Opinion Magazine
Number of visits: 9447225
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, જાતને સવાલો કરીએ (૩)

સુમન શાહ|Opinion - Literature|9 April 2022

સંસ્કૃત કાવ્યમીમાંસા રસ-કેન્દ્રે વિકસેલી છે. પશ્ચિમમાં ઍરિસ્ટોટલ-પ્રણીત સાહિત્યમીમાંસા અનુકરણ-કેન્દ્રે વિકસેલી છે.

વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ-ના સંયોગથી રસનિષ્પત્તિ થાય છે. ભરત મુનિએ આપેલું એ રસસૂત્ર એવું જ કેન્દ્ર છે – રસસૂત્ર મૂળે ભલે માત્ર નાટ્યરસને વિશે હતું. અનુકરણ – માયમેસિસ – ઍરિસ્ટોટલપ્રણીત માયમેટિક થીયરિનું – અનુકરણશીલ સાહિત્યવિચારનું – કેન્દ્ર છે. મૂળે એ ભલે માત્ર ટ્રેજેડી સંદર્ભે હતું.

બન્ને મીમાંસા અનુકરણશીલ છે – માયમેટિક. અનુભવ-વાદી અને ભોગ-લક્ષી. બન્નેની વિચાર-વિભાવ ત્રિજ્યાઓ વિસ્તરેલી છે.

સાહિત્યકલામીમાંસાની આ બન્ને પરમ્પરાઓને હું મૅટા-નૅરેટિવ્ઝ ગણીને ચાલું છું – સાહિત્યકલાજગતનાં ચિરકાળથી ચાલ્યાં આવેલાં મહા-વૃત્તાન્ત.

એકને રસવાદ અને બીજાને અનુકરણવાદ કહી શકાય. જો કે ફાસિઝમ, ફન્ડામૅન્ટાલિઝમ કે કૅપિટાલિઝમ જેવાં મૅટા-નૅરેટિવ્ઝની હોડે હોડે ગાંધી-ઇઝમ કે ગાંધી-વાદ કહેવું ન રુચે તેમ આ બન્નેને રસ-ઇઝમ કે રસ-વાદ અને અનુકરણ-ઇઝમ કે અનુકરણ-વાદ કહેવાનું પણ ન જ રુચે … છતાં કામચલાઉ ધોરણે ભલે કહીએ.

બન્ને નૅરેટિવ્ઝ મૅટા લાગે તેનાં કારણો છે : રસવાદ અને અનુકરણવાદ ભવ્યાતિભવ્ય અને સુવ્યાપ્ત ભાસ્યાં છે. બન્ને ગ્લોબલ છે. પહેલું ભારતવ્યાપી છે અને બીજું જગવ્યાપી છે. વ્યાપ્તિની આ વાતને હાલ રસવાદ પૂરતી સીમિત રાખું :

સંસ્કૃત કાવ્યમીમાંસામાં પ્રવર્તેલા લગભગ બધા સમ્પ્રદાયોએ રસ તત્ત્વની સર્વોપરીતા સ્વીકારી છે.

કાવ્યના ગુણ-દોષની ચર્ચા માટે જાણીતા આલંકારિક ભામહ (૬ઠ્ઠી સદી) રસની અભિ વ્યંજના-ની મનોહરતાને અલંકારના આકર્ષણથી ચડિયાતી ગણે છે.

આનન્દવર્ધન (૯મી સદી) વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ સમા સંવિભાગો દર્શાવે છે ખરા, એ પ્રકારે રસવાદની સીમાઓને વિસ્તારે છે ખરા, પણ શ્રેષ્ઠ તો રસધ્વનિ-ને જ ગણે છે.

પોતાના ગ્રન્થને ‘કાવ્યાલંકારસારસંગ્રહ’ નામ આપતા આલંકારિક ઉદ્ભટ (૯ મી સદી) બધા અલંકારોની પોતાની રીતે વ્યાખ્યાઓ કરે છે ખરા, પણ સ્થાયીના રસમાં થનારા રૂપાન્તરના મુદ્દાને નથી ભૂલતા. છોગામાં, જે રચનામાં શૃંગાર વગેરે રસનો ઉદય સ્પષ્ટ હોય તેને તેઓએ ‘રસ’વત્ અલંકારનું બિરુદ આપ્યું  છે.

વક્રોક્તિ-ને સાહિત્યકલાનું ‘જીવતમ્’ લેખ્યા પછી પણ કુન્તક (૧૧મી સદી) દર્શાવે છે કે તે જીવિત ખરું પણ ‘રસ’સિધ્ધ કાવ્યનું જીવિત.

વાક્ય લગી પહોંચી ગયેલા વિશ્વનાથ (૧૪મી સદી) તેને ‘રસાત્મકમ્’ ગણ્યા પછી જ કહે છે કે તે કાવ્ય છે.

રમણીયાર્થ-નું પ્રતિપાદન કરી આપતા શબ્દને કાવ્ય ગણનારા જગન્નાથે (૧૭મી સદી) પણ રસનો અસ્વીકાર નથી કર્યો : બીજાઓ જેને ચર્વણા કહે છે તેને જગન્નાથ પુન:પુન: અનુધાવન  કહે છે, પણ જેનું અનુધાવન કરવા કહે છે, તે તો ‘રસ’ છે.

ગુજરાતી સહિતની બધી જ ભારતીય ભાષાઓમાં રચાયેલા સાહિત્યવિચારની મૂળ ભૂમિકા અર્વાચીન સમયોથી માંડીને આજ સુધી રસવાદની રહી છે.

++

બન્ને મીમાંસા મહદંશે ઑર્ડર – વ્યવસ્થા – પરક, અને ટોટલાઇઝિન્ગ – સર્વસમાવેશી અને સર્વહારા – લાગ્યાં છે.

બન્નેનું ફિલોસૉફિકલ મૉડેલ – ચિન્તનપરક વિચારનિદર્શન – દેહ અને આત્માનું છે. એ પણ એટલું જ સાર્વત્રિક છે.

તેથી બન્નેમાં શરીર અને જીવ, દેહ અને આત્મા, જેવાં રૂપકો સાથે જોડાયેલી પરિભાષા પ્રયોજાઇ છે – ઑર્ગેનિઝ્સ્મીક મૅટાફોરિકલ વૉકેબ્યુલરી : રસવાદ કાવ્યશરીર અને આત્માસ્વરૂપ રસને ચિન્તવે છે. વળી, રસ-ભોગ અને આનન્દ-સમાધિ બન્નેની વાત કરે છે. અનુકરણવાદ ઑર્ગેનિક હોલને – સાવયવ અખણ્ડતાને – આગળ કરે છે. વળી, કૅથાર્સિસ, વિરેચક વિશોધન, અને તેથી લાધતા મનો-સ્વાસ્થ્યની વાત કરે છે.

Pic courtesy : SlideShare.

સાહિત્યકલાને વિશેના માનવીય જ્ઞાનરાશિમાં જમાનાઓથી બન્નેની અકાટ્ય ભૂમિકા રહી છે. કહો કે સાહિત્ય-જ્ઞાનપરક કોઇ પણ મુદ્દાનું આકલન અને તેનો બુધ્ધિગમ્ય ખુલાસો બન્ને પાસેથી લગભગ હમેશાં મળે એવી એમાં સમ્પૂર્ણતા અને સનાતનતા છે.

સવાલ : રસવાદ અને અનુકરણવાદનું આ ચિરકાલીન વર્ચસ્ વિચારણીય નથી? દેહ અને આત્મા જેવી રૂઢ ફિલસૂફીઓના આધારે ક્યાં લગી વિચારીશું? ક્યાં લગી, નવલકથાને જન્મી, વિકસી ને મરી, કહ્યા કરીશું? ભોગ અને સમાધિ જેવાં ઑપોઝિશન્સમાં ક્યાં લગી આવ-જા કર્યા કરીશું? બન્ને મૅટાનૅરેટિવ્ઝથી મુક્ત થઇને કશા માઇક્રો-નૅરેટિવને વિચારવાનો સમય ક્યારનો ય પાકી ગયો નથી?

અનુ-આધુનિક ઝંખના એમ છે કે આવી ટેવજડ પરિસ્થતિનું નિરસન થાય, તેમને ઇરેઝર હેઠળ મુકાય  – એટલે કે, તેમને ન-નિવાર્ય છતાં અ-પર્યાપ્ત ગણાય; તેમને નવ્ય સંદર્ભો સાથે / સામે મૂકીને જોવાય. અનુ-આધુનિક દર્શન એમ કહે છે કે તેમનાં વિઘટનપરક – ડિકન્સ્ટ્રકશનલ – અધ્યયનો મંડાય. વિચારક જીવો નૅરેટિવ્ઝ રચે.

નૅરેટિવ એટલે ‘વૃત્તાન્ત’. કેમ કે આવી રૂઢ અને ભવ્યાતિભવ્ય ફિલસૂફીઓના શ્રધ્ધાપૂર્વકનાં અનુસરણો કે ભક્તિભાવભર્યાં અનુકરણો, ઘણીવાર તો તારસ્વરે, એવો જે અર્થ-ભાવ મૅટા-નૅરેટિવ્ઝથી સૂચવાતો રહ્યો છે, તે, ‘વૃત્તાન્ત’-માં નથી.

‘વૃતાન્ત’-નો એક અર્થ, કીર્તન છે. કીર્તનમ્ એટલે જીવનનું સ્તોત્ર, ગાન. કીર્તનમાં અનુસરણ અને અનુકરણનો ભાવ છે. પણ તે જીવનોપયોગી આદર્શોને તાકે છે, ઉચ્ચાશયી અભિવ્યક્તિ અને ઊર્ધ્વગામી આશા-અપેક્ષાની ચિન્તા કરે છે.

આ સમય છે, નવ્ય વૃતાન્તોનો.

જાતને પૂછીએ કે ‘મહા’-થી ‘નવ્ય’-માં  દાખલ થવાની મનીષા જાગી છે કે કેમ. નથી જાગી કે નથી જાગતી, તો એવું કેમ છે?

= = =

(April 7, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

9 April 2022 admin
← On his birthday a Tribute to a Musical genius and a Bridge builder Pt. Ravi Shankar
‘આપ’ને વિકલ્પ તરીકે સ્વીકારતા પહેલાં ઝીણી નજરે તેનું નિરીક્ષણ કરવું જરૂરી →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved