Opinion Magazine
Number of visits: 9448703
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—261

દીપક મહેતા|Opinion - Opinion|24 August 2024

આજે જેનો જન્મ દિવસ છે તે વીર કવિ નર્મદને જણ્યો સુરતે,

પણ જાણ્યો મુંબઈએ       

ખેતર, મેદાનો, ને બાગ, શોભે છે ત્યાં જાગોજાગ,

અનેક ઝાડો, પંખી ઘણાં, રચનામાં હોયે શી મણા?

શ્રીમંતોની વાડી બહુ, ખુલ્લામાં ખૂલે તે સહુ, 

ઝાડ-પાન, ફુવારા, હોજ, વળી બંગલા કેરી મોજ! 

તળાવ મોટું, સુંદર, બહાર, ચાંદનીમાં શોભે સુખકાર. 

પવન લ્હેરથી પાણીમાંહ્ય, લ્હેર મનોહર રમતી થાય.

માનશો? આ વર્ણન કોઈ ગામડાનું નહિ, આપણા મુંબઈ શહેરનું છે! લખાયું હતું ૧૮૬૩ના જૂન મહિનાની ૧૬મી તારીખે. પરળ(પરેલ)ની એક ટેકરી પર ફરવા ગયેલા કવિએ લખ્યું હતું આ વર્ણન. એ કવિ તે નર્મદાશંકર લાલશંકર દવે. ન ઓળખ્યા? ઉર્ફે વીર કવિ, વીર સમાજ સુધારક, વીર પત્રકાર અને બીજું ઘણું બધું એવા વીર નર્મદ. કોણ જાણે કેમ, પણ તેને વિષે લખતાં-બોલતાં ‘તુંકારો’ જ વાપરવાનો આપણે ત્યાં ચાલ છે. એટલે અહીં પણ એમ જ. ૧૮૩૩ના ઓગસ્ટની ૨૪મી તારીખે સુરતમાં જન્મ. આજે તેના જન્મને ૧૯૧ વરસ થયાં. 

કવિ નર્મદ – ૧૮૬૦માં પોતાના કાવ્ય સંગ્રહમાં છાપવા માટે ફોટા પરથી તૈયાર કરાવેલું એનગ્રેવિંગ

નર્મદ ભલે જન્મ્યો સુરતમાં, પણ તેને બોલાવ્યો, માપ્યો, જાણ્યો, નાણ્યો, પોષ્યો અને પ્રમાણ્યો તે તો મુંબઈએ. તેને જન્મભૂમિ સુરત માટે અપાર પ્રેમ. પણ કદાચ વધુ ગોઠે મુંબઈમાં. તેની કવિતામાં અને ગદ્ય લખાણોમાં એક નગરવાસીનું ‘સોફેસ્ટિકેશન’ છે તે મુંબઈને પ્રતાપે. 

૧૮૬૬માં પ્રગટ થયેલી આત્મકથા ‘મારી હકીકત’માં નર્મદ કહે છે કે જન્મ પછી દસેક મહિને, મા નવદુર્ગા અને માના કાકા દુર્લભરામ સાથે પોતે પહેલી વાર મુંબઈ આવ્યો. એ વખતે પિતા લાલશંકર કાલબાદેવીના ભગવાન કલાના માળામાં (ચાલમાં) રહેતા હતા. નર્મદ પાંચ વરસનો થયો ત્યારે ભુલેશ્વરની નાના મહેતાની નિશાળે બેસાડ્યો. પછી પાયધૂની પરની બાળગોવિંદ મહેતાજીની નિશાળે ગયો. તે અંગે નર્મદ લખે છે : “મને ગુજરાતી અભ્યાસ કરાવ્યાનું માન બાળગોવિંદ મહેતાજીને જ છે. એને જ ત્યાંથી હું એલફિન્સ્ટન સ્કૂલના પ્રિન્સિપાલ જોન હાર્કનેસની પાસે ગુજરાતીની પરીક્ષા આપવા ગયો હતો.” 

નર્મદે જ્યાં અભ્યાસ કરેલો તે એલ્ફિન્સ્ટન કોલેજના પહેલા પ્રિન્સિપાલ હાર્કનેસ

એક જમાનામાં નેપિયન સી રોડથી રિજ રોડ સુધીના રસ્તા સાથે આ હાર્કનેસનું નામ જોડાયેલું હતું. કારણ તેમનો બંગલો એ રસ્તા પર આવેલો હતો. ૧૮૩૫માં એલ્ફિન્સ્ટન કોલેજ શરૂ થઈ ત્યારે તેના પહેલવહેલા પ્રિન્સિપાલ હતા આ હાર્કનેસ સાહેબ. વેઇટ અ મિનિટ. તો પછી નર્મદ તેમને એલ્ફિન્સ્ટન સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે કેમ ઓળખાવે છે? કારણ જરા અટપટું છે. મૂળ સંસ્થા બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટી. એ સંસ્થા ‘અંગ્રેજી હાઈસ્કૂલ’ ચલાવતી. ૧૮૩૫માં આ સોસાયટીના નેજા નીચે એલ્ફિન્સ્ટન કોલેજની સ્થાપના થઈ ત્યારે તે પેલી સ્કૂલથી અલગ અને સ્વતંત્ર હતી. પણ પછી કોઈક કારણસર સ્કૂલ અને કોલેજના શિક્ષકો અને પ્રિન્સિપાલ વચ્ચે ખટરાગ થયો. એટલે ૧૮૪૦માં કોલેજને સ્કૂલ સાથે ભેળવી દીધી અને હાર્કનેસ બન્યા બંનેનાં પ્રિન્સિપાલ. ૧૮૪૫માં નામ બદલાયું અને એ સંસ્થા બની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂશન. પણ પછી ૧૮૫૬ના એપ્રિલની પહેલીથી સ્કૂલ અને કોલેજ છૂટાં પડ્યાં અને અસ્તિત્ત્વમાં આવી સ્વતંત્ર એલ્ફિન્સ્ટન કોલેજ. એટલે ૧૮૪૫ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે નર્મદ દાખલ થયો ત્યારે એ સંસ્થાનું નામ હતું એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂશન. અને ૧૮૫૦ના જૂનમાં દાખલ થયો તે એ જ સંસ્થાના  કોલેજના વર્ગમાં. 

જો કે કેટલાંક કૌટુંબિક કારણોને લીધે નર્મદ ઝાઝો વખત કોલેજમાં ભણી ન શક્યો. ૧૮૫૧ના ફેબ્રુઆરીમાં તેણે કોલેજ છોડી. એ પહેલાં તેણે ‘જુવાન પુરુષોની અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા’ નામની સંસ્થા કેટલાક મિત્રો સાથે મળીને શરૂ કરી હતી. તેમાં તેણે ‘મંડળી મળવાથી થતા લાભ’ એ વિષય પર ‘મોઢેથી બોલીને’ (એટલે કે લખેલું ભાષણ વાંચીને નહિ) ભાષણ કર્યું. આ તેનું પહેલું જાહેર વ્યાખ્યાન. તેવી જ રીતે નર્મદનું પહેલું પુસ્તક પણ મુંબઈથી ૧૮૫૭ના એપ્રિલની છઠ્ઠી તારીખે પ્રગટ થયું હતું : ‘પિંગળ પ્રવેશ.’ નર્મદના પિતા લાલશંકર સરકારી શિક્ષણ ખાતામાં લહિયા તરીકે કામ કરતા હતા. તેમણે પોતાના અક્ષરમાં આખું પુસ્તક લખી આપ્યું હતું અને નર્મદે શિલા છાપ પદ્ધતિથી તેની ૫૦૦ નકલ છપાવી હતી. 

નર્મદનું છેલ્લું પુસ્તક ‘ધર્મવિચાર’ ૧૮૬૬માં મુંબઈથી પ્રગટ થયું. એ જ વરસે નર્મદનું અવસાન થયું. તેનાં પુસ્તકોની કુલ સંખ્યા એક સોને આંબવા જાય. તેમાંનાં મોટા ભાગનાં મુંબઈમાં છપાયાં અને પ્રગટ થયા હતા. 

નર્મદે મુંબઈમાં પહેલી નોકરી કરી તે ગોકુળદાસ તેજપાલ વિદ્યાલયમાં. પગાર મહિને ૨૮ રૂપિયા. ૧૮૫૭ના ફેબ્રુઆરીમાં એ નોકરી શરૂ કરી. પણ તે થોડા વખત માટે જ. એ નોકરી છોડીને ૮મી ફેબ્રુઆરીએ નર્મદ સરકારી સેન્ટ્રલ સ્કૂલમાં આસિસ્ટન્ટ માસ્તર થયો. પગાર રૂપિયા ૪૦. પણ એ નોકરીમાં ય તે ઝાઝું ટક્યો નહિ. કારણ? નર્મદ લખે છે : “મારું મન કવિતા તરફ લાગેલું તેથી મને સ્કૂલમાં છોકરાઓ સાથે માથું ફોડવું દુરસ્ત ન લાગ્યું. સાડા દસથી તે પાંચ લગી કાહુ કાહુ થાય. નિશાળના કામમાં દિલ ન લાગ્યાથી મેં મારા બાપને પૂછ્યા વનાં જ નવેમ્બરની ૨૩મીએ સ્કૂલની નોકરી છોડી દીધી.” તે પછીની તેની વાત તો અત્યંત હૃદયસ્પર્શી છે, એટલું જ નહિ, ખૂબ જાણીતી પણ છે. “મેં ઘેર આવી, કલમના સામું જોઈ, આંખમાં તેને ઝળઝળિયાં સાથે અરજ કરી કે ‘હવે હું તારે ખોળે છઉં.” એટલે કે આજીવિકા માટે બધો આધાર લેખન પર રાખવાની પ્રતિજ્ઞા નર્મદે લીધી તે પણ મુંબઈમાં. 

નર્મદનું સાપ્તાહિક ‘ડાંડિયો’ પહેલો અંક, પહેલું પાનું ૧ સપ્ટેમ્બર ૧૮૬૪

નર્મદે શરૂ કરેલા સાપ્તાહિક ‘ડાંડિયો’નું આયુષ્ય બહુ લાંબુ નહિ. પણ તે વખતના મુંબઈ અને ગુજરાતના જાહેર જીવનમાં તેનો દબદબો અને દાબ ઘણો. એ શરૂ કર્યું મુંબઈથી, ૧૮૬૪ના સપ્ટેમ્બરમાં. કમનસીબે તેના બધા અંકો ક્યાં ય સચવાયા નથી. પણ જેટલા બચ્યા છે તેમાંથી નર્મદની એક નીડર પત્રકારની છબી ઉપસે છે. ‘ડાંડિયો’ નામ પાડેલું નર્મદના મિત્ર અને ‘ગુલાબ’ નાટકના લેખક નગીનદાસ મારફતિયાએ, અને ઘણો વખત એ છપાતું નર્મદના મિત્ર અને જાહેર જીવનના અગ્રણી નાનાભાઈ રૂસ્તમજી રાણીનાના યુનિયન પ્રેસમાં. ૧૮૫૭માં શરૂ થયેલું આ પ્રેસ હજી આજે પણ ચાલુ છે. 

નોકરી ન કરવાની ટેક નર્મદે મુંબઈમાં લીધેલી, તો એ જ ટેક કમને પણ આર્થિક જરૂરિયાતને કારણે તોડીને નોકરી કરવી પડી તે પણ મુંબઈમાં. ૧૮૮૨માં ગોકુળદાસ તેજપાલ ધર્મ ખાતાના સેક્રેટરી બન્યા. ૧૮૮૫માં એ નોકરી છોડી, અને ૧૮૮૬ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે દેહ છોડ્યો તે પણ મુંબઈમાં. નર્મદ જન્મ્યો તાપી નદીને કિનારે આવેલા સુરતમાં. જન્મભૂમિ માટે છેવટ સુધી અપાર પ્રેમ. પણ તેના જીવન અને વ્યક્તિત્વનું ઘડતર અને ચણતર થયું તે તો મુંબઈમાં. અરબી સમુદ્રના કિનારા નજીક આવેલ સોનાપુરની સ્મશાનભૂમિમાં તેનો ક્ષર દેહ વિલીન થઈ ગયો ત્યારે હવામાં એના શબ્દો ગુંજતા હશે :

“હા ભૈયા, હું તો ચાલ્યો, શંખનાદ હજુ થાયે હો.”

નર્મદ એટલે ૧૯મી સદીના સાહિત્યનો, સમાજ સુધારાની પ્રવૃત્તિનો, પત્રકારત્વનો, જાહેર જીવનનો વિજયી શંખનાદ. એ શંખનાદ ઉદ્ભવ્યો અને શમ્યો તે મુંબઈમાં. 

XXX XXX XXX

e.mail : deepakbmehta@gmail.com
પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 24 ઓગસ્ટ 2024

Loading

24 August 2024 Vipool Kalyani
← પ્રેરણા અને પરિશ્રમથી મહેકતો શબ્દ: વર્ષા અડાલજા
સાબરમતી આશ્રમ સ્મારકના મૂકસેવકની વિદાય →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved