Opinion Magazine
Number of visits: 9449423
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોનાકાળમાં યુનિવર્સિટીઓની પરીક્ષાઓ થકી વિદ્યાર્થીઓની કસોટી

સંજય ભાવે|Opinion - Opinion|31 May 2020

ગુજરાતના શિક્ષણ મંત્રીએ 24મેએ ખુદ ફેસબુક પર આવીને, અને અન્ય માધ્યમો દ્વારા, જાહેરાત કરી કે રાજ્યની યુનિવર્સિટીઓ દ્વારા લેવાનાર સ્નાતક અને અનુસ્નાતક સ્તરની પરીક્ષાઓ 25 જૂનથી શરૂ કરવામાં આવશે. આ નિર્ણયનો થોડાંક વિદ્યાર્થી સંગઠનો, અધ્યાપક સંગઠનો, સેનેટસભ્યો, આચાર્યો અને અધ્યાપકો દ્વારા વિરોધ થઈ રહ્યો હોવાના સમાચાર વાંચવા મળ્યા છે. વિરોધનાં મુખ્ય અને દેખીતાં કારણો એકંદરે આ મુજબ છેઃ કોરોનાનો ચાલુ રહેલો ફેલાવો, અમદાવાદ-વડોદરા-સુરત જેવાં શહેરોમાં મોતની અને અસરગ્રસ્તોની સંખ્યા, હૉસ્ટેલમાં રહીને શહેરોની કૉલેજોમાં ભણતાં વિદ્યાર્થીઓની મોટી સંખ્યા, હજારો વિદ્યાર્થીઓને સાંકળતી પરીક્ષામાં સોશિયલ ડિસ્ટન્સિંગ-કૉન્ટૅક્ટ-ટ્રાન્સમિશનના પ્રશ્નો. આ દરેક પાસાની જટિલતા અને ગંભીરતાનો અંદાજ તેના અંગે અમસ્તો વિચાર કરવાથી પણ આવી શકે.

ગુજરાત સરકારે પણ આ નિર્ણય ‘કાળજીપૂર્વકની વિચારણા’ના અંતે લીધો છે, એમ શિક્ષણ વિભાગે 24 મેએ બહાર પાડેલાં ઠરાવમાં નોંધવામાં આવ્યું છે (જો કે ઠરાવમાં 26 મેએ બે સુધારા બહાર પાડવા પડ્યા છે.) આ ઠરાવમાં પરીક્ષાઓનાં આયોજન ઉપરાંત આગામી વર્ષમાં પ્રવેશ અને શિક્ષણકાર્ય અંગેના નિર્ણયો પણ વાંચવા મળે છે. રાજ્યમાં કોરોનાના સંદર્ભે પરીક્ષાના કલાકો, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક-સેનિટાઇઝર જેવા મુદ્દાનો ઉલ્લેખ આ પત્રમાં છે, પણ એનાથી વિશેષ કશું નહીં. કોરોના-કાળમાં પરીક્ષા લેવાનાં બધાંને સમજાતાં અનેકવિધ જોખમો શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષણ મંત્રીને કે તેમના ખાતાંના અધિકારીઓને સમજાયાં ન હોય, એમ માનવાની જરૂર નથી. તેને બદલે તેની ભૂમિકાને રાજ્યસત્તાના – ધ સ્ટેટના અથવા સાદા શબ્દોમાં કહીએ તો રાજ્ય સરકારના સંદર્ભમાં જોવાની જરૂર છે.  

અત્યારે ગુજરાત સરકાર કોરોના નિયંત્રણના મોરચે ટીકાનું નિશાન બની છે. કોરોનાના અસરગ્રસ્તોની સંખ્યામાં વધારો, ટેસ્ટિંગની નીતિ અંગેના ગૂંચવાડા, સત્તાધારીઓની અંદરઅંદરની ખેંચતાણ, તેમની સાંઠગાંઠો, તેમની અણઆવડત, અમલદારોની પકડ, તબીબી અને પોલીસ કર્મચારીઓની અવહેલના જેવી બાબતોના સમાચાર રોજેરોજ આવતા રહે છે. અદાલતોને એક કરતાં વધુ વખત સક્રિયતા દાખવવી પડી છે. ગુજરાત મૉડેલનાં છીંડા ખુલ્લાં પડતાં જાય છે. આવા સંજોગોમાં રાજ્ય સરકાર અનેક રીતે પોતાની કામગીરી સારી છે અને રાજ્યમાં સબ સલામત છે એવી છાપ ઊભી કરવા માટે ડેસ્પરેટ છે. પાન-તમાકુની દુકાનો ખોલવાની છૂટ, કેરી મહોત્સવ, જાહેર હૉસ્પિટલ કાર્યક્ષમ બનાવવા તેમ જ  ખાનગી હૉસ્પિટલો પર અંકુશ વધારવા પર ધ્યાન આપવાને બદલે આખા વિસ્તારોમાં સેનિટાઇઝેશનની (અલબત્ત, આવકાર્ય) કામગીરી પર ભાર, સંદિગ્ધ સમાંતર ઔષધોપચારની ઝુંબેશો, ‘હું પણ કોરોના વૉરિયર’ ઘોષણા જેવી બાબતો આ આલબેલના પોકારનો હિસ્સો છે. એ જ રીતે પરીક્ષાઓ લેવાય, એ પણ રાજ્યમાં બધું થાળે પડતું હોવાનો એક માપદંડ હોય છે.

આ માપદંડ કેટલો મહત્ત્વનો હોય છે અને તે જાળવવામાં રાજ્ય કેટલી હદે જઈ શકે છે, તેનો એક દાખલો ગોધરાકાંડને પગલે 2002માં થયેલા તોફાનો દરમિયાનનો એપ્રિલ-મેના સમયગાળામાંથી મળે છે. આ હિંસક સમયમાં પણ રાજ્યે પરીક્ષા લેવાની સંવેદનહીનતા બતાવી હતી. તેમાં ય એપ્રિલનાં પાછલાં બે અઠવાડિયામાં તો એક તબક્કે અમદાવાદનાં અનેક પોલીસ સ્ટેશનો હેઠળના વિસ્તારો કરફ્યૂમાં હતા, રમખાણોનો ભોગ બનેલાં પરિવારોના વિદ્યાર્થીઓ રાહતછાવણીમાં હતાં અને વારંવાર હિંસક બનાવો બની રહ્યા હતા. છતાં દસમા-બારમાની અને કૉલેજનાં કેટલાંક વર્ષોની પરીક્ષા ચાલુ હતી. એ વખતે, આવનાર સંજોગોનો અંદાજ બાંધીને ગુજરાત યુનિવર્સિટીના કેટલાક અધ્યાપકોએ અને આચાર્યોએ સરકારને આગોતરું આવેદનપત્ર પણ આપ્યું હતું, પણ સરકાર પર તેની કોઈ અસર થઈ ન હતી. સરકારને ઢંઢોળવાની કોશિશોમાં આ લખનાર અધ્યાપક તરીકે અને સરકારની જડતાને કારણે જે કંઈ બન્યું તેના વિશે લખવામાં લેખક તરીકે સામેલ હતો. અહીં એ પણ યાદ કરાવવું જોઈએ કે 1985માં ગુજરાતમાં અનામત બેઠકોની જોગવાઈ વિરુદ્ધનું હિંસક આંદોલન ઘણું લાંબું ચાલ્યું હતું. પણ એ સમયની સરકારે રમખાણોની વચ્ચે પરીક્ષા યોજી ન હતી. એ વખતે દસમા-બારમાની પરીક્ષાઓ ઑગસ્ટમાં અને કૉલેજોની પરીક્ષાઓ સપ્ટેમ્બરમાં થઈ હતી.

અત્યારે માત્ર ગુજરાત જ નહીં, દુનિયાના ઘણાં હિસ્સાનાં સમયપત્રકો અવળસવળ થઈ ગયાં છે. એવા સંજોગોમાં ગુજરાત સરકારની કૉલેજોની પરીક્ષા બાબતની અધીરાઈ તેના ધીરજવાન તંત્ર સાથે સાથે બંધબેસતી નથી. તંત્રે લૉક ડાઉનને કારણે વંચિતોને પડેલી મુશ્કેલીના ઉકેલમાં કે લોકોની કોરોના ટેસ્ટિંગ જેવી બાબતે ધીરજવાળું વલણ અપનાવ્યું છે. પરીક્ષા યોજવામાં પણ તે યથાર્થ ધીરજ દાખવે તે જરૂરી છે. બધું સમુસૂતરું પાર ઊતરે તે દરેકનું સપનું હોય, પણ તે કોઈ વર્ગના ભોગે નહીં. દેશની સરકાર લૉક ડાઉનમાં સમીસૂતરી પાર ઊતરી, પણ વંચિતો અને કરોડો સ્થળાંતરિત શ્રમજીવીઓને ભોગે. રાજ્યની સરકાર વિદ્યાર્થીઓને ભોગે પરીક્ષા પાર પાડવાની સફળતા ન બતાવે, એવી સદેચ્છા સેવનારા અધ્યાપકો અનેક  છે.

શિક્ષણ વિભાગના ઠરાવમાં તે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(યુ.જી.સી.)ની ગાઇડલાઇન મુજબ તૈયાર કરવામાં આવ્યો છે, એ મતલબની વાત છે. જો કે યુ.જી.સી.એ એપ્રિલના આખરે બહાર પડેલી માર્ગદર્શિકાથી આપણો શિક્ષણ વિભાગ ઘણો અલગ પડે છે. જેમ કે, યુ.જી.સી.એ પરીક્ષાઓ શરૂ કરવા માટેની તારીખ 1 જુલાઈ સૂચવી છે, જ્યારે ગુજરાત સરકારે તે 25 જૂન નક્કી કરી છે. તે જ પ્રમાણે તમામ પ્રવેશ પ્રક્રિયા માટે યુ.જી.સી.એ આપેલ સમયગાળો 1 થી 31 ઑગસ્ટ 2020 સુધીનો છે. ગુજરાત સરકારના પરિપત્ર મુજબ વિજ્ઞાન પ્રવાહમાં ઑનલાઇન પ્રવેશ ફૉર્મના વિતરણની શરૂઆત 26 મેથી થશે, એમ સરકારે જાહેર કર્યુ છે. ઍડમિશન કમિટી ફૉર પ્રોફેશનલ કોર્સેસ (એ.સી.પી.સી.) દ્વારા જે અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવે છે, તેના સિવાયના બધા અભ્યાસક્રમો માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની તારીખ 15 જૂન જાહેર કરવામાં આવી છે. એકી સંખ્યાના સેમિસ્ટર શરૂ થવાની યુ.જી.સી.ની તારીખ 1 ઑગસ્ટ છે, જ્યારે પહેલું સેમિસ્ટર શરૂ થવાની યુ.જી.સી.એ જાહેર કરેલું છે. ગુજરાત સરકારે સેમિસ્ટર 3, 5 અને 7ના આરંભની તારીખ 21 જૂન જાહેર કરી છે, પણ પહેલાં સેમિસ્ટરના આરંભની તારીખ પરિપત્રમાં જોવા મળતી નથી. પરીક્ષાની શરૂઆત-યુ.જી.સી.એ જાહેર કરેલી તારીખ – જુલાઈ ૧, ૨૦૨૦, ગુજરાત સરકારે જાહેર કરેલી તારીખ – જૂન ૨૫, ૨૦૨૦. પ્રવેશપ્રક્રિયા – યુ.જી.સી.એ જાહેર કરેલી તારીખ – જુલાઈ ૧, ૨૦૨૦, ગુજરાત સરકારે જાહેર કરેલી તારીખ – વિજ્ઞાનપ્રવાહઃ જૂન ૨૫, ૨૦૨૦થી, અન્ય શાખાઓ – જૂન ૧૬, ૨૦૨૦થી, શૈક્ષણિક કાર્યની શરૂઆત (સેમિસ્ટર ૩,૫,૭) – યુ.જી.સી.એ જાહેર કરેલી તારીખ – ઑગસ્ટ ૧, ૨૦૨૦, ગુજરાત સરકારે જાહેર કરેલી તારીખ – જૂન ૨૧, ૨૦૨૦, શૈક્ષણિક કાર્યની શરૂઆત (સેમિસ્ટર ૧), યુ.જી.સી.એ જાહેર કરેલી તારીખ – સપ્ટેમ્બર ૧, ૨૦૨૦, ગુજરાત સરકારે જાહેર કરેલી તારીખ – જાહેર કરી નથી.

જો કે ગુજરાત સરકારના ઉપર્યુક્ત પરિપત્રમાં ‘મહામારીની પરિસ્થિતિ સામાન્ય ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગની માર્ગદર્શક સૂચનાઓનું પાલન ન કરી શકાય તે સંજોગોમાં’ ‘મેરિટબેઝ્ડ પ્રોગ્રેશન’ની જોગવાઈની વિગતે સમજ આપવામાં આવી છે.

એ પણ નોંધવું જોઈએ કે નિષ્ણાતોએ જૂન-જુલાઈમાં કોરોનાકેસમાં ઉછાળા આવવાની સંભાવના બતાવી છે. તેમાં દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના વડા ડૉ. રણદીપ ગુલેરિઆ પણ છે. આપણે ત્યાં કોરોના ખૂબ કાબૂ બહાર જવા માંડ્યો હતો ત્યારે મે મહિનાના બીજા અઠવાડિયે ગુજરાત સરકારે ડૉ. ગુલેરિઆને વિશેષ માર્ગદર્શન માટે બોલાવ્યા હતા. તેમનાં સૂચનોને આપણી સરકાર અનુસરી કે નહીં તે તપાસનો વિષય બને છે. જૂન-જુલાઈમાં કોવિડ-૧૯માં ઉછાળો આવશે એવી સંભાવના દર્શાવનારામાં આ ડૉ. ગુલેરિઆ પણ છે. આ સંભાવનાનો ગુજરાત સરકાર પરીક્ષાના સંદર્ભમાં વિચાર કરશે ખરી? આમ તો, નિષ્પક્ષ નિષ્ણાતોને નહીં પૂછવા-સાંભળવા-માનવાની અહમ્‌કેન્દ્રીતા ઘણા શાસકોની તરેહ હોય છે. તેને કારણે ખરેખર તો કોરોના નિવારણ માટે જરૂરી લૉક ડાઉનની વંચિતવિમુખતાનો આપણા શાસકોને અંદાજ જ ન મળ્યો અને વંચિતલક્ષી આયોજન નહીંવત્ થયું. ચાર-ચાર લૉક ડાઉને ગરીબો અને સ્થળાંતરિત શ્રમિકોનાં જીવતરની દુર્દશા કરી. શિક્ષણમંત્રીએ પરીક્ષા અંગેની નીતિ જાહેર કરતા પહેલાં તેની સાથે સંકળાયેલા વર્ગોના પ્રતિનિધિઓ સાથે અધિકૃત ચર્ચાવિચારણા નહીં કરી હોવાની છાપ શિક્ષણખાતાના ઠરાવ પરથી ઉપજે છે. સામાન્ય સંજોગોમાં કૉલેજો પરીક્ષાકેન્દ્રો બને છે ત્યારે તેમાં બે કે ત્રણ પાળીમાં પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓની સંખ્યા, પરીક્ષા કેન્દ્રોની સંખ્યા, સોશિયલ ડિસ્ટન્સિંગની ગણતરી મુજબ પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં થનાર વધારો, વર્ગનિરીક્ષકોની સંખ્યામાં વધારો જેવી પાયાની બાબતોનો વિચાર સરકારે કર્યો નથી, એમ પણ સહજ રીતે ધારી શકાય.

આજે આ લખાય છે, ત્યારે વાંચવા મળે છે કે તેમણે પરીક્ષાના ઠરાવની જાહેરાત બાદ ચાર  દિવસે એટલે કે 29 મેએ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સલર્સ સાથે વેબિનાર કર્યો, જેમાંથી ખાસ કંઈ નક્કર નીપજ્યું હોવાના સમાચાર નથી. રાજયના સહુથી મોટા, અને કૉરોનાનો સહુથી વધુ ભોગ બનનાર શહેરમાં વડું મથક ધરાવતી સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીએ પણ આ વેબિનારમાં કંઈ જણાવ્યું હોવાના સમાચાર નથી. આપણા રાજ્યના શિક્ષણ મંત્રીએ વેબિનારનું જે કામ પરીક્ષા અંગેના નિર્ણયની જાહેરાત પછી કર્યું, તે કેન્દ્રના માનવસંસાધન વિકાસ મંત્રી રમેશ પોખ્રિયાલે પહેલાં કર્યું. તેમણે 29 મેની સાંજે દેશની શિક્ષણસંસ્થાઓ સાથે લાઇવ સેશન કર્યું. તે દરમિયાન ‘ફાઇનલ વર્ષની પરીક્ષાઓ થશે જ’ એમ ભારપૂર્વક જણાવવાની સાથે, તે જુલાઇમાં યોજાશે અને જો સંજોગો પ્રતિકૂળ હશે તો નવી તારીખો/પરીક્ષાપદ્ધતિની વિચારણા કરવામાં આવશે, એમ પણ જણાવ્યું. વળી ઉચ્ચ શિક્ષણ બાબતે તેમના અભિગમમાં લવચિકતા(ફ્લેક્સિબિલિટી)નો પાસ હતો, એમ સમાચાર વાંચતા જણાય છે. આવી લવચિકતા આપણા રાજ્ય પાસે પણ અપેક્ષિત છે. જી.પી.એસ.સી.એ તેની પરીક્ષાઓ 30 જૂન સુધી મોકુફ રાખી છે. ગુજરાતમાં મહેસૂલ, સંસદીય બાબતો અને કાયદાનાં પણ ખાતાં સંભાળનાર શિક્ષણ મંત્રીને તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે રાહત આપી છે. હવે તેમનું શિક્ષણ ખાતું  પરિપક્વ પુનર્વિચારણા સાથે ઉચ્ચ શિક્ષણ જગતને રાહત આપે તો સારું ! 

(30 મે, 2020)

e.mail sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 31 મે 2020

Loading

31 May 2020 admin
← મહામારી અને યુવાનોનો રાજનીતિ પ્રત્યેનો અભિગમ
આ મુશ્કેલ સમયમાં (19) →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved