Opinion Magazine
Number of visits: 9449417
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચૂંટણી ઉર્ફે ચૂંથણી …  

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|7 November 2022

ગુજરાતમાં પહેલી અને પાંચમી ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ મોરબીની ઝૂલતો પુલ તૂટવાની ઘટના પડદા પાછળ ધકેલાઇ ગઈ છે અને હવે લગભગ મહિના સુધી ચૂંટણીની ચટણી ને છટણી કોઈને કોઈ રૂપે થતી રહેશે. ચૂંટણી પંચે પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અને બીજા તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ચૂંટણી જાહેર કરી છે. હિમાચલ પ્રદેશની સાથે જ આઠમી ડિસેમ્બરે ચૂંટણીનાં પરિણામો આવે એવું આયોજન છે. પહેલાં તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન થશે. આ વખતે કુલ 4,90,89,765 મતદાતાઓ મતદાન કરશે, જેમાં અઢી કરોડથી વધુ પુરુષો અને 2.37 કરોડથી વધુ મહિલાઓ હશે. 4,61,494 મતદાતાઓ એવા હશે જે પહેલી વખત મત આપશે. એમ લાગે છે કે લગભગ બધા જ પક્ષો, બે ચૂંટણી વચ્ચે પોતાનો પ્રચાર કેવી રીતે કરવો અને ચૂંટણી વખતે કેવી રીતે જીતવું એ સિવાય જનતા તરફ બહુ ધ્યાન આપતા નથી. સરકારમાં જે જાય છે તે બાંકડાઓ પર પોતાનું નામ આવે એ રીતે થોડી ગ્રાન્ટ વાપરે છે, તો વળતરની રકમ એળે ન જાય એટલે સરકાર લાભાર્થે થોડા લોકો મરે પણ છે ને ઘાયલ પણ થાય છે. લોકો મત આપવા ને ટેક્સ ભરવા ઉપયોગી છે. એ રીતે લોકો પક્ષોને અને સરકારને બહુ કામના છે. મત આપતા જનતા ચૂંથાય છે, પણ ઉમેદવાર તો ચૂંટાય જ છે.

ભા.જ.પ. છેલ્લાં 27વર્ષથી સત્તામાં છે. 2017માં ગુજરાતમાં તેને 99 સીટો ને કાઁગ્રેસને 77 સીટો મળી હતી. આમ તો આ જંગ અત્યાર સુધી કાઁગ્રેસ અને ભા.જ.પ. વચ્ચે રહ્યો છે, પણ 2022ની ચૂંટણીમાં આપ પાર્ટી પણ વાજતે ગાજતે ચૂંટણીમાં ઊતરી છે ને આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે તો ઇસુદાન ગઢવીની તાજપોશી મુખ્ય મંત્રી તરીકે થવાની છે એવી આગોતરી વરદી પણ નોંધાવી દીધી છે. ઇસુદાન, આપનો જાણીતો ચહેરો છે. ખેડૂતો અને ગરીબો પર તેમનો સારો પ્રભાવ છે. ગુજરાતનો પ્રવાસ પણ તેમણે કર્યો છે ને ઓ.બી.સી.ના પ્રતિનિધિ તરીકે આપને સારો એવો લાભ ઇસુદાનથી થાય એમ બને. જો કે આપના ગોપાલ ઇટાલિયાને ઇસુદાન પસંદ થયા એ ગમ્યું નથી. આ વાતે આપના જ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પાર્ટી છોડીને કાઁગ્રેસનું શરણું લીધું છે. આમ તો થોડા મહિના પર જ ઇન્દ્રનીલ કાઁગ્રેસ છોડીને આપમાં આવ્યા હતા, પણ ટિકિટ વહેંચણીને મુદ્દે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી ને પાર્ટીની પોતાની પાસેથી આર્થિક અપેક્ષાઓ વધી એટલે મૂળ પાર્ટીમાં તેઓ પાછા ફર્યા છે. અહીં આવીને તેઓ શું પામશે, તે તો તેઓ જાણે, પણ વ્યક્તિગત અસંતોષને કારણે પાર્ટી સાથેનો દ્રોહ ઠીક નથી. બીજા પણ કેટલાંક અસંતુષ્ટોની ચૂંટણી દરમિયાન એક દરમાંથી બીજા દરમાં આવ-જા વધે એમ બને, પણ આ આવન જાવન, પાર્ટી સાથેની સૈદ્ધાંતિક વફાદારી પર પ્રશ્ન ચિહ્ન તો મૂકે જ છે. આ ઉપરાંત બીજો એક કિસ્સો જય નારાયણ વ્યાસ અને હિમાંશુ વ્યાસનો પણ પાર્ટીઓ છોડવાનો સામે આવ્યો છે. એમાં બે વ્યાસ વચ્ચેનો ભેદ જોવા જેવો છે. રાહુલ ગાંધી માટે હિમાંશુ વ્યાસે દુબઈમાં 50 હજાર લોકોનો કાર્યક્રમ કર્યો, પણ કાઁગ્રેસે એમની કદર ન કરી એટલે એમણે ભા.જ.પ.ને આશરે જવાનું સ્વીકાર્યું છે. એમને ભા.જ.પ.માં સ્વીકારી પણ લેવાશે, પણ અહીં એમની કદર થશે જ એવું એમને કઇ રીતે લાગે છે તે નથી ખબર. એ સાથે જ જે તે પાર્ટીમાં બીજી પાર્ટીમાંથી આવનાર સભ્યો વિષે પાર્ટીને કોઈ સવાલ જ ન હોય તેમ સ્વીકૃતિ આપી દેવાય એ પણ સમજાતું નથી. જય નારાયણ વ્યાસ તો 32 વર્ષ ભા.જ.પ.માં રહ્યા છે ને તે વખતના મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલને કેબિનેટમાં જુઠ્ઠા કહીને રાજીનામું આપતાં પણ અચકાયા નથી. વારુ, તેઓ ભા.જ.પ.ની સરકારમાં આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. તે પછી પણ તેમનો થવો જોઈતો ઉપયોગ કરવામાં પાર્ટી નિષ્ફળ જાય તે ચિંત્ય છે. બને કે પાર્ટીને ‘જી હજૂરિયા’ જ ખપતા હોય ને જય નારાયણ વ્યાસનું સ્પષ્ટ વકતૃત્વ આડે આવ્યું હોય. સ્પષ્ટ વકતૃત્વ, સ્પષ્ટ નેતૃત્વને આડે આવતું હોય એવો અત્યારે તો ભા.જ.પ.માં એક જ દાખલો છે, બાકી ભા.જ.પ.માં તો હવે આજ્ઞાંકિતો જ પાકે છે તે કોઇથી અજાણ્યું નથી.

આ બધા સંજોગોમાં કેજરીવાલને લાગે છે કે જનતા પરિવર્તન ઈચ્છે છે ને આ પરિવર્તન તે આપ પાર્ટી રૂપે ઈચ્છે છે. આમ તો આપ પાર્ટી મફત આપવા માટે જાણીતી છે. તેણે ગુજરાતને પણ 300 યુનિટ વીજળી મફત આપવાનું કબૂલ્યું છે. મફતનો સિક્કો દિલ્હીમાં ચાલ્યો છે તે ગુજરાતની જનતા જાણે છે. પ્રજા આમ પણ લાલચુ હોય છે, તે રાજકીય પક્ષો જાણતા હોય છે એટલે સબસીડી, મફત, ડિસ્કાઉન્ટ વગેરે લાલચ અપાતી રહે છે. જનતા એને વશ થાય તો ભા.જ.પ.ના મત તૂટે, તો પણ તેને બહુ નુકસાન કદાચ નહીં થાય. નુકસાન, કાઁગ્રેસનું વધે ને લાભ આપને થાય એવું બને. તેનું કારણ એ છે કે આપ અને કાઁગ્રેસ સાથે નથી. આ બંને એકબીજાની ને એ બંને ભા.જ.પ.ની સ્પર્ધામાં છે. કેજરીવાલનું માનવું છે કે આ વખતે ગુજરાતમાં સરકાર આપની બનશે. એવું થાય તો એ ચમત્કાર જ હશે, પણ મફત વીજળીની લાલચ છતાં, આપ સરકાર બનાવવા સુધી કઇ રીતે પહોંચશે એ અંગેનો કોઈ ફોડ કેજરીવાલે પાડ્યો નથી. એટલું છે કે ઘરેઘર પ્રચારમાં ને ગામડે ગામડે સંપર્કમાં આપ પાર્ટી ઠીક ઠીક સક્રિય છે ને એનો લાભ એને મળે એમ બને, પણ કેજરીવાલે ચલણી નોટો પર ગણેશ અને લક્ષ્મીને છાપવાની વાત કરીને સોફ્ટ હિન્દુત્વ પરથી પૂર્ણ હિન્દુત્વ તરફ ગતિ વધારી છે તે આપની આઈડિયોલોજી સાથે નથી જતી. આજ પાર્ટી ભા.જ.પ.ના હિન્દુત્વ અને રામ મંદિરનો વિરોધ કરી ચૂકી છે. રામ મંદિરને બદલે હોસ્પિટલો બનવી જોઈએ એવું કહેનાર કેજરીવાલ ચલણી નોટો પર ગણેશ, લક્ષ્મીને છાપવાની વાત કરે તો જનતા આટલી મૂરખ બનશે કે કેમ તે વિચારવાનું રહે. કાઁગ્રેસની તો ઈચ્છા જ જણાતી નથી, જીતવાની ને સત્તામાં આવવાની ! રાજસ્થાનના મુખ્ય મંત્રી ગેહલોત ગુજરાતમાં આવ્યા છે ને હજી આવે એવી વકી છે, એ સિવાય કાઁગ્રેસ પ્રમુખ ખડગે કે રાહુલ ગાંધી કે એમની ટીમ ગુજરાત તરફ ચૂંટણી મુદ્દે ફરક્યાં નથી. રાહુલ ગાંધીએ ગુજરાત આવવાની વાત કરી છે ખરી, પણ એ તો આવે ત્યારે વાત. જો કે, મફતની સોગઠી તો એમણે પણ નાખી છે. એક વીડિયો વૉટ્સએપમાં ફરે છે, જેમાં વડા પ્રધાન બંગાળમાં પુલ તૂટયો તેની જવાબદારી મુખ્ય મંત્રી પર નાખતા દેખાય છે, જ્યારે રાહુલ ગાંધીને મોરબી પુલ તૂટવા સંદર્ભે પુછાય છે તો એમણે રાજનીતિ કરવાથી દૂર રહેવાનું સ્વીકાર્યું ને ઉમેર્યું કે લોકો ગુજરી ગયા છે તો કૈં પણ કહેવું મૃતકોને માન ન આપવા જેવું થશે. વીડિયો ખરો ખોટો હોઈ શકે છે, પણ એમાં બોલનારા ખોટા નથી જણાતા.

વેલ, કોમન સિવિલ કોડ લાવવાની વાત કરીને ભા.જ.પે. પણ નવી સોગઠી નાખી છે. આ ઉપરાંત વડા પ્રધાને હજારો કરોડની યોજનાઓની ભેટ ગુજરાતની પ્રજાને આપી જ છે. હિન્દુત્વમાં માનનારો મોટો વર્ગ પણ ભા.જ.પ.ની પડખે છે, છતાં ભા.જ.પે. આત્મમંથન કરવાનું તો રહે જ છે. એ જોવાનું રહે જ છે કે વિકાસ બતાવાય છે તે ખરેખર છે કે પછી કાગદી જ વધુ છે? એ પણ પ્રશ્ન છે કે હજારો કરોડની યોજનાઓ ગરીબો માટે છે કે ઉદ્યોગપતિઓ માટે? જો કે, એટલો વિકાસ તો થયો જ છે કે 2005 સુધીમાં 14 ટકા લોકો જ મધ્યમ વર્ગમાં આવતા હતા તે આંકડો હવે 31 ટકાએ પહોંચ્યો છે. એની સામે બે કરોડથી વધુ આવકવાળાની સંખ્યા વધી છે. આ સંખ્યા 1995માં 98 હજારની હતી તે અત્યારે 18 લાખ પર પહોંચી છે. એનો અર્થ એ થયો કે ઉચ્ચવર્ગની આવક વધે છે, એટલી નિમ્નવર્ગની વધતી નથી. કરોડપતિઓ વધે તે સાથે ગરીબો ઘટીને મધ્યમવર્ગમાં ઉપર ઊઠવા જોઈએ, પણ એ ટકાવારી ઓછી જ છે. વિકાસ ખરેખર કોનો થાય છે એ પણ જોવાનું રહે છે. 182 સીટ માટે 4,000 જેટલા દાવેદારો કઇ આશાએ દાખલ પડ્યા હશે તે વિચારવાનું રહે. એક વાત સ્પષ્ટ છે કે કોઈ પ્રમાણિકે કે ગરીબે ચૂંટણી લડવી હોય તો તે લડી શકે એવી સ્થિતિ નથી. જે ચૂંટણી લડવા તૈયાર થાય છે તે સ્થિતિ સંપન્ન ન હોય તો તેને તકો લગભગ નથી. ચૂંટણી જીતવી આજે તો એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે ને એક વાર જીત્યા પછી કોઈ ખોટ ખાઈને ઘર ભેગું થયું હોય એવું અપવાદોમાં જ હશે.

પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,  પ્રદીપસિંહ જાડેજા જેવા પણ ચૂંટણીમાં ઝંપલાવે એમ બને. આમ તો રૂપાણીની આખી સરકાર જ ગયા વર્ષની 12 સપ્ટેમ્બરે ઘરભેગી કરી દેવાઈ હતી. એવું કોઈ દેખીતું કારણ ન હતું કે આખી સરકાર બદલવી પડે, પણ એક પણ મંત્રી રિપીટ કર્યા વગર નવા મંત્રીઓના હાથમાં કારભાર સોંપાયો. આમ તો અગાઉના મંત્રીઓ પણ મોવડી મંડળની ઈચ્છાથી જ આવ્યા હતા, પણ કામ કરતી સરકારને કોઈ ઊહાપોહ વગર જ કામ વગરની કરી દેવાઈ તે આજ સુધી ઘણાંને અકળ રહ્યું છે. એવું ઘણું બધુ શક્ય છે કે જે મંત્રીઓને ઘરભેગા કરી દેવાયા હતા એમને ફરી ટિકિટ મોવડીઓ ન આપે. આપે તો સવાલ એ રહે કે જો ત્યારે મંત્રીઓ ખદેડી મૂકવા જેવા લાગ્યા તો અત્યારે એ ટિકિટ આપવા જેવા કઇ રીતે લાગ્યા? ધારો કે ભા.જ.પ. ટિકિટ આપે છે તો પણ પ્રજામાં તો એવી ધારણા બંધાઈ હોવાનું શક્ય છે કે જે સરકાર ખદેડી મુકાઇ હતી, તે કોઈક રીતે નિષ્ફળ હતી, તો લોકો એમને મત આપતી વખતે સો વખત વિચાર કરશે અને એ ખોટ ભા.જ.પ.ની હશે. એ ઉપરાંત આ વખતે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને શિક્ષણના મુદ્દા પણ ભા.જ.પ.ને ભીંસમાં લે એમ બને.

એ જે હોય તે, પણ 2022ની ચૂંટણીમાં આપનું ફેક્ટર નવું ઉમેરાયું છે અને તેને જરા પણ હળવાશથી કે ઓવર કોફિડન્સથી લેવા જેવું નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 નવેમ્બર 2022

Loading

7 November 2022 Vipool Kalyani
← બે ગઝલ 
લેખક ઇલાબહેન ભટ્ટ : એક અંજલિ  →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved