મુંબઈના ગવર્નર એલ્ફિન્સ્ટન એક નહિ, બે
બોમ્બે ગ્રીન્સને માથે મૂકયો મુગટ લોર્ડ એલ્ફિન્સ્ટને
સર ફ્રેરેએ કિલ્લો તોડ્યો, એક દરવાજાની જગ્યાએ ફ્લોરા ફાઉન્ટન
સારું થયું કે એ વખતે ‘પર્યાવરણ બચાવો’ની બૂમો પાડનારા બગલથેલાવાળાઓ નહોતા. સારે નસીબે એ વખતે ‘હેરિટેજ’નું રક્ષણ કરવા માટે કોર્ટે ચડનારા હઠીલા એક્ટિવિસ્ટો નહોતા. નહિતર આજે પણ બોમ્બે ગ્રીન્સ ખાલીખમ મેદાન જ રહ્યું હોત! પણ જેમ જેમ જરૂર પડતી ગઈ તેમ તેમ ત્યાં મકાનો બંધાતાં ગયાં, સારાં, દેખાવડાં, ઉપયોગી, ટકાઉ. પણ તેને માથે ગોળાકાર મુગટ પહેરાવ્યો તે તો ગવર્નર લોર્ડ એલ્ફિન્સ્ટને. મામલો જરા ભૂલભૂલૈયા જેવો છે એટલે વાત સમજી લઈએ. મુંબઈને એલ્ફિન્સ્ટન અટકધારી બે ગવર્નર મળ્યા. પહેલા તે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન. એમનો જન્મ ૧૭૭૯ના ઓક્ટોબરની છઠ્ઠી તારીખે, અવસાન ૮૦ વરસની ઉંમરે ૧૮૫૯ના નવેમ્બરની ૨૦મી તારીખે. તેઓ ૧૮૧૯ના નવેમ્બરની પહેલી તારીખથી ૧૮૨૭ના નવેમ્બરની પહેલી તારીખ સુધી મુંબઈના ગવર્નર રહ્યા. આખા મુંબઈ ઇલાકામાં (આજના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં) અંગ્રેજી પદ્ધતિના શિક્ષણનો પાયો તેમણે નાખ્યો. પણ સાથોસાથ એવો આગ્રહ પણ રાખ્યો કે શાળાનું શિક્ષણ ગુજરાતી, મરાઠી જેવી ‘દેશી’ ભાષાઓ દ્વારા જ અપાવું જોઈએ. એ માટે જરૂરી એવાં પાઠ્યપુસ્તકો સ્થાનિક ભાષાઓમાં તૈયાર કરાવી છપાવવામાં તેમનો મોટો હાથ.
માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન
આ અંગે તેઓ કેટલા આગ્રહી હતા તેનો એક કિસ્સો નોંધાયેલો છે. નામદાર ગવર્નર એલ્ફિન્સ્ટન બોમ્બે પ્રેસિડેન્સીના જુદા જુદા જિલ્લાઓમાં જાત-તપાસ માટે ફરી રહ્યા છે. તેમનો મુકામ એક લશ્કરી છાવણી નજીક છે. સાહેબ તેમના તંબુમાં એકલા બેઠા છે. બાજુમાં ગુજરાતી-મરાઠી પુસ્તકોનો નાનો ઢગલો પડ્યો છે. હજી દેશમાં વીજળી તો આવી નહોતી. એટલે ફાનસના ઝાંખા અજવાળે એક એક પુસ્તક ધ્યાનથી જોતા જાય છે. ત્યાં એક લશ્કરી અફસર, નામે બ્રિગ્સ, સાહેબને મળવા આવે છે. પેલાં ‘દેશી’ ભાષાઓનાં પુસ્તકોના ઢગલા પર તેની નજર પડે છે. પૂછે છે: સાહેબ, આવાં પુસ્તકો પાછળ સમય શા માટે બગાડો છો? આવાં પુસ્તકોનો આપણને શો ઉપયોગ?
સાહેબ: આપણને હોય કે ન હોય, અહીંના લોકોને ભણાવવા માટે એ બહુ ઉપયોગી છે.
બ્રિગ્સ: પણ સાહેબ, દેશીઓને ભણાવવા એટલે તો આપણે માટે સ્વદેશ પાછા જવાનો રસ્તો બાંધવો. આપ નામદાર, ગવર્નર થઈને આવા કામને પ્રોત્સાહન આપો એ માન્યામાં નથી આવતું.
સાહેબ: ભવિષ્યમાં જે થવાનું હશે તે થશે. આ દેશીઓને ભણાવવા એ રાજ્યકર્તા તરીકે આપણી ફરજ છે અને ગમે તે સંજોગોમાં પણ પોતાની ફરજ ચૂકે તે ખરો અંગ્રેજ બચ્ચો નહિ.
‘દેશી’ ભાષાઓને આ રીતે પ્રોત્સાહન આપવાની તેમની નીતિનો વિરોધ તો થયેલો જ. પહેલાં ગવર્નરની કાઉન્સિલના કેટલાક સભ્યોનો વિરોધ. પછી બ્રિટનમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કેટલાક ડિરેક્ટરનો વિરોધ. પણ એ બધાને સમજાવ્યા, પટાવ્યા. નવી નિશાળો શરૂ કરી, નવાં પાઠ્ય પુસ્તકો બનાવ્યાં – ગુજરાતી-મરાઠીનાં એ પહેલવહેલાં પાઠ્ય પુસ્તકો. લંડનમાં બેઠેલા કંપનીના ડિરેકટરો માનતા હતા કે જે અંગ્રેજોને હિન્દુસ્તાન કામ કરવા મોકલીએ તેમને હિન્દુસ્તાની ભાષા આવડે એટલે બસ. એટલે એ ભાષા શીખવવાની સગવડ પણ કરેલી. પણ હિન્દુસ્તાન આવ્યા પછી એલ્ફિન્સ્ટને જોયું કે બોમ્બે પ્રેસિડેન્સીમાં તો ગુજરાતી, મરાઠી, વગેરે ભાષાઓનું ચલણ વધુ છે, હિન્દુસ્તાનીનું ઝાઝું નથી. એટલે તેમણે બોમ્બે પ્રેસિડેન્સી પૂરતો નિયમ બનાવ્યો કે સરકારી અધિકારીઓ ઓછામાં ઓછી એક સ્થાનિક – ગુજરાતી, મરાઠી, વગેરે – ભાષા શીખે તે પછી જ તેમને નોકરીમાં બઢતી મળી શકે. આ ભાષાઓ શીખવવાની અને તેની પરીક્ષા લેવાની વ્યવસ્થા પણ તેમણે કરી. પરિણામે એમના વખતમાં જે ૧૩૦ સિવિલ સર્વન્ટ કામ કરતા હતા એ બધા જ ઓછામાં ઓછી એક સ્થાનિક ભાષા તો જાણતા જ હતા.
તો બીજી બાજુ, આ દેશમાં ઘણા સામાજિક સુધારા કરવાની જરૂર તેઓ સ્વીકારતા હતા. પણ કાયદા દ્વારા એ દિશામાં બહુ આગળ ન વધી શકાય. સુધારા માટેનું ખરું સાધન તો શિક્ષણ છે એમ તેઓ માનતા. એટલે પણ તેમણે શિક્ષણને ખૂબ પ્રોત્સાહન આપ્યું. આજે ફોર્ટ વિસ્તારમાં આવેલી એલ્ફિન્સ્ટન કોલેજ મુંબઈના લોકોએ જાહેર ફાળો કરીને તેમના માનમાં સરકાર પાસે ઊભી કરાવેલી. તેની શરૂઆત બોમ્બે ગ્રીન પરના ટાઉન હોલમાં થયેલી, પછી તે પરેલ ખસેડાઈ, અને ત્યાંથી આજની કાળા ઘોડા નજીકની જગ્યાએ આવી. તેઓ સ્વદેશ પાછા ફર્યા તે પછી એક નહિ, બે વાર તેમને હિન્દુસ્તાનના ગવર્નર જનરલના પદની ઓફર થયેલી, પણ તેમણે કહ્યું કે અત્યારે કરી રહ્યો છું તે કામ પૂરું ન થાય ત્યાં સુધી હું બીજી કોઈ જવાબદારી લેવા માગતો નથી. એવું તે શું કામ કરતા હતા તેઓ સ્વદેશમાં પાછા ફર્યા પછી? તેઓ હિન્દુસ્તાનના ઇતિહાસનું પુસ્તક લખતા હતા! તેમનું એ પુસ્તક ૧૮૪૧માં બે ભાગમાં પ્રગટ થયું. ગુજરાતી-મરાઠીમાં થયેલો તેનો સંક્ષિપ્ત અનુવાદ ઘણાં વર્ષો સુધી અહીંની નિશાળોમાં ભણાવાતો.
લોર્ડ જોન એલ્ફિન્સ્ટન
એલ્ફિન્સ્ટન અટકધારી બીજા ગવર્નર તે લોર્ડ જોન એલ્ફિન્સ્ટન. જન્મ ૧૮૦૭ના જૂનની ૨૩મી તારીખે. માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન તેમના કાકા થાય. જોનસાહેબ બે વખત ગ્રેટ બ્રિટનની પાર્લામેન્ટમાં સ્કોટલેન્ડના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવેલા. ૧૨મા લોર્ડ એલ્ફિન્સ્ટનના તેઓ એકમાત્ર નબીરા. ૧૮૨૬માં શાહી સૈન્યમાં દાખલ થયા. રોયલ હોર્સ ગાર્ડઝ, એટલે કે બ્રિટિશ શહેનશાહ અને મહારાણીના ઘોડેસ્વાર અંગરક્ષકોમાંના એક બન્યા. ૧૮૨૮માં લેફ્ટનન્ટ અને ૧૮૩૨માં કેપ્ટન બન્યા. પણ પછી ૧૮૩૭માં લોર્ડ મેલબર્ને એકાએક તેમની નિમણૂક મદ્રાસના ગવર્નર તરીકે કરી દીધી. કેમ? કહેવાય છે કે દેખાવડા જોનસાહેબ અને યુવાન રાણી વિક્ટોરિયા વચ્ચે પ્રેમસંબંધ બંધાયો છે એવી અફવા ફેલાઈ હતી એટલે આમ કરવું પડ્યું હતું. ૧૮૪૨ સુધી તેઓ મદ્રાસ પ્રેસિડન્સીના ગવર્નર રહ્યા. પણ ગવર્નર તરીકે તેમણે ખાસ કશું ઉકાળ્યું નહિ. કારણ તેમણે નીલગિરિ હિલ્સ પર બંગલો બંધાવ્યો હતો અને ઘણો વખત ત્યાં જ ગાળતા. ૧૮૪૨માં રાજીનામું આપીને લાંબી મુસાફરીએ નીકળી પડ્યા. એ દરમ્યાન તેમણે કશ્મીરની મુલાકાત પણ લીધેલી. કહેવાય છે કે કશ્મીરની મુલાકાત લેનારા તેઓ પહેલા અંગ્રેજ હતા.
૧૮૪૫માં સ્વદેશ પાછા ફર્યા. ૧૮૪૭માં લોર્ડ જોન રસેલે તેમની નિમણૂક રાણીસાહેબાની ખિદમતમાં હાજર રહેનારા લોર્ડ તરીકે કરી! ફરી તેમને દૂર રાખવાના આશયથી ૧૮૫૩માં તેમની નિમણૂક મુંબઈના ગવર્નર તરીકે થઈ અને ૧૮૬૦ સુધી તેઓ એ પદે રહ્યા. પણ આ વખતે આરામ અને સુખસગવડમાં રહી શકાય તેમ નહોતું. કારણ તેઓ ગવર્નર હતા તે દરમ્યાન જ ૧૮૫૭નો બળવો (અંગ્રેજો કહેતા) થયો. આ અંગે બોમ્બે પ્રેસિડન્સીમાં ઘડાઈ રહેલું એક મોટું કાવતરું તેમણે પકડી પાડ્યું. પશ્ચિમ ભારતમાં બળવાનું જોર ઝાઝું દેખાયું નહિ તેમાં તેમનો મોટો ફાળો. કંપની સરકારે નીમેલા તેઓ મુંબઈના છેલ્લા ગવર્નર. કારણ તે પછી ૧૮૫૮માં હિન્દુસ્તાનમાં બ્રિટિશ તાજનું રાજ્ય સ્થપાયું. તેઓ સ્વદેશ પાછા ફર્યા તે પછી ‘બેરન’ બન્યા. ૧૮૬૦ના જુલાઈની ૧૯મી તારીખે લંડનમાં તેમનું અવસાન થયું. તેમણે લગ્ન કર્યાં નહોતાં એટલે પુરુષ વારસદારને મળતી તેમના કુટુંબની લોર્ડની પદવીનો અંત આવ્યો.
મુંબઈમાં હતા તે દરમ્યાન તેમનું ધ્યાન બોમ્બે ગ્રીન્સ પર ગયું. આખા વિસ્તારનો જુદી જ રીતે વિકાસ કરવાનું તેમણે ઠરાવ્યું. ટાઉન હોલની સામે મોટો, ગોળ, સરસ બગીચો, જે આજે પણ છે. એ બગીચાને ફરતો ગોળાકાર રસ્તો. આઠ જુદી જુદી દિશામાંથી આવીને મળતા રસ્તા. અને ગોળાકાર રસ્તા પર એવા જ ગોળાકારમાં બંધાયેલાં મકાનો. બધાંની બાંધણી બહારથી એક સરખી. ઊંચાઈ, રંગ પણ એક સરખાં. આ આખા વિસ્તારમાં એક સમયે આવેલી ઇમારતો અને ઓફિસોની યાદી વાંચીએ તો દેશ અને દુનિયાનાં કેટલાંયે પ્રતિષ્ઠિત નામ વાંચવા મળે. બ્રિટિશ બેંકો, વહાણવટાની જાણીતી કંપનીઓ, મોટી વેપારી પેઢીઓ – બધાંની કચેરીઓ આ વર્તુળાકાર રસ્તા પર અને એને આવીને મળતા રસ્તાઓ પર. આજે તો હવે મુંબઈમાં ઠેર ઠેર ગગનચુંબી મકાનો ફૂટી નીકળ્યાં છે, અને તેમની સામે આ બોમ્બે ગ્રીન્સનાં મકાનો વામણાં લાગે છે. પણ આજ સુધી તેમનાં અસલનાં ઘાટઘૂટ, રંગરૂપ મોટે ભાગે જળવાઈ રહ્યાં છે.
આ આખા વિસ્તારનો વિકાસ કઈ રીતે કરવો તેની યોજના ચાર્લ્સ ફોર્જેટે તૈયાર કરી હતી. આ કામમાં લોર્ડ એલ્ફિન્સ્ટને તો ઊંડો રસ લીધો જ, પણ તેમના અનુગામી સર બાર્ટલ ફ્રેરેએ પણ એટલો જ રસ લીધો. છેવટે ૧૮૬૩માં આખી યોજના પૂરી થઈ. ત્યાં સુધીમાં લોર્ડ એલ્ફિન્સ્ટનનું તો અવસાન થઈ ચૂક્યું હતું એટલે તેમની યાદગીરીમાં આ વિસ્તારને એલ્ફિન્સ્ટન સર્કલ નામ અપાયું. એલ્ફિન્સ્ટન રોડ અને એ જ નામનું રેલવે સ્ટેશન મુંબઈમાં હતાં તે નામો પણ આ લોર્ડ એલ્ફિન્સ્ટનના માનમાં અપાયાં હતાં. થોડા વખત પહેલાં એલ્ફિન્સ્ટન રોડનું નામ બદલાયું અને પછી રેલવે સ્ટેશનનું નામ બદલીને પ્રભાદેવી કરવામાં આવ્યું.
સર બાર્ટલ ફ્રેરે
મુંબઈના પોલીસ કમિશ્નર ચાર્લ્સ ફોર્જેટનો જન્મ ૧૮૦૮માં, અવસાન ૧૮૯૦માં. ૧૮૫૫થી ૧૮૬૪ સુધી મુંબઈના પોલીસ કમિશ્નર. ગુજરાતી, મરાઠી જેવી ‘દેશી’ ભાષાઓ પૂરેપૂરી રીતે જાણતા. એટલે લોકો સાથે, ગુંડાઓ અને ગુનેગારો સાથે પણ સીધો સંબંધ રાખી શકતા. સાથોસાથ મુંબઈના ચીફ મ્યુનિસિપલ કમિશ્નર પણ હતા. લોકો સાથેના સીધા સંબંધને કારણે બળવા વખતે તેમને મોટા કાવતરાની ગંધ આવી ગઈ. પણ ચાલાક, વિચક્ષણ માણસ. એટલે પોતે કશું જાણતા જ નથી એવો દેખાવ રાખ્યો અને વધુ ને વધુ માહિતી મેળવતા ગયા. અને પછી બરાબર ટાંકણે કાવતરાખોરો પર ત્રાટક્યા. પોતે આ કામ કઈ રીતે કર્યું તેનું વિગતવાર વર્ણન તેમણે પછીથી ‘અવર રિયલ ડેન્જર ઇન ઇન્ડિયા’ નામના પુસ્તકમાં કર્યું. આ પુસ્તક ૧૮૯૦માં લંડનથી પ્રગટ થયું હતું. એ જમાનાના ગોવાળિયા ટેંક રોડથી તારદેવ રોડ સુધીના રસ્તા સાથે તેમનું નામ જોડવામાં આવ્યું હતું. આજે પણ ટપાલ ખાતું તો એ જ નામે આ રસ્તાને ઓળખે છે. આ રસ્તા પર આવેલી એક સોસાયટીમાં એક જમાનામાં જ્યોતીન્દ્ર દવે, હરીન્દ્ર દવે, તારક મહેતા જેવા આપણી ભાષાના જાણીતા લેખકો, અગ્રણી અભિનેતા દીપક ઘીવાળાના પિતા છોટાલાલ ઘીવાળા વગેરે રહેતા હતા.
આકાશી નજરે આજનું હોર્નિમેન સર્કલ
બ્રિટનના તાજ દ્વારા નિમાયેલા મુંબઈના પહેલા ગવર્નર હતા સર હેન્રી બાર્ટલ ફ્રેરે. ૧૮૧૫ના માર્ચની ૨૯મીએ જન્મ, ૧૮૮૪ના મેની ૨૯મી તારીખે અવસાન. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની કોલેજમાં ભણી લીધા પછી ૧૮૩૪માં મુંબઈ સરકારમાં ‘રાઈટર’ તરીકે નિમાયા. ૧૮૩૫માં પૂનાના કલેકટર. ૧૮૪૨માં મુંબઈના ગવર્નર સર જ્યોર્જ આર્થરના પ્રાઈવેટ સેક્રેટરી. ૧૮૪૪માં ગવર્નર આર્થરની દીકરી કેથેરાઈન સાથે લગ્ન. ૧૮૫૦માં સિંધના કમિશ્નર. ૧૮૬૨થી ૧૮૬૭ સુધી મુંબઈના ગવર્નર. એક જમાનામાં સલામતી માટે અનિવાર્ય હતો તે મુંબઈનો કિલ્લો (ફોર્ટ) બિનજરૂરી બની ગયો છે અને શહેરના વિકાસને રૂંધી રહ્યો છે તેમ લાગતાં તેમણે કિલ્લો તોડી પડાવ્યો. કિલ્લાનો ‘ચર્ચ ગેટ’ નામનો દરવાજો હતો તે તોડી પાડીને એ જ જગ્યાએ ફુવારો બાંધવાનો તેમણે નિર્ણય કર્યો. આજનો ફ્લોરા ફાઉન્ટન એ જ આ ફુવારો. આ ફુવારાનો ઇતિહાસ પણ રસિક છે, પણ તેની વાત હવે પછી. અત્યારે તો એક વાત નોંધી લઈએ. મુંબઈનો કિલ્લો તોડી પડાયો, ફ્લોરા ફાઉન્ટન અને તેની આસપાસનો વિસ્તાર વિકસવા લાગ્યો, એ સાથે જ બોમ્બે ગ્રીન્સ કહેતાં એલ્ફિન્સ્ટન સર્કલનું મહત્ત્વ ઘટવા લાગ્યું. કિલ્લો હતો ત્યાં સુધી એ કિલ્લામાંના શહેરનું મુખ્ય સ્થળ અને કેન્દ્રબિંદુ હતું એ સર્કલ. પણ પછી તે જાણે કે પાછળ ધકેલાઈ ગયું. અને છતાં ફરી એક વાર તેનું નામ બદલાયું. તેના આ ત્રીજા અવતારની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 12 સપ્ટેમ્બર 2020