Opinion Magazine
Number of visits: 9449002
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—257

દીપક મહેતા|Opinion - Opinion|20 July 2024

મરાઠી રંગભૂમિ પર ગાજેલા નાટક પરથી પડ્યું એક મકાનનું નામ

ગયે શનિવારે વાતની શરૂઆતમાં તેમ જ અંતે મુંબઈની ગુજરાતી રંગભૂમિના એક અજરામર નાટક સંતુ રંગીલીને યાદ કરેલું. નાટક મુંબઈનું, પણ આઈ.એન.ટી.ના આ નાટકનો પહેલો પ્રયોગ થયેલો અમદાવાદમાં, ૧૯૭૩ના સપ્ટેમ્બરની ૧૬મી તારીખે. આ નાટક સરિતા જોશી અને પ્રવીણ જોશીએ પોતાના ખભા પર ઉપાડી લીધેલું. રૂપાંતર કરેલું આપણા જાણીતા લેખક મધુ રાયે. નાટકનાં મૂળ બર્નાડ શોના નાટકમાં. ‘પિગમેલિયન’ નામે ૧૯૧૩માં સ્ટેજ પર ધૂમ મચાવેલી. તેના પરથી બનેલું મ્યુઝિકલ પ્લે ૧૯૫૬માં ભજવાયું. તેના પરથી બનેલી ફિલ્મ ‘માય ફેર લેડી’ ૧૯૬૪ના ઓક્ટોબરની ૨૧મી તારીખે ન્યૂ યોર્કના ક્રાઈટેરિયન થિયેટરમાં રીલીઝ થઈ અને લાગલાગટ ૮૭ અઠવાડિયાં ચાલી. આ નાટક અને ફિલ્મ પરથી રૂપાંતર કરીને ગુજરાતી અને મરાઠીમાં નાટક ભજવવાનું આઈ.એન.ટી.એ નક્કી કર્યું. ગુજરાતી રૂપાંતર મધુ રાયે કર્યું તો મરાઠી રૂપાંતર કર્યું મરાઠીભાષીઓના અત્યંત લાડકા એવા ‘પુ.લ.’એ. અટક દેશપાંડે. પણ એ ન બોલો તો ય લોકો ‘પુ.લ.’થી જ ઓળખે. આપણે વિશેષણપ્રિય પ્રજા છીએ. મરાઠીઓ ક્રિયાપદપ્રધાન. એટલે વિશેષણોના હારડા નહિ. પુ.લ. માટે સૌથી વધુ મોટું વિશેષણ વાપરે તે ‘એકમેવ.’ આવા પુ.લ.એ કરેલા મરાઠી અવતારનું નામ ‘તી ફુલરાણી.’ (એક આડવાત: મરાઠી જોડણી, જેને ‘શુદ્ધલેખન’ કહેવાય છે, તેના નિયમો ગુજરાતી કરતાં ઘણા જુદા છે. એટલે ગુજરાતીમાં ‘ફૂલ’ લખાય તે મરાઠીમાં લખાય ‘ફુલ.’) તેનો પહેલો પ્રયોગ ૧૯૭૫ના જાન્યુઆરીની ૨૯મી તારીખે મુંબઈના રવીન્દ્ર નાટ્યમંદિરમાં થયો. જે ગુજરાતીમાં સંતુનું પાત્ર, તે મરાઠીમાં ‘મંજુળા.’ (આ પણ મરાઠીની એક વધુ ખાસિયત – ‘મંજુલા’ નહિ, ‘મંજુળા.’ અને એ પાત્ર રંગભૂમિ પર ભજવ્યું રેડિયો, ટી.વી., ફિલ્મ, અને રંગભૂમિનાં અભિનેત્રી ભક્તિ બર્વે-ઇનામદારે, ૧.૧૦૦ કરતાં વધુ પ્રયોગોમાં! અને જેમ ગુજરાતીમાં સંતુ એટલે સરિતા, એમ મરાઠીમાં મંજુળા એટલે ભક્તિ એવું નાટ્યપ્રેમીઓના મનમાં વસી ગયું. 

પુલના માનમાં બહાર પડેલી ટપાલ ટિકિટ અને તેમનું નાટક ‘તી ફુલરાણી’

મરાઠીભાષીઓ નાટકને માત્ર જુએ નહિ, એને દિલ ફાડીને ચાહે. લોકો કેટલી હદે નાટક ઘેલા એની બે વાત પણ પુ.લ. અને તેમની આ ‘તી ફુલરાણી’ સાથે જોડાયેલી છે. ૧૯૧૯ના નવેમ્બરની આઠમીએ જન્મેલા પુ.લ.નું ઈ.સ. ૨૦૦૦ના જૂનની ૧૨મી તારીખે પુણેમાં અવસાન થયું. આખા મહારાષ્ટ્રમાં શોકનું વાતાવરણ. પુણેમાં જાહેરાત કરવામાં આવી કે પુ.લ.ના અંતિમ સંસ્કાર વખતે થોડા ગણ્યાગાંઠ્યા આપ્તજનો સિવાય કોઈને હાજર રહેવા નહિ દેવાય. તેમના પાર્થિવ દેહને બંધ (કાચ વગરની) એમ્બ્યુલન્સમાં ઇલેક્ટ્રિક ક્રેમેટોરિયમમાં લઈ જવાશે. અને છતાં અંતિમ સંસ્કાર વખતે એ ક્રેમેટોરિયમની બહાર ૨૫,૦૦૦ લોકો શાંતિથી, શિસ્તબદ્ધ રીતે ઊભા હતા. બંધ એમ્બ્યુલન્સને પણ પાછલે બારણેથી લઈ ગયા. જ્યારે લોકોને આ કહેવાયું ત્યારે પણ ત્યાંથી ખસ્યા નહિ. ચીમનીમાંથી સફેદ ધૂમાડો નીકળતો દેખાયો પછી તેને હાથ જોડીને લોકો વિખરાયા. 

૨૦૦૧ના ફેબ્રુઆરીની ૧૧મીનો દિવસ. સાતારા જિલ્લાના વાઈ ગામે ‘પુ.લ., ફુલરાણી આણી મી’ નામનું એકપાત્રી નાટક ભજવવા ભક્તિ બર્વે ગયેલાં. શો પછી પુણે થઈને મોટરમાં મુંબઈ આવવા નીકળ્યાં. વાઈના આયોજકોએ કહેલું કે આટલી મોડી રાતે ન જાવ. સવારે જજો. પણ નીકળી ગયાં. સવારે પોણા ત્રણ વાગે મુંબઈ પુણે એક્સપ્રેસ વે પરની ‘ભાટણ’ ટનલના પ્રવેશદ્વાર સાથે મોટર અથડાઈ અને એ જ ઘડીએ ભક્તિનું મૃત્યુ થયું. થોડી વારે હાઈવે પેટ્રોલની વેન ત્યાં પહોચી. અકસ્માત જોઈને પોલીસ અફસર ગાડી રોકીને નીચે ઉતર્યો. અકસ્માતમાં કોનું મૃત્યુ થયું છે એ જોઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. અભિનેત્રીના મૃતદેહને જોઈને પોલીસ અફસર આ રીતે રડે એ કદાચ મહારાષ્ટ્રમાં જ બને.

મંજુળા અને સંતુ બનેલાં ભક્તિ બર્વે અને સરિતા જોશી

અને વિધિની વિચિત્રતા તો જુઓ! છેલ્લાં કેટલાંક વરસોમાં આ લખનારનો ‘ફુલરાણી’ સાથે નિકટનો સંબંધ બંધાયો છે. એ વળી કઈ રીતે? છેલ્લાં કેટલાંક વરસોથી જ્યાં રહેવાનું થયું છે એ મકાનનું નામ છે ‘ફુલરાણી.’ અને આ નામ પડ્યું છે પુ.લ.ના નાટક ‘તી ફુલરાણી’ પરથી. વાંદરા ઈસ્ટમાં આવેલી સાહિત્ય સહવાસ કોલોનીનાં નવેનવ મકાનનાં નામ કોઈ ને કોઈ મરાઠી પ્રશિષ્ટ કૃતિ કે સાહિત્ય સ્વરૂપ પરથી પાડેલાં છે : ઝપુર્ઝા, આનંદવન, અભંગ, વાગ્વૈજયંતી, ઉષ:કાલ, રાગિણી, જ્ઞાનદેવી, અને શાકુન્તલ. આ કોલોની (અહીંના રહેવાસીઓ ‘સોસાયટી’ને બદલે ‘કોલોની’ તરીકે ઓળખવાનું પસંદ કરે છે.) બંધાઈ ત્યારથી આજ સુધી એક શરત બહુ આગ્રહપૂર્વક પાળી રહી છે. માત્ર લેખકો કે સાહિત્યકારો જ અહીં ફ્લેટ ખરીદી શકે, બીજા નહિ. અલબત્ત, લેખકના ઉત્તરાધિકારીઓ પણ લેખક હોય એવું બહુ ઓછું બને. એટલે વારસદાર તરીકે બિન-લેખક કોલોનીનું સભ્યપદ મેળવી શકે. પણ કોઈએ પણ ફ્લેટ વેચવો હોય તો કોઈ લેખકને જ વેચવો પડે. અને એક જમાનામાં કેવા કેવા મહારથી લેખકો અહીં વસતા હતા! જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કવિ-વિવેચક વિંદા કરંદિકર, મરાઠી ટૂંકી વાર્તાની દિશા અને દશા બદલી નાખનારા ગંગાધર ગાડગીળ, અનંત કાણેકર, હાસ્યકાર વ.પુ. કાળે, મુંબઈ યુનિવર્સિટીના મરાઠી વિભાગના અધ્યક્ષો માધવરાવ અને ઉષા દેશમુખ, હિન્દી સાહિત્ય, પત્રકારત્વ, રંગભૂમિને અજવાળનાર ધર્મવીર અને પુષ્પા ભારતી અને સત્યદેવ દુબે, પ્રખ્યાત મ્યુઝિકોલોજિસ્ટ અશોક રાનડે, વિવેચક અભ્યાસીઓ કે.જે. પુરોહિત, ધનંજય અને ગિરીજા કીર, શાંતા શેળકે, ય.દી. ફડકે, પ્રા. રમેશ તેંડુલકર. તેમના દીકરાએ જિંદગીની પહેલી બાઉન્ડ્રી મારેલી સાહિત્ય સહવાસની વચ્ચોવચ આવેલી ક્રિકેટ પીચ પર. એ દીકરો તે સચિન તેંડુલકર.

પણ હવે આજના લખાણના શબ્દોની બાઉન્ડ્રી આવી ગઈ છે. એટલે આ ‘કોલોની’ વિશેની વધુ વાતો હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX

[પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 20 જુલાઈ 2024]

Loading

20 July 2024 Vipool Kalyani
← આપણા અનુ-આધુનિક સાહિત્ય વિશે ફરી એક વાર … (3) 
‘આર યા પાર’: વિધાનસભાની ચૂંટણીમાં ભા.જ.પા.ના અભિગમની આકરી કસોટી →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved