Opinion Magazine
Number of visits: 9446990
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચંદુ મહેરિયાનું પુસ્તક ‘ચોતરફ’ 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|2 January 2023

સાર્થક પ્રકાશને તાજેતરમાં ચંદુ મહેરિયાના અખબારી લેખોનો સંગ્રહ ‘ચોતરફ’ પ્રસિદ્ધ કર્યો છે.  સાંપ્રત દેશકાળના મૌલિક વિશ્લેષણનું આપણા સમયનું આ મહત્ત્વનું પુસ્તક છે.

સંઘેડાઊતાર શૈલીમાં લખાયેલા 49 લેખો મુખ્યત્વે સંસદીય લોકશાહી, નાગરિક અધિકારો, શિક્ષણ, પોલીસ તંત્ર, કુદરતી આપત્તિઓ અને ગરીબી વિષયો પરના છે.

કેટલાક પ્રકીર્ણ લેખો ઉપરાંત અહીં બાર વ્યક્તિવિશેષોના જીવનકાર્ય વિશે પણ વાંચવા મળે છે. આ લેખો ‘સંદેશ’ દૈનિકમાં અઠવાડિક કતાર તરીકે પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે.

એ કતાર જ્યારે કિતાબ તરીકે આવે છે ત્યારે સમજાય છે કે ચંદુભાઈનું અખબારી લેખન પ્રબુદ્ધ નાગરિક તરીકેની તેમની ખુદની વૈચારિક સજાગતા માટેનું સાધન અને પત્રકારત્વના પ્રશિષ્ટ ઉદ્દેશ્ય કહેતા લોકકેળવણી માટેનું માધ્યમ છે.

‘ચોતરફ’ના લેખોમાં એક સાથે અનેક ક્વાલિટીઝ છે. દરેક લેખના મુદ્દા પર જરૂરી અદ્યતન અભ્યાસ અને ઇતિહાસનો પાસ છે. આધાર વિના કશું જ લખાયેલું નથી. એટલે વિશ્વસનીય આંકડા અને સ્રોતો છે.

દેશના બંધારણનું જ્ઞાન છે. સંશોધકની નિષ્ઠાથી કોઈ વિષય પર ઘણું વાંચ્યા પછી જ મળે તેવી અસલ ચીજ જેવી હકીકતો છે. આવેશ વિનાની ટીકા, વૈચારિક સ્પષ્ટતા સાથેનું દૃષ્ટિબિંદુ, જાહેર જીવન માટેની ચિંતા સાથે પ્રગટેલાં પરિપક્વ સૂચનો છે. સંવેદનની આક્રોશ વિનાની પણ અસરકારક અભિવ્યક્તિ છે.

બહુ ઓછા તત્સમ તેમ જ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ ધરાવતી સરળ, પ્રવાહી ગુજરાતી ભાષામાં લખાયેલા દરેક લેખનો એક સુરેખ ઘાટ છે. આ બધી સિદ્ધિઓ ચંદુભાઈએ કતારના સાડા આઠસો શબ્દોના બંધનમાં રહીને સાધી છે. છાપાંના લેખો છીછરા હોય એવી છાપને દૂર કરનારા જૂજ ગુજરાતી પુસ્તકોમાંનું આ એક પુસ્તક છે.

ખુદની કોઈ છાપ ઉપસાવવા કોશિશ ન કરનાર ચંદુભાઈ ગુજરાતભરના પત્રકારો અને અભ્યાસીઓ માટે દલિત ક્ષેત્ર અંગેનું પૂછવા ઠેકાણું છે. તદુપરાંત જાહેર જીવનના પણ તેઓ સ્વયંશિક્ષિત નિષ્ણાત છે. તેમણે અનેક વિચારપત્રો અને સાહિત્યિક સામયિકો તેમ જ દૈનિકોમાં હજારેક લેખો લખ્યા છે. 

ચંદુભાઈના વાચકોને તેમની સતત જાગ્રત સંચેતનાનો ખ્યાલ છે. ‘સંદેશ’ના તેમના લેખો ‘વેબ ગુર્જરી’ અને કેટલીક વાર ‘ઓપિનિયન’ પોર્ટલ પર પણ વાંચવા મળે છે. તાજેતરમાં તેમણે કૉલેજિયમ સિસ્ટમ, ગર્ભપાતનો  અધિકાર, પરાળ દહનની સમસ્યા, કાચા કામના કેદીઓ જેવા વિષયો પર લખ્યું છે. 

‘ચોતરફ’ પુસ્તકના કેટલાક વાચકોને સંભવત: પુસ્તકનો સહુથી ગમી જાય તેવો હિસ્સો ચરિત્રકીર્તનનો છે. દરેક ચરિત્રનાયક વિશેના લેખમાં, ચંદુભાઈએ વ્યક્તિનું બિલકુલ પોતાની નજરે કરેલું મૂલ્યાંકન વત્તાઓછાં પ્રમાણમાં સમાયેલું છે.

પ્રાસંગિક રીતે તેમણે કાર્લ માર્ક્સ, જોતિરાવ ફુલે, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, બાબાસાહેબ આંબેડકર, વિનોબા ભાવે અને ઉમાશંકર જોશીને અંજલિ આપી છે.

કેટલીક ઓછી જાણીતી વ્યક્તિઓ છે : ઠક્કરબાપા, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, અને અર્થશાસ્ત્રી અશોક મહેતા. એકંદરે અજાણ વ્યક્તિઓને પણ તે અખબારી ઉજાસમાં લાવે છે. જેમ કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં બીજાં પત્ની માઈસાહેબ આંબેડકર, જલિયાંવાલા બાગકાંડ ખુદ જોયા પછી તેની પર ‘ખૂની બૈસાખી’ દીર્ઘ કવિતા રચનાર નાનક સિંહ અને કાંડના એક હત્યારા માઇકલ ઑડવાયરને લંડનમાં જઈને ઠાર કરનાર શહીદ ઉધમ સિંહ. 

ઉધમસિંહ તેમના લક્ષ્યને પૂર્ણ કરવા માટે દેશ અને વિદેશમાં રાન રાન અને પાન પાન થઈ ભટકતા રહ્યા. તેમને તેમની કામગીરીમાં જર્મન સ્ત્રી મિત્ર મેરીની પણ મદદ મળી હતી.

આ પ્રકારની દુર્લભ માહિતી લગભગ દરેક વ્યક્તિકેન્દ્રી લેખમાં મળી શકે. તેમાંથી કેટલીક આ મુજબ છે  :

• નહેરુએ ‘મૉડર્ન રિવ્યૂ’ સામયિકમાં ‘ચાણક્ય’ તખલ્લુસથી લેખ લખીને તેમાં પોતાને વિશે એ મતલબની ચેતવણી આપી હતી કે ‘તેમને સરમુખત્યાર બનાવે તેવાં ઘણાં લક્ષણો તેમનામાં છે’.

• ભારત સરકારે જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. સુખદેવ થોરાતના માર્ગદર્શનમાં 1993માં ‘જળ સંસાધન વિકાસમાં ડૉ. આંબેડકરનું પ્રદાન’ નામે અભ્યાસ પ્રગટ કર્યો છે.

• આંબેડકરે તેમના પત્ની ડૉ. શારદા અથવા સવિતાદેવી(ઉર્ફે માઈસાહેબ)ને પ્રેમપત્રો લખ્યા છે. ‘બાબાસાહેબના નિર્વાણના કાવતરાનો માઈસાહેબ પર આરોપ લાગેલો’. રાજયસભાના સભ્યપદનો પ્રસ્તાવ સવિતાદેવીએ ‘બાબાસાહેબના કૉન્ગ્રેસ વિરોધને સ્મૃતિમાં રાખીને’ ઠુકરાવ્યો હતો.

• ‘વિદ્યાર્થી ઉમાશંકરને કૉલેજના બીજા વર્ષમાં ખુદનો કાવ્યસંગ્રહ ભણવાનો આવેલો.’ તેમણે 1956માં પદ્મશ્રી અને 1972માં પદ્મભૂષણ ખિતાબો સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો, તેમ જ સાંસદ તરીકે મળતું પેન્શન પણ લીધું નહોતું.

• વિનોબાને પંડિત નહેરુએ પહેલી પંચવર્ષીય યોજના વિશે વિમર્શ કરવા દિલ્હી બોલાવ્યા. વિનોબા ‘આઠસો માઈલની પદયાત્રા કરીને દિલ્હી પહોંચ્યા.’ ગાંધીજીએ વિનોબાને તેમની પ્રશંસા કરતો એક પત્ર લખ્યો હતો જે એમણે ફાડીને ફેંકી દીધો.

ચંદુભાઈ વૈચારિક લેખોમાં પણ એવાં સંખ્યાબંધ દુર્લભ તથ્યો નોંધે છે કે જે લેખકની કોઈ પણ ટિપ્પણી વિના અચંબો ઉપજાવે. જેમ કે,

• 1953માં રચાયેલા ‘રાજ્ય પુનર્રચના પંચ’ની ભલામણો મુજબ, ભાષાનું રાજ્ય કે રાજ્યની ભાષાની સૈદ્ધાન્તિક ચર્ચા કર્યા સિવાય 1956માં ભાષાવાર રાજ્યોની રચના કરવામાં આવી હતી.

• વર્તમાન શ્રમ કાયદાઓમાં વેતનની એક ડઝન વ્યાખ્યાઓ છે, જે અમલીકરણમાં બાધા બને છે.

• મોટા ભાગનાં કસ્ટોડિયલ ડેથ પોલીસ થાણે તપાસના 48 કલાકમાં બનતાં હોય છે. એટલે ધરપકડના 24 કલાકમાં આરોપીને અદાલત સમક્ષ રજૂ કરવાના નિયમનું પાલન થતું નથી.

• જે પચાસેક લાખ એકર જમીન ભૂદાન આંદોલનમાં મળી તેનાથી ત્રીજા ભાગના જ વાસ્તવિક કબજા મળ્યા.

કેટલીક હકીકતો થકી વ્યંજના કે વિરોધાભાસ બતાવી આપવાની ચંદુભાઈ પાસે વિશિષ્ટ  દૃષ્ટિ છે. જેમ કે,

• સબરીમાલા મંદિરને સમાવતી કેરળની પથાનામથિટ્ટા લોકસભા બેઠક પર પુરુષો કરતાં મહિલા મતદારો વધુ છે. આ બેઠક માનવ વિકાસ સૂચકાંકમાં ટોચ પર છે.

• અંગ્રેજોના જમાનાનો ઇ.સ. 1880નો, ફેમિન કોડ ભૂખમરાથી થતા મોતની જવાબદારીથી બચવા મૃતકના પેટમાં અનાજનો એક પણ સડેલો દાણો મળે તો તેનું મોત ભૂખમરાથી થયાનો ઇન્કાર કરે છે. તે ફેમિન કોડને લોકશાહી ગણરાજ્યની ભારત સરકાર પણ સ્વીકારે છે.

• શીખોના ઇતિહાસમાં મહિલાઓ વિરુદ્ધના કોઈ ભેદભાવની જિકર નથી. તો પણ શીખ મહિલાઓ સુવર્ણમંદિરમાં શબદ કીર્તન ન કરી શકતી હોવાની હકીકત છે.

હકીકતો અધારિત ચોટદાર નિરીક્ષણોનાં સંખ્યાબંધ દાખલા મળે, જેમાંથી કેટલાક અહીં ટાંક્યા છે.

• ‘જ્યાં સુધી ગરીબોને લાલુમાં અને લાલુને ગરીબોમાં પોતીકાપણું લાગ્યું ત્યાં સુધી લાલુ અજેય રહ્યા.’

•  ‘કૉન્ગ્રેસે 1985 પછી પોતાના બળે સત્તા મેળવી નથી …. રાહુલ ગાંધી રાજકારણમાં જોડાયેલા નહીં, જોતરાયેલા હોવાની છાપ ઊભી થતી હતી.’

•  ‘પર્સન્ટાઇલ અને પર્સેન્ટેજના ખેલમાં પણ રહસ્યમય સફળતાની કહાનીઓ છુપાયેલી છે. ધોરણ 12 સાયન્સમાં  91% પર્સન્ટાઇલ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 26.7% છે, પરંતુ 91% પર્સેન્ટેજવાળા 00.2% જ છે.’

મુખરતા વિનાની પ્રખરતા ચંદુભાઈના લખાણની ખાસિયત છે. એટલે તેમનાં અસંમતી,  ટીકા, વિરોધ, તિરસ્કાર મોટેભાગે અત્યંત આઘાતજનક હકીકતો દ્વારા વ્યક્ત થાય છે.

અત્યંત પીડાદાયક વાસ્તવિકતા બહાર લાવતા આ આંકડા અને હકીકતોથી ઠસોઠસ લેખોમાં લેખક પોતે જવલ્લે જ તીવ્ર ભાષા પ્રયોજે છે.

ચંદુભાઈની સૌથી જલદ ટીકાની અભિવ્યક્તિ પણ કેટલી સંયત હોય છે તેના ઉદાહરણો જોઈએ.

•  ‘નવી લોકસભાના સભ્યોએ સોગંધ લેતી વખતે નારાબાજી કરી તે સંસદને ધર્મસંસદ કહેવી પડે તેવી હતી.’

• ‘નહેરુ હવે કૉન્ગ્રેસી નેતા બની રહે કે તેમના અવમાન માટે જ શાયદ ગુજરાતમાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતીમા સ્થપાય તે સમયની બલિહારી છે.’

•  ‘દેશ ખુલ્લામાં શૌચથી મુક્ત થઈ ગયાની જાહેરાતો થાય છે, તો બીજી તરફ સફાઈ ગટરમાં ગૂંગળાઈને મરી રહ્યા છે. આ વિરોધાભાસનો ન તો કોઈ જવાબ છે, ન તો તેની કોઈ શરમ.’

ચોટદાર વિધાનોની જેમ વિસ્તારથી મૂકાયેલી બાબતોનો સાર આપવામાં અને વિસ્તૃત વિશ્લેષણ કરવામાં એમ બંનેમાં ચંદુભાઈની હથોટી છે, તે અનેક લેખોમાં જોઈ શકાય.

આંકડા એ ચંદુભાઈના લેખોની તાકાતનો એક મુખ્ય આધાર છે. એક એક વાક્યથી  ચોંકાવી જાય તેવા કેટલાક આંકડા આ મુજબ છે :

• કેન્દ્ર સરકારની લગભગ 950 જેટલી લોકકલ્યાણની યોજનાઓ અમલમાં છે.

• દેશમાં રોજના સરેરાશ ચારથી પાંચ અને ઉત્તર પ્રદેશમાં રોજનું એક કસ્ટોડિયલ ડેથ થાય છે.

• દુનિયાના દેશો જી.ડી.પી.ના 6% આરોગ્ય પાછળ ખર્ચે છે, જ્યારે ભારત માત્ર 1.4 % ખર્ચ કરે છે.

• કેન્દ્રના 2020-21ના બજેટમાં વડા પ્રધાન સહિતના વિશિષ્ટ મહાનુભાવો માટેના બે મોંઘાદાટ વિમાનોની ખરીદી માટે રૂ. 8,458 કરોડની જોગવાઈ છે. 

આંકડા આપીને લેખક જે અનેક મુદ્દા સાબિત કરતા રહે છે તેમાંથી કેટલાક આ મુજબ છે : લોકસભામાં દલિત મહિલાઓનું પ્રતિનિધિત્વ પર્યાપ્ત નથી અને દલિત સમાજની પેટાજ્ઞાતિની વિવિધતા અતિઅલ્પ છે; દેશનો દર બીજો પોલીસ કર્મી માને છે કે મુસ્લિમો ગુનાઇત  વૃત્તિના હોય છે; દેશમાં નક્સલી અને આતંકી હિંસામાં થતાં મોત કરતાં પોલીસની યાતનાથી થતાં મોત ઘણાં વધારે છે; ‘દેશના અંદાજપત્રમાં ગરીબો ક્યાં ?’ શીર્ષક હેઠળનો આખો લેખ પૂરેપૂરો આંકડા પર જ લખાયો છે.

ચંદુભાઈએ ખુદ મહેનથી એકઠાં કરેલાં આંકડા અને અહેવાલો, છાપાં અને સામયિકો,પુસ્તકો અને સંદર્ભગ્રંથો જેવાં માહિતીસ્રોતોનો વિચારપૂર્ણ ઉપયોગ ચંદુભાઈનાં લખાણને બહુ ઊંચા સ્તરે મૂકે છે.

આવા લેખો ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ દૈનિક કે ‘ઈકનૉમિક ઍન્ડ પૉલિટિકલ વિકલી ઑફ ઇન્ડિયા’ જેવા પ્રકાશનોમાં જોવા મળે છે. પણ આવા પ્રકાશનોના લેખકોની સરખામણીમાં ચંદુભાઈ લગભગ સંસાધનવિહીન છે.

લેખનનું ઝરણું સંસાધનોની અછતના પથ્થરોમાંથી ફૂટ્યું છે. ટકોરાબંધ વૈચારિક લેખો દર અઠવાડિયે તો શું મહિને ય લખી શકાય તેવા સંજોગો નહીં. અને આમ છતાં આ 49 લેખો થયા. અત્યાર સુધી અનેક સામયિકોમાં લખાયેલા બીજા 951માંથી ચૂંટીને પ્રસિદ્ધ કરવાના થાય તો ય સાતસો-આઠસોથી ઓછા ન થાય !

‘ચોતરફ’ લેખસંગ્રહ એ વર્તમાનપત્રનું લેખન કેટલી નિષ્ઠાથી કરેલું અને વાચકને કેટલું સમૃદ્ધ કરનારું હોઈ શકે તેનો નમૂનો છે. તેના પ્રકાશનમાં ‘સાર્થક’ પ્રકાશનની સાર્થકતા હોય તો તેના વાચનમાં વાચનની સાર્થકતા છે.

અને છેલ્લે : પુસ્તકમાં ચંદુભાઈની જે કેફિયત ‘વાચનકથા, લેખનકથા અને અખબારગાથા’ છે. તે એમની પાસેથી ખૂબ અપેક્ષિત હોય તેવી આત્મકથાનું એક ઉજળું પ્રકરણ બની શકે !

પ્રાપ્તિસ્થાન : 

 બુક શેલ્ફ, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ 9.    સંપર્ક : 079-26441826. કિ.રૂ.230/- 

 ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ 9, સંપર્ક : 079- 26587949 

01 જાન્યુઆરી 2023
(1,330 શબ્દો)
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

2 January 2023 Vipool Kalyani
← પ્રાથમિક શિક્ષણનો દાટ વાળવા સૂરત, ખૂબસૂરત પ્રયત્નો કરી રહ્યું છે …
બંધારણબાહ્ય કૉલેજિયમ સિસ્ટમ વિકલ્પહીન છે ? →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved