Opinion Magazine
Number of visits: 9447413
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

છેવટનાં આકરાં ચઢાણ

મીરાં ભટ્ટ|Opinion - Literature|7 November 2016

જીવનનો પ્રવાહ એ જ એની કાયમની સમથળ સપાટીએ વહ્યો જતો હતો. સામાન્ય માંદગીઓ વચ્ચે વચ્ચે ડોકિયાં કરી જતી હતી. કશું ગંભીર-ચિંતાજનક કે ઉપદ્રવ્યજનક જોજનો દૂર દેખાતું નહતું, ત્યાં અચાનક બે દિવસ પેશાબ બિલકુલ બંધ થઈ ગયો, ડૉક્ટરે સોનીગ્રાફિક તપાસ કરી અને જીવનમાં મહા-ભયંકર, ભીષણ કહેવાય એવું નામ લઈને નવો વ્યાધિ જીવનમાં ટપકી પડ્યો.

પરંતુ કોણ જાણે કેમ લોકો કૅન્સરને ગમે તેટલો ભયંકર, પ્રાણઘાતક રોગ ગણતા હોય, પરંતુ આજ દિન સુધી મને એની ભીષણતા-ભયંકરતાનો કોઈ સ્પર્શ જ થતો નથી. સમાચાર સાંભળીને ચારે બાજુથી સ્વજનો – મિત્રો – પ્રિયજનોનો પારાવાર પરિવાર ઊમટી વળ્યો અને જાણે પ્રેમનો ધોધ વરસ્યો. અનેકવાર આવતો અનુભવ પારિજાતકનાં ફૂલની સુગંધ ફેલાવતો ફરી એકવાર અનુભવાયો – બાબા તેરી નગરી મેં પ્યાર મિલા પરિવાર મિલા!

તેમાં વળી થોડા જ દિવસો બાદ, રેંટિયા બારસે મારી વર્ષગાંઠ આવી. વળી સ્વજનો ઘેરાઈ વળ્યા. કાંઈક કહેવાનો આગ્રહ થયો તો તત્ક્ષણે મનોજગતમાંથી જે ઊભરાઈ આવ્યું તે આવું કાંઈક હતું – આજે મારી વર્ષગાંઠ, વર્ષગાંઠ તો વરસો વરસ આવે છે, પરંતુ આ તો છે મારી ચોર્યાસી વર્ષની વર્ષગાંઠ, આપણા ભારતમાં 84 વર્ષના આંકડાનું આગવું મહત્ત્વ છે. ચોર્યાસી લાખ વર્ષનો એક ફેરો ગણાયો છે, ચોર્યાસી લાખ વર્ષે જીવાત્માની યોનિ બદલાય. હમણાં છેલ્લે છેલ્લે મારો કઠોપનિષદનો સ્વાધ્યાય ચાલતો હતો, જેમાં મૃત્યુદેવના સાક્ષાત્કારની સુંદર અનુભૂતિ આલેખાઈ છે. મૃત્યુદેવનું યથાર્થ નામ ‘યમદેવ’ છે. યમ એટલે યમ-નિયમ-સંયમની સુંદર આગવી સુગંધ અને પાવિત્ર્ય લઈને ખીલતું જીવનનું ફૂલ! જેના જીવનમાં યમ-નિયમ-સંયમની રંગોળી પુરાય છે તેનું જીવન પ્રસન્ન પ્રફૂલ્લિત પુષ્પ સમું નિર્મળ, સુગંધ અને પ્રકાશ ફેલાવનારું હોય છે. આવો જીવનના પણ જીવન સમો ચૈતન્યમય સાવ અચાનક સામે આવીને ઊભો રહ્યો ત્યારે મને એનું કશું જ અજાણ્યાપણું ન લાગ્યું. તે જ સવારે મેં અરુણને કહ્યું કે મને મકરંદભાઈનું ગીત સંભળાવો –

ખૂબ જેવું નામ લીધું, આખરે આવ્યા જ તે,
ગામમાં નહીં, ઠેઠ ઘરના ઉંબરે આવ્યા જ તે,

આ તો માત્ર ઉંબરે જ નહીં ઠેઠ ભીતર, ગભારામાં, ડૉક્ટર કહે – આ પેન્ક્રિયાના કૅન્સરના ગાંઠની ખૂબ ઊંડી હોય છે અને એ બહાર દેખા દે તે પહેલાં ઘણું કામ કરી ચૂકી હોય છે ! આમ મૃત્યુ દેવ સાવ દબાતે પગલે આવ્યા !

આમ તો દર વર્ષે યમરાજ વીતેલા વર્ષની ગાંઠ મારવા આવે. જીવનના એક મુકામની ગાંઠ ! જોઈ-તપાસી લો, જિવાયું તે કેવું જિવાયું, પરમ ધ્યેયની કેટલી નજીક પહોંચાયું, કેટલું અંતર બાકી રહ્યું એનો તાળો મેળવતા રહેવું અને તદનુસાર પુરુષાર્થને જાગૃત કરવો. આપણે વીતેલાં વર્ષોનાં લેખાંજોખાં કાઢી શકીએ, એટલે યમ દેવ જીવનનું પડીકું ઢીલુંઢાલું બાંધે, જેથી વેરી નાખવા જેવા ઘણા એરાઈ જાય અને બાકીનાં સચવાયેલાં રહે, પરંતુ આ તો ચોર્યાસી વર્ષ પૂરાં થયાની ગાંઠ ! યમદેવ એને સજ્જડ બાંધે ગાંઠે જે કાંઈ બંધાય તે સાથે, બાકી બધું અહીંનું અહીં.

આવી આ જીવનયાત્રા એક મુકામે પહોંચી છે ત્યારે અનુભવું છું કે જીવનયાત્રાની તમામ વાટે પ્રભુ સાથેને સાથે જ રહ્યા છે! જીવનમાં જે કાંઈ લાધ્યું તે બધું એના જ પ્રતાપે. એ જ મારા અંતરનો પરમ વિશ્રામ. પરંતુ હા, મારે એટલું સ્વીકારવું પડે કે જીવનયાત્રાના પ્રત્યેક માર્ગે, આગલા માઇલ સ્ટોને પહોંચતા રસ્તામાં ક્યાં ય અટવાઈ ન જવાય તે માટે સહાયરૂપ એવો મારી જિંદગીનો હમસફર પણ સદાને સાથેને સાથે છે. જીવનમાં વિયોગના ઘણા દિવસ આવ્યા, કહોને ? અડધું આયુષ્ય સમાજને નામે, છતાં ય એ વિયોગ ન લાગ્યો. સતત એ દિલાસો દેતા રહ્યા કે – બાઈ રે, જરીક વધુ જો વેઠે ! આ રહ્યો એ મુકામ આપણો, આ જીવનના તરભેટે ! … હવે જીવનના આ પરમ ત્રિભેટે પણ પ્રભુની ને એમની આંગળી પકડી રાખીને પહોંચી જઈશ.

સાચે જ કોઈ તાપ નથી, પરિતાપ નથી. ભયનું તો નામોનિશાન નથી, બસ આનંદ જ આનંદ અને એક પ્રકારની ગાઢ શાંતિ અનુભવાય છે. છેલ્લા મહિનાઓમાં મારી ઊંઘ રીસાઈ ગઈ હતી. રાતોની રાતો મેં પુસ્તકને સહારે કાઢ્યા. એને બદલે હમણાં હમણાં હું એવી ઊંઘી જાઉં છું કે કોઈ આવે તો મને જગાડવી પડે છે બસ, ફરિયાદમાં માત્ર દાહ-બળતરા અને ખંજવાળ છે.

પરંતુ નક્કી કર્યું છે કે સારવારમાં બાયોપ્સી કે કેમો વગેરેનો રસ્તો ન લેવો. શાંતિથી જે થાય તે કરવું અને ઉપદ્રવના શમન માટે સહજ સરળ રીતે જે પ્રાપ્ય હોય તેવા ઉપચારો કરવા. બાકી જે કાંઈ સામે આવે તે સહન કરવું. ખબર નથી, પંથ અજાણ છે, માર્ગે કેવાં કેવાં તોફાનો સંઘર્ષો આવશે તેની કોઈ ભાળ નથી. પણ જે કાંઈ આવે તે સહન કરી લેવું એવું વિચાર્યું છે. કહેવાય છે કે, શરીરમાં જેટલી સહનશક્તિ વધારો તેટલી સામનો કરવાની શક્તિ આવી મળે છે. બાકી હું તો ઝીણી ફોડકી થાય તો ય થથરી ઉડતી કે કૅન્સર તો નહીં હોયને! પણ જોઈએ હવે, શું થાય છે? સાથીઓ, હમસફરની દુઆઓ હમદર્દ બની જશે? મને મંઝિલે પહોંચાડી દેશે એવી આશા છે.

મૃત્યુનો ભય તો લગભગ ક્યારે ય લાગ્યો નથી. અસહ્ય લાગતું હોય તો તે સ્વજનોની વિદાય પરંતુ ધીરે ધીરે વિનોબા-વિચાર કેળવાતો ગયો કે અનંત સંબંધનો કોઈ છેડો નથી, કોઈ અંત નથી. આત્મસાત થયેલા સાથીઓ એક યા બીજા સ્વરૂપે આવી જ મળે છે અને જ્યારે સફળ દિવસ સાથે અનુબંધ જોડાઈ જાય છે પછી વિયોગ જેવું કશું રહેતું જ નથી. सियाराम सम सब जग जानी તો જ્યારે સધાય ત્યારે સાચું પરંતુ સૌમાં અંતરની છબીની છાયાઓ રમતી જોવા મળે સદ્‌ભાગ્ય પણ ક્યાં ઓછું છે? મુક્તિ રૂપે કેવળ પરમ પ્રભુ સાથે જ રહેવાનું કોને ન ગમે? પરંતુ જ્યાં સુધી પૃથ્વી પરના અંતિમ માણસનાં આંસુ ધોવાઈ ન જાય ત્યાં સુધી જંપ વાળીને બેસી જવું ન ગમે. છતાં ય અંતિમ નિર્ણયનો દ્વાર કેવળ પરમાત્માના હાથમાં, राजी हैं हम उसीमे, जिसमें तेरी रजा हो।

મૃત્યુ પછીના દેહ-સંસ્કાર વિષે હું કરુણાવાન કરતાં વેદાંતવાદી વધારે છું. હિંદુ ધર્મનો પિંડ છે એટલે भस्मान्तम् शरीरम् સંસ્કાર જ વધારે આત્મસાત થયો હોય, મારી ચિતા ખડકાઈ હોય અને એની અગનજ્વાળામાં એકેક શરીર ભસ્મીભૂત થતા હોય અને ચોમેર ઘેરાઈને ઉભેલા સ્વજનો-પરિજનોની આંખોમાં જ્વાળાના લબકારે લબકારે જિંદગીની વીતેલી ક્ષણો અનંત કાળમાં વિલોપાતી જતી હોય એવા દૃશ્ય જોયાં હોય. ક્યારે ય કરુણાવાન બનીને બીજાની અંગપૂર્તિ કરવાનું કરુણકાર્ય કરવું એ ઈશ્વરી યોજનામાં દખલગીરી લાગે. પરંતુ એક વાર સાંભળ્યું કે મારી એક પરમ મિત્રના મૃત્યુ બાદ દેહદાન કરવાની વાત વિસરાઈ ગઈ ત્યારે મનમાં તત્ક્ષણ સંકલ્પ જાગ્યો કે – તો પછી એમની ઇચ્છા હું પૂરી કરીશ. ત્યાર બાદ સ્વજનોને જણાવી દીધું છે કે સહેલાઈથી વ્યવસ્થા થતી હોય તો દેહદાન કરવું બાકી ચક્ષુદાન તો થઈ જ શકે.

વળી એક શ્રદ્ધા નાનપણથી પોષાતી આવી છે કે મૃત્યુની ક્ષણ નિશ્ચિત છે, ભલે એના પ્રકાર બદલાતા રહે. એટલે નિશ્ચિત રહેવાય છે બસ, માત્ર છેવટની જ નહીં પરંતુ હવે પછીની એકેએક ક્ષણ પ્રભુ સ્મૃિતમાં ઝબોળાયેલી રહે એવી જ આકાંક્ષા રહે છે. મૃત્યુની ગોદ મને હૂંફાળી લાગે છે. એમાં હું તમામ ચિંતાઓ અને ચિંતનો ઈશ્વરને સમર્પણ કરી લપાઈને સૂઈ જાઉં છું. ઈશા-કુંદનિકાએ નાનકડી ચબરખીમાં પણ એ જ સંદેશો મોકલ્યો છે કે ‘ઈશ્વર સદા ય તમારી સાથે રહો!’

જ્યાં સુધી શરીરમાં શક્તિ હશે અને અંત:પ્રેરણા થશે ત્યાં સુધી અંતિમ યાત્રામાં વાચકોને સાથે રાખીશ, બાકી તો –

હમણાં સાંજ પડશે પંખી તમામ પોતે પોતાના માળામાં પાછા ફરશે …

મારી પણ એ જ પ્રાર્થના રહે છે કે

મને એક સાંજ આપો રાત આપો એક રાત
મને આપો એક એવો આશ્લેષ
ફરફરવા લાગે આ સાત સાત જન્મોના તાણીને બાંધેલા કેશ
ગાવાથી સાવ મને અળગી કરીને નાથ, કાયમની કેદ મને આપો? …

સૌજન્ય : ‘સમાજ દર્શન’ નામક કોલમ માંહેનો આખરી લેખ; “જન્મભૂમિ પ્રવાસી”, 16 અૉક્ટોબર 2015; પૃ. 07

પૂરવણી :

“જન્મભૂમિ”, 05 નવેમ્બર 2016

Loading

7 November 2016 admin
← અભાવ મૂળે તો ફાર્બસતાનો
Confusions around term Hindutva →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved