કવિ રાજેન્દ્ર શાહની કવિતાઓ એ ગુજરાતી સાહિત્યને મળેલું અમૂલ્ય યોગદાન અને વારસો કહી શકાય. કવિવર રવીન્દ્રનાથ ટાગોરથી પ્રભાવિત અને સંસ્કૃતની છાંટ ધરાવતી, રાજેન્દ્ર શાહની કવિતાઓમાં પ્રકૃતિપ્રેમ, પ્રણય, અધ્યાત્મ અને રોજ-બ-રોજની જિંદગીની છણાવટ જોઈ શકાય છે. અનુ-ગાંધીયુગના આ કવિની કવિતાઓમાં, નરસિંહ મહેતા, કબીર અને અખા જેવા આદિ કવિઓની પણ ઝાંખી જોવા મળે છે.
માનવી પાસે બધું જ હોય, છતાં ય હજુ વધારે કંઈક મેળવવાની અભિલાષા છૂટતી નથી હોતી. એ ન તો જે હોય તે ભોગવી શકે છે, ન તો સઘળું પામી શકે છે. માનવીનો 'નિંદા-કૂથલી' કરવાના સ્વભાવને પણ કવિ આ કવિતામાં આવરી લેવાનું ચુક્યા નથી.
પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં
પોયણીએ ઊચું જોયું રે આકાશમાં,
કોણને એ મ્હોતી,
ને નેણભરી જોતી,
શું જાણ એને ન્હોતી,
– કે ચાંદલો બંધાણો પાણી ના પાશ માં – પોયણી૦
તમરાં એ ગાન મહીં,
વાયરા ને કાન કહી,
વન વન વાત વહી,
ઢૂંઢતી એ કોને એ આટલા ઉજાશમાં? – પોયણી૦
અંકમાં મયંક છે,
ન તોય જરી જંપ છે,
અંગમાં અનંગ છે,
શી બ્હાવરી બનેલ અભિલાખ નાં હુતાશમાં! – પોયણી૦
રાજેન્દ્ર શાહ મૂળે તો 'કવિ પ્રકૃતિ'ના માણસ. એ એમની કવિતાઓમાં છંદ છાંટે એ સ્વાભાવિક વાત છે, પણ વાત જ્યારે 'પ્રેમનાં છંદ'ની આવે તો? 'પ્રેમનાં છંદ' જેવો શબ્દ તો કદાચ આ કવિની કલમે જ અવતરે.
કોઈ લિયો આંખનું અંજન,
નહીં કાળવું કાજલ,
સુરમો નહીં,
નહીં દરિયાજલા,
અરે આંજવા
નહીં શલાકા,
નહીં આંગળી,
નહીં જોઈએ બાદલ,
એવો એનો ઈલમ,
પાણીનું મીન,
અને નભખંજન,
એનો અમલ અહીં.
કંઈ દૂર ન
વિરાટ તે વડપર્ણ
અહીં
સોણલાં સમયપરાં
શાશ્વત પૂનમનો વર્ણ,
જુઓ પ્રેમનો છંદ,
મધુર અકળામણ ને મનોરંજન.
રાજેન્દ્ર શાહની કવિતાઓની એક એ પણ ખાસિયત છે કે એમની કવિતાઓ જેટલી પ્રકૃતિવિષયક લાગે છે, તેટલી જ માનવવિષયક પણ લાગે છે. એ પારકી છતાં ય પોતીકી લાગે છે. ક્યારેક એમની એક જ કવિતામાં એક કરતાં વધુ અર્થો પણ તરવાય છે.
'ક્ષિતિજે સૂર્ય,
અહીં ઓસનાં અંગે,
રંગ અપૂર્વ'
કવિએ અહીં થોડા જ શબ્દોમાં કેટલું બધું કહી નાખ્યું છે!
પ્રકૃતિ ને આબેહૂબ આલેખનાર કવિ, પ્રણયની અનુભૂતિ આલેખવાથી શીદને છેટા રહે !
'સંગમાં રાજી રાજી'
સંગમાં રાજી રાજી
આપણ
એક-બીજાનાં સંગમાં રાજ રાજી,
બોલવા ટાણે હોઠ ખૂલે નહિં,
નેણ તો રહે લાજી,
લેવાને જાય, ત્યાં જીવન
આખુંય તે ઠલવાય!
દેવાને જાય, છલોછલ,
ભરિયું શું છલકાય!
એવા એ
આપ-લે ને અવસરિયે પાગલ,
કોણ રહે, કહે પાજી?
વીતેલી વેળની કોઈ,
આવતી ઘેરી યાદ,
ભાવિનાં સોણલાંનોયે
રણકે ઓરો સાદ,
અષાઢી
આભમાં વાદળ વીજ શા વારિ,
ઝરતાં રે જાય ગાજી!
કોઈ પણ કવિની કવિતા એ શબ્દોનો મેળાવડો માત્ર નથી જ. જે-તે વ્યક્તિની કવિતામાં શબ્દોના – એમનાં વિચારોનાં ઉંડાણ અનુભવો − વ્યક્તિત્વ અને ઇચ્છાઓનો સમન્વય પણ જોવા મળે છે.
એક ફિલસૂફી કે આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો 'જીવ' એ શું છે? એ તમે કે હું કોઇ જ નહીં, ફક્ત એક આત્મા – અનંત અંતરનો પ્રવાસી છે.
પ્રકૃતિ ને મન ભરીને માણનારા કવિ પ્રકૃતિનાં સૌન્દર્યની સાથે સાથે આત્મિક સૌન્દર્યને પણ એમનાં કાવ્યમય મિજાજમાં વણવાનું ચૂક્યા નથી.
'પ્રવાસી'
પ્રવાસી છું ભીતરના અસીમનો,
ને હું મનોવેગ ધરંત વાંછિત,
છતાંય જાણે અહીંનો અહીં સ્થિત,
ન ભેદ મારે ગતિ ને વિરામનો.
લહું ઘણું ને ઘણું ય અલક્ષિત,
રહી જનું સૂચિત થાય ઈંગિતે,
અજાણ નો આદર હું કરું સ્મિતે,
પળે પળે નૂતન છે અપેક્ષિત.
આવી મળે તે મુજમાં સમન્વિત,
ને સંચરું તે પથ જે તિરોહિત.
કવિની કવિતાઓમાં વધારે ખાસ વાત એ છે કે એમનાં શબ્દોમાં ખાસ એક હકારત્મક અભિગમ રહ્યો એ. પોતાનાં મૃત્યુની વાતને પણ કવિ 'ખોળિયું બદલવાનો ઉત્સવ' તરીકે વર્ણવે છે . જ્યાં સુધી જીવ છે, સંસારમાં છીએ, ત્યાં સુધી સંપૂર્ણપણે સ્વાર્થ, મોહ માયાનાં બંધનમાંથી મુક્ત થવાતું જ નથી, પણ આ બંધન ક્યારેક તો સંકેલવા જ રહ્યાં! સાવ સહજ .. અને નિરુદ્દેશે!
'નિરુદ્દેશે '
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ,
પાંશુ મલિન વેશે,
ક્યારેક મને આલિંગે છે,
કુસુમ કેરી ગંઘ,
ક્યારેક મને સાદ કરે છે,
કોકિલ મધુર કંઠ,
નેણ તો ઘેલાં થાય નિહાળી
નિખિલના સૌ સંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું,
પ્રેમ ને સન્નિવેશ.
પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાંજ રચું મુજ કેડી,
તેજ છાયા તણે લોક ,પ્રસન્ન,
વીણા પર પૂરવી છેડી.
એક આનંદના સાગર ને જલ,
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સંગે હું જ રહું અવશેષે.
e.mail : dhwanibhatt1212@gmail.com
('ગુજરાતી સાહિત્ય અકાદમી'ના માસિકી કાર્યક્રમ 'કાવ્યચર્યા'માં, રાજેન્દ્ર શાહના શતવર્ષી અવસરે, શનિવાર, 06 અૅપ્રિલ 2013ના દિવસે, લંડનમાં કરાયેલી રજૂઅાત)
![]()


'નીરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુમલિન વેશે, નીરુદ્દેશે.' − ગુજરાતી ભાષાની એક ઉત્તમ કવિતાનાં આ શબ્દો છે અને એનાં કવિ છે રાજેન્દ્ર શાહ. રાજેન્દ્ર શાહનો જન્મ તા. 28-1-1913ના રોજ ખેડા જિલ્લાનાં કપડવંજ ગામે થયો હતો. રાજેન્દ્રભાઈએ અમદાવાદમાં શાળામાં શિક્ષક તરીકે, પછી જ્યોતિસંઘમાં, અને ત્યારબાદ મોદીખાનાની નોકરી પણ કરી છે. મુંબઈમાં તેમણે 1955માં લિપિની પ્રિન્ટરી નામે પ્રેસ ચાલુ કર્યું હતું. તેમાંથી તેમણે ગુજરાતી કવિતાનાં પ્રથમ દ્વિમાસિક "કવિલોક"ની શરૂઆત કરી, અને વર્ષો સુધી તેનું સંપાદન પણ કર્યું હતું.
1951માં એમનો 'ધ્વનિ' નામે પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો, અને ત્યારપછી તો અનેક માતબર કાવ્યો લખનારા આ કવિના 19 જેટલા કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. કાવ્યો ઉપરાંત તેમણે જયદેવનાં 'ગીત-ગોવિંદ' તથા ડેન્ટીની 'ડિવાઈન કૉમેડી'નાં અનુવાદ પણ કર્યાં છે. એમનાં કાવ્યોને વાંચતા લાગે કે શબ્દ રાજેન્દ્ર શાહને વશ વર્તે છે. તેઓ શબ્દ પાસેથી ધારેલું કામ કઢાવી શકે છે. આપણી ગુજરાતી ભાષાના લગભગ બધા જ પુરસ્કાર ઉપરાંત, ભારતદેશના સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કારથી પણ, રાજેન્દ્ર શાહને નવાજવામાં આવ્યા છે.
અા શાનદાર શહેરમાં એક પંજાબી શાયર હતા. નામ હતું ઉસ્તાદ દામન. એ એક સારા દરજી હતા, અાપણા સુરતના ગોપી પરાવાળા ગની દહીંવાળા જેવા. ગનીભાઈ સિદ્ધહસ્ત કવિ હતા. તેમની કેટલીક ગઝલો તો અભૂતપૂર્વ ગણાય છે. અનોખી શૈલી, અદ્દભુત ખયાલ ! ગનીભાઈ અને ઉસ્તાદ દામનમાં કેટલુંક મળતાપણું હતું. એ બન્ને ખુશમિજાજ, યારોના યાર અને દુનિયાથી બેપરવા હતા. ઉસ્તાદ દામનની લાહોરમાં ટેલરિંગ શોપ હતી, જે 1947માં ઉપખંડને અાઝાદી મળી ત્યારે વિરોધીઅોએ બાળી નાખી હતી. કહે છે કે અા અાગમાં કપડાંભેગું, તેમનું ઘણું સાહિત્ય પણ બળી ગયું હતું. અા ઘટનાના તીવ્ર અાઘાતે તેમને વિરક્ત કરી નાખ્યા હતા. અને ત્યાર પછી તેમણે કલંદરાના જિંદગી ગુજારી હતી. 1984માં તેમની વફાત થઈ હતી.
મતલબ કે મનુષ્યએ તેની શક્તિને પરખવી જોઈએ, તેના પર ભરોસો કરવો જોઈએ અને કમ્મર કસીને અાગેકૂચ કરવી જોઈએ. જાણવું જોઈએ કે જ્યાં ગતિ ત્યાં પ્રગતિ, જ્યાં હિમ્મત ત્યાં સરજત ! સંઘર્ષ વિશે ને હામ – હિમ્મત બાબત ફયઝ અહમદ ફયઝ શું કહે છે ?