વિવેચકોએ અન્યાય કર્યો તે ગાયા કરવાનો અર્થ નથી. એ વિવેચકોમાંના અત્યારે ઘણા નથી અથવા નિષ્ક્રિય છે, પણ તે પછી પણ વિવેચકોની પેઢીઓ આવી. એ લોકોએ શું કર્યું? એમાંના મોટે ભાગનાઓએ પીએચ.ડી મેળવીને અધ્યાપનમાં ગોઠવાઈને સલામત જિંદગી સ્વીકારી લીધી. સલામતી મળતાં પિરિયડ લેવા સિવાય વિવેચનની ચિંતા અપવાદરૂપે જ કરવાની રહી. જે સર્જકો હતા એમણે લખવા સિવાય બીજી ચિંતા કરી નહીં. એમને રસ, ઉપલક પ્રશંસાથી વધારે હતો નહીં. સર્જનનાં પણ ધોરણો બદલાયાં છે. કશુંક, સારું, જુદું થવાના અણસાર પણ મળે છે, પણ ગંભીરતાને અભાવે, અભ્યાસના અભાવે ઝાઝા ટકતા નથી.
બીજી તરફ થોડા કહેવાતા વિવેચકોએ પૈસા લઈને કે પૈસા વગર પ્રશંસામૂલક પ્રસ્તાવનાઓથી સંતોષ માન્યો છે. અત્યારે વિવેચન લગભગ મરવા પડ્યું છે. મોટે ભાગનાને હવે લાઈકસથી, કોમેન્ટસથી ચાલી જાય છે એટલે તટસ્થ, સૈદ્ધાંતિક વિવેચનાનો ખાસ ખપ જ કોઈને નથી. આજની આખેઆખી પેઢી સત્યથી વિમુખ છે ને ધંધો કરી ખાનારી છે. કેટલાક ગંભીરતાથી આજે પણ સર્જન, વિવેચનમાં પ્રવૃત્ત છે, પણ એની ટકાવારી ખૂબ ઓછી છે ને કદાચ એમની હવે જરૂર પણ નથી. ખાસ કૈં કર્યા વગર બધું જ મળી જાય એની ફિરાકમાં જ ઘણા રહે છે.
હવે કવિતા કૂટનારા કવિઓ છે એને ગાઈ નાખનારા ભોળા ગાયકો, સંગીતકારો છે. આસ્વાદ કરાવનારી બેસ્વાદ કોલમો છે ને માઇક્રોનો જમાનો છે એટલે વાર્તા, નવલકથા, નાટકો, નિબંધોમાં રસ જ કોને છે? જેને રસ હોય તે ખૂણે બેસીને લખે છે અથવા તો ખૂણો પાળે છે. એ સારું છે કે ખરાબ તે નથી ખબર, પણ અગાઉ ન હતી એવી દંભી સર્જક પેઢીમાં આપણે જીવીએ છીએ. આ બધું અગાઉ પણ હતું, પણ જે અપવાદોમાં હતું તે હવે નિયમોમાં ને મોટા પ્રમાણમાં છે. આ સમય ખસે એવું અત્યારે તો લાગતું નથી. જે સાહિત્યને ગંભીરતાથી ને અભ્યાસથી હાથમાં લે છે એ પોતાના પર ભરોસો રાખીને લખતા રહે તો ય ઘણું છે, બને કે એમને ભવિષ્યમાં મરણોત્તર વિવેચન મળે. અફસોસ સિવાય કોઈ સિલક જ બચી નથી ત્યાં કરવાનું શું?
e.mail : ravindra21111946@gmail.com
![]()



‘નોળવેલની મહેક’ ચોપાસ ફેલાય છે. દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સઘળેથી પરિષદની આ પહેલને જે શક્તિભર્યો પ્રતિસાદ અને સહકાર મળ્યો છે, એ જ એની ખરી તાકાત છે. સહુનો સહયોગ એ જ આ પ્રવૃત્તિએ પ્રસ્તુત કરવાનું વિષપ્રતિકારક ઔષધ છે. વિદેશોમાં વસતા ગુજરાતી સર્જકો-ભાવકોને પણ આ પરિષદની આ અભિનવ અગાસી સુધી આવી પહોંચવામાં કોઈ અવરોધ ન નડ્યો, એ વાતની સાખ આ અનોખા કાર્યક્રમની એપ્રિલ ૩0ની આ આવૃત્તિ, બીજી આવૃત્તિમાં વાંચવા મળતા લખાણો પૂરે છે. કેટકેટલા આશાસ્પદ યુવાસ્વરો અનેક જગ્યાએથી આવી આ ‘વર્ચ્યુઅલ મીટિન્ગ પ્લેસ’ આ ‘પ્રતીયમાન મિલન સ્થળ’માં એકત્ર થયા છે ! સાથે જ, દશકોથી જારી એવા પોતાના ઉત્તમ સર્જન-વિવેચનથી શોભતા એવા કેટલાક મહત્ત્વના ગુજરાતી સર્જકો-વિવેચકો-નાટ્યકર્મીઓ અહીં સામેલ થયા છે. અને અન્ય કલાઓના, ચિત્ર અને છબિકલાના, વિખ્યાત કલાકારો પણ. એ સહુ સામેલ થયા, એનો આનંદ છે. ‘નોળવેલ’ની કર્મઠ અને દ્રઢસંકલ્પ ટીમ સહુના સતત સંપર્કમાં રહે છે અને અહીં એમનું સ્વાગત કરે છે.