'નીરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુમલિન વેશે, નીરુદ્દેશે.' − ગુજરાતી ભાષાની એક ઉત્તમ કવિતાનાં આ શબ્દો છે અને એનાં કવિ છે રાજેન્દ્ર શાહ. રાજેન્દ્ર શાહનો જન્મ તા. 28-1-1913ના રોજ ખેડા જિલ્લાનાં કપડવંજ ગામે થયો હતો. રાજેન્દ્રભાઈએ અમદાવાદમાં શાળામાં શિક્ષક તરીકે, પછી જ્યોતિસંઘમાં, અને ત્યારબાદ મોદીખાનાની નોકરી પણ કરી છે. મુંબઈમાં તેમણે 1955માં લિપિની પ્રિન્ટરી નામે પ્રેસ ચાલુ કર્યું હતું. તેમાંથી તેમણે ગુજરાતી કવિતાનાં પ્રથમ દ્વિમાસિક "કવિલોક"ની શરૂઆત કરી, અને વર્ષો સુધી તેનું સંપાદન પણ કર્યું હતું.
1951માં એમનો 'ધ્વનિ' નામે પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો, અને ત્યારપછી તો અનેક માતબર કાવ્યો લખનારા આ કવિના 19 જેટલા કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. કાવ્યો ઉપરાંત તેમણે જયદેવનાં 'ગીત-ગોવિંદ' તથા ડેન્ટીની 'ડિવાઈન કૉમેડી'નાં અનુવાદ પણ કર્યાં છે. એમનાં કાવ્યોને વાંચતા લાગે કે શબ્દ રાજેન્દ્ર શાહને વશ વર્તે છે. તેઓ શબ્દ પાસેથી ધારેલું કામ કઢાવી શકે છે. આપણી ગુજરાતી ભાષાના લગભગ બધા જ પુરસ્કાર ઉપરાંત, ભારતદેશના સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કારથી પણ, રાજેન્દ્ર શાહને નવાજવામાં આવ્યા છે.
કવિનો મુખ્ય ઉદ્દેશ એ કાવ્ય છે. અને રાજેન્દ્ર શાહનાં કાવ્યોમાં એ ઉદ્દેશ સંપૂર્ણપણે સાર્થક થતો લાગે છે. કુદરતની સુંદરતા, ગ્રામ્યજીવન અને આધ્યાત્મિક ચિંતન એ એમનાં પ્રિય વિષયો છે. મેં જે કાવ્યો અહીં પસંદ કર્યાં છે, એમાં તેમની આ ભાવસૃષ્ટિને આવરી લેવાની કોશિશ કરી છે.
સુરેશ દલાલે એમનાં વિષે કહ્યું છે કે ‘એમનાં ગીતોમાં જયદેવનું લય લાવણ્ય છે, તો સાથે છે બંગાળી ભાષાનો છાક અને છટા, વ્રજભાષાનું માધુર્ય પણ છે તો સાથે છે તળપદા લય અને લહેકાઓ.’ પ્રસ્તુત કાવ્યમાં કુદરતની મસ્તિનો ઊર્મિ હિલ્લોળ કવિએ વ્યકત કર્યો છે. તળપદી વાણીમાં તેમણે લોકબોલીનાં સાહજિક ઉદ્દગારોને સુંદર રીતે વણી લીધાં છે.
પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો
સોહ્ય છે રે ઝાઝો સવારથીય સાંજરો
ઝાકળિયે બેસું હું તોય રે બપોર લાગે
આસો તે માસના અકારા,
આવડા અધિકડા ન વીત્યા વૈશાખના
આંબાની ડાળ ઝૂલનારા;
હું તો
અંજવાળી રાતનો માણું ઉજાગરો
પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો.
કોસના તે પાણીના ઢાળિયાનું વ્હેણ મને
લાગે કાલિંદરી જેવું,
આંબલીની છાંય તે કદંબની જણાય મારા
મનનું તોફાન કોને કે’વું ?
મેં તો
દીઠો રાધાની સંગ ખેલતો સાંવરો :
પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો.
રાજેન્દ્ર શાહ સૌંદર્યલક્ષી કવિતાના કવિ છે. એમનાં કાવ્યોમાં પ્રકૃતિવર્ણનની પ્રસન્નતા અને મધુરતા જોવા મળે છે. એમાં પ્રકૃતિની ભવ્ય જાહોજલાલી છે. તેઓ કુદરતી સૌંદર્યની આબેહૂબ અભિવ્યક્તિ કરી શકે છે. જાણે એક સુંદર ચિત્ર નજર સામે ખડું થતું અનુભવી શકાય છે. હવેનાં કાવ્યમાં કવિ પ્રકૃતિને માણવામાં એટલાં તલ્લીન થઈ જાય છે કે બીજું બધું જ ભૂલી જાય છે.
— સઘળું જાય ભુલાઈ —
આમ તો ગમે ગલગોટો ને ગમતાં કરેણ જાઈ,
નીલ સરોવર કમલ જોતાં સઘળું જાય ભુલાઈ
કોઈની મીઠી મ્હેક ને
ગમે કોઈનું મધુર ગાન,
કોઈનો વળી ઝલમલ કંઈ
ગમતો રૂડો વાન;
ભમતો ભ્રમર સઘળે સતત નિજનું ગાણું ગાઈ
તેજની છોળે ખેલવા મળે
અહીં, ને નયન અંધ,
મુગતિ કેરી મોજ મળે કોઈ
દલને કોમલ બંધ;
મધને અમલ ઘૂંટડે પીધી જાય રે અખિલાઈ
આધ્યાત્મિક ચિંતન એમની કવિતાનું પ્રાણતત્ત્વ છે. પોતાની કવિતા વિષે વાત કરતાં કવિ કહે છે કે ‘મને કવિતાનું સ્ફુરણ એકાંતમાં થાય છે. કવિતાને હું જોઈ શકતો આખે-આખી, સાંભળી શકતો અને મારું ઉતારી લેવાનું કામ રહેતું. ગમે તે સ્થિતિની અંદર હું એકાંતમાં જઉં એટલે કવિતા સ્ફુરે. તો ગીતામાં જે સમત્વ યોગ કહ્યો છે, તે સમત્વયોગની સાધનાની અંદર મારી કવિતાએ પૂર્તિ કરી છે.’ આવી જ રીતે સ્ફુરી હોય તેવી આ એક કવિતા :
— કાયાને કોટાડે બંધાણો —
કાયાને કોટાડે બંધાણો
અલખ મારો લાખેણા રંગમાં રંગાણો.
કોઈ રે જ્યાં ન્હોતું ત્યારે નિજ તે આનંદ કાજે
ઝાઝાની ઝંખના કીધી.
ઘેરાં અંધારેથી મૂંગી તે શૂન્યતાને
માયાને લોક ભરી લીધી.
અનાદિ અંકાશકેરી અણદીઠ લ્હેરુંમાંયે
રણૂકી રહ્યો રે ગીત-છંદે,
અંગડે અડાય એને, નયને લહાય એવો
પરગટ હુઓ રે ધૂળ-ગંધે.
નજરુંનો ખેલ એણે રચ્યો ને જોનારથી જ્યાં
અળગો સંતાણો અણજાણ્યો,
જાણ રે ભેદુએ જોયો નિજમાં બીજામાં, જેણે
પોતે પોતાનો સંગ માણ્યો.
અલખ મારો લાખેણા રંગમાં રંગાણો.
રાજેન્દ્ર શાહ આવાં અનેક સત્ત્વશાળી કાવ્યોનાં સર્જક છે. તેમણે ઉત્તમ ગીતો અને કાવ્યો ઉપરાંત 'આયુષ્યનાં અવશેષે' નામે સોનેટ સંગ્રહ પણ આપ્યો છે. આ સોનેટમાળા એ માત્ર એમની જ નહીં, પણ સમગ્ર ગુજરાતી ભાષાની સિદ્ધિ પ્રસિદ્ધિ છે. એમાંથી એક સોનેટ, નામ છે ઘર ભણી.
ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની,
વિજન પથને ચીલે ચીલે તમિસ્ત્ર મહીં ઘન;
સ્વપન મધુરી નિદ્રાનું તે દગોમહીં અંજન
ભરતી ઘૂઘરી ઘોરી કેરી મીઠા રણકારથી.
ચરમ પ્રહરે ઠંડી ધીમા સમીરમહીં ભળી,
સ્મૃિતદુખ મને વ્યાપે તેવી બધે પ્રસરી રહી.
લઘુક દીવડે સૂતી સીમા બધી બનતી લહી
સજગ, તમ-ને ઓઢી પાછું જતી પડખું ફરી.
પથ-તરુ તણા નીડે પંખી ક્યહીં ફરકે અને
કદીક અથવા તારો કોઈ ખરે, બસ એટલું
કળિત બનતું, ત્યાંયે ઊંડા મને કરણો સહુ
કણકણની આ માટી કેરી કથા નીરખી રહે.
જનમ-સ્થલની ઝાંખી આયુષ્યની અવધે કરું,
ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરું.
કવિ જેટલાં કાવ્યોમાં ખીલે છે, એટલાં જ ગીતોમાં ખીલે છે. જેટલી સરળતાથી એ છંદને લહેતો મૂકી શકે છે, એટલી જ સરળતાથી એ ગાનને પણ વહેતું મૂકી શકે છે. તેમનાં ગીતોમાં એક જુદાં જ પ્રકારની લયસૃષ્ટિનો અનુભવ થાય છે. શબ્દનાં લય હિલ્લોળ માટેની ચિવટ દાદ માંગી લે એવી છે. સાહજિક લય-લહેકાંઓમાં તેમનાં ગીતો વધુ સરળ લાગે છે. કવિએ પ્રણય, મિલન અને જુદાઈને સુંદર રીતે ગાઈ છે. એવાં બે સુંદર ગીતો.
1. કેવડિયાનો કાંટો
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે;
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે !
બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ,
કેર-થોરના કાંટા અમને
કાંકરિયાળી ધૂળ;
આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે !
તાવ હોય જો કડો ટાઢિયો
ક્વાથ કુલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી વેતરીએ;
રૂંવેરૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે !
2. નીંદરું આવશે મોડી
શિયાળુ સાંજની વેળ છે થોડી;
હાલ્યને વાલમ ! આંચને આધાર ખેલીએ આપણ
નીંદરુ આવશે મોડી.
ચીતરી મેલી ચોસર મ્હોરાં, સોહ્ય છે રૂડે રંગ,
ધોળિયો પાસો ઢાળિયે, જો'યે કોણ રે જીતે જંગ,
આબરૂ જેવી આણજે થાપણ,
ગઠરીની મેં'ય ગાંઠને છોડી,
હાલ્યને વાલમ ! ખેલીએ આપણ
નીંદરુ આવશે મોડી.
નેણથી તો નેણ રીઝતાં ને કાન, વેણની એને ટેવ,
વાત કીજે એલા કેમ રે ભેટ્યાં, ભીલડીને મા'દેવ.
કોણ ભોળું, કોણ ભોળવાયું,
જે કાળજાં રહ્યાં વ્હાલથી જોડી,
હાલ્યને વાલમ ! ખેલીએ આપણ
નીંદરુ આવશે મોડી.
આપણી કને હોય તે બધું, હોડમાં મૂકી દઈ,
હાર કે જીત વધાવીએ આપણ, એકબીજાનાં થઈ,
અરધી રાતનું ઘેન ઘેરાતાં,
ઓઢશું ભેળાં એક પિછોડી;
હાલ્યને વાલમ ! ખેલીએ આપણ
નીંદરુ આવશે મોડી.
કવિનો છેક 1951માં પ્રથમ કાવ્યસંગ્રહ 'ધ્વનિ' આવ્યો, ત્યારથી એમની કાવ્યસાધના અવિરત અને ઉત્તમ રીતે ચાલતી રહી છે. આટ-આટલું વિપુલ કાવ્યસર્જન કર્યું હોવા છતાં ય તેમનું દરેક કાવ્ય એક નવું પોતીકું વાતવરણ લઈને આવે છે. તેમનાં માટે મનુષ્યનાં જીવનનાં સુખ દુ:ખને આલેખવું સાવ સહજ છે. આ કાવ્યમાં કવિ મનુષ્ય જે રીતે ભૂતકાળની ઘટનાઓનાં પોટલાંઓ લઈને ફરે છે, એનું આબેહૂબ વર્ણન કરે છે. કવિ કહે છે કે એ બોજ આપણી યાત્રાનો આનંદ ઓછો કરી નાખે છે, અને પછી જ્યારે આપણા અંતરનાં બારણા ખૂલે છે, ત્યારે પગને જાણે પાંખ ફૂટે છે અને કોઈ જ અંતર રહેતું નથી તો પછી પ્રયાણ શેનું? એ તો ખાલી સ્વપ્ન.
— ફગાવીને બોજ —
શિર પર ઉપાડીને આટલો આ ભાર જાઉં કહીં ?
કહીં મારું ચિરંતન ધામ ?
પથ શેષ નહિ, યાત્રાનો નહિ વિરામ,
કેડીએ કેડીએ તરુછાયા, વનફલ.
ઝરણ-વિમલ જલ,
ટહુકંત સીમ ભરી ભરી રહું લહી.
જોયું તે ન જોયું કંઈ, સુણ્યું તે ન સુણ્યું કર્યું, એમ
આજ લગી ખોવાયેલું હતું કહીં મન ?
નિરંતર અભાવનું આકુલ આક્રંદ !
નીજી કોલાહલ કંઈ ધીમો
થતા, દૂરનો ય સુણાય રે સૂર ઝીણો,
અમાસને અંધકાર અરુંધતીનું લાવણ્યે સોહાયને તેમ.
રહી રહી મારા પર હું જ હવે હસું.
જતને ધરેલ બોજ
ફગાવીને ખાલીપાની માણી રહું મોજ;
પગને શું ફૂટી જાણે પાંખ !
આકાશની નીલિમાની યે નડે ન ઝાંખ !
અનંત ને અગોચર જાણે નહિ દૂર એક તસુ.
ક્યાંય કશું રહે ન અંતર,
પ્રયાણ આ કેવળ સ્વપન
મનોમન !?
જે હો તે હો.
અવકાશમય બની રહેલને નાદ સંગ નેડો,
આપમેળે બાજી રહે ઝીણેરું જંતર.
છેલ્લે, એમની એક પ્રેમભરી, પણ જાજરમાન રચના માણવી છે. ભારતની સુંદર ઓળખ આપતું આ ગીત છે. આ ગીતમાં કવિ દેશભક્તિનો અતિરેક કર્યા વગર, માત્ર આનંદમાં આવી, એનું ગાન કરે છે. વારંવાર ગાવું, સાંભળવું ગમે એવું આ ગીત છે.
— પુણ્ય ભારતભૂમિ —
જયતુ જય જય પુણ્ય ભારતભૂમિ, સાગર, અંબર,
જયતુ જય જય ઋતુ-અધીશ્વર, જય વિધાતૃ, શિવંકર.
જય ઉદયગિરિ પર ભર્ગ સુંદર
ઉદિત સ્વર્ણિમ સૂર્ય હે,
જય શાન્ત કૌમુદી-ધવલ-યામિની
વિધુ સુધારસ પૂર્ણ હે;
જયતુ જય જય દિવ્યગણ, મુનિવર, દ્યુતિર્ધર, કિન્નર,
જયતુ જય જય પુણ્ય ભારતભૂમિ, સાગર, અંબર.
જહીં સત્ય, નિર્મલ ચિત્ત, ધર્મ
નિ:શંક, નિરલસ કર્મ હે,
જહીં હૃદય-મનનો મેળ, સંગ
નિ:સંગ, પ્રેમલ મર્મ હે;
જયતુ જય જય સભર જીવન સ્થિતિ ગતિમય મંથર,
જયતુ જય જય પુણ્ય ભારતભૂમિ, સાગર, અંબર.
જય નિમ્ર ઉન્નત, ક્ષુદ્ર ઊર્જિત,
એક સંહતિ, સર્વ હે,
જય નિખિલ વ્યાપ્ત પ્રસન્નતામય
નિત્યનૂતન પર્વ હે;
જયતુ જય જય ગત અનાગત, ક્ષણ વિવર્ત નિરંતર,
જયતુ જય જય પુણ્ય ભારતભૂમિ, સાગર, અંબર.
Audio Link: https://soundcloud.com/shahnirajs/jayatu-jay-jay-rajendra-shah
આવા આપણી ભાષાના એક ઉત્તમ કવિને, એમનાં કંઠે સાંભળવા એ પણ એક લાહવો છે. કાવ્યપઠનનાં જાહેર કાર્યક્રમમાં વાંચેલા એમનાં કાવ્યોનું આ જે ધવ્નિમુદ્રણ છે, એ પ્રમાણમાં થોડું નબળું છે. પણ મહત્ત્વ છે એમનાં અવાજનું, એમનાં કાવ્યોનું.
Audio Link: https://soundcloud.com/shahnirajs/rajendra-shah-poems
— ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? —
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર !
ભારનુ વાહન કોણ બની રહે? નહી અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.
જલભરી દગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.
આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.
— આપણા ઘડવૈયા બાંધવ ! આપણે. —
આપણે આવળ બાવળ બોરડી,
કેસરઘોળ્યા ગલના ગોટા જી;
હલકાં તો પારેવાંની પાંખથી
મ્હાદેવથીયે પણ મોટાજી,
આપણા ઘડવૈયા બાંધવ ! આપણે.
કોઈ તો રચે છે વેળુ છીપથી,
કોઈ તો જળને હિલ્લોળ જી;
મરજીવો ઊતરે મ્હેરામણે,
માથા સાટે મોતી-મોલ જી.
નજરું ખૂંપી છે જેની ભોંયમાં,
સામે પૂર એ શું ધાય જી !
અધીરા ઘટડાનો ઘોડો થનગને,
અણદીઠ ઓરું એને પાય જી.
બેઠેલાનું બેઠું રહે વિમાસણે,
વેળા જુએ નહિ વાટ જી;
ઝાઝેરો ઝૂક્યો છે આંબો સાખથી,
વેડે તેને આવે હાથ જી.
પંડની પેટીમાં પારસ છે પડ્યો,
ફૂટલાં ફૂટે છે કરંમ જી.
વાવરી જાણે તે બડભાગિયો,
ઝળહળ એના રે ભવંન જી.
— બોલીએ ના કંઈ —
બોલીએ ના કંઈ,
આપણું હૃદય ખોલીએ ના કંઈ, વેણને રહેવું ચૂપ;
નેણ ભરીને જોઈ લે, વીરા!
વ્હેણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ!
વનવેરાને મારગ વિજન,
સીમ જ્યાં સૂની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન;
ગામને આરે હોય બહુજન,
લખનો મેળો મળીઓ રે ત્યાં કોણને કોની તાન?
માનમાં જવું એકલ વીરા!
તારલિયો અંધાર કે ઓઢી રણનો દારુણ ધૂપ!
આપણી વ્યથા,
અવરને મન રસની કથા, ઈતર ના કંઈ તથા.
જીરવી અને જાણીએ, વીરા!
પ્રાણમાં જલન હોય ને તો યે ધારીએ શીતલ રૂપ!
•
('ગુજરાતી સાહિત્ય અકાદમી'ના માસિકી કાર્યક્રમ 'કાવ્યચર્યા'માં, રાજેન્દ્ર શાહના શતવર્ષી અવસરે, શનિવાર, 06 અૅપ્રિલ 2013ના દિવસે, લંડનમાં કરાયેલી રજૂઅાત)
e.mail : shahnirajb@gmail.com
![]()


અા શાનદાર શહેરમાં એક પંજાબી શાયર હતા. નામ હતું ઉસ્તાદ દામન. એ એક સારા દરજી હતા, અાપણા સુરતના ગોપી પરાવાળા ગની દહીંવાળા જેવા. ગનીભાઈ સિદ્ધહસ્ત કવિ હતા. તેમની કેટલીક ગઝલો તો અભૂતપૂર્વ ગણાય છે. અનોખી શૈલી, અદ્દભુત ખયાલ ! ગનીભાઈ અને ઉસ્તાદ દામનમાં કેટલુંક મળતાપણું હતું. એ બન્ને ખુશમિજાજ, યારોના યાર અને દુનિયાથી બેપરવા હતા. ઉસ્તાદ દામનની લાહોરમાં ટેલરિંગ શોપ હતી, જે 1947માં ઉપખંડને અાઝાદી મળી ત્યારે વિરોધીઅોએ બાળી નાખી હતી. કહે છે કે અા અાગમાં કપડાંભેગું, તેમનું ઘણું સાહિત્ય પણ બળી ગયું હતું. અા ઘટનાના તીવ્ર અાઘાતે તેમને વિરક્ત કરી નાખ્યા હતા. અને ત્યાર પછી તેમણે કલંદરાના જિંદગી ગુજારી હતી. 1984માં તેમની વફાત થઈ હતી.
મતલબ કે મનુષ્યએ તેની શક્તિને પરખવી જોઈએ, તેના પર ભરોસો કરવો જોઈએ અને કમ્મર કસીને અાગેકૂચ કરવી જોઈએ. જાણવું જોઈએ કે જ્યાં ગતિ ત્યાં પ્રગતિ, જ્યાં હિમ્મત ત્યાં સરજત ! સંઘર્ષ વિશે ને હામ – હિમ્મત બાબત ફયઝ અહમદ ફયઝ શું કહે છે ?
‘ઝટ્ટ ડોળિ નાંખો રે, મનજળ થંભ થયેલું’
ઓગણીસમી સદીના સાહિત્યના વિવેચન વિશે વાત કરતાં સૌથી પહેલી જરૂર જણાય છે તે ઓગણીસમી સદીના પૂર્વાર્ધ પર સવિશેષ ધ્યાન આપીને એ સમયગાળામાં પ્રગટ થયેલાં પુસ્તકો અને સામયિકોના મહત્ત્વને સમજવાની અને સ્વીકારવાની. આપણા સાહિત્યમાં અર્વાચીન યુગની શરૂઆત નર્મદ-દલપતનાં લખાણોથી જ થઈ એવી માન્યતા આપણા વિવેચનમાં ઘર કરી ગઈ છે. નર્મદ અને દલપત એ આપણા સાહિત્યના અર્વાચીન યુગના બે મુખ્ય અને મહત્ત્વના પુરસ્કર્તા ખરા, પણ સમય દૃષ્ટિએ પહેલા પુરસ્કર્તા નહીં. અર્વાચીનતાનાં વૃત્તિવલણોનો સીધો સંબંધ બે સાહિત્યેતર ઘટનાઓ સાથે રહેલો છે. કાળક્રમે જોતાં આમાંની પહેલી ઘટના તે મુદ્રણનું આગમન અને બીજી ઘટના તે બ્રિટીશ પદ્ધતિના શાળા-શિક્ષણની અને પછી ઉચ્ચ શિક્ષણની શરૂઆત. આ શરૂઆત ૧૯મી સદીના પૂર્વાર્ધમાં મુંબઈમાં થઈ. ૧૮૦૮માં પહેલવહેલું છપાયેલું ગુજરાતી પુસ્તક મુંબઈમાં છપાઈને પ્રગટ થયું ત્યારથી ૧૮૫૨ સુધીમાં આપણી ભાષામાં ઓછામાં ઓછાં ૩૦૦ પુસ્તકો પ્રગટ થયાં હતાં. તેમાંનાં મોટા ભાગનાં પદ્યમાં નહીં, ગદ્યમાં લખાયેલાં હતાં. અને છતાં અર્વાચીન ગુજરાતી ગદ્યની શરૂઆત ૧૮૫૦માં પ્રગટ થયેલા દલપતરામના ‘ભૂત નિબંધ’થી કે ૧૮૫૧માં પ્રગટ થયેલા નર્મદના નિબંધ ‘મંડળી મળવાથી થતા લાભ’થી થઈ, એમ આપણે વર્ષોથી માનતા-મનાવતા આવ્યા છીએ. વાત જો સર્જનાત્મક ગદ્યની જ કરવાની હોય તો તો આ બંને કૃતિઓનું ગદ્ય પણ સર્જનાત્મક ગદ્ય નથી જ. હકીકતમાં અર્વાચીન ગુજરાતી ગદ્યનો આરંભ ૧૮૫૦ કરતાં ઘણો વહેલો પારસીઓ, પાદરીઓ, અને પરદેશી અમલદારોને હાથે થઈ ચૂક્યો હતો. અલબત્ત, તેમાંનું ઘણુંખરું ગદ્ય કાં અનુવાદ માટે, કાં ધર્મપ્રચાર માટે, કાં શાલેય શિક્ષણ માટે પ્રયોજાયું હતું, પણ તેથી એ અર્વાચીન ગદ્ય નહોતું એમ કેમ કહી શકાય? પણ આપણા સાહિત્યના ઇતિહાસમાં થોડા અપવાદોને બાદ કરતાં આપણે પારસીઓ, પાદરીઓ, અને પરદેશીઓના પ્રદાનની તો અવગણના જ કરી છે. ૧૮૪૪માં સુરતથી પ્રગટ થયેલા ‘પિલગ્રિમ્સ પ્રોગ્રેસ’ના અનુવાદ ‘યાત્રાકરી’નો અને અનુવાદક ફાધર વિલિયમ ફ્લાવરનો ઉલ્લેખ આપણા સાહિત્યના ઇતિહાસમાં ક્યાંય જોવા નહીં મળે. ચાલો, એ તો અનુવાદ હતો, પણ ૧૮૪૪માં જ પૂરાં સાતસો પાનાંમાં કાવસજી સોરાબજી કાવસજી પટેલે ‘ચીનનો અહેવાલ’ નામનું પ્રવાસ વર્ણનનું પુસ્તક મુંબઈથી પ્રગટ કરેલું. તેની વાત કોઈએ કરી છે? કરીએ તો તો પછી નર્મદ-દલપતનો ગદ્યના પ્રારંભક હોવાનો હક્ક લૂંટાઈ જાય ને? પણ ખુદ નર્મદે પોતે ગુજરાતી ગદ્યને જન્મ આપ્યાનું માન કેપ્ટન જર્વિસને આપ્યું છે અને ૧૮૨૮ના વરસથી ‘ગદ્યમાં લખવાનું શરૂ થયું’ એમ કહ્યું છે. પણ આ કેપ્ટન જર્વિસ કોણ હતો, એણે શું શું લખેલું એની ભાળ મેળવવાનો પ્રયત્ન કોણે કર્યો છે? ૧૮૬૭માં પ્રગટ થયેલા અભિજ્ઞાન શાકુંતલ નાટકના ઝવેરીલાલ યાજ્ઞિક અને દલપતરામ ખખ્ખરના બે અનુવાદ સંસ્કૃતમાંથી થયેલા પહેલા અનુવાદ તરીકે ઓળખાવાતા આવ્યા છે. પણ એ બંને મહાનુભાવોનો જન્મ પણ નહોતો થયો ત્યારે, છેક ૧૮૨૪માં સંસ્કૃતમાંથી પંચતંત્રનો અનુવાદ ‘પંચોપાખીઆંન’ નામે ફરદુનજી મર્ઝબાનજીએ કર્યો હતો એ વાત સાહિત્યના ઇતિહાસ કે વિવેચનમાં કોઈએ નોંધી છે? ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટી શરૂ થઈ તે પછી કેટલાંક વર્ષો સુધી આ ‘પંચોપાખીઆંન’ પાઠ્યપુસ્તક તરીકે ભણાવાતું હતું અને ૧૮૮૨ સુધીમાં તેની છ આવૃત્તિ પ્રગટ થઈ હતી. તેનાથી પણ પહેલાં, ૧૮૨૧માં બાયબલના નવા કરારનો અનુવાદ સુરતમાં છપાઈને પ્રગટ થયો હતો. જેમ્સ સ્કિનર અને વિલિયમ ફાઈવી નામના લંડન મિશનરી સોસાયટીના બે પરદેશી પાદરીઓ ગુજરાતી ભાષા શીખીને બાયબલનો અનુવાદ ગુજરાતી ગદ્યમાં કરે, જ્યારે નર્મદનો જન્મ પણ થયો નહોતો અને જ્યારે દલપતરામની ઉંમર માંડ દોઢેક વર્ષની હતી ત્યારે કરે, એ હકીકત આપણા વિવેચને કે ઇતિહાસે નોંધી પણ છે? પણ આ બે પાદરીઓ પણ પહેલા ગદ્યકાર નથી. તેમના પહેલાં ‘કમતરીન ખાકસાર મુનશી ડોશાભાઈ મોબેદ શોહરાબજી ભરવચી’એ કરેલો ‘મોગલાઈ ઊનાની હકીમ લોકોનો ઊહવાલ તથા તે લોકોની નશીહતો’ નામનો અનુવાદ ૧૮૧૮માં મુંબઈના ફરદુનજી મર્ઝબાનજીના છાપખાનામાં છપાઈને પ્રગટ થયો હતો. અને આ જ ફરદુનજી મર્ઝબાનજીએ ૧૮૧૫ના ડિસેમ્બરની ૨૫મી તારીખે પોતે કરેલા અનુવાદનું ૪૧૦ પાનાંનું પુસ્તક પોતાના છાપખાનામાં છાપીને પ્રગટ કર્યું હતું. એનું નામ ‘દબેસ્તાનુલ મઝાહેબ.’ કોઈ પુસ્તકનો અનુવાદ પ્રગટ કરતાં પહેલાં કોઈ જાણકાર પાસે તેની ચકાસણી કરાવવાનું આજે પણ આપણને બહુ જરૂરી લાગતું નથી, અને પરિણામે કઢંગા અનુવાદો ખડકાતા જાય છે. ફરદુનજી પોતે ફારસીના સારા જાણકાર હતા, ગુજરાતી તો તેમની માતૃભાષા હતી, છતાં પોતે ફારસીમાંથી કરેલા આ અનુવાદની ચકાસણી તેમણે ત્રણ-ત્રણ જાણકારો પાસે કરાવી હતી અને તેમનાં પ્રમાણપત્ર પ્રસ્તાવનામાં આમેજ કર્યાં હતાં. અને છતાં ગુજરાતી ગદ્યલેખન અંગે આટલી સભાનતાભરી કાળજી રાખનારનું નામ પણ આપણે લેતા નથી. અર્વાચીન મરાઠી સાહિત્યના વિકાસ અને ઘડતરમાં પરદેશીઓ અને પાદરીઓએ આપેલા ફાળા અંગે સંશોધન કરી, અભ્યાસપૂર્વક લખાયેલાં પુસ્તકો પ્રગટ થયાં છે. પણ આપણે પુસ્તકો લખવાની વાત તો દૂર રહી, પરદેશીઓ અને પાદરીઓના ફાળાની નોંધ પણ કેટલી લીધી છે? પારસીઓની ભાષાને ‘અશુદ્ધ’નું લેબલ લગાડીને આપણે પહેલાં તેમના સાહિત્યને મુખ્ય પ્રવાહથી અલગ માનવાનું અને પછી એ અલગ પ્રવાહની અવગણના કરવાનું શરૂ કર્યું. આ વલણની શરૂઆત પોતાની કૃત્રિમ રીતે સંસ્કૃતમય ભાષાનો ફાંકો ધરાવતા પંડિત યુગના કેટલાક લેખકોથી થઈ અને ભાષાશુદ્ધિના આગ્રહી એવા ગાંધી યુગના કેટલાક લેખકોએ એ વલણને વધુ દૃઢ બનાવ્યું. એક ઉદાહરણ રૂપે આ વાક્ય જુઓ : ‘૧૮૨૨માં ગુજરાતની સાહસિક પારસી કોમના એક નબીરાએ ‘મુમબઈ સમાચાર’ નામે અઠવાડિક કાઢવા માંડ્યું … ભલે મુંબઈથી શરૂ થયેલું, પણ આ ગુજરાતી ભાષાનું સાહસ હતું.’ ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રગટ કરેલા બહુખંડી ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ના ત્રીજા ભાગની ભૂમિકામાં યશવંત શુકલે આ શબ્દો લખ્યા છે. બીજે ક્યાંય નહીં ને સાહિત્યના આવા વિસ્તૃત ઇતિહાસમાં પણ આમ નામ વગર મભમ વાત થાય એ કેવું? ‘૧૮૬૪માં એક નાગર નબીરાએ ‘ડાંડિયો’ નામે સામયિક કાઢવા માંડ્યું’ એમ કોઈ લેખક લખે ખરો? ૧૯૭૬માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિમાં આમ છપાયું. ૨૦૦૫માં બીજી શોધિત-વર્ધિત આવૃત્તિ પ્રગટ થઈ ત્યારે પણ એ પારસી નબીરાનું નામ આપવાનું ન તો બીજી આવૃત્તિના વિદ્વાન સંપાદક કે પરામર્શકને જરૂરી લાગ્યું, કે ન તો પ્રકાશક સંસ્થાને જરૂરી લાગ્યું.
નર્મદે પોતાનો પહેલો ગદ્યલેખ ભાષણ રૂપે મુંબઈની બુદ્ધિવર્ધક સભામાં રજૂ કર્યો હતો એટલા પૂરતી આપણે એ સભાને યાદ કરીએ છીએ, પણ આ સભાની પણ વિગતે વાત આપણે કેટલી કરીએ છીએ? હકીકતમાં, ૧૮૫૧માં, લગભગ એક જ વખતે, લગભગ સરખા નામવાળી બે સંસ્થાઓ શરૂ થઈ હતી. તેમાંની એક તે નર્મદે શરૂ કરેલી ‘જુવાન પુરુષોની અન્યોઅન્ય બુદ્ધિવર્ધક સભા’. કોલેજનો અભ્યાસ પડતો મૂકીને નર્મદને સુરત જવું પડ્યું અને તેની દોરવણી વગર આ સભા ઝાઝો વખત ચાલી શકી નહીં. બીજી બાજુ ગંગાદાસ કિશોરદાસે એલ્ફિનસ્ટન કોલેજના પ્રોફેસર પાટન સાથે મસલત કરીને ૧૮૫૧ના આરંભમાં ‘બુદ્ધિવર્ધક હિંદુ સભા’ની સ્થાપન કરી. તેના પહેલા પ્રમુખ હતા પ્રાણલાલ મથુરાદાસ, સેક્રેટરી હતા મોહનલાલ રણછોડદાસ ઝવેરી, જ્યારે ગંગાદાસ પોતે હતા ખજાનચી. ૧૮૫૧ના ફેબ્રુઆરીના ઉત્તરાર્ધમાં નર્મદ મુંબઈ છોડી સુરત ગયો તે પછી ૧૮૫૧ના માર્ચની ૩૦મી તારીખથી તેણે સ્થાપેલી મંડળી પ્રાણલાલ મથુરાદાસવાળી ‘બુદ્ધિ વર્ધક સભા’માં ભળી ગઈ. લગભગ ૧૮૭૦ સુધી આ સભા અને તેનું સામયિક ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ વધતે ઓછે અંશે કાર્યરત રહ્યાં હતાં. ૧૮૯૪-૯૫માં થોડા વખત માટે તે સંસ્થા ફરી સક્રીય બની ત્યારે તેના નામમાંથી ‘હિંદુ’ શબ્દ કાઢી નાખવામાં આવ્યો. છેવટે ૧૯૩૪ના જુલાઈની ૨૯મી તારીખે તે ફાર્બસ ગુજરાતી સભામાં વિલીન થઈ ગઈ. આજે ફાર્બસ ગુજરાતી સભાનું પુસ્તકાલય ઔપચારિક રીતે ‘બુદ્ધિવર્ધક પુસ્તકાલય’ તરીકે ઓળખાય છે એટલા પૂરતું હજી એ સંસ્થાનું નામ રહ્યું છે. પણ આ સંસ્થાના ઇતિહાસ અને કામગીરીની આપણે ઝાઝી ચિંતા કરી નથી. ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ની લગભગ આખી ફાઈલ મુંબઈની કે.આર. કામા ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં સચવાઈ છે. એકના એક ચવાઈ ગયેલા વિષયો પર પીએચ.ડી. માટે ‘શોધનિબંધ’ લખનારાઓની નજર આજ સુધી તેમાં દટાયેલા ખજાનાને શોધી શકી નથી.