Opinion Magazine
Number of visits: 9448724
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—269

દીપક મહેતા|Opinion - Opinion|28 December 2024

નવા જમાનાની જાદુઈ લાકડીની ‘નવલ’- કથા

નોકર અને શેઠની હાજરજવાબી     

દુનિયાની ૬૯ ભાષાઓમાં જુદી જુદી રીતે જોવા મળતી સિન્ડ્રેલાની પરીકથા અને આજની આપણી આ કથા વચ્ચે એક જ ફરક છે. આજની કથાનું મુખ્ય પાત્ર કોઈ છોકરી નહિ, પણ એક છોકરો છે. એનું નામ નવલ. બાવાજીનું નામ હોરમસજી. એવનને તન પોરિયા. નવલ સૌથી નાહ્લો. હોરમસજી અમદાવાદની એડવાન્સ મિલમાં સ્પિનિંગ માસ્તરની મામૂલી નોકરી કરે. નોકરીમાં નહિ પેન્શન કે નહિ કોઈ બી જાતનો વીમો. હજી તો નવલ માંડ ચાર વરસનો થિયો તેવામાં હોરમસજી ખોદાયજીને પ્યારા થઈ ગિયા! થોરા દિવસ તો નવસારીના પરગજુ પારસીઓએ તન છોકરા અને તેમની માયને સાચવિયાં. પન પછી? તન પોરિયાઓને લઈને મમ્મા ગિયાં સુરત. ભરત-ગૂંથન, શીવણકામ અને બીજા ન્હાલ્લાં મોટ્ટાં કામ કરીને માંડ માંડ ચાર દોઝરાં ભરે.

એક વેળાએ દોરાબજી તાતા ગિયા હુતા સુરત. ખોદાયજીની એવી મરજી હોસે તે મળિયા પેલા તન છોકરાનાં માયજીને. દોરાબજીએ એવનને સમજાવિયાં : તન તન છોકરાને તમે એકલે હાથે મોટા નહિ કરી સકસો. એમને અહીંના ઓર્ફનેજમાં મૂકી દો. સુરતનું આય અનાથાશ્રમ મુંબઈના રહેવાસી જમશેદજી નસરવાનજી પીતીતની યાદમાં એવનના બાવા નસરવાનજીએ સુરુ કિધેલું. નસરવાનજી હુતા એ જમાનાના એક મોટ્ટા વેપારી. એકનો એક પોરિયો જમશેદજી. માત્ર બત્રીસ વરની આવરદા ભોગવનાર જમશેદજી એક અચ્છા પારસી લેખક હુતા, જુદી જુદી ભાષાઓના જાણકાર ચાહક હુતા. ‘માહરી મજેહ’ એવનની કવિતાની કિતાબ. જુદી જુદી ભાષાઓની કહેવતોનો દળદાર સંગ્રહ તે ‘કહેવતમાળા.’ બંને ચોપડી એવનના ગુજરી ગિયા પછી છપાઈ. નસરવાનજીએ જમશેદજીની યાદમાં મુંબઈમાં બંધાવેલી જે.એન. પીતીત લાઈબ્રેરી આજે બી ફ્લોરા ફાઉન્ટન પાસે અડીખમ ઊભી છે.  

પણ આ તો વાત જરા આરે પાટે ચરી ગઈ. તન પોરિયાઓને લઈને દોરાબજી ગિયા પેલા ઓર્ફનેજમાં. પન એના મેનેજર કહે કે અમે બે છોકરાને રાખસ. પણ આય તીજો નવલ, હજી બૌ નાલ્લો છે એટલે આવતે વરસે તેને દાખલ કરસું. અને એક વરસ વેરે નવલ બી ગિયો બે મોટા ભાઈની સાથે ઓર્ફનેજમાં. 

નવલ તાતા

અને હવે આવે છે આય વાતમાં જબરો ટવીસ્ટ! ૧૯૧૮માં દોરાબજીના ભાઈ રતનજી (આર.ડી.) એકાએક લંડનમાં ગુજરી ગિયા. નહિ રતનજીને ઓલાદ, નહિ દોરાબજીને. પન રુવાન(મૃતદેહ)ને અવલમંજલ પહોંચારવા માટે દીકરો તો જોઈએ! એટલે કોઈ છોકરાને દત્તક લેવો પરે. અને બરાબર એ જ ટાણે દોરાબજીને સાંભરી આયા પેલા તન પોરિયાઓ જેને સુરતના ઓર્ફનેજ્માં પોતે જ દાખલ કીધા હુતા. અને ભલે દૂરના, પણ એ તને પોરિયા તાતા ખાનદાનના હુતા. એ વલી કઈ રીતે? દોરાબજી અને રતનજીનાં માયનું નામ હીરાબાઈ, જે હુતાં સર જમશેદજીનાં ધણિયાણી. પોરિયા નવલનાં દાદી અને હીરબાઈ, બે સગ્ગી બહેનો! એટલે રતનજીના વિધવા નવાજબાઈને લઈને ગિયા સુરતના ઓર્ફનેજમાં. તન ભાઈઓને બતલાવીને બોલિયા કે આ તનમાંથી કોઈ બી એકને પસંદ કરી લો. જોતાં વેંત નવાજબાઈની નજરમાં નાલ્લો પોરિયો નવલ વસી ગિયો. વરસો પછી આય વાતને યાદ કરતાં નવલ તાતા બોલિયા હુતા કે એ દહાડે નવાજ મમ્મા મારે વાસ્તે તો હાથમાં જાદુઈ છડી લઈને જ આયાં હુતાં. એવને મુને એ છડી અડકાવેલી બી નહિ. અને છત્તાં તે દહારે હું ઓર્ફનેજમાંથી તાતા ખાનદાનના રાજમહેલ જેવા બંગલામાં પૂગી ગિયો!

પન એ જ દહારે નહિ હોં! કેમ વારુ? નવલ અને એના બંને ભાઈ ઓર્ફનેજમાં ફી ભરીને નહિ, બિલકુલ ફ્રીમાં રહેતા હુતા. અને ઓર્ફનેજનો નિયમ હૂતો કે આય રીતે ફ્રીશિપ મેળવનાર પોરિયા મેટ્રિક(આજની એસ.એસ.સી.)ની પરીક્ષા પાસ કરે તે પછી જ ઓર્ફનેજ છોરી સકે. એટલે મેટ્રિક થયા પછી જ નવલજી તાતા ખાનદાન સાથે રહેવા ગિયા. મુંબઈ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ બનિયા, લંડન જઈ અભ્યાસ કીધો અને ૧૯૩૦માં તાતા ગ્રૂપમાં કોઈ ઊંચા હોદ્દા પર નહિ, એક સામાન્ય ડિસ્પેચ ક્લાર્ક તરીકે જોડાયા. મજૂરોને લગતા કાયદા-કાનૂન, મજૂરોની સુખાકારી, વગેરેમાં નવલજીને જબરી જાણકારી. ફક્ત આપરા દેશમાં જ નહિ, બીજા દેશોમાં પન એ માટે તેમની જબરી નામના. પૂરાં ૩૮ વરસ સુધી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગનિઝેશન(ILO)માં એવને હિન્દુસ્તાનનું પ્રતિનિધિત્વ કીધું. પોતાની કંપનીના મજૂરો સાથે બી નવલજી હસી મજાક બી કરી પણ શકતા અને સામી મજાક ઝીલી બી શકતા. એક વાર એક મજૂર તેના મશીન પરથી પૂરા એક કલાક માટે ગાયબ થઈ ગયેલો માલમ પડ્યો. પાછો આવ્યો ત્યારે સુપરવાઈઝર તેને નવલજી પાસે લઈ ગિયો અને ફરિયાદ કીધી. નવલજીએ પૂછયું : ‘કામ છોડીને એક કલાક સુધી ક્યાં ગિયો હૂતો?’ મજૂર: ‘સાહેબ! વાળ કપાવવા ગયો હતો.’ ‘એટલે જે ટાઈમમાં કામ કરવા માટે હું તુને પગાર આપું છ, એ ટાઈમનો ઉપયોગ તું વાળ કપાવવા માટે કરે છ?’ મજૂર હતો હાજરજવાબી. કહે : ‘ના, સાહેબ. મેં બધ્ધા વાળ નથી કપાવ્યા. આપ જે ટાઈમનો પગાર આપો છો એ ટાઈમમાં ઊગેલા એટલા જ વાળ કપાવ્યા છે!’ આય સાંભળી નવલજી ખડખડાટ હસી પડિયા અને આંગળીનો ઈશારો કરી કહ્યું કે ‘જા.’

ભારતની હોકી ટીમ સાથે નવલ તાતા (વચમાં કાળા સૂટમાં બેઠેલા)

નવલજીનો બીજો ખાસ શોખ તે રમતગમત. ઇન્ડિયન હોકી ફેડરેશનના લાગલાગટ પંદર વરસ સુધી એવન પ્રેસિડન્ટ હુતા. આપરો દેસ આઝાદ થિયો તે પછી પહેલવહેલી ઓલિમ્પિક્સ ગેમ્સ ૧૯૪૮માં લંડનમાં રમાવાની હુતી. નવલજીનો ખાસ આગ્રહ કે આઝાદી પછીની આ પહેલી ગેમ્સમાં હિન્દુસ્તાનની હોકીની ટીમે ભાગ લેવો જ જોઈએ. લાંબા વખત સુધી સરકાર સાથે લખાપટ્ટી કીધી. પન સરકારી અમલદારો જેનું નામ! ન હા પાડે, ન ના પાડે. કારણ? કારણ ટીમનો આવવા-જવાનો, રહેવા કરવાનો ખરચ કયે ખાતે ઉધારવો એની વિમાસણ. છેવટે નવલજી ગિયા પંડિત જવાહરલાલ નેહરુ પાસે. અને એવણને હોકી ટીમને મોકલવા રાજી કીધા. આઝાદ ભારતની હોકી ટીમ ગઈ, અને ગ્રેટ બ્રિટનને (૪-૦) હરાવીને પહેલો ગોલ્ડ મેડલ જીતીને પાછી આવી. એ પછી ૧૯૫૨માં નેધરલેન્ડને (૬-૧) હરાવ્યું. ૧૯૫૬મા પાકિસ્તાન સામે ત્રીજો ગોલ્ડ મેડલ. પણ જીત મળી હુતી થોરી નાલ્લી : ૧-૦ ગોલથી. નવલજી નેહરુને મલવા ગિયા તે વારે નેહરુ થોરા નારાજ હુતા. કહે : ‘૧-૦ એ તે કાંઈ જીત કહેવાય? આવી જીત ટેનિસમાં ચાલે, પણ હોકીમાં? શું આપણી ટીમની રમતનું ધોરણ કથળવા લાગ્યું છે?’ તરત નવલજીનો જવાબ મળ્યો : ‘ના, જી. પન બીજા દેશોનું ધોરણ સુધરવા લાગ્યું છે.’ ૧૯૬૯માં ભારતના રાષ્ટ્રપતિએ નવલ તાતાને પદ્મભૂષણથી નવાજ્યા હતા. નવલ તાતાના હોકી માટેના લગાવની યાદગીરી સાચવવા માટે જમશેદપુરમાં ૨૦૧૭માં નવલ તાતા હોકી એકેડેમીની સ્થાપના કરવામાં આવી. 

૧૯૬૯માં રાષ્ટ્રપતિ ડો. ઝાકિર હુસેનને હાથે પદ્મ ભૂષણ

૧૯૭૧ની લોકસભાની ચૂંટણી વખતે નવલજી દક્ષિણ મુંબઈ મતદાર વિભાગમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહ્યા ત્યારે ઘણાને નવાઈ લાગેલી. તેમની સામેના બે ઉમેદવારો હતા જ્યોર્જ ફર્નાન્ડીસ અને ડોક્ટર એન.એન. કૈલાસ. એ જમાનામાં મુંબઈના ‘બેતાજ બાદશાહ’ ગણાતા સદોબા પાટીલને હરાવીને આગલી ચૂંટણીમાં ફર્નાન્ડીસ જીતેલા. પણ પરિણામ કોઈએ ધારેલું નહિ એવું આવ્યું : ફર્નાન્ડીસ અને નવલ તાતાને હરાવીને લગભગ અજાણ્યા ગણાય એવા ડો. કૈલાસ જીતી ગયા!  

કેન્સરના રોગથી પીડાઈને ૧૯૮૯ના મે મહિનાની પાંચમી તારીખે નવલ તાતા મુંબઈમાં બેહસ્તનશીન થિયા.

નવલજી પછીના તાતા ખાનદાનના મોભીની અજીબોગજબ વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 28 ડિસેમ્બર 2024 

Loading

28 December 2024 Vipool Kalyani
← માણસ આજે (૨૩) 
મનમોહનસિંહ બોલતા હતા ત્યારે દુનિયા સાંભળતી હતી →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved