Opinion Magazine
Number of visits: 9449296
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, હરારી પાસે – 4  

સુમન શાહ|Opinion - Opinion|5 July 2023

સુમન શાહ

ઓલૉફ જોહાન્નેસન નામના એક સ્વીડિશ પદાર્થવિજ્ઞાનીને સાહિત્યનો પણ ચસ્કો હતો. એમણે ‘ધ ગ્રેટ કમ્પ્યૂટર એ વિઝન’ નામની સાયન્સ-ફિક્શન લખેલી. વીસમી સદીના નવમા દાયકાની વાત છે. માર્મિક વાત કરતાં એમણે કહેલું તે સાંભળવા જેવું છે : કુદરતને કમ્પ્યૂટરો બનાવવાની મનીષા થઈ. એ કામ સીધેસીધું શક્ય ન્હૉતું એટલે પ્રથમ એણે માણસો બનાવ્યા, અને માણસોએ આજે કમ્પ્યૂટરો બનાવ્યાં છે :

એમના આ વિધાનના અનુસન્ધાનમાં મેં લખેલું કે કુદરતની મનીષા ફળી છે. કુદરતનાં બુદ્ધિશાળી મશીનોએ – મનુષ્યોએ – બીજાં વધારે બુદ્ધિશાળી મશીનો – કમ્પ્યૂટરો – બનાવ્યાં છે. જો માણસ પોતાના જેટલું જ બુદ્ધિશાળી મશીન બનાવી શકશે તો એક દિવસ પોતાથી વધુ બુદ્ધિશાળી મશીન પણ બનાવી શકશે – આ સીધી તાર્કિક ઉપપત્તિ છે !

પણ કમ્પ્યૂટરો ‘એ.આઇ.’-ની પેદાશ છે. આજે કુદરતી બુદ્ધિ અને કૃત્રિમ બુદ્ધિ વચ્ચે જો સંઘર્ષ ઊભો થયો છે, તો કૃત્રિમ બુદ્ધિ – એ.આઈ. – શું છે એ જાણવું અત્યન્ત જરૂરી બની જાય છે.

એ પછી, મારે ખાસ તો એ જાણવું અને જણાવવું છે કે ‘એ.આઈ.’ વિશે હરારીનાં શાં મન્તવ્યો છે.

સૌ પહેલાં ‘એ.આઈ.’ વિશે :

‘એ.આઈ.’ માનવબુદ્ધિની નકલ કરી શકે છે. ગતિશીલ કમ્પ્યૂટિક ઍન્વાયર્મૅન્ટમાં ઘડાયેલાં ઍલ્ગોરિધમ્સના નિર્માણ અને વિનિયોગના માધ્યમથી માનવબુદ્ધિએ ઊભી કરેલી પ્રક્રિયાઓની નકલ કરવા માટેનો એ એક આધાર છે. સાદા શબ્દોમાં કહીએ તો, પરમ્પરાગત રીતે જેમાં માનવ-બુદ્ધિની જરૂર પડે એ બધાં કામો કમ્પ્યૂટરો દ્વારા કરાવનારી બુદ્ધિ ‘એ.આઈ.’ છે.

‘એ.આઈ.’ મનુષ્યનાં ચિત્ત-મગજની વિવિધ પૅટર્ન્સનો તેમ જ તેની જ્ઞાનપ્રક્રિયાનાં વિશ્લેષણો કરીને આગળ વધે છે અને એ પ્રકારે નિરન્તર પાવરધું થતું રહે છે. એનાં એ અભ્યાસોને પરિણામે બુદ્ધિશાળી કહી શકાય એવાં સૉફ્ટવેઅર્સ અને સિસ્ટમ્સ વિકસતાં રહે છે.

‘એ.આઈ.’-ને ઍલ્ગોરિધમ્સ અને કમ્પ્યૂટર્સ શ્રેણી દ્વારા પ્રયોજાતી એક અદ્યતન ટૅક્નોલૉજિ પણ કહેવાય છે. ‘એ.આઈ.’ માણસો ન કરી શકે એવા અતિ કદ ધરાવતા ડેટા – લાર્જ ઍમાઉન્ટ ઑફ ડેટા – પ્રોસેસ કરી શકે છે. બીજી રીતે કહીએ તો કમ્પ્યૂટરોને ‘એ.આઈ.’ માણસ જેવાં બનાવવા માગે છે – માણસની જેમ એ વિચારો કરી જાણે અને તદ્દનુસારનાં કામો કરી આપે. એ માણસો સેવે એવાં ધ્યેય સેવે છે; જેમ કે, પૅટર્ન્સને પરખવી, નિર્ણયો કરવા, જજમૅન્ટસ્ લેવાં. જુઓ ને, ‘એ.આઈ.’ રીયલ-ટાઈમમાં નિર્ણયો લઈ શકે છે, અને એ માટે એમાં રીયલ-ટાઇમ-ડેટાનો વિનિયોગ કરાય છે.

‘એ.આઈ.’ વિશે હરારી :

હરારીનું અનુમાન છે કે ‘એ.આઇ.’ – એ માનવ-સભ્યતાની ઑપરેટિન્ગ સિસ્ટમને હૅક કરી છે. કહે છે કે સ્ટોરી-ટેલિન્ગ કમ્પ્યૂટર્સ માનવ-ઇતિહાસનો રાહ બદલી નાખશે.

હૅકિન્ગ એટલે કમ્પ્યૂટર્સ, સ્માર્ટફોન્સ, ટૅબ્લેટ્સ વગેરે સાધનોનો દુરુપયોગ; સિસ્ટમ્સને કરપ્ટ કરી નાખવી, વપરાશકારોની શક્યતમ માહિતી તફડાવી લેવી, ડેટા અને ડૉક્યુમૅન્ટ્સની ચોરીઓ કરવી તેમ જ ડેટા-સંલગ્ન પ્રવૃત્તિમાં ખલેલ ઊભી કરવી.

હવે જો હરારીનો તર્ક એમ ચાલે છે કે આ હૅકિન્ગ માનવ-સભ્યતા સમગ્રની ઑપરેટિન્ગ સિસ્ટમ સાથે થઈ રહ્યું છે, તો આપણે પણ એમની સાથે ચાલી જોઈએ :

હરારી કહે છે કે કમ્પ્યૂટર-યુગના પ્રારમ્ભથી જ ‘એ.આઇ.’ ભયજનક ભાસ્યું છે. એથી માનવતાને રંજાડ થયો છે. આજ સુધી મશીનો તરફથી ભય હતો, ભૌતિક સાધનોના વપરાશથી માણસો ગુલામ, પરાધીન, બની ગયેલા. પરન્તુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં નવાં ‘એ.આઇ.’ સાધનો જનમ્યાં છે; એથી તો માનવ-સભ્યતાનું અસ્તિત્વ એક અણધારી દિશાએથી સાવ જ જોખમમાં મુકાઇ ગયું છે.

‘એ.આઇ.’ હવે નૉંધપાત્ર ક્ષમતાઓ ધરાવે છે. એ હવે ધ્વનિઓ, શબ્દો અને ચિત્રો સહિત ભાષાઓમાં ફેરફારો કરી શકે છે, નવતાઓ સરજી શકે છે. 

હરારી જણાવે છે કે ભાષાની સામગ્રી લગભગ બધી જ સંસ્કૃતિઓમાંથી સંભવી છે. દાખલા તરીકે, માનવ-અધિકારો; એ કંઈ આપણા ડી.ઍન.એ.માં નથી કોતરાયા કે લખાયા ! બલકે એ તો આપણે વૃત્તાન્તો – સ્ટોરીઝ – કહીને તેમ જ કાયદાકાનૂન ઘડીને સરજેલી સાંસ્કૃતિક કલાકૃતિઓ છે, બનાવટો છે. દાખલા તરીકે, દેવો કંઈ ભૌતિક વાસ્તવિકતા નથી, એ તો, આપણે દન્તકથાઓ કે મિથ્સ – પુરાણગાથાઓ – ઉપજાવીને તેમ જ શાસ્ત્રો લખીને સરજેલી બનાવટો છે.

હરારી જણાવે છે કે નાણું પણ સાંસ્કૃતિક કલાકૃતિઓ છે, બનાવટો છે, બૅન્કનોટ્સ રંગીન કાગળો તો છે ! અને હવે તો, ૯૦% નાણું બૅન્કનોટ્સ પણ નથી – એ કમ્પ્યૂટરોમાં સ્થિત માત્ર ડિજિટલ ઇન્ફર્મેશન છે ! આ તો નાણું છે, મૂલ્યવાન છે, એ તો, બૅન્કરો નાણાં પ્રધાનો અને બનાવટી નૉટોના ગુરુઓએ ઘડી કાઢેલાં વૃત્તાન્તો છે. હરારી નામોલ્લેખ સાથે જણાવે છે કે બૅન્કમૅન-ફ્રાઇડ, ઍલિઝાબેથ હોમ્સ અને બર્ની મૅડોફ નાણાંના મૂલ્યકારો ન્હૉતા, પણ તેઓ મહા સમર્થ સ્ટોરીટેલર્સ હતા.

હરારી પૂછે છે : સરેરાશ માણસ કરે એવી વાર્તાઓથી ચડિયાતી વાર્તાઓ ‘એ.આઇ.’ એટલે કે કૃત્રિમ એટલે કે ન-માનવીય બુદ્ધિ કરવા માંડશે તો શું થશે? ગીતોનાં એ સ્વરનિયોજન કરશે, ચિત્રો દોરી આપશે, કાયદા અને શાસ્ત્રો લખી આપશે, તો શું થશે? શાળાનાં બાળકો નિબન્ધો લખવા ચૅટજી.પી.ટી. અને એનાં જેવાં નવ્ય ‘એ.આઇ.’ ટૂલ્સ વાપરતાં થશે, તો શું થશે?

વિચારવા માટે હરારી મોટું ઉદાહરણ આપે છે : ૨૦૨૪-માં થનારી અમેરિકન પ્રૅસિડેન્ટની રેસમાં થનારા ‘એ.આઇ.’-ટૂલ્સના વપરાશથી ન્યૂ કલ્ટ્સ માટે જે પોલિટિકલ સામગ્રી ઘડાશે, ફૅક-ન્યૂઝ અને સ્ટોરીઝ વહેતાં થશે, તેના પ્રભાવની કલ્પના કરો.

એમણે આપેલા ‘QAnon કલ્ટ’-ના ઉદાહરણની વાત હવે પછી કરીશ.

પણ મને લાગે છે, આ ક્ષણે ગુજરાતી સાહિત્યના ભાવિની કલ્પના કરી લેવી ઘટે. મને પણ એ માટે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જરાક જોવાની જરૂરત લાગે છે :

હેમચન્દ્રાચાર્યથી પ્રારમ્ભાયેલા અને દયારામ પાસે થંભેલા સાહિત્યને આપણે મધ્યકાલીન ગણીએ છીએ. એના કેન્દ્રમાં ઈશ્વર હતો. નર્મદથી શરૂ થયેલા અર્વાચીન સાહિત્યના કેન્દ્રમાં મનુષ્ય અને સમાજ હતાં. સુરેશ જોષીથી પ્રારમ્ભાયેલા આધુનિકતાપરક સાહિત્યના કેન્દ્રમાં મનુષ્યવ્યક્તિ અને તેનું અસ્તિત્વ હતાં.

પરન્તુ હવે જો ‘ચૅટજી.પી.ટી.’ જેવાં નવ્ય ‘એ.આઇ.’ ઉપકરણો દ્વારા સાહિત્ય લખાશે તો તેના કેન્દ્રમાં શું હશે? લોકો ‘ચૅટજી.પી.ટી.’ જેવું જ સાધન ‘ગૂગલ બાર્ડ’ વાપતા થઈ જશે તો શું થશે? તેના કેન્દ્રમાં સમાજ, વ્યક્તિ અને અસ્તિત્વ ત્રણેય તત્ત્વો હશે; એટલું જ નહીં, એ તત્ત્વો ગુજરાતીતા અને ભારતીયતાથી પણ રંજિત હશે. વગેરે.

એથી લખાનારા સાહિત્યનું સ્વરૂપ શું હશે? બધું જોડણીશુદ્ધ અને વ્યાકરણસંગત હશે. પ્રૂફરીડરની જરૂરત નહીં પડે. ગઝલ રદીફ-કાફિયાથી સુગઠિત હશે. ગીત મિલનનાં કે વિરહનાં માગો એ માત્રાનાં, વળી, સ-ચિત્ર રચી આપશે. ઇચ્છો તો ગાઇ પણ બતાવશે. છન્દોબદ્ધ રચનામાં છન્દદોષ નહીં હોય. અછાન્દસની લંબાઈ માગો એ માપની હશે. ટૂંકીવાર્તા માટે પણ પેલો હઠીલો તન્ત્રી માગે છે એ ૨૦૦૦ શબ્દ જ મુકરર નહીં હોય, માગો એટલા-માં કરી આપશે. આજકાલ નવલકથા નથી લખાતી કેમ કે એમાં લેખક અને વાચકનાં જીવનોનો ઘણો સમય ખરચાઈ જાય છે. પણ ‘એ.આઇ.’ ટૂંકી કે દીર્ઘ કે માગો એટલા ભાગની લખી આપશે. વાંચતાં કંટાળનારાને વાંચી પણ સંભળાવશે.

વાતનો અંકે કરવાલાયક સાર એ છે કે આ ઘટનાઓ સામે કુદરતી બુદ્ધિવાળો લાચાર થઈ જશે. કાવ્યશાસ્ત્રમાં પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસને કાવ્યહેતુ કહ્યા છે – સર્જનમાં કારણભૂત પરિબળો. પણ ‘એ.આઇ.’-ની સર્જકતા પાસે એ ગમે તેટલો પ્રતિભાશાળી હશે, ઝંખવાઈ જશે; એની વ્યુત્પન્ન મતિ ટૂંકી પડશે; એના અભ્યાસ કે પ્રૅક્ટિસિસ ઓછાં પડશે.

= = = 

(07/04/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

5 July 2023 Vipool Kalyani
← સમાન નાગરિક ધારાનો ટોસ ભા.જ.પે. જીતી લીધો છે, હવે?
ટાઈટેનિક: પ્રેમની અને જહાજની ટ્રેજેડી →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved