોના મહામારીની હતાશાની સામે દિશા ચીંધનાર  છે.

આમ, કોરોના મહામારીનું એક વર્ષ એટલે નિરાશા અને આશા વચ્ચેના સંઘર્ષનું વર્ષ. અને હંમેશની જેમ વિશ્વાસ છે કે આ વખતે પણ આશા જ નિરાશા પર ભારી પડશે.

(સેક્યુલર લોકશાહી આંદોલનની દર ગુરુવારની અઠવાડિક ચર્ચામાં ‘કોરોનાનું એક વર્ષ’ વિષય બાબતે પરેશભાઈ, દેવેન્દ્રભાઈ, ઈશ્વરકાકા, રિયા, પ્રશાંતભાઈ, નીરુકાકી, ઇન્દુબા, મન્મથભાઈ, કિરણબહેન, આશિષ, મહેન્દ્ર સચિનભાઈ, વગેરે સાથે થયેલી વાતચીતના આધારે)

e.mail : vaghelarimmi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 03-04

Loading

30 March 2021 admin
← શ્રીમંત ખેડૂતો, વૈશ્વિક કાવતરાં, સ્થાનિક મૂર્ખતા
સ્ત્રીઓનાં ફાટેલાં જીન્સમાં અટવાતી ભારતની ૨૧મી સદી →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved