Opinion Magazine
Number of visits: 9446392
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—82

દીપક મહેતા|Opinion - Opinion|6 February 2021

આજે : પાણી તો નળ ખોલો કે તરત આવે, બેડાં લઈને કૂવેથી લાવવાની શી જરૂર?

ત્યારે : પાણી માટે મુંબઈના લોકો કલાકો સુધી રસ્તા પર લાઇનમાં ઊભા રહેતા 

ભારી બેડાં ને હું તો નાજુકડી નાર,

કેમ કરી પાણીડાં ભરાય રે,

ભમ્મરિયા કૂવાને કાંઠડે.

૧૯૨૮ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખે પ્રભુલાલ દ્વિવેદીનું ‘સત્તાનો મદ’ નાટક પહેલી વાર ભજવાયું ત્યારે આ ગીતને સાત વન્સમોર મળેલા. પછીથી તેની ગ્રામોફોન રેકર્ડ બહાર પડી ત્યારે તેની હજારો નકલ વેચાયેલી એમ કહેવાય છે. પણ આજની યુવાન મુંબઈગરા પેઢીને આ ગીત સંભળાવીએ તો મોટે ભાગે પૂછે કે ‘કૂવો’ એટલે શુ? પાણી તો નળ ખોલો કે તરત આવે, બેડાં લઈને કૂવેથી ભરી લાવવાની શી જરૂર? કારણ આજે આપણા શહેરમાં કૂવા ભાગ્યે જ જોવા મળે. પણ જ્યારે મુંબઈના સાત ટાપુઓ અલગ હતા ત્યારે તો રડ્યાખડ્યા કૂવા સિવાય પીવાનું પાણી બીજે કશેથી મળે તેમ નહોતું. સાત ટાપુ જોડાયા પછી પણ તેની ત્રણ બાજુ તો હતાં દરિયાનાં ખારાં પાણી. નદી તો એકે હતી નહિ. ૧૮૬૫માં મુંબઈનો કિલ્લો તોડી પડાયો પછી તો મુંબઈની વસતી ઝડપથી વધવા લાગી. અને એટલે પાણીની તંગી વધવા લાગી. તેમાં વળી ઇ.સ. ૧૮૦૦માં મુંબઈમાં દુકાળ પડ્યો. ત્યારે જમશેદજી જીજીભાઈ, ફરામજી કાવસજી બનાજી, જેવા દાનવીરોએ લોકો માટે નવા કૂવા બંધાવ્યા. જમીનમાં મોટા ખાડા ખોદીને તેમાં વરસાદનું પાણી સંઘરવાના પ્રયોગો પણ થયા. પણ આમાનું કશું મુંબઈની કૂદકે ને ભૂસકે વધતી જતી વસતીની પાણીની જરૂરિયાતને પહોંચી શકે તેમ નહોતું.

એટલે શહેરમાં મોટાં તળાવ ખોદાવવાનું શરૂ થયું. આવું પહેલું તળાવ ખોદાવ્યું કાવસજી રૂસ્તમજી પટેલે, ગિરગામ વિસ્તારની નજીક. આજે ત્યાં તળાવ નથી, તળાવનું પાણી નથી, છતાં લોકો એ વિસ્તારને સી.પી. ટેંક તરીકે જ ઓળખે છે. બીજું મોટું તળાવ ૧૮૩૧માં બંધાવ્યું ફરામજી કાવસજીએ. એ વખતના એસ્પ્લનેડ રોડને નાકે આવેલું એ તળાવ પછીથી ધોબીઓ કપડાં ધોવા માટે વાપરતા એટલે લોકજીભે તેનું નામ ચડ્યું તે ધોબી તળાવ. સી.પી. ટેંકની જેમ આ તળાવનું પણ આજે નામોનિશાન રહ્યું નથી. ફક્ત મેટ્રો સિનેમાની સામે એક તકતી સચવાઈ રહી છે. પછી ગ્રાંટ મેડિકલ કોલેજ પાસે બાબુલા ટેંક બંધાયું. તો પૂતળીબાઈ નામની મુંબાદેવીની એક ભક્તાણીએ એ મંદિર પાસે તળાવ બંધાવ્યું. બાણગંગાનું તળાવ તો મુંબઈનું સૌથી જૂનું તળાવ. એને વિશેની વિગતવાર વાત આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. ગોવાળિયા તળાવ વિશે પણ તેવી જ રીતે વાત અગાઉ કરી છે. નઉપાડા વિસ્તારના એક તવંગર કોંકણી સખાવતીએ વાંદરાનું તળાવ બંધાવ્યું. આ ઉપરાંતનાં મોટાં તળાવ તે ખારા તળાવ, દોન ટાંકી, અને નવાબ તળાવ.

૧૮૪૫માં મુંબઈના લોકો પાણીની તંગીથી વાજ આવી ગયા અને રસ્તા પર ઊતરી આવ્યા અને આખો દિવસ દેખાવો કર્યા. એટલે પાણી મેળવવા માટે બીજા શા ઉપાય કરી શકાય એ અંગે વિચાર કરવા માટે સરકારે એક સમિતિ બનાવી. એ સમિતિએ મુંબઈથી દૂર આવેલી મીઠી નદી પાસે વિહાર નામના ગામડા પાસે બંધ બાંધીને તળાવમાં પાણી સંઘરવાની ભલામણ કરી. ૧૮૫૦માં આ અહેવાલને આધારે વિહાર તળાવ બાંધવાની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશ્નર ક્રાફર્ડે સરકારને મોકલી. એ સ્વીકારાતાં ૧૮૫૬ના જાન્યુઆરીમાં તેનું કામ શરૂ થયું અને ૧૮૬૦માં પૂરું થયું.

૧૮૪૬માં ફરી પાણીની તંગી ઊભી થઈ ત્યારે ફરામજી કાવસજીએ પોતાના બંગલાના બગીચામાં ત્રણ કૂવા ખોદાવ્યા અને સ્ટીમ એન્જિનની મદદથી આસપાસના લોકોને પાણી પૂરું પાડ્યું. ૧૮૫૬માં શહેરમાં દુકાળ પડ્યો ત્યારે બધાં ઢોર ઢાંખરને માહિમ કે તેથી દૂર ખસેડવાનો હુકમ બહાર પાડ્યો જેથી શહેરનું પાણી બચે. ત્યારે ફરામજી કાવસજી તળાવમાંથી પાણી ભરવા માટે હજારો લોકો એસ્પ્લનેડ રોડ (આજનો મહાત્મા ગાંધી રોડ) પર કલાકો સુધી લાઈન લગાવીને ઊભા રહેતા. તો બોરી બંદર, ચીંચ બંદર, ડોંગરી જેવા વિસ્તારોના કૂવામાં ઠાલવવા માટે સરકાર હજારો પીપડામાં ભરીને દૂર દૂરથી પાણી લાવતી હતી.

વિહાર તળાવ – ૧૯મી સદીમાં અને આજે

વિહાર તળાવનું કામ પૂરું થતાં મુંબઈના લોકોને ઘેર ઘેર પાઈપ વાટે પાણી પહોંચાડવાનું શરૂ થયું. વિહારના બંધથી શહેર સુધી ૩૨ સેન્ટિમીટરના વ્યાસવાળી પાઈપ લાઈન નખાઈ જે વરસે ૩૨ લાખ લિટર પાણી શહેરને પૂરું પાડવા લાગી. ૧૮૭૨માં બંધની ઊંચાઈ વધારવામાં આવી અને બીજી એક પાઈપ લાઈન નાખ્યા પછી શહેરને વધારાનું ૩૭ લાખ લિટર પાણી મળવા લાગ્યું. પછી તો વખત જતાં નવી નવી યોજનાઓ થતી ગઈ. ૧૮૭૯માં તુલસી તળાવ, ૧૮૯૨માં તાનસા તળાવ, ૧૯૫૭માં વૈતરણા નદી પરનો બંધ, એક પછી એક નામો ઉમેરાતાં ગયાં.

અલબત્ત, રુઢિચુસ્ત લોકોએ શરૂઆતમાં નળનું પાણી તો અપવિત્ર છે એમ કહીને તેનો વિરોધ કરેલો. ૧૮૬૩માં કવીશ્વર દલપતરામે મુંબઈની બીજી મુલાકાત લીધી ત્યારે ઘરોમાં નળનું પાણી વપરાતું જોયું હતું. ‘બુદ્ધિપ્રકાશ’ માસિકના ૧૮૬૩ના ઓગસ્ટ અંકમાં પ્રગટ થયેલા લેખમાં દલપતરામ લખે છે : ‘પાણીના નળ ઘેર-ઘેર ચોથા માળ સુધી અને પાંચમા માળ સુધી ચડાવેલા છે. મુંબઈમાં ભાલ દેશના કરતાં પણ પાણીનું દુઃખ ઘણું હતું, ત્યાં હાલ પાણીનું પરમ સુખ થયું છે. ચોથા વર્ષ ઉપર નળનું પાણી મુંબઈમાં આવતું હતું, પણ બ્રાહ્મણ-વાણિયા કહેતા કે એ પાણી અમે કદાપિ પીતા નથી. એમ કહીને તે પાણીનું ભ્રષ્ટાચારપણું ઘણું બતાવતા હતા, તેઓ હાલમાં હરેક પ્રકારે એ પાણીમાં કાંઈ પણ બાધ નથી એવી વાતો કરે છે. વડનગરા નાગરોને અમે પૂછ્યું કે તમે આ પાણી પીઓ છો કે નહિ? ત્યારે એકે કહ્યું કે છાની રીતે પીએ છીએ. ત્યારે બીજાએ કહ્યું કે હવે છાની રીતે શા વાસ્તે? અમે તો ઉઘાડે છોગે પીએ છીએ. એ પાણીમાં શો બાધ છે?’

પાણી વેચતો ભિસ્તી

અને છતાં દાયકાઓ સુધી મુંબઈનાં ઘણાં ઘરોમાં નહાવા-ધોવા માટે જ નળનું પાણી વપરાતું. પીવા માટે તો કૂવાનું પાણી જ મગાવતા. સફેદ સદરો પહેરેલા ભૈયાજી. સદરો એવી રીતે પહેરેલો કે ખભા પરની જનોઈ થોડી દેખાય. ખભે લાલ ગમછો. તેમના ગાડામાં લાકડાનું મોટું પીપડું. પાછળ નળ. નળ પર સફેદ માદરપાટનું ગરણું બાંધેલું. ભૈયાજી નળ નીચે પોતાનો ચકચકતો હાંડો ધરે. નળ ઉઘાડીને હાંડો ભરે. રોજના ઘરાકને ત્યાં લઈ જાય. ‘જય સિયારામ’ બોલીને તેના ઘરનાં માટલાંમાં પાણી ઠાલવે. ઘરમાં પીવા માટે અને રસોઈ માટે આ પાણી જ વપરાય, નળનું પાણી નહિ. પાણી લઈને ભિસ્તીઓ પણ ત્યારે મુંબઈના રસ્તા પર ફરતા. પણ એમની મશક તો ચામડાની બનેલી. એટલે એમનું પાણી રૂઢિચુસ્તોને તો ન જ ખપે. ‘બીજા વરણ’ના લોકો એ પાણી વાપરે.

૧૯મી સદીમાં હેંગિંગ ગાર્ડન

દક્ષિણ મુંબઈમાં પાણી પૂરું પાડવા માટે મલબાર હિલ પર મોટું તળાવ (રેઝરવોયર) બાંધવામાં આવ્યું. આ જગ્યા ઊંચાણમાં હોવાને કારણે ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે દક્ષિણ મુંબઈનાં ચાર-પાંચ માળનાં મકાનોમાં પણ પાણી સહેલાઈથી પહોંચતું. ક્યાં ય બૂસ્ટર પંપ બેસાડવાની જરૂર ન પડતી. અલબત્ત, આખો દિવસ પાણી આવતું નહિ. સવાર-સાંજ કલાક-અડધો કલાક આવે ત્યારે દરેક ઘરમાં જરૂરી પાણી ભરી લેતા. પહેલાં તો આ રેઝરવોયર ઉપરથી ખુલ્લું હતું. તેથી તેમાં જાતભાતનો કચરો પડતો અને પાણી દૂષિત થતું. આમ ન થાય માટે રેઝરવોયરને ઉપરથી બંધ કરવાનું ઠરાવ્યું. પણ મોટાં મોટાં ઢાકણાંથી ઢાંકવાને બદલે તેના પર સરસ મજાનો બગીચો બનાવ્યો જેને લોકો હેન્ગિંગ ગાર્ડન તરીકે ઓળખવા લાગ્યા. તેનું સત્તાવાર નામ છે સર ફિરોઝશાહ મહેતા ગાર્ડન. પછી તો તેની સામે, ડુંગરની ધાર પર કમલા નેહરુ ગાર્ડન પણ બન્યો. આ બંને બગીચા આજ સુધી મુંબઈગરાઓ માટે અને મુલાકાતીઓ માટે આકર્ષણરૂપ બની રહ્યા છે.

સ્કૂલ, કોલેજ, કે ઓફિસમાં જતી દરેક વ્યક્તિ આજે પોતાની સાથે પીવાનું પાણી રાખે છે અથવા પ્લાસ્ટિકની બાટલીમાં વેચાતું મિનરલ વોટર રસ્તામાંથી ખરીદી લે છે. પણ ૧૯મી સદીમાં તો આ રીતે પીવાનું પાણી વેચવાનો કોઈને વિચાર સુધ્ધાં આવ્યો નહોતો. પણ બે પાંદડે સુખી લોકો મા-બાપ કે બીજા કોઈ કુટુંબીની યાદમાં શહેરમાં પાણીના ‘પીયાવા’ બંધાવતા, જ્યાં હર કોઈ માણસ પોતાની તરસ છિપાવી શકતું. ૧૮૬૫થી ૧૯૪૩ સુધી શહેર ઉપરાંત દાદર અને શિવ (સાયન) સુધી આવા પીયાવા બંધાતા રહ્યા જ્યાં નળનું પાણી હરકોઈને પીવા મળતું. એક નોંધવા જેવી વાત એ છે કે આ ‘પીયાવો’ શબ્દ મરાઠી ભાષાનો નથી. મરાઠી શબ્દ તો છે પાણપોઈ. પીયાવો શબ્દ ગુજરાતીનો છે કારણ મોટે ભાગે આ પીયાવા હિંદુ અને પારસી ગુજરાતીઓએ બંધાવ્યા છે. આવા પીયાવા મોટે ભાગે ધોરી રસ્તાઓ પર, ટ્રામના રૂટ પર, બજારોની આજુબાજુ, અને જ્યાં લોકોની અવરજવર વધુ હોય તેવી જગ્યાએ બંધાવતા. ઘણા પીયાવાની સાથે બે ઘડી બેસીને આરામ કરી શકાય એવી વ્યવસ્થા પણ રાખતા. અને આ પીયાવા એટલે થાંભલા પર એક-બે નળ ખોડી દેવા એમ નહિ. સ્થાપત્યની દૃષ્ટિએ તે ભલે નાનકડી હોય, તો ય એ ઇમારતને જુદી જુદી રીતે સુશોભિત કરતા. ઘણાખરા પીયાવા પર દાનવીરનાં નામની તખ્તી પણ ચોડાતી. ફળ-ફૂલની ડિઝાઈન ઉપરાંત સિંહ કે ગાયનાં મુખ, નાના ઘુમ્મટ કે છત્રી વગેરે વડે પીયાવાને સુશોભિત કરતા. આવા પીયાવા બાંધવામાં પારસીઓનો મોટો ફાળો. એકલા સર કાવસજી જહાંગીરે જુદી જુદી જગ્યાએ ૪૦ જેટલા પીયાવા બંધાવ્યા હતા. તેવી જ રીતે ફરદુનજી જીજીભાઈ અને જમશેદજી જીજીભાઈએ પણ મોટી સંખ્યામાં પીયાવા બંધાવ્યા હતા. બીજું કશું ન કરી શકે તો કેટલાક લોકો પોતાના બંગલાની દિવાલની બહારની બાજુએ લોકો માટે એક-બે નળ મૂકાવતા. આ બધા જ પીયાવા સાર્વજનિક હતા. ન્યાતજાત કે ધર્મના કશા ભેદભાવ વગર બધા જ લોકો ત્યાં પાણી પી શકતા. જેમ માણસો માટે નળવાળા પીયાવા બંધાતા તેમ ઢોરો માટે, ખાસ કરીને ગાડીએ જોડાતા ઘોડા માટે, પણ પીયાવા બંધાવેલા. તેમાં યોગ્ય ઊંચાઈએ નાના હવાડામાં સતત પાણી રહે એવી વ્યવસ્થા થતી.

મેટ્રો સિનેમા સામેનો પીયાવો

બદલાતાં સમય અને જરૂરિયાતો પ્રમાણે વખત જતાં આવા પીયાવાની ઉપયોગિતા ઘટવા લાગી. નવા બાંધકામ વખતે ઘણા તોડી પડાયા, તો ઘણા બિસ્માર હાલતમાં માંડ માંડ ટકી રહ્યા. પણ છેલ્લાં થોડાં વર્ષોમાં આ પીયાવા એ પણ શહેરની સાંસ્કૃતિક સંપત્તિનો ભાગ છે એ સમજાયું છે અને એટલે જરૂરી સમારકામ કરીને ઘણા પીયાવાને સજીવન કર્યા છે. પણ કૂવા અને તળાવો તો ગયાં તે ગયાં. ૧૯મી સદીના છેલ્લા દાયકામાં પ્લેગની મહામારીએ મુંબઈને ધમરોળ્યું પછી લાગ્યું કે કૂવા-તળાવની ગંદકી શહેરમાં રોગચાળો ફેલાવે છે. વળી ત્યાં સુધીમાં લોકોની પાણીની જરૂરિયાત તો નળનાં પાણીથી સંતોષાતી હતી. કૂવા-તળાવ તો મોટે ભાગે ઢોરઢાંખર માટે વપરાતાં થયાં હતાં. એટલે એક પછી એક તળાવ અને કૂવા બંધ થયા. પહેલાંના દસેક મોટાં તળાવોમાંથી આજે ફક્ત બે જ બચ્યાં છે : બાણગંગાનું તળાવ અને વાંદરાનું તળાવ. વચમાં થોડો વખત આ બંનેની પણ માઠી દશા બેઠી હતી પણ ફરી ભૂતકાળને જોવા માટેની સમજણ કેળવાતાં એ બંને તળાવોને નવું જીવન મળ્યું છે. અને કૂવા તો બહુ જ ઓછા બચ્યા છે. પહેલાં જ્યારે કોઈ કૂવો પૂરતી ત્યારે મ્યુનિસિપાલિટી તે જગ્યાએ ‘Well, કૂવો, वावडी, એમ ત્રિભાષી બોર્ડ લગાવતી. હવે તો એ પાટિયાં પણ ભાગ્યે જ જોવા મળે છે. અને છતાં તમારા કાન સરવા હશે તો કોઈ કોઈ જગ્યાએથી પસાર થતાં તમને હળવા સાદે ગવાતું સંભળાશે :

ગામને કૂવે પાણીડાં નહિ ભરું,
કૂવે કળાયેલ મોર મોરી સઈયરું,
ગામને કૂવે પાણીડાં નહિ ભરું. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 06 ફેબ્રુઆરી 2021

Loading

6 February 2021 admin
← કોઈ પણ સત્તાને ખભો તો સામાન્ય માણસ જ આપતો હોય છે …
સશસ્ત્ર ક્રાંતિ માટે વિરાટ માનવસમૂહ, શસ્ત્રો અને મરણિયો જુસ્સો જોઈએ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved