આગ્રહો અવશ્ય
પૂર્વગ્રહ નહીં,
કહેવું પડે તે કહેવું,
જે તરફ સહી;
વાચા અર્પવા પ્રયત્નશીલ સતત,
છેલ્લે ઊભેલ મૂક માનવી આહને,
સલામ એવા શબ્દને પ્રકાશનાર શાહને.
બોસ્ટન
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2019; પૃ. 14
આગ્રહો અવશ્ય
પૂર્વગ્રહ નહીં,
કહેવું પડે તે કહેવું,
જે તરફ સહી;
વાચા અર્પવા પ્રયત્નશીલ સતત,
છેલ્લે ઊભેલ મૂક માનવી આહને,
સલામ એવા શબ્દને પ્રકાશનાર શાહને.
બોસ્ટન
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2019; પૃ. 14
પુસ્તક – અર્થવાસ્તવ : પહેલી આવૃત્તિ – જુલાઈ 2019; પૃ. 10+ 170 : પ્રકાશક – ગુજરાતવિશ્વકોશ ટૃસ્ટ : મુખ્ય વિક્રેતા – ગુર્જર સાહિત્ય ભવન અને ગુજરાત વિશ્વકોશ ટૃસ્ટ : કિંમત – રૂ. 170
પ્રસ્તુત લેખસંગ્રહમાં સમાવિષ્ટ ૨૧ લેખો પૈકી ત્રણ લેખોને બાદ કરતાં બાકીના ૧૮ લેખો અર્થશાસ્ત્રીય મુદ્દાઓ પર લખાયેલા છે. આ લેખો ૧૯૮૯થી ૨૦૧૮નાં વર્ષોમાં લખાયા છે, પણ કોઈક રીતે તે આજે પ્રસ્તુત બની શકે તેમ છે. આઠ લેખો દેશમાં અપનાવવામાં આવેલી આર્થિક વિકાસ માટેની નીતિને સ્પર્શે છે. એ ગ્રંથનો મુખ્ય ભાગ હોવાથી તેની ચર્ચા થોડી વિગતે કરી છે.
દેશના ઝડપી અને સમાનતાકારક આર્થિક વિકાસ માટે આપણે રાજ્યની વિસ્તૃત ભૂમિકા સાથેની સમાજવાદી નીતિ પંડિત નેહરુના શાસનકાળમાં અપનાવી હતી. એ ઔપચારિક રીતે ૧૯૯૧માં નરસિંહરાવના શાસનમાં મનમોહનસિંઘે નવી આર્થિક નીતિની જાહેરાત કરી ત્યાં સુધી ચાલુ રહી.
આ નીતિની પાછળની ઐતિહાસિક ભૂમિકા બે લેખોમાં સ્પષ્ટ કરવામાં આવી છે : (૧) ‘નેહરુની આર્થિક નીતિઓનો સંદર્ભ’ અને (૨) ‘ભારતની આર્થિક નીતિમાં ડોકિયું’. આ બીજા લેખમાં દેશની આર્થિક નીતિના સંદર્ભમાં આઈ.જી. પટેલનાં સ્મરણો નોંધવામાં આવ્યાં છે. તેમાં બે અવલોકનો ધ્યાનપાત્ર છે : ‘દેશમાં આયોજનનો સાચો આરંભ બીજી પંચવર્ષીય યોજનાથી થયો હતો. તેમાં જાહેર (સરકારી) ક્ષેત્રે મોટી ભૂમિકા પોતાને હસ્તક રાખી હતી અને ખાનગી ક્ષેત્રને મર્યાદિત ભૂમિકા સોંપવામાં આવી હતી. આર્થિક નીતિવિષયક આવો મોટો નિર્ણય કશીયે ચર્ચા વિના જ લેવાયો હતો.’ મહત્ત્વની વાત તો આઈ.જી.પટેલે એ નોંધી છે કે જે પરવાના-પદ્ધતિ દેશમાં લગભગ ચાર દસકા ચાલી તેના વિશે કોઈ પાયાની વિચારણા જ કરવામાં આવી ન હતી.’ દેશના કરોડો લોકોને સ્પર્શતા આર્થિક નીતિવિષયક નિર્ણયો પુખ્ત વિચારણા કર્યા વિના કરવાનો આ સિલસિલો આજે પણ ચાલુ છે તેનો ઇશારો ‘નોટબંધીનું પોસ્ટમોર્ટમ’માંથી સાંપડે છે.
નવી આર્થિક નીતિનો અમલ ધીમા પગલે અને કશીયે જાહેરાત વિના ૧૯૮૦ પછીનાં વર્ષોમાં થયો હતો. પરંતુ જૂની નીતિનો ત્યાગ કરીને નવી બજારવાદી નીતિનો વિધિવત્ અમલ કરવા માટે સરકારે ૧૯૯૦-૧૯૯૧ની વિત્તીય કટોકટીની જરૂર પડી હતી. એની પાછળ રહેલા રાજકારણની ચર્ચા ‘આર્થિક કટોકટી અને રાજકારણ’માં કરવામાં આવી છે. ૨૦૧૪માં ભા.જ.પ.ના વડપણ નીચે રચાયેલી સરકાર પાસે નિર્ણાયક બહુમતી હોવાથી એ સરકાર મોટા અને પાયાના આર્થિક સુધારા કરશે એવી અપેક્ષા રાખવામાં આવી હતી. પણ અપેક્ષા રાખવામાં આવી હતી તે પ્રમાણે તેણે મજૂર-કાયદામાં સુધારા ન કર્યા અને સરકારી સાહસોનું ખાનગીકરણ ન કર્યું. કામદારો – કર્મચારીઓના વિરોધનો સામનો કરવા માટે રાજકારણીઓને વિત્તીય કટોકટી જેવી કોઈ મજબૂરીની જરૂર પડે છે. એવી કોઈ કટોકટી સર્જાઈ ન હોવાથી સરકારે મોટા આર્થિક સુધારા પણ કર્યા નહીં.
નવી આર્થિક નીતિની પાછળ બજારવાદી અર્થશાસ્ત્રીઓની વિચારધારા રહેલી છે. જી.ડી.પી.ની ઊંચા દરે થતી વૃદ્ધિ એની ધ્યાનમૂર્તિ છે. એ માટે બજારપ્રથા અત્યંત કાર્યક્ષમ છે તેવું પ્રતિપાદન આ અર્થશાસ્ત્રીઓએ અમૂર્ત મૉડલ રચીને કર્યું છે. એનો અર્થશાસ્ત્રીય વિવાદ અહીં પ્રસ્તુત નથી પણ જી.ડી.પી.નો ઊંચો વૃદ્ધિદર હાંસલ કરવા માત્રથી દેશની બધી સમસ્યાઓનો ઉકેલ સાંપડતો નથી એની ચર્ચા ‘નવી આર્થિક નીતિ’ અને ‘જી.ડી.પી. કોઈ જાદુઈ છડી નથી’ એ લેખોમાં કરવામાં આવી છે. જી.ડી.પી.ના ઊંચા વૃદ્ધિદર છતાં રોજગારી અપેક્ષા પ્રમાણે ન વધવાથી બેકારીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે અને વધેલી આવકની વહેંચણીમાં તીવ્ર અસમાનતા માલૂમ પડી છે. પૂર્વ એશિયામાં ચીન, દક્ષિણ કોરિયા વગેરે દેશોમાં બજારવાદી નીતિને જેવી અને જેટલી સફળતા સાંપડી છે તેવી અને તેટલી સફળતા તેને ભારતમાં સાંપડી નથી. વિકાસ અંગેના આપણા પ્રશ્નો વિશિષ્ટ છે અને આપણે નોખી સંસ્કૃતિ ધરાવીએ છીએ. તેથી આપણી વિકાસનીતિની બાબતમાં આપણે મૌલિકતા દાખવવી પડે, આપણે ‘સ્વદેશી’ થવું પડે. આ મુદ્દાની ચર્ચા ‘ગાંધીજી, સ્વદેશી અને આર્થિક સ્વરાજ’માં થોડી વિગતે કરવામાં આવી છે. એ વિચારનું મૂળ ગાંધીજીના પ્રથમ પુસ્તક ‘હિંદ સ્વરાજ’માં રહેલું છે.
‘હિંદ સ્વરાજ’ એ ગાંધીજીનું અત્યંત વિવાદાસ્પદ બનેલું પુસ્તક છે. એ પુસ્તકના પ્રથમ બે વાચન પછી મને પણ એ પુસ્તક તદ્દન જૂનવાણી અને નવી અવતરેલી ઔદ્યોગિક સંસ્કૃતિના પ્રત્યાઘાત રૂપે રચાયેલું લાગેલું, પણ બે વિદેશી વિદ્વાનોના ગાંધીવિચાર અંગેનાં પુસ્તકોના વાચનથી ‘હિંદ સ્વરાજ’ વાંચવાની દૃષ્ટિ મળી. તે પછી તેના ત્રીજા વાચને મને ‘હિંદ સ્વરાજ’ જે રીતે સમજાયું તે મેં ‘હિંદ સ્વરાજ : અહિંસક સંસ્કૃતિની ખોજ’ એ લેખમાં દર્શાવ્યું છે. ગાંધીજી માટે દેશના રાજકીય સ્વરાજ કરતાં સાંસ્કૃતિક સ્વરાજ અને સાંસ્કૃતિક સ્વરાજ કરતાં વ્યક્તિનું સ્વરાજ વિશેષ મૂલ્યવાન હતું. વ્યક્તિ સ્વરાજ ભોગવી શકે એવા સમાજનું ‘વિઝન’ ગાંધી પાસે હતું. ‘હિંદ સ્વરાજ’ને આ દૃષ્ટિએ વાંચવાનું છે.
‘ભારતના વિકાસ અંગે ગાંધીજી અને નેહરુના વિચારભેદ’ એ લેખમાં ગાંધીવિચારના માર્ગે ભારત કેમ ન ચાલી શક્યું તેનો ખુલાસો સાંપડે છે અને પંડિત નેહરુની વિચારસૃષ્ટિનો પરિચય થાય છે. નેહરુ દેશના શિક્ષિત યુવાનોના ભારતના વિકાસ અંગેના વિચારોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા તે ‘ભારતની આર્થિક નીતિમાં ડોકિયું’માં વાંચવા મળે છે.
‘ભારતમાં બજારની વિસ્તરતી ભૂમિકા’માં ઝડપી બનેલા આર્થિક વિકાસથી દેશમાં આવેલાં કેટલાંક પરિવર્તનોની ચર્ચા કરવામાં આવી છે. કુટુંબથી શરૂ કરીને આરોગ્યસેવા, શાસ્ત્રીય સંગીત જેવાં કલાનાં ક્ષેત્રો, ક્રિકેટ જેવા રમતના ક્ષેત્ર વગેરેમાં બજારનો જે પ્રવેશ થયો છે તે તેમાં વર્ણવવામાં આવ્યું છે.
‘શિક્ષણ : રાજ્યે ઘટાડેલી જવાબદારી’માં ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે રાજ્યે તેની નાણાકીય જવાબદારીમાં જે મોટો ઘટાડો કર્યો છે તેની ચર્ચા કરવામાં આવી છે. આ વલણ ભારતમાં જ અસ્તિત્વમાં આવ્યું નથી, ઇંગ્લૅન્ડ અને અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ તે જોવા મળે છે. એની પાછળનાં પરિબળોની ચર્ચા આ લેખમાં કરવામાં આવી છે.
આ ચર્ચાના એક આનુષંગિક મુદ્દાની અહીં નોંધ લેવા જેવી છે. દેશમાં ૧૯૬૬માં કોઠારી પંચનો હેવાલ પ્રગટ થયો ત્યારથી જી.ડી.પી.ના છ ટકા જેટલું ખર્ચ રાજ્યે શિક્ષણ પાછળ કરવું જોઈએ એવી ભલામણ પંચે કરી છે એ વાત ભારપૂર્વક વારંવાર કહેવાતી આવી છે. પણ હકીકત જુદી છે : કોઠારી પંચે ૧૯૮૫-૮૬માં શિક્ષણ પાછળ થનાર કુલ ખર્ચ, તેમાંનું કેટલું ખર્ચ રાજ્ય ભોગવશે અને એ વર્ષે દેશની જી.ડી.પી. કેટલી હશે એ વિશે વિવિધ ધારણાઓના આધારે અંદાજો મૂક્યા હતા. એ અંદાજોના આધારે પંચે એવી ગણતરી કરી હતી કે ૧૯૮૫-૮૬ના વર્ષમાં સરકારનું શિક્ષણ પાછળનું ખર્ચ જી.ડી.પી.ના છ ટકા જેટલું હશે, જે ૧૯૬૫-૬૬માં ત્રણ ટકાથી ઓછું હતું. આમ રાજ્યે શિક્ષણ પાછળ જી.ડી.પી.ના છ ટકા ખર્ચવા જોઈએ એવો કોઈ નીતિવિષયક આદર્શ કોઠારી પંચે રજૂ કર્યો નહોતો. પંચોના હેવાલો કેટલા ઉપર ઉપરથી વંચાય છે તેનો આ એક નમૂનો છે.
અર્થશાસ્ત્રની ઓળખ એક સામાજિક વિજ્ઞાનની છે, પણ પ્રાકૃતિક વિજ્ઞાનોની જેમ તે સાચી આગાહીઓ કરી શકતું નથી. અર્થશાસ્ત્રીઓ વચ્ચે મોટા મતભેદો પ્રવર્તે છે અને મુખ્ય પ્રવાહથી જુદો મત ધરાવતા અર્થશાસ્ત્રીઓ પરત્વે કેટલી ઉપેક્ષા સેવવામાં આવે છે તે ભારત અને અમેરિકાનાં ઉદાહરણો લઈને ‘આર્થિક આગાહીઓ : કેટલી ભરોસાપાત્ર?’ એ લેખમાં વિગતે વર્ણવાયું છે.
વિકાસના માપદંડ તરીકે જી.ડી.પી.ના વિકલ્પે માનવવિકાસનો ખ્યાલ પાકિસ્તાનના અર્થશાસ્ત્રી મહેબૂબ ઉલ હક, ભારતના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન અને અન્ય અર્થશાસ્ત્રીઓએ ૧૯૯૦માં રજૂ કર્યો હતો અને દુનિયાના વિવિધ દેશોના માનવવિકાસ અંગેનો પ્રથમ હેવાલ પણ ૧૯૯૦માં પ્રગટ કરવામાં આવ્યો હતો. ત્યારથી શરૂ કરીને એ હેવાલ યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) દ્વારા દર વર્ષે પ્રગટ કરવામાં આવે છે. પ્રભાવક બનેલી વિકાસ અંગેની આ વિચારણાની સમીક્ષા ‘માનવવિકાસ – અભિગમ : એક સમાલોચના’ એ લેખમાં કરવામાં આવી છે. માનવવિકાસના એક નમૂનારૂપ ઉદાહરણ તરીકે કેરળનો દાખલો ટાંકવામાં આવતો હતો. તેથી કેરળના માનવવિકાસને એના ઇતિહાસમાં જઈને તપાસવામાં આવ્યો છે અને તેની મર્યાદાઓ દર્શાવવામાં આવી છે.
રશિયા અને પૂર્વ યુરોપના અન્ય દેશોમાંથી સામ્યવાદની વિદાય પછી આજે મૂડીવાદી પ્રથાનો કોઈ વિકલ્પ દુનિયાના દેશો પાસે રહ્યો નથી. અલબત્ત, મૂડીવાદી સમૃદ્ધિ સર્જવામાં અનેરી સિદ્ધિ હાંસલ કરી છે પણ તે સાથે તેની મર્યાદાઓ પણ મોટી છે. આ પ્રશ્નોની ચર્ચા ‘મૂડીવાદનો વિકલ્પ શું છે?’ એ લેખમાં કરવામાં આવી છે.
આપણા દેશમાં મજબૂત નેતા અને સ્થિર સરકારનો દેશના વિકાસમાં સંદર્ભમાં બહુ મહિમા કરવામાં આવે છે. આ મહિમા રાજકારણીઓ પોતે જ કરતા હોય છે. પણ સમગ્ર દેશ અને વિવિધ રાજ્યોના સંદર્ભમાં તથાકથિત મજબૂત નેતા અને વિકાસ વચ્ચે કેવો અને કેટલો સંબંધ છે તે એક લેખમાં તપાસવામાં આવ્યું છે. ‘દૃઢ’ નેતૃત્વ અને વિકાસ. એનું તારણ સ્પષ્ટ છે : આપણે ઉદ્ધારકની માનસિકતાથી બચવાનું છે.
પંદરમીથી અઢારમી સદી દરમિયાન દેશમાં અને વિદેશોમાં નાણાવટના કેન્દ્ર તરીકે અને વીસમી સદીના પૂર્વાર્ધમાં દેશના માંચેસ્ટર તરીકે ખ્યાત અમદાવાદની આર્થિક ચડતીપડતીનો ઇતિહાસ ‘અમદાવાદનાં ૬૦૦ વર્ષ : આર્થિક આલેખ’માં વર્ણવાયો છે. તેનું એક નોંધપાત્ર પાસું છે : ઇંગ્લૅન્ડ આદિ યુરોપના દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી બજાર-આધારિત જે અર્થવ્યવસ્થા વિકસી હતી તેવી વ્યવસ્થા અમદાવાદ અને ગુજરાતનાં અન્ય કેટલાંક નગરોમાં વિકસી હતી. રાજ્યની ભૂમિકા વ્યવસ્થા (ઑર્ડર) જાળવવા પૂરતી મર્યાદિત હોય તો પણ ઉદ્યોગધંધા મોટા પ્રમાણમાં વિકસી શકે એવું પણ અમદાવાદના આર્થિક ઇતિહાસમાંથી ફલિત થાય છે.
ગુજરાત ઔદ્યોગિક વિકાસની બાબતમાં વીસમી સદીના છેલ્લા બે દસકામાં વાઇબ્રન્ટ બની ગયું હતું. એની થોડી વિગતે ચર્ચા ‘ગુજરાત વાઇબ્રન્ટ ક્યારથી બન્યું છે?’ એ લેખમાં કરવામાં આવી છે. એ વર્ષોમાં ગુજરાતને મુખ્યમંત્રીના રૂપમાં કોઈ ‘વિકાસ-પુરુષ’ નહોતા મળ્યા તોપણ ગુજરાત ઉદ્યોગના ક્ષેત્રે વાઇબ્રન્ટ બન્યું હતું તે એક નોંધપાત્ર બાબત છે.
ડૉલરની કિંમત રૂપિયામાં રોજેરોજ બદલાતી રહે છે. ક્યારેક એ વધઘટ બહુ મોટી હોય છે. ૨૦૧૮ના ઑક્ટોબરમાં ડૉલરની કિંમતમાં ૧૫ ટકા જેવો મોટો વધારો થયો હતો. રૂપિયામાં ડૉલરની કિંમતમાં આવી મોટી વધઘટ કેમ થાય છે, તેની સમજૂતી ‘ગબડતો રૂપિયો’માં આપી છે. એ એક ‘કેસ સ્ટડી’ છે. બીજા કિસ્સામાં જવાબદાર પરિબળો નોખાં હોઈ શકે. મુદ્દો એ છે કે હૂંડિયામણના દરને રાષ્ટ્રીય ગૌરવ સાથે સાંકળવાનો નથી. એ પણ એક કિંમત જ છે.
વીસમી સદીના છેલ્લા દસકામાં અને ૨૧મી સદીની શરૂઆતમાં વૈશ્વિકીકરણ ચર્ચાનો એક વિવાદાસ્પદ મુદ્દો હતો. વૈશ્વિકીકરણ સામે ઠેર ઠેર દેખાવો થતા હતા. પણ ૨૦૦૮માં અમેરિકામાં સર્જાયેલી વિત્તીય કટોકટી અને એના પગલે આવેલી મંદી પછી વૈશ્વિકીકરણ ભુલાઈ ગયું છે. આર્થિક ચર્ચાની દૃષ્ટિએ ભૂતકાળ બની ગયેલા વૈશ્વિકીકરણની થોડી ચર્ચા ‘વૈશ્વિકીકરણ સામેનો અસંતોષ’માં કરી છે.
આજે ભારતમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓની ઓછી સંખ્યા – જાતિ ગુણોત્તર – (sex ratio)નો પ્રશ્ન ભ્રૂણહત્યાના સંદર્ભમાં ચર્ચાવામાં આવે છે. ગુજરાતમાં ૧,૦૦૦ પુરુષો દીઠ ૯૧૯ સ્ત્રીઓ છે. સમગ્ર દેશમાં એ પ્રમાણ ૯૩૩ સ્ત્રીઓનું છે. દુનિયાના મોટા ભાગના દેશોમાં ૧,૦૦૦ પુરુષોની સામે ૧,૦૦૦થી વધારે સ્ત્રીઓ માલૂમ પડે છે. પણ ગુજરાતમાં સ્ત્રીઓની આ ‘ખાધ’નો પ્રશ્ન કેટલીક જ્ઞાતિઓમાં ૧૯મી સદીના છેલ્લા બે દસકાઓમાં પણ માલૂમ પડ્યો હતો. તેથી સ્ત્રીઓની આ ખાધનો પ્રશ્ન કેવળ ભ્રૂણહત્યાનું પરિણામ નથી. એની પાછળ બીજાં કારણો પણ હોવાં જોઈએ એવું ‘સ્ત્રીઓની ખાધ’એ લેખમાંથી ફલિત થાય છે.
ગુજરાતીમાં અર્થશાસ્ત્રીય વિષયો પર બિનપાઠ્યપુસ્તકીય અલ્પ સાહિત્ય ઉપલબ્ધ છે. અન્ય શાસ્ત્રો અને વિજ્ઞાનો માટે પણ આ વિધાન કરી શકાય. યુનિવર્સિટી કક્ષાએ ગુજરાતી માધ્યમ અપનાવવામાં આવ્યું ત્યારે એક અપેક્ષા હતી : વિવિધ વિષયોનું જ્ઞાન ગુજરાતીમાં ઉપલબ્ધ થશે. પણ એ આશા સંતોષાઈ નથી. આપણી યુનિવર્સિટીઓ એ દિશામાં કોઈ પ્રદાન કરી શકી નથી. જ્ઞાનનું વિસ્તરણ અને સર્જન એ યુનિવર્સિટીનાં મુખ્ય કાર્યો છે. આ અર્થમાં ગુજરાતમાં યુનિવર્સિટીનું અવતરણ થયું નથી.
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે જ્ઞાનના વિસ્તરણનું યુનિવર્સિટીનું એક કાર્ય ઉપાડી લીધું છે. તે માટે તેણે વિશ્વકોશના ૨૫ ગ્રંથો પ્રગટ કર્યા છે અને તે સાથે વિવિધ વિષયોના ગ્રંથો પણ પ્રગટ કર્યા છે. એ પ્રવૃત્તિના એક ભાગરૂપે અર્થશાસ્ત્રીય વિષયો પરના લેખોનો આ સંગ્રહ થઈ રહ્યો છે. કુમારપાળ દેસાઈના આગ્રહમિશ્રિત સૂચનનું એ પરિણામ છે. મારા ગુજરાતીમાં લખાયેલા અર્થશાસ્ત્રીય લેખો ગ્રંથસ્થ થાય એ મારા માટે કલ્પનાતીત હતું પણ કુમારપાળભાઈએ શક્ય બનાવ્યું. તે માટે હું સાચે જ તેમનો અને વિશ્વકોશ ટ્રસ્ટનો આભારી છું. પ્રીતિબહેન શાહે આ ગ્રંથની જે માવજત કરી છે તેની સાભાર નોંધ લઉં છું. ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના અધ્યાપક અશ્વિન ચૌહાણે આ ગ્રંથ તૈયાર કરવામાં સંપાદકીય કામગીરી કરી એની પણ આનંદપૂર્વક નોંધ લઉં છું.
તા. ૩-૫-૧૯
પાલડી, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2019; પૃ. 08, 09 તેમ જ 07
પહેલો કિલ્લો, પહેલી કોર્ટ, પહેલી પોલીસ, પહેલી ફાંસી
લવજી વાડિયા સુરતથી મુંબઈ આયા અને મોટાં મોટાં બારકસ બનાવવાનો ધંધો શરૂ કીધો તે આપણે અગાઉ જોઈ ગયા છીએ. પણ લવજીભાઈ મુંબઈ આવનારા કાંઈ એક માત્ર ગુજરાતી નહોતા. સુરતથી, દીવથી, ઘોઘાથી, ભરૂચથી, એમ ગુજરાતનાં જુદાં જુદાં બંદરોથી ધીમે ધીમે વેપારી લોકો મુંબઈ તરફ આવવા લાગ્યા. એ વખતે હજુ રેલવે તો શરૂ થઈ જ નહોતી અને આસપાસના પ્રદેશ સાથે મુંબઈ સારા રસ્તાઓથી પણ જોડાયેલું નહોતું એટલે બહારથી મુંબઈ આવવું હોય તો દરિયા વાટે આવવું એ એક જ રસ્તો હતો. મુંબઈના પહેલા વસાહતીઓ જુદાં જુદાં બંદરેથી મુંબઈ આવ્યા તેની પાછળનું કારણ આ છે.
લવજીભાઈ પછી ઘણા બધા ગુજરાતી વેપારીઓ મુંબઈ આવવા લાગ્યા અને આમ થવા પાછળનું કારણ ખરું જોતાં તો એક જ વ્યક્તિ અને તેની ઉદાર વિચારણા હતી. આજે એ વ્યક્તિ વિશે વાત કરવી છે. આવડા મોટા મુંબઈ શહેરમાં એ વ્યક્તિના નામનો એક પણ રસ્તો નથી. આખા શહેરમાં ફરી વળો પણ તમને ક્યાં ય એનું એકાદું નાનકડું પૂતળું પણ જોવા મળશે નહીં. અરે એનું એકાદું ચિત્ર કે એકાદો ફોટો પણ ક્યાં ય શોધ્યો જડતો નથી. એટલે તેઓ દેખાવે કેવા હતા એ જાણવાનું આપણી પાસે કોઈ સાધન નથી. પણ તેમનાં અનેક જુદાં જુદાં કામો વિશે આજે આપણે ધારીએ તો જાણી શકીએ તેમ છીએ. અને એ રીતે જો થોડી વાતો જાણીએ તો આપણે ચોક્કસ એ વ્યક્તિને બ્રિટિશ બોમ્બેના પિતાનું માન અને સ્થાન આપ્યા વગર રહી શકીએ નહીં.
એમનું નામ ગેરાલ્ડ ઓન્ગીઆર. જન્મ ચોક્કસ કઈ તારીખે થયો એ તો જાણવા મળતું નથી પણ ૧૬૪૦માં તેમનો જન્મ થયો હતો અને ૧૬૭૭ના જૂન મહિનાની ૩૦મી તારીખે સુરતમાં તેમનું અવસાન થયું હતું. તેમણે સુરતમાં આવેલ કંપની સરકારની ફેક્ટરી(ઓફિસ)નાં ગોદામના રખેવાળ તરીકે નોકરીની શરૂઆત કરી હતી, અને વખત જતાં એ ફેક્ટરીના પ્રેસિડન્ટ અને મુંબઈના ગવર્નર બન્યા હતા. આ ગેરાલ્ડ ઓન્ગીઆરે મુંબઈની ધરતી પર પહેલી વાર પગ મૂક્યો તે ૧૬૬૨ના સપ્ટેમ્બરની ૧૮મી તારીખે. એ દિવસે તેઓ અર્લ ઓફ માલબરો સાથે સુરતથી મુંબઈ આવ્યા હતા. શા માટે આવ્યા હતા? તે દિવસે પોર્ટુગીઝ સરકાર મુંબઇનો કબજો અંગ્રેજોને સોંપવાની હતી, અને અને અર્લ ઓફ માલબરોની સાથે ઓન્ગીઆરે અંગ્રેજો વતી મુંબઇનો કબજો તે દિવસે લીધો. આ માટે કોઈ બહુ મોટો સમારંભ યોજાયો ન હતો.
આજના ફોર્ટ વિસ્તારમાં જ્યાં ભારતીય નૌકા સૈન્યનું આઈ.એન.એસ. આંગ્રે આવેલ છે તે જગ્યાએ પોર્ટુગીઝોએ એક નાનકડો કિલ્લો બાંધ્યો હતો જેને પછીથી અંગ્રેજોએ ‘બોમ્બે કાસલ’ તરીકે ઓળખાવ્યો હતો. ત્યાર બાદ મુંબઈમાં અંગ્રેજોએ ફોર્ટ કહેતાં કિલ્લો બાંધ્યો તે આ કિલ્લો નહિ. એ તેના કરતાં જુદો કિલ્લો. આ બોમ્બે કાસલ મૂળ તો એક ધનવાન પોર્તુંગાલી ગાર્સા દ ઓર્તાએ પોતાને માટે બાંધેલો બંગલો હતો જેનું નામ હતું મનોર હાઉસ. પછીથી તે પોર્ટુગાલી સરકારે લઇ લીધો. એ કિલ્લાની અંદરની જમીનમાંથી થોડીક માટી ખોદી કાઢી અને એ માટી પોર્ટુગીઝ અધિકારીએ અર્લ ઓફ માલબરોને આપી. એટલું જ નહીં, બોમ્બે કાસલના કિલ્લાની દીવાલમાંથી થોડાક પથ્થર કાઢીને એ પણ આ બંને અંગ્રેજોને આપવામાં આવ્યા. અને એ રીતે મુંબઈ ઉપર પોર્ટુગીઝોના શાસનનો સત્તાવાર રીતે અંત આવ્યો અને બ્રિટિશ રાજવટની શરૂઆત થઈ. પછીથી વખત જતાં એ જગ્યા બ્રિટિશ નેવી પાસે આવી અને તેણે નામ બદલીને રાખ્યું એચ.એમ.એ.સ ડેલહાઉસી. આઝાદી પછી આપણા દેશના નૌકા સૈન્યે તેનું નામ રાખ્યું આઈ.એન.એસ. આંગ્રે. આજ સુધી મૂળ બોમ્બે કાસલનું ઘણું લાક્ષણિક બાંધકામ જાળવી રાખવામાં આવ્યું છે. અને જે નવું બાંધકામ થયું છે તે પણ મૂળ ઈમારત સાથે ભળી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અસલનું પ્રવેશદ્વાર અને આજનું પ્રવેશદ્વાર એ બેને સરખાવી જોતાં આ વાત તરત સમજાશે.
બોમ્બે કાસલ
બોમ્બે કાસલનો દરવાજો અને આઈ.એન.એસ. આંગ્રેનો આજનો દરવાજો
એ વખતે પશ્ચિમ ભારતમાં કંપની સરકારના રાજ્યનું વડું મથક સુરત હતું. એટલે પોર્ટુગીઝો પાસેથી મુંબઈનો કબજો લઈને ઓન્ગીઆર સુરત ગયા અને ત્યાં પોતાના ઉપરીઓને જાણ કરી કે મુંબઈ હવે આપણા તાબામાં આવી ગયું છે. પણ તે પછી છેક ૧૬૬૮ના સપ્ટેમ્બરની ૨૩ તારીખે જ્યોર્જ ઓક્સેનડેન નામના પોતાના અધિકારીની મુંબઈના ગવર્નર તરીકે કંપની સરકારે નિમણૂક કરી. પણ આ મહાશય મુંબઈમાં તો બહુ ઓછું રહ્યા હતા. મોટે ભાગે તો તેઓ સુરતમાં બેઠા બેઠા જ મુંબઈનો કારભાર ચલાવતા હતા, કારણ કે એ વખતે કારભાર ચલાવવા જેવું મુંબઈમાં ખાસ કશું હતું જ નહીં. પણ મુંબઈના આ પહેલા ગવર્નરનું શાસન બહુ લાંબુ ચાલ્યું નહીં, કારણ કે બીજે જ વર્ષે, ૧૬૬૯ના જુલાઈની ૧૪મી તારીખે તેમનું અવસાન થયું અને તેમને સુરતના અંગ્રેજો માટેના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા. તે જ દિવસે કંપની સરકારે સુરતની ફેક્ટરીના પ્રમુખ અને મુંબઈના ગવર્નર તરીકે ઓન્ગીઆરની નિમણૂક કરી અને તેઓ ૧૬૭૭ના જૂનની ૩૦મી તારીખ સુધી મુંબઈના ગવર્નર રહ્યા.
મુંબઈના પહેલા ગવર્નર જ્યોર્જ ઓક્સેનડેન
હકીકતમાં એ વખતે એવો રિવાજ હતો કે સુરતની અંગ્રેજોની ફેક્ટરીનો જે પ્રેસિડન્ટ હોય તે જ મુંબઈનો ગવર્નર પણ બને. ત્યારબાદ ૧૬૭૦માં તેઓ મુંબઈની મુલાકાતે આવ્યા. એ મુલાકાત વખતે જ તેમને ખ્યાલ આવી ગયો કે મુંબઈમાં જો ખરેખર કંપની સરકારની હકુમત સ્થાપવી હોય તો એ કામ સુરતમાં બેઠાં બેઠાં થઈ શકે તેમ નથી. એ માટે મુંબઈ આવીને રહેવું જોઈએ. એટલે ૧૬૭૨ના મે મહિનામાં તેઓ મુંબઈ આવ્યા અને ૧૬૭૫ સુધી મુંબઈમાં જ બોમ્બે કાસલમાં રહ્યા. મુંબઈના ગવર્નરનું આ પહેલું રહેઠાણ. પણ એ વખતે ઘણા અંગ્રેજોને મુંબઈની આબોહવા માફક આવતી નહોતી કારણ અહીં ઠેર ઠેર પુષ્કળ ગંદકી રહેતી અને તેથી જાતજાતના રોગો ફેલાતા. ઓન્ગીઆરને પણ મુંબઈની આબોહવા બહુ માફક ન આવી એટલે ૧૭૭૫માં તેઓ સુરત પાછા ગયા અને ત્યાંથી મુંબઈના ગવર્નર તરીકેની કામગીરી બજાવી. ૧૬૭૭ના જૂનની ૩૦મી તારીખે તેમનું અવસાન થયું અને તેમને મુંબઈના પહેલા ગવર્નરની કબરની બાજુમાં જ દફનાવવામાં આવ્યા.
સુરતના બ્રિટિશ કબ્રસ્તાનમાંની ઓન્ગીઆરની કબર
મુંબઈના ગવર્નર તરીકે ઓન્ગીઆરે કેટલાંક ખૂબ જ મહત્ત્વનાં કામો કર્યાં જેને લીધે એમ કહી શકાય કે બ્રિટિશ બોમ્બેનો પાયો તેમણે નાખ્યો અને અર્વાચીન મુંબઈના તેઓ જનક બન્યા. મુંબઈ રહેવા આવ્યા પછી તેમના ધ્યાનમાં પહેલી વાત એ આવી કે અહીં સ્થાનિક લોકોની વસ્તી ત્રણ મુખ્ય જૂથમાં વહેંચાયેલી છે : હિન્દુ, મુસ્લિમ, અને પારસી. હવે આ જુદાંજુદાં ધર્મ, ભાષા, રીત-રિવાજો ધરાવતી સ્થાનિક પ્રજા પર જો શાસન કરવું હોય તો તેમના ઉપર બ્રિટિશ કાયદો શરૂઆતથી જ લાદવાનું યોગ્ય ન ગણાય. આથી તેમણે ભારતની પરંપરાગત શાસનવ્યવસ્થામાંથી પંચાયતનો વિચાર અપનાવ્યો અને પાંચ પાંચ સભ્યોની બનેલી ત્રણ પંચાયતોનું તેમણે ગઠન કર્યું. આ પંચાયતો પોતપોતાના ધર્મના અનુયાયીઓના જીવનવ્યવહાર પર ધ્યાન આપતી, તેમની વચ્ચેના નાના મોટા ઝઘડાઓનો નીવેડો લાવતી, અને એકંદરે આ ત્રણ જૂથના લોકો એકબીજા સાથે સુલેહશાંતિથી, હળીમળીને રહે તે માટે પ્રયત્ન કરતી.
બીજી વાત તેમના ધ્યાનમાં એ આવી કે દરિયા કિનારે પોર્ટુગીઝોએ જે નાનકડો કિલ્લો બાંધ્યો હતો તે મુંબઈના રક્ષણ માટે ઘણો નાનો અને ઓછાં સાધનસગવડવાળો હતો. એ વખતે મુંબઈ ઉપર મરાઠાઓના, સીદીઓના અને વિદેશના કેટલાક સાહસિક ચાંચિયાઓનાં આક્રમણ દરિયાઈ માર્ગે થવાનો મોટો ખતરો હતો. એટલે મુંબઈના કિલ્લાને વધુ મોટો, વધારે મજબૂત, વધારે સાધનસગવડવાવળો, વધારે શસ્ત્રસરંજામવાળો બનાવવાનું તેમણે શરૂ કર્યું.
પણ જે ત્રણ પંચાયતો સ્થાપી હતી તેનાથી કાંઈ કાયદો અને વ્યવસ્થાના બધા પ્રશ્નો ઉકેલી શકાય તેમ નહોતું. કારણ બે જુદા જુદા ધર્મ કે જાતિના લોકો વચ્ચે ઝઘડો થાય ત્યારે તેનો નિવેડો કઈ રીતે લાવવો? સ્થાનિક લોકો અને અંગ્રેજો કે બીજા પરદેશીઓ વચ્ચે ઝઘડો થાય ત્યારે તેનો નિવેડો કઈ રીતે લાવવો? એટલે ઓન્ગીઆરે મુંબઈમાં સૌથી પહેલીવાર બ્રિટિશ પદ્ધતિની કોર્ટની સ્થાપના કરી. ૧૬૭૨ના ઓગસ્ટ મહિનાની ૮મી તારીખે મુંબઈની આ અદાલતનું વિધિસર ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને જ્યોર્જ વિલકોકસની પહેલા ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી. પણ આ ન્યાયાધીશને ઓન્ગીઆરે જે સૂચના આપી તે આજ સુધી આપણા દેશની અદાલતો માટે આદર્શરૂપ બની રહે તેવી હતી. તેમણે કહ્યું કે અદાલતમાં ચુકાદો આપતી વખતે કોઈ પણ પક્ષના લોકોનાં જાતિ, ધર્મ, સામાજિક દરજ્જો, સંપત્તિ વગેરે ઉપર બિલકુલ ધ્યાન આપવું નહીં અને સૌને એક સરખી રીતે બ્રિટિશ કાયદો લાગુ પાડવો.
અને તેમણે બીજાને જે શિખામણ આપી હતી તેનો અમલ તે પોતે કરે છે કે નહીં તે માટેની પરીક્ષાના સંજોગો તરત જ ઊભા થયા. ૧૬૭૪માં મુંબઈના કેટલાક બ્રિટિશ સૈનિકોએ કંપની સરકાર સામે બળવો પોકાર્યો. મુંબઈના ગવર્નર તરીકે તેને દાબી દેવાની જવાબદારી ઓન્ગીઆર પર આવી. જે સૈનિકો પર લશ્કરી કાયદા હેઠળ કામ ચલાવવાનું હતું તે સૈનિકો પણ અંગ્રેજ હતા. છતાં કશા ભેદભાવ વગર તેમણે એ સૌનિકો પર કામ ચલાવ્યું અને તેમાંના એક સૈનિકને ફાંસીની સજા પણ અપાવી. ૧૬૭૪ના ઓક્ટોબરની ૨૧મી તારીખે કંપની સરકારના શાસન હેઠળ અપાયેલી આ પહેલી ફાંસી. સૈનિકને બંદૂકની ગોળી મારીને ફાંસી આપવામાં આવી.
બહારથી વેપારીઓ આવીને મુંબઈમાં વસવાટ કરે અને અહીં વેપાર ધંધો વિકસાવે એ માટે ઓન્ગીઆરે ઘણા પ્રયત્નો કર્યા. આ રીતે બહારથી આવીને મુંબઈમાં વસનારા એક મોટા વેપારી હતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના દીવ બંદરના નીમા પારેખ. પણ ઓન્ગીઆર સાથેની વાટાઘાટોમાં નીમા પારેખે કેટલીક શરતો મૂકી અને કહ્યું કે આ શરતો લેખિત રીતે કંપની સરકારના સહી સિક્કા સાથે સ્વીકારવામાં આવે તો જ હું અને મારા સાથીઓ મુંબઈ આવીને વસવાટ કરીએ. તેમની જે માગણીઓ હતી તેમાંની પહેલી માગણી એ હતી કે મુંબઈ આવ્યા પછી અમને અમારો ધર્મ પાળવાની પૂરેપૂરી છૂટ આપવી અને કંપની સરકારે કે બીજા કોઈ અંગ્રેજોએ અમારી ધાર્મિક બાબતમાં દખલ કરવી નહીં કે અમારી જાતિના લોકોને વટલાવવાનો પ્રયત્ન કરવો નહીં. મૃતદેહને અગ્નિદાહ આપવાની પરંપરા ચાલુ રાખવા માટે અમને બધી સગવડ આપવી અને મૃતદેહને દફનાવવા માટે આગ્રહ રાખવો નહીં. આ બધી શરતો માત્ર અમને જ નહિ, અમારા બધા જ વંશવારસોને પણ લાગુ પાડવી. નીમા પારેખની આ બધી શરતો ઓન્ગીઆરે સ્વીકારી અને ૧૬૭૭ના માર્ચની ૨૨મી તારીખે એ અંગેના દસ્તાવેજ પર તેમણે સહી-સિક્કા કર્યા.
તેમણે બીજું પણ એક મહત્ત્વનું કામ કર્યું, અને તે સ્થાનિક લોકોનું પોલીસ દળ શરૂ કરવાનું. તેમણે ભંડારી જાતિના ૬૦૦ યુવકોને એકઠા કરીને તેમની સરકારના સિપાઈઓ તરીકે નિમણૂક કરી અને એ રીતે મુંબઈમાં આધુનિક પોલીસ વ્યવસ્થાની શરૂઆત કરી. વળી તેમણે પહેલીવાર મુંબઈમાં સિક્કા પાડવા માટે ટંકશાળ(મિન્ટ)ની સ્થાપના કરી. અગાઉ આપણે જેની વાત કરી છે તે બોમ્બે કાસલની અંદર જ આ ટંકશાળ શરૂ કરવામાં આવી હતી. આ ટંકશાળમાંથી પહેલી વાર રૂપિયાના સિક્કા ૧૬૭૨માં બહાર પાડવામાં આવ્યા. અલબત્ત, તે વખતે આ સિક્કા માત્ર મુંબઈમાં જ ચાલતા, મુંબઈની બહારના કંપની સરકારના પ્રદેશમાં પણ નહિ!
મુંબઈની ટંકશાળમાથી બહાર પડેલા પહેલવહેલા એક રૂપિયાના સિક્કા
ઓન્ગીઆરે મુંબઈના ગવર્નર તરીકે અખત્યાર સંભાળ્યો ત્યારે મુંબઈની કુલ વસ્તી દસ હજારની હતી. તેમના અવસાન વખતે આ વસ્તી વધીને ૮૦ હજાર જેટલી થઇ હતી. તે ગવર્નર બન્યા ત્યારે મુંબઈમાંથી કંપની સરકારને થતી કુલ આવક ૨,૮૨૩ બ્રિટિશ પાઉન્ડ જેટલી હતી. તે વધીને ૯,૨૫૪ બ્રિટિશ પાઉન્ડ જેટલી થઈ. ઓન્ગીઆરે જ્યારે મુંબઈના ગવર્નર તરીકે અખત્યાર સંભાળ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે જો પરમ કૃપાળુ પરમાત્માની કૃપા હશે તો આ મુંબઈ શહેરનું નામ એક દિવસ આખા દેશમાં ગાજતું થશે. અને તેમણે આશા અપેક્ષા રાખ્યાં હતાં તેમ ખરેખર ઈશ્વરના આશીર્વાદ મુંબઈ ઉપર ઊતર્યા અને તેનું નામ માત્ર દેશમાં જ નહીં પણ આખી દુનિયામાં ગાજતું થયું. ૮૦ હજારની વસ્તીવાળું એ મુંબઈ શહેર ઓન્ગીઆરે પોતાની પાછળ છોડ્યું. આજે તેઓ મુંબઈમાં એક લટાર મારવા આવે તો? મહાકવિ પ્રેમાનંદના આખ્યાન કાવ્ય ‘સુદામાચરિત’ના સુદામાની જેમ તેમના મુખમાંથી પણ આજના મુંબઈને જોઈને આ શબ્દો કદાચ સરી પડે:
કનક કોટ ઝળકારા કરે, માણેક-રત્ન જડ્યાં કાંગરે.
શોભે હાટ, ચહુટાં ને ચોક, રાજે છજાં, ઝરૂખા, ગોખ;
જાળી, અટાળી, મેડી, માળ, જડિત્ર કઠેરા ઝાકઝમાળ.
ઝલકે કામ ત્યાં મીનાકારી, અમરાપુરી નાખું ઓવારી.
XXX XXX XXX
email : deepakbmehta@gmail.com
(પ્રગટ : “ગુજરાતી મિડ ડે”, 31 ઑગસ્ટ 2019)