Opinion Magazine
Number of visits: 9448796
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચૂંટણી ન હોય તો રાજકારણીઓ લોકો પર થૂંકે પણ નહીં –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 November 2021

ઓર્ગેનિઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કંટ્રીઝ – ‘ઓપેક’ તરીકે ઓળખાય છે. આ ઓપેક પેટ્રોલ ઉત્પાદન કરતાં દેશોનો સમૂહ છે ને તે ક્રૂડના ભાવો મરજી મુજબ વધારે-ઘટાડે છે. અત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેટ્રોલના ભાવ આસમાને છે. એક તરફ વૈશ્વિક સ્તરે આર્થિક વ્યવસ્થાઓને ઠેકાણે લાવવા વિશ્વના દેશો મથી રહ્યા હોય, ત્યારે ઓપેક મનમાની રીતે ભાવો વધાર્યા જ કરે તો ઘણાં દેશોને તે ન પરવડે એ સ્વાભાવિક છે, એટલે અમેરિકાએ ઓપેકને ઓઇલનું ઉત્પાદન વધારવાનું સૂચન કર્યું, જેથી ભાવો કાબૂમાં રહે, પણ ઓપેકને તે માફક ન આવ્યું અને તેણે પોતાની રીતે જ વર્તવાનું ચાલુ રાખતા અમેરિકા, ભારત, ચીન, જાપાન સહિતના દેશોએ ઓઇલનો રિઝર્વ જથ્થો બજારમાં મૂકવાનું નક્કી કર્યું. આમ થાય તો જ  આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલનો ઉપાડ ઘટે અને ઓપેકને ઓઇલનું ઉત્પાદન વધારવાની અને ભાવો નિયંત્રિત કરવાની ફરજ પડે. એ રીતે અમેરિકાએ 5 કરોડ બેરલનો રિઝર્વ જથ્થો કાઢવાની વાત કરી છે ને એ દિશામાં ભારતે પણ તેનાં 3.7 કરોડ રિઝર્વ બેરલમાંથી 50 લાખ બેરલ બજારમાં મૂકવાનું નક્કી કર્યું છે. આમ થતાં વૈશ્વિક સ્તરે તો બહુ ફેર કદાચ નહીં પડે ને ભાવ તો ઘટતા ઘટશે, પણ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધે તો દેશમાં પેટ્રોલ મોંઘું કરવાનું જરા પણ પોષાય એમ નથી. રિઝર્વ જથ્થો બજારમાં મૂકીને સરકાર કમ સે કમ  દેશમાં ભાવ કાબૂ કરવા મથે છે ને ત્રણેક રૂપિયાનો ભાવમાં ઘટાડો થાય એમ પણ બને, પણ એવું જરા પણ માનવાની જરૂર નથી કે લોકોને મોંઘવારીમાં રાહત આપવા સરકાર રિઝર્વ જથ્થો બહાર કાઢી રહી છે. એમાં જીવદયા સિવાય જ બધું છે.

અત્યારે તો વૈશ્વિક સ્તરે ક્રૂડનો ભાવ બેરલના 85 ડોલરની આસપાસ ચાલે છે, પણ એપ્રિલ-મે, 2020માં લોકડાઉનની સ્થિતિ હતી ત્યારે ઓઇલનો વપરાશ જ એટલો ઘટી ગયો હતો કે ઓઇલ, બેરલના 19 ડોલર સુધી નીચે આવી ગયું હતું. ભારતે ત્યારે લગભગ 17 મિલિયન બેરલ ઓઇલ ખરીદ્યું હતું. ભારતને ઓઇલ સસ્તું મળ્યું હતું, પણ ઓઇલ સસ્તું આપવાને બદલે, વર્ષ દરમિયાન ભાવ વધારતા જઈને સરકારે દેશ ભરમાં પેટ્રોલ, લિટરના 100ની પણ ઉપર પહોંચાડી દીધું હતું. એમ કહેવાય છે કે એ વધારો, રસી મફત અપાતી હતી તે ખર્ચ સરભર કરવા થયો હતો. એ માની લઇએ, પણ એવો ખુલાસો જાહેરમાં કરતાં સરકારને કોણ રોકતું હતું? એવું જાહેર કર્યું હોત તો પ્રજાએ ખુશી ખુશી એ વધારો સ્વીકાર્યો હોત ને પોતાનું શોષણ થઈ રહ્યું છે એવા ભાવમાંથી પ્રજા ઊગરી ગઈ હોત.

આ ભાવ વધારાની માઠી અસર એ પડી કે દેશમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભા.જ.પ.નું તળિયું દેખાઈ ગયું ને સરકાર સમજી ગઈ કે વધતા ભાવોથી પ્રજા નારાજ છે ને તેણે રાતોરાત ડ્યૂટી ને વેરો ઘટાડી દઈને ઓઇલ 100ની નીચે લાવવાની કોશિશ કરી. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓપેક ભાવ વધારે તો ભારતે પણ ભાવ વધારવા જ પડે ને ભાવ વધે તો પ્રજા નારાજ થાય એ સ્થિતિ છે. આ વર્ષે દિવાળી સુધી તો પ્રજા ઓઇલને મામલે નારાજ થતી જ રહી, પણ સરકારે પૂરી બેશરમીથી ઓઇલના ભાવ વધાર્યા જ ! પણ, હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધે તો પણ સરકાર ઓઇલ મોંઘું કરી શકે એમ નથી, કારણ, 2022માં ઉત્તર પ્રદેશ, ગુજરાત અને અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ને ભાવ વધારીને સરકાર પ્રજાને નારાજ કરી શકે એમ નથી. ભાવ વધારાનું પરિણામ ભા.જ.પે. પેટા ચૂંટણીમાં જોઈ લીધું છે. આથી વધુ ઝેરનાં પારખાં કરવા સરકાર તૈયાર ન જ હોય એ સમજી શકાય એમ છે.

એ જ કારણ છે કે સરકારે ત્રણ કૃષિકાનૂનો પાછા ખેંચવાની જાહેરાત કરી છે. એમાં એને ખેડૂતનું બહુ લાગી આવ્યું છે એવું નથી જ, પણ ખેડૂતો નારાજ રહે તો તેમના મત ગુમાવવાના થાય ને સ્થિતિ કદી ભા.જ.પ.ની તરફેણમાં ન જ આવે તે સરકાર જાણે છે. એટલે જ તો 5 કિલો અનાજ મફત આપવાની યોજના પણ લંબાવવામાં આવી છે. રાજકીય પક્ષો જાણે છે કે પ્રજા નાના નાના લાભોથી રાજી થઈ જાય છે. તેને થોડો લાભ આપીને વર્ષો સુધી હેરાન કરો તો પણ બહુ વાંધો આવતો નથી, પણ ચૂંટણી નજીક હોય ત્યારે એને હથેળી પર રખાય તો તે મત ખડકી દે છે. એટલે દેવા માફી કે મફત અનાજ, પ્રજાને આપવાની વાતો ચાલે છે ને પ્રજા એમાં ભોળવાય છે એવું પક્ષોને લાગે છે, થોડી ભોળવાય પણ છે, પણ પ્રજાની કોઠાસૂઝ પરિણામ લાવે  છે ને તે મોટે ભાગે તો પ્રજાના સ્પષ્ટ અવાજનો પડઘો જ છે તે સ્વીકારવું પડશે.

એક વાત બહુ સ્પષ્ટ છે કે પ્રજાનો મિજાજ પારખી ગયેલી સરકાર ખરેખર તો ભયભીત છે એટલે ખાતર પર દિવેલની જેમ થઈ શકે એટલી લીપાપોતીમાં તે લાગી છે. અત્યારે ને આમ પણ, રાજકારણમાં અખાડા ને દેખાડા આમ વાત છે. એનો તાજો દાખલો સૂરતે ભા.જ.પ.ના કાર્યકરો માટે યોજેલા સ્નેહમિલન કાર્યક્રમે પૂરો પાડ્યો છે. એ સાચું કે ભા.જ.પ. પ્રદેશપ્રમુખ ઊંચી લીડે જીતવા અને ભા.જ.પ.ને સક્ષમ બનાવવા અને બતાવવા માટે જાણીતા છે ને એ એમની જ મહેનતનું પરિણામ છે કે મુખ્ય મંત્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રીએ એમને મન મૂકીને બિરદાવ્યા છે. એ જ ભરોસે ગુજરાતનાં મુખ્ય મંત્રીએ આગામી ચૂંટણીમાં ભા.જ.પે. 182 સીટ પર જીતવું જોઈએ એવી જાહેરાત પણ કરી છે. એમ થાય તો આશ્ચર્ય નહીં થાય.

આમ પણ ભીડ કરવાનો ભા.જ.પ.નો સ્વભાવ છે. આ ભીડ થઈ નથી જતી, તે કરવામાં આવે છે જેથી મોવડી મંડળને લાગે કે લોકો તેમના પક્ષે છે. એવું ખરેખર હોય તો આનંદની વાત છે, પણ આ ભીડ ચૂંટણીમાં મત અપાવે જ એવું ચોક્કસપણે કહી શકાય નહીં. દૂર ન જવું હોય તો પશ્ચિમ બંગાળનો દાખલો યાદ કરી લેવા જેવો છે. વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રીએ ભીડવાળી ઘણી સભાઓ સંબોધી પણ, પરિણામમાં ભીડ અનુભવાઈ નહીં. સૂરતમાં સ્નેહમિલન કાર્યક્રમમાં ભીડ થઈ ને તે ભા.જ.પ. તરફના લોકોના પ્રેમનું પરિણામ છે એવું પણ રાજ્ય ગૃહ મંત્રીએ ગાઈ બજાવીને કહ્યું. એવું હોય તો એનો આનંદ જ હોય, વળી આ ભા.જ.પ.ના કાર્યકરોનું સ્નેહમિલન હતું એટલે સ્વાભાવિકપણે જ ભીડ થાય એ પણ સમજી શકાય, તો સવાલ એ આવે કે કાર્યકરોને બે લિટર પેટ્રોલની અને ભોજનની કૂપનો કેમ આપવી પડી? કેમ, બસો દોડાવવી પડી? ભા.જ.પ.ને જ એના કાર્યકરો પર ભરોસો ન હતો, શું? જો કાર્યકરોને લાલચ આપવી પડતી હોય તો સાધારણ મતદાર એમ જ ભીડ કરે એમ માની લેવામાં ભોળપણ છે.

પ્રજા એ પણ જુએ છે કે શાસકો પોતાનો કાર્યક્રમ પાર પાડવા બીજા માટે ઘણી મુશ્કેલીઓ સર્જી શકે છે. જેમ કે, સ્નેહમિલન કાર્યક્રમમાં ટ્રાફિક લાંબો સમય સુધી રોકી રાખવો પડ્યો, કોર્પોરેશને વેક્સિનેશનનું સર્ટિફિકેટ ન હતું એવા નવેક હજાર મુસાફરોને બસમાં મુસાફરી ન કરવા દીધી ને બીજી તરફ સ્નેહમિલન કાર્યક્રમમાં એવી કોઈ ચકાસણીની જરૂર સત્તાધીશોને ન જણાઈ. લગ્નમાં આજે પણ 400ની લિમિટ નક્કી છે, એ લિમિટ રાજકારણીઓને ને એમના કાર્યકરોને નડતી નથી ને આ એકાદ દાખલા પૂરતો અપવાદ નથી. રાજકારણીઓના કોઈ પણ કાર્યક્રમોને કોવિડ 19ની કોઈ ગાઈડલાઇન ક્યારે ય નડી નથી. આમ પણ રાજકારણીઓને કોરોના બહુ નડ્યો જ નથી એટલે એમને છૂટછાટ હશે, પણ સાધારણ માણસોને કોરોના અને નિયમો નડ્યા જ નથી એમ કહી શકાશે નહીં. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જીતવા વડા પ્રધાને ગ્રેટર નોઇડા નજીક જેવર એરપોર્ટનો શિલાન્યાસ કર્યો ત્યારે પણ હજારોની ભીડ તો ભેગી થઈ જ, એટલે નીતિનિયમો સાધારણ માણસો માટે જ છે એ વાત માનીને જ પ્રજાએ ચાલવાનું રહે છે.

એટલું સારું છે કે ચૂંટણીઓ છે તો સરકારને અને પક્ષોને લોકો યાદ આવે છે. તેમાં જો ચૂંટણી નજીક હોય તો વધારે યાદ આવે છે ને નેતાઓ લાલચો ફેંકીને મત સમેટવાના પ્રયત્નો કરતા રહે છે. મત માટે કરવાં જેવાં ને ન કરવાં જેવાં કામો થતાં રહે છે, તેમાં હેતુ કોઈ પણ ભોગે ચૂંટણીમાં વિજય મેળવવાનો હોય છે. આ જીત જનતા જ અપાવી શકે છે. સારું છે કે જનતા પાસે મતનું સાધન છે, નહીં તો કોઈ રાજકારણી મદદ માટે તો શું, જનતા પર થૂંકવા પણ તૈયાર થાય કે?

આડે દિવસે થૂંકવાય રાજી નહીં, એવા રાજકીય પક્ષોને એમ લાગે કે જનતા નારાજ છે તો તે પેટ્રોલના ભાવ ઘટાડી દેશે, એરપોર્ટનો શિલાન્યાસ કરી આપશે, મફત અનાજ આપશે ને એવું તો ઘણું ઘણું કરશે ને જેવી સત્તા હાંસલ થશે કે જે ખરચ્યું તે પાવડે પાવડે કઈ રીતે વસૂલ કરવું એની ગણતરીમાં લાગી જશે. એની સામે પ્રજા પણ ઓછી નથી. તેની સૌથી મોટી નબળાઈ એ છે કે તે નાના નાના લાભોથી રાજી થઈ જાય છે. એ સ્થિતિમાં તેને સરકાર પણ નબળી અને લોભી મળે તેમાં નવાઈ નથી …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 નવેમ્બર 2021

Loading

26 November 2021 admin
← નારાજ થઈને :
યાદ છે : →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved