Opinion Magazine
Number of visits: 9447000
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—192

દીપક મહેતા|Opinion - Opinion|15 April 2023

સપનાંઓમાં જાગતું શહેર 

બારણે બેલ, જરા ઉઘાડથી, ટાઈમ્સ, 

તારીખ નવી, નવો યુગ!  

તો ચાલો પાછા ભૂલેશ્વર. હા, ૧૯૬૦ સુધી ધીરુભાઈ અંબાણી અહીં જ રહેતા હતા. પણ એનાથી મોટી વાત તો એ કે આપણા મોટા ગજાના કવિ રાજેન્દ્ર શાહ પણ ઘણાં વરસ ભૂલેશ્વરની શાક ગલ્લીની બરાબર સામે આવેલા એક મકાનમાં રહેતા હતા. અને રાજેન્દ્રભાઇની નજરે એ વખતનું ભૂલેશ્વર જોવું છે? એમના ‘ભૂલેશ્વરમાં એક રાત’ કાવ્યની થોડીક પંક્તિઓ :

વાજે ટકોરા દશ, 

શેન આરતિ

તણા દદામા ચહું ઓર મંદિરે. 

તહીં પૂરે વોલ્યુમ રેડિયો ધ્વનિ 

ભૂકંપ 

(ના શેષ ચળ્યો છતાંય તે!).

… આસ્ફાલ્ટને મારગ અશ્વ ડાબલા.

અરે કુરુક્ષેત્રની સૌ ભૂતાવળ!

ક્ષણેકની શાંતિ? નહિ, 

ન ભાગ્યમાં. 

… રે નીંદ મોરી!

ઊભી બજારે કરી જાય પ્રેમ 

એવી ન મોર્ડન.

શી લાજ! ભીરુતા!

… આ તો હવે બ્રાહ્મમુહૂર્ત,

નેપૂર 

આરે થકી આવતી દૂધવાળીનાં 

ને ભૈરવી તર્જ વિષે વણાય 

જે ઊઘડેલા દર શાકભાજીના.

… ત્યાં બારણે બેલ,

જરા ઉઘાડથી 

ટાઈમ્સ, 

તારીખ નવી, 

નવો યુગ! 

કવિ રાજેન્દ્ર શાહ

ફક્ત ચાર શબ્દોમાં કવિ રાજેન્દ્ર શાહે મુંબઈની તાસીર અને તસવીર કેવી આબાદ ઝીલી છે : ‘તારીખ નવી, નવો યુગ.’ બીજે બધે આપણી પરંપરાગત ગણતરી પ્રમાણે યુગ બદલાતો હશે. મુંબઈમાં તો દરેક નવી તારીખે નવો યુગ! આ કાવ્યમાં સમાઈ છે તેમાંની કેટલી બધી વાત-વસ્તુ આજે આપણા શહેર માટે ભૂતકાળ બની ગઈ છે! ભૂલેશ્વરનાં મંદિરોમાં શયન આરતીના દદામા આજેય વાગે છે, પણ હવે અહીં પૂરે વોલ્યુમે કે ધીમા વોલ્યુમે રેડિયો ભાગ્યે જ વાગે છે. હા, એનું સ્થાન ટી.વી.એ લઈ લીધું છે. આસ્ફાલ્ટના મારગ તો એના એ છે, પણ એના પર પડતા અશ્વ ડાબલા? ઘોડાગાડી જ નથી રહી, ત્યાં ઘોડાના ડાબલા ક્યાંથી સંભળાય? અને હવે મુંબઈમાં ફક્ત આરે કોલોનીનું જ દૂધ ક્યાં મળે છે? મહારાષ્ટ્ર અને ગુજરાતની કેટકેટલી ડેરીનું જાતભાતનું દૂધ મળે છે! હા, કવિના ઘરની સામેની શાક માર્કેટ એવી ને એવી છે, સામેનું ઘર પણ છે, પણ કવિ ક્યાં? જ્યાં ક્યારે ય ભૂલા ન પડાય એવા અક્ષર લોકમાં એ તો પહોંચી ગયા છે.

ભૂલેશ્વરની શાક ગલ્લીની એક દુકાન 

આપણા જ્ઞાની કવિ અખાએ સવાલ પૂછેલો : ‘ઘણા પરમેશ્વર એ કયાંની વાત?’ એટલે એટલું તો ચોક્કસ કે અખા ભગત મુંબઈ આવ્યા નહોતા, અને એટલે તેઓ ભૂલેશ્વર ગયા નહોતા. કારણ, નહિતર તેઓ આવો સવાલ પૂછત જ નહિ. કારણ, ઘણા પરમેશ્વર એ જ તો છે ભૂલેશ્વરની ખરી ઓળખ. અને વળી આ બધા દેવ-દેવી આજુબાજુમાં, સાખ પડોશી થઈને રહે છે, અને એ દરેકના ભક્તો પણ એ જ રીતે રહે છે. આજે હવે જેનું નામોનિશાન મળતું નથી એ તળાવને કિનારે કેટલાંક મંદિરો. તેમાંનું એક તે મારુતિ મંદિર. તે વખતની મદ્રાસ પ્રેસિડન્સીમાં આવેલા તિરુપતિના મહંતના એક ચેલા રામદાસ બાવાએ આ મંદિર બંધાવેલું, ૧૮૪૦ના અરસામાં. તેની બાજુમાં આવેલું મંદિર તે રણછોડરાયજીનું મંદિર. આ મંદિર બાલાજી અથવા વ્યંકટેશ મંદિર તરીકે પણ ઓળખાય છે. મારુતિ મંદિર કરતાં આ મંદિર વધુ મોટું અને આકર્ષક છે. આ મંદિરની જગ્યા મૂળ હતી પ્રભુદાસની. તેમણે એ ગુરુ રામદાસ બાવાને ભેટ આપી. તેમણે પોતાના ગુરુ ભગવાનદાસ બાવાની આજ્ઞાથી આ મંદિર બંધાવ્યું. તે પછી રામદાસ બાવા, મથુરાદાસ બાવા, ગંગાદાસ બાવા, બાલકદાસ બાવા, અને કિસનદાસ બાવા એક પછી એક આ મંદિરના મહંત બન્યા, અને લગભગ દરેકે મંદિરની મૂળ ઈમારતમાં ફેરફાર કે ઉમેરા કરાવ્યા, અને મંદિરને વધુ ‘આકર્ષક’ બનાવ્યું. દર વરસે શરદ પૂનમની રાતે રણછોડરાયજીની મૂર્તિને પાલખીમાં પધરાવીને ગણેશવાડીના ગણેશ મંદિરે લઈ જવાય. ત્યાં પાલખીમાંથી ઉતારીને થોડા વખત માટે ગણેશજીની બાજુમાં રણછોડજીને બેસાડાય. અને પછી પાલખીમાં બેસીને રણછોડરાયજી પોતાના મંદિરે પાછા પધારે.

આ મંદિરથી થોડે દૂર આવેલા રામેશ્વર મંદિરને બંધાવવાની શરૂઆત મુકુન્દ ભોજાણે નામના શિમ્પિ કહેતાં દરજીએ ૧૮૩૬માં કરી હતી. પણ બાંધકામ પૂરું થાય તે પહેલાં તેમનું અવસાન થયું. મંદિરને બંધાઈ રહેતાં પાંચ વરસ થયાં. ૧૮૪૧ના મે મહિનાની ચોથી તારીખે મુકુન્દના દીકરા કૃષ્ણાજીએ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરી. એ જમાનામાં આ મંદિર બાંધવાનો અધધધ ખર્ચ ૫૪ હજાર જેટલો થયો હતો એમ કહેવાય છે. તો આત્મારામ વિશ્વનાથ નામના બીજા એક દરજીએ કાશીવિશ્વેશ્વરનું મંદિર બંધાવ્યું હતું. ભૂલેશ્વરના તળાવની આસપાસ આવેલાં મંદિરોમાંથી નર્મદેશ્વરનું મંદિર નારાયણ બાલાજી અને તેમના બે ભાઈઓએ બંધાવ્યું હતું. એ ત્રણે સુતાર જાતિના હતા.

ત્રણ વાત નોંધી? અહીંના લગભગ બધાં મંદિર દોઢ સો-પોણા બસો વરસ પહેલાં બંધાયાં છે. હવે, ઉજ્જડ જગ્યાએ તો કોઈ આટલાં બધાં મંદિર બાંધે નહિ. એટલે કે એ જમાનામાં પણ ભૂલેશ્વર વિસ્તારમાં સારી એવી વસ્તી હોવી જોઈએ. તો સાથોસાથ મુંબઈના બીજા વિસ્તારોમાંથી પણ ભક્તો અહીં આવી શકે એવી સગવડ ત્યારે પણ હોવી જોઈએ. બીજું, અહીંનું લગભગ એકેએક મંદિર ‘ઉજળિયાત’ કોમના માણસોએ નહિ, દરજી, સુતાર, માછીમાર જેવી જાતિના સ્ત્રી-પુરુષે બંધાવ્યાં છે. ત્રીજું, આ બધાં મંદિર બંધાવાનારા કાં  મરાઠીભાષી હતા, કાં દક્ષિણ ભારતના હતા. આજે હવે અહીં તેમની ઝાઝી વસ્તી રહી નથી, ગુજરાતીઓની છે. પણ એક જમાનામાં અહીં તેમની વસ્તી મોટા પ્રમાણમાં હોવી જોઈએ. નહિતર ગિરગામને બદલે તેઓ અહીં મંદિરો શા માટે બંધાવે?

ભૂલેશ્વરનું સૂર્યનારાયણ મંદિર

મુંબઈ માટે અનન્ય કહી શકાય એવાં બે મંદિર ભૂલેશ્વર વિસ્તારમાં જ આવેલાં છે. એક, સૂર્યનારાયણ મંદિર. આપણા શહેરમાં બીજે ક્યાં ય સૂર્ય મંદિર તો નથી જ, પણ આખા દેશમાં પણ બહુ ઓછાં સૂર્ય મંદિર છે. તેમાં કોણાર્ક અને મોઢેરાનાં મંદિર સૌથી જાણીતાં. મુંબઈનું સૂર્યનારાયણ મંદિર ૧૮૯૯ના અરસામાં બંધાયું હતું. તેની વ્યવસ્થા દશા સોરઠિયા વણિક જ્ઞાતિનું ટ્રસ્ટ સંભાળે છે. આ જ્ઞાતિના લોકો મૂળ કાઠિયાવાડના વતની. ત્યાંથી અહીં આવી વસ્યા. ભારતમાં સૂર્યપૂજાની પરંપરા વિષે અંગ્રેજીમાં ઠીક ઠીક લખાયું છે. પણ તેમાં સૂર્ય મંદિરોની જે યાદી અપાય છે તેમાં ક્યાં ય મુંબઈના સૂર્યનારાયણ મંદિરનો ઉલ્લેખ સુધ્ધાં જોવા મળતો નથી.

આવું બીજું મંદિર તે ભૂલેશ્વરમાં જ આવેલું હાટકેશ મંદિર. આમ જુઓ તો હાટકેશ એ શંકરનું જ એક રૂપ છે. પણ હાટકેશની પૂજા અર્ચના નાગર જ્ઞાતિ પૂરતી જ મર્યાદિત છે. હજી આજે પણ કેટલાક નાગરો અરપરસ મળે ત્યારે ‘જય હાટકેશ’ કહીને અભિવાદન કરે છે. અને જ્યાં નાગરોની વસ્તી ઠીક પ્રમાણમાં હોય ત્યાં દર વરસે ચૈત્ર સુદ ચૌદસે હાટકેશનો પાટોત્સવ ઉજવાય છે. વડનગરમાં આવેલું હાટકેશ મંદિર સૌથી જૂનું મનાય છે. સાર્થ ગુજરાતી જોડણીકોશ પાસે તો આશા ન રખાય, પણ ભગવદ્ ગોમંડળ જેવા કોશમાં પણ હાટકેશ શબ્દ જોવા મળતો નથી. બીજો એક કોશ કહે છે કે હિમાલયના હાટક ક્ષેત્રના વતની હોવાથી શંકર હાટકેશ તરીકે ઓળખાય છે.

અર્વાચીનોમાં આદ્ય એવા કવિ નર્મદના જીવનના કેટલાક મહત્ત્વના પ્રસંગો સાથે પણ ભૂલેશ્વર જોડાયેલું છે. તેમણે પાંચ વરસની ઉંમરે ભણવાનું શરૂ કર્યું તે ભૂલેશ્વર નજીકની નાના મહેતાની નિશાળે. આત્મકથા ‘મારી હકીકત’માં નર્મદ લખે છે : “તે વેળાએ નિશાળિયાઓને ઘેર તેડ્યા હતા ને ગોળધાણા તથા ધાણી વહેચ્યાં હતાં, ને છોકરાઓ ‘સરસતી સરસતી તું મોરી માત’ ને ‘જી મેતાજી સલામત’ એમ બોલતા હતા તે મને સાંભરે છે. અને રાતે હમે ચાર-પાંચ છોકરાઓ એકઠા મળી, ઘાંટા કહાડી આંક ભણતા એ પણ.” પોતાની જિંદગીનું પહેલવહેલું જાહેર ભાષણ ‘મંડળી મળવાથી થતા લાભ’ ૧૮૫૦માં નર્મદે ભૂલેશ્વરના હાટકેશ મંદિરની નજીક આવેલા કોઈ મિત્રના ખાલી ઘરમાં આપ્યું હતું. ત્યારે સો જેટલા શ્રોતાઓ હાજર હતા.

સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીના પિતા માધવરામની મુંબઈમાં વેપારી પેઢી હતી. સારું કમાતા. પણ પછી વેપારમાં ખોટ ગઈ. એ ખોટ ભરપાઈ કરવા માટે પોતાની માલિકીનો ભૂલેશ્વરમાં આવેલો ‘માળો’ તેમણે વેચી નાખ્યો. (‘માળો’ એ ચાલ માટે વપરાતો બીજો શબ્દ.) છતાં બધું દેવું ચૂકવી શક્યા નહિ. ત્યારે બાકીનું દેવું પોતે ચૂકવી આપશે એવી ખાતરી ગોવર્ધનરામે માતા-પિતાને આપી અને ઘરખર્ચમાં કાપ મૂકવાના ઈરાદે માતા-પિતાને વતન નડિયાદ મોકલ્યાં. ગોવર્ધનરામ પોતે મનસુખરામ ત્રિપાઠીને ત્યાં કેટલોક વખત રહ્યા.

તો રમણભાઈ નીલકંઠની અમર નવલકથામાં કથાનાયક ભદ્રમ્‌ભદ્ર ભૂલેશ્વરની મુલાકાત લેવા નીકળે છે તે પ્રસંગ જૂઓ : “રસ્તામાં એક રેંકડાવાળો પોતાને બેસવાની જગ્યાએ ઊભો રહી ‘બબ્બે દોડીઆં ભૂલેસર’ની જાહેર ખબર પ્રસિદ્ધ કરતો હતો. રેંકડામાં એક આદમી બેઠેલો હતો. તપાસ કરતાં જણાયું કે બે પૈસામાં દરેક જણને ભૂલેસર સમીપ લઈ જવાને રેકડાવાળો રાજી હતો અને ચાર આદમી થાય ત્યાં સુધી રાહ જોતો હતો. (જોયું? શેર અ ટેક્સી કે શેર અ ઓટો તો પછી આવી. પણ ૧૯મી સદીના મુંબઈમાં ‘શેર અ રેંકડા’ની પ્રથા હતી.) સોંઘુ ભાડું જોઈ અમે પણ બેસવાનું નક્કી કર્યું.”

આજની વાતની શરૂઆત રાજેન્દ્ર શાહના કાવ્યની થોડીક પંક્તિઓથી કરી હતી. તો છેલ્લે પણ થોડીક કાવ્યપંક્તિઓ, ‘મુંબઈ શહેરને’ નામના ફાલ્ગુની શાહના કાવ્યમાંથી :

મુંબઈ શહેરને આંખમાં 

વહેલી સવારનું સપનું અંજાયું હતું.

ગીચોગીચ વસ્તીવાળા એના હૃદયમાં 

રહી ગયેલો, છૂટી ગયેલો સમય મુસાફરી કરે છે. 

રહી ગયેલા, છૂટી ગયેલા સામાનનું શહેર.

સપનાંઓથી ભરેલું, સપનાંઓને જગાડતું 

સપનાંઓમાં જાગતું શહેર.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx   

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 15 એપ્રિલ 2023

Loading

15 April 2023 Vipool Kalyani
← રમૂજી લેખક મૂજી કેમ હોય છે?
વારસાને ભૂલી જવાનો ? ભૂંસી નાખવાનો ?  →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved