Opinion Magazine
Number of visits: 9449089
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—183

દીપક મહેતા|Opinion - Opinion|11 February 2023

બુદ્ધિવર્ધક સભા : નામ એક, સંસ્થા બે?

ગુજરાતીઓને પુસ્તકો વાંચવાનો શોખ જ નથી?     

“આ જગાએ ગુજરાતી લોકને એટલી જ સૂચના છે કે હાલના વખતમાં ગુજરાતીઓ સઘળી બાબતમાં પાછળ પડી ગયા છે, અને જો તેઓ ઉદ્યોગ કરી પોતાની નીતિમાં, જ્ઞાનમાં, તથા વિદ્યા હુન્નરમાં સુધારો તથા વધારો નહિ કરે તો આગળ જતાં તેમણે ઘણું નુકશાન ખમવું પડશે. જમાનો ઘણો બદલાતો જાય છે. વાસ્તે જો ગુજરાતી લોક અત્યારથી સુધરવાને મહેનત નહિ કરે તો આવતાં પચીસ વર્ષમાં કોઈ તેમનો ભાવ પૂછશે નહિ.” આ શબ્દો લખાયા હતા છેક ૧૮૫૧માં, ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ નામના માસિકના ૧૮૫૬ના માર્ચ અંકની પ્રસ્તાવનામાં.

શરૂઆતમાં દર મહિને આ માસિકની ૫૫૦ નકલ છપાતી, જેમાંની ૩૫૧ ખપતી હતી, અને ૧૫૦ નકલ મુંબઈ સરકાર બમણા ભાવે ખરીદતી હતી! (આજની આપણી લોકશાહી સરકાર આવું કરે તો તો ‘કૌભાંડ’ની બૂમો પડે!) જે ૩૫૧ નકલ વેચાતી તેમાંની ૧૮૦ મુંબઈમાં જતી હતી. આ માહિતી આપવાની સાથોસાથ લખ્યું હતું : “મુંબઈ તથા ગુજરાત મધ્યે હલકી કીમત છતાં ત્રણ સો એકાવન નકલો ખપે એ અજબ જેવું છે! આ ઉપરથી કોઈ પણ વિચારવંત પુરુષ એવું અનુમાન કરે, કે ગુજરાતી લોકો ભણેલા નથી અથવા પુસ્તકો વાંચવાનો તેમને શોખ નથી.”

કવિ નર્મદ

હવે કોયડો એ છે કે ‘બુદ્ધિવર્ધક’ નામ ધરાવતી એક સંસ્થા હતી કે બે? જો એક જ હોય તો તે સ્વતંત્ર સંસ્થા હતી કે બીજી કોઈ સંસ્થા સાથે જોડાએલી હતી? આવી દ્વિધા ઊભી થવાનું કારણ છે આપણે જેને ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખીએ છીએ તે કવિ નર્મદ. નર્મદને જણ્યો સુરતે, પણ તેને જાણ્યો, નાણ્યો, અને પ્રમાણ્યો તે તો મુંબઈએ. તેના જીવનનાં મહત્ત્વનાં ઘણાં વરસ મુંબઈમાં વીતેલાં. ભલે થોડો વખત, પણ તે એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણેલો. અને આત્મકથા ‘મારી હકીકત’માં તે લખે છે : “હમે કાલેજના બે ત્રણ સાથી અને બીજા બે ત્રણ દોસ્તદારો એકઠા મળી મારે ઘેર રસાયણશાસ્ત્રના પ્રયોગો કરતા. પછી થોડેક દહાડે હમે  હમારા ઘરની ચોપડીઓ એકઠી કરી એક ન્હાનો સરખો પુસ્તકસંગ્રહ મારે ઘેર કર્યો હતો. પછી એવો વિચાર કર્યો હતો કે આપણે મહિનામાં ચાર વાર મળવું. તેમાં બે વાર આપણે નિબંધો લખી આપણામાં જ વાંચવા – માંહોમાંહે લખતાં બોલતાં ને વાદ કરતાં શીખવું; અને બે વાર જાહેર સભા ભરી લોકનો સુધારો કરવો. એ વિચાર પાર પાડવાને હમે હમારા મળવાને ‘જુવાન પુરુષોની અન્યોઅન્ય બુદ્ધિવર્ધક સભા’ એવું નામ આપ્યું. તેમાં હું પ્રમુખ, મયારામ શંભુનાથ સેક્રેટરી, કલ્યાણજી શિવલાલ તીજોરર, અને નારણદાસ કલ્યાણદાસ તથા બીજા બે કારભારીઓ હતા. એ સભાની તરફથી જાહેર ભાષણો ભૂલેશ્વરના ચકલામાં અમારા દોસ્ત મેઘજી તથા ભવાની લક્ષ્મણના કોઈ એક ઓળખીતાના ખાલી પડેલા ઘરમાં (હાટકેશ્વરની પાસેના) ૧૦૦થી વધારે સાંભળનારાઓની આગળ થયાં હતાં.” પોતાનું પહેલવહેલું જાહેર ભાષણ ‘મંડળી મળવાથી થતા લાભ’ ૧૮૫૦ના જૂનમાં પોતે આ સભામાં કર્યું હતું એમ પણ નર્મદે આત્મકથામાં કહ્યું છે.

તો શું બુદ્ધિવર્ધક સભા નર્મદે શરૂ કરેલી? જવાબ છે, હા અને ના. નર્મદની આત્મકથામાં જેનો ઉલ્લેખ છે એ સભા તેણે શરૂ કરેલી. પણ એ પછી થોડા જ વખતમાં અભ્યાસ અધૂરો મૂકીને નર્મદે સુરત જવું પડ્યું. તે ચોક્કસ કઈ તારીખે ગયો તે જાણવા મળતું નથી. પણ આત્મકથામાંના આડકતરા ઉલ્લેખો પરથી અનુમાન થઈ શકે કે તે ૧૮૫૧ના ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં સુરત ગયો હશે. તેના ગયા પછી એ સભા નિષ્ક્રીય થઈ ગઈ.

બીજી બાજુ સ્ટુડન્ટસ લિટરરી એન્ડ સાયન્ટિફિક સોસાયટીના સંચાલકોના ધ્યાનમાં એ વાત આવી કે પારસી સમાજના અને હિંદુ ગુજરાતી સમાજના સામાજિક પ્રશ્નો જૂદા જૂદા છે. અને ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળીમાં પારસીઓ મોટી સંખ્યામાં ભાગ લેતા હોવાથી તેમાં હિંદુ ગુજરાતી સમાજ વિષે ઝાઝી ચર્ચા થઈ શકતી નથી. એટલે તેમણે માતૃસંસ્થાની ત્રીજી શાખા શરૂ કરી : બુદ્ધિવર્ધક હિંદુ સભા.

સોસાયટીના ૧૮૫૬ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે સ્ટુડન્ટસ લિટરરી એન્ડ સાયન્ટિફિક સોસાયટીએ ૧૮૫૧ના એપ્રિલમાં ‘બુદ્ધિવર્ધક હિંદુ સભા’ની સ્થાપના કરી. ગંગાદાસ કિશોરદાસ તેના પહેલા પ્રમુખ હતા અને હોદ્દાની રૂએ સોસાયટીના ત્રણ ઉપપ્રમુખોમાંના એક હતા. બીજા બે ઉપપ્રમુખો હતા મરાઠી જ્ઞાનપ્રસારક મંડળીના પ્રમુખ નારાયણ દીનાનાથ અને ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળીના પ્રમુખ બમનજી પેસ્તનજી. એટલે કે જ્ઞાનપ્રસારક અને બુદ્ધિવર્ધક બંને સાથોસાથ કામ કરતી હતી. સોસાયટીના અહેવાલમાં જણાવ્યું છે કે બુદ્ધિવર્ધક હિંદુ સભાની બેઠકો કોટની બહારના વિસ્તારમાં મળતી. તેને આશ્રયે પહેલું ભાષણ કન્યા-કેળવણી વિષે યોજાયું હતું. તે એટલું તો વિવાદાસ્પદ બન્યું હતું કે સતત ચાર દિવસ સુધી સાંજે તેના પર ચર્ચા થઈ હતી. પછી એ ભાષણ પુસ્તિકા રૂપે પ્રગટ થયું ત્યારે તેની એક હજાર નકલ ચપોચપ વેચાઈ ગઈ હતી. નર્મદે શરૂ કરેલી સભા જો સોસાયટીની બુદ્ધિવર્ધક હિંદુ સભા સાથે ભળી ગઈ હોત તો સોસાયટીના અહેવાલમાં તેનો જરૂર ઉલ્લેખ થયો હોત. બલકે, ૧૮૫૪ના જાન્યુઆરીમાં મુંબઈ પાછો આવીને નર્મદ ફરી એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયો અને એ જ વર્ષના ચોમાસામાં બુદ્ધિ વર્ધક હિંદુ સભામાં પોતાનું નામ દાખલ કરાવ્યું.

મરાઠી હિંદુ કન્યાશાળા, ૧૮૭૦

૧૮૫૬ના માર્ચ મહિનાથી ‘બુદ્ધિ વર્ધક ગ્રંથ’ નામના માસિકનું પ્રકાશન શરૂ થયું. તેના અંકોમાં સભા વિશેની વિગતો, અહેવાલો, વગેરે નિયમિત રીતે પ્રગટ થતાં, એટલે સભાની કામગીરી વિશેની ઘણી વિગતો મળી રહે છે. ૧૮૫૬ના વર્ષ માટેના તેના વહીવટી મંડળમાં ગંગાદાસ કિશોરદાસ પ્રમુખ હતા અને નર્મદ ઉપપ્રમુખ હતો. ‘બુદ્ધિ વર્ધક ગ્રંથ’ના માર્ચ ૧૮૫૬ના પહેલા અંકની પ્રસ્તાવનામાં લખવામાં આવ્યું હતું : “મુંબઈ રાજધાનીમાં વેપારીઓ, સરકારી હોદ્દેદારો, વિદ્વાન તથા વિદ્યાર્થીઓ, ચાલાક હુન્નરીઓ વગેરેની ધૂમ મચી રહી છે. પણ આપણા સાથીઓને માટે આપણી ભાષામાં લખાઈ છપાયેલાં ઘણાં જ થોડાં પુસ્તકો છે ને જે છે તેમાં આ સમયના સુવિચારના ગ્રંથોનો ઉમેરો થાય તો બહુ શોભા આવે … માટે આ પ્રતિનો ગ્રંથ બુદ્ધિવર્ધક હિંદુ સભા મહિને મહિને કાઢવાની આશા રાખે છે.”

છોકરીઓનો ગ્રૂપ ફોટો ૧૮૭૭

જ્ઞાનપ્રસારક મંડળીની જેમ નિબંધોનું વાચન અને જાહેર પ્રવચનો એ બુદ્ધિવર્ધક સભાની પણ મુખ્ય પ્રવૃત્તિ હતી. દરેક બેઠક વખતે સરેરાશ ૭૦ લોકોની હાજરી રહેતી હતી પણ તેમાં મુંબઈના સાઠ સભાસદોમાંથી માત્ર ૧૨ નિયમિત રીતે હાજર રહેતા હતા. જો કે નર્મદે ‘નિરાશ્રિત પ્રત્યે શ્રીમંતોના ધર્મ’ વિષે નિબંધ વાંચ્યો ત્યારે ૨૫૦ની હાજરી હતી અને બમનજી પેસ્તનજીની સૂચનાથી તેની ૨,૦૦૦ નકલ છપાવીને મુંબઈ તથા ગુજરાતમાં મફત વહેંચવામાં આવી હતી. બીજો એક ફેરફાર એ થયો કે સોસાયટી હિંદુ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે જે સ્કૂલો ચલાવતી હતી તેનો વહીવટ ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળીને બદલે બુદ્ધિવર્ધક હિંદુ સભાને સોંપવામાં આવ્યો.

૧૮૬૦માં બુદ્ધિવર્ધક હિંદુ સભામાં એક મોટો વિખવાદ ઊભો થયો. તેનું કારણ હતું મહિપતરામ રૂપરામનો ઇન્ગ્લંડનો પ્રવાસ. હિંદુ ગુજરાતીઓમાં પરદેશનો પ્રવાસ કરનાર તેઓ પહેલા હતા. એ જમાનામાં સમુદ્ર ઓળંગીને પરદેશ જવું એ મોટું પાપ મનાતું. ૧૮૬૦ના માર્ચની ૨૬મી એ મળેલી બેઠકમાં મહિપતરામને  માનપત્ર આપવાનું સર્વાનુમતે ઠરાવાયું, અને તેમને મોકલવા માટે તે તૈયાર પણ થયું. પણ સભાના પ્રમુખ ઝવેરીલાલ ઉમિયાશંકરે અને નર્મદે તેના પર સહી કરવાની ના પાડી. તેથી તે બંનેની સહી વગર, બાકીના કારભારીઓની સહી સાથે તે મહિપતરામને મોકલાયું. તેના જવાબમાં લંડનથી ૧૮૬૦ના જૂનની ચોથી તારીખે લખેલા પત્રમાં મહિપતારામે લખ્યું : “આ વરસમાં સભાના પ્રમુખ ભાઈ ઝવેરીલાલ ઉમિયાશંકર તથા ભાઈ નર્મદાશંકર લાલશંકર તમારી પેઠે કારભારી છે એવું છતાં એ મારા બંને મિત્રોની સહી એ પર નથી તેથી મને કેટલીક નાખુશી થઈ છે, પણ હું ધારું છું કે તેઓ નાતની બીકથી વેગળા નહીં રહ્યા હોય પણ તેમના પેટમાં કાંઈ બીજી સારી મતલબ હશે.” આ વિવાદને પરિણામે છેવટે ઝવેરીલાલ ઉમિયાશંકરે પ્રમુખપદેથી રાજીનામું આપ્યું.

બીજા એક વિખવાદના કેન્દ્રમાં પણ નર્મદ જ રહ્યો હતો. ૧૮૬૦ના વર્ષમાં જદુનાથજી મહારાજ અને નર્મદ વચ્ચે વિવાદ શરૂ થયો. ધર્મ અને રાજકારણ વિષે સોસાયટીની બેઠકોમાં ભાષણ કે નિબંધવાચન ન થઈ શકે એવો નિયમ પહેલેથી જ હતો. છતાં આ બાબતને સાંસારિક ગણીને સભાની કારભારી મંડળીએ ઓક્ટોબરની છઠ્ઠી તારીખે મુંબઈના ટાઉન હોલમાં એ વિષય પર બોલવાની નર્મદને મંજૂરી આપી. દેખીતી રીતે જ ઘણા સભ્યોએ આ નિયમભંગનો વિરોધ કર્યો.

ત્યાર બાદ ધીમે ધીમે ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ માસિક અનિયમિત અને નિસ્તેજ બનતું ગયું અને ૧૮૭૧ના જૂનના અરસામાં બંધ પડ્યું. બુદ્ધિવર્ધક હિંદુ સભાની ઘણીખરી પ્રવૃત્તિ પણ બંધ પડી. આ સભાને ફરી બેઠી કરવાના કેટલાક પ્રયત્નો થયા પણ તેને ઝાઝી સફળતા મળી નહિ. ૧૮૯૪માં તેના નામમાંથી હિંદુ શબ્દ દૂર કરવામાં આવ્યો. પણ છેવટે ૧૯૩૨માં બુદ્ધિવર્ધક સભાની કાનૂની વાઈન્ડિંગ અપ કામગીરી શરૂ કરીને બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી. ૧૯૩૩ના ઓક્ટોબરની ૧૩મી તારીખે આ અંગેનો હુકમ હાઈકોર્ટ તરફથી મળી ગયો. ૧૨,૮૧૯ રૂપિયા, ૧૧ આના, ૬ પાઈની બુદ્ધિવર્ધક સભાની કુલ મૂડી ‘ફાર્બસ ગુજરાતી સભા’ને તબદિલ કરવામાં આવી. સાથોસાથ ફાર્બસ ગુજરાતી સભાના પુસ્તકાલય સાથે બુદ્ધિવર્ધક સભાનું નામ જોડવામાં આવ્યું. ફાર્બસ ગુજરાતી સભાનું પુસ્તકાલય આજે પણ ઔપચારિક રીતે ‘બુદ્ધિવર્ધક પુસ્તકાલય’ તરીકે ઓળખાય છે. અને એ રીતે ૧૯મી સદીની એક મહત્ત્વની સંસ્થાનું નામ હજી જીવતું રહ્યું છે. 

આ ફાર્બસ ગુજરાતી સભા વિશેની કેટલીક વાતો હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 11 ફેબ્રુઆરી 2023

Loading

11 February 2023 Vipool Kalyani
← સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
એકલતાનું ટોળું →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved