ભારતમાં ૧૮૫૭ના બળવા પછી ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીને નામંજૂર કરી ભારતનું રાજતંત્ર બ્રિટનના રાજવીઓએ હાથમાં લીધું. આ બનાવ દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચેની દરિયાઈ મુસાફરી કરનાર બ્રિટિશ કુટુંબોની સંખ્યા વધી ગઈ. બ્રિટિશ આયાઓ કરતાં હિંદી આયાઓ સસ્તી પડે, તેથી ઘણાં કુટુંબો આ લાંબી મુસાફરી દરમિયાન બાળકોની સંભાળ રાખવા તેમને નોકરીમાં રાખતાં. એમાં મદ્રાસી આયાઓ ખાસ વખણાતી.
બ્રિટિશ કુટુંબોના ઘણા ફોટાઓમાં આ આયાઓ તેમનાં બાળકે જોડે આપણને જોવા મળે છે. એમને ફોટાઓમાં સાથે રાખવામાં એ કુટુંબોનો પૈસાપાત્ર તરીકેનો મોભો વધે એ જ આશય હતો.

૧૮૬૯માં સૂએઝ નહેર (કનાલ) ખૂલ્યા પછી, આ મુસાફરીઓનું પ્રમાણ વધી ગયું. એવું મનાય છે કે દર વર્ષે લગભગ ૧૪૦ આયાઓ ઈંગ્લંડ આવતી. દુ:ખની વાત તો એ હતી કે ઈંગ્લંડ પહોંચ્યાં પછી આ આયાઓને નેકરીમાંથી છૂટી કરવામાં આવતી. અમુક ભાગ્યશાળી આયાઓને ભારત પાછાં જતાં કે નવાં કુટુંબો નોકરીમાં રાખી લેતાં, પણ ઘણી આયાઓને ઈંગ્લંડ આવી પોતાનું પોષણ જાતે કરવું પડતું. પગારમાં મળેલી રકમ પૂરી ન થતાં ઘણી વાર તેમને ભીખ માગવાનો વારો આવતો. બિચારી એ સ્ત્રીઓ કંગાળ હાલતમાં ગંદા ઘરોમાં રહીને એકબીજાંને આધારે પેટ ભરતી.
એમની આવી હાલત જોઈ અમુક ક્રિશ્ચિયન મિશનરીઓ અને સ્થાનિક ચર્ચોએ ફાળો એકઠો કરી આ આયાઓને એક ઘર લઈ આપ્યું. પણ સાથે સાથે એમનો આશય આયાઓને ક્રિશ્ચિયન ધર્મમાં વટલાવવાનો હતો, જો કે એ આશયમાં તેમને કેટલી સફળતા મળી, એ માટે કોઈ નિશ્ચિત આંકડા મોજૂદ નથી.


૧૯૦૦ની સાલમાં લંડન સિટી મિશને આયાઓને પૂર્વ લંડનના હેક્ની બરોમાં, ૨૬ કિન્ગ એડવર્ડ રોડ પર, ઘર ખરીદી આપ્યું. ફક્ત ભારતીય જ નહીં પણ ચીન, મલેઝિયા વગેરે દેશોની આયાઓ પણ ત્યાં હતી. અમુક અમ્મા તરીકે ઓળખાતી હતી. ત્યાર પછી તેમને ૧૯૨૧માં ૪ કિન્ગ એડવર્ડ રોડ પર ઘર આપવામાં આવ્યું હતું, પણ તે મકાનની જગ્યાએ નવા ફ્લેટ્સ બની ચૂક્યા છે. એટલે તક્તિ મૂકાઈ છે ૨૬ નંબરના મકાન પર.

૨૬ કિન્ગ એડવર્ડ રોડના મકાન પર બ્લૂ તક્તિ મૂકાવવાની ઝૂંબેશ હાથ ધરી ફરહાના મામુજી નામની એક ગુજરાતી યુવતીએ.
ફરહાનાનો આશય એના જ શબ્દોમાં અહીં મૂકું છું :
“The first aim was to campaign for a Blue Plaque with English Heritage to raise a fundamental awareness amongst the public. This was after discovering records online, which I highlighted in my application. It’s been dishearteningly hard to find first-hand accounts from the Ayahs themselves due to their background being obliterated, but I was able to find second-hand sources via English matrons or law officials and other documented evidence e.g. there’s a story about a group of Ayahs who were found in a dilapidated shack, getting horrendously drunk together; another reports an Ayah who stole jewellery from their owner to pawn in order to secure the passage back to India. Often caught by police, some were even referred to as murderesses in the press. There are also many visual records of Ayahs in the background of period paintings as well as in photographs.”
ફરહાનાને પોતાના સંશોધન માટે આધારભૂત વધુ માહિતિ મળી બીજી એક ગુજરાતી બહેન ડો. રોઝિના વિસરામનાં બે પુસ્તકોમાંથી. જે માટે એ રોઝિનાનું ઋણ અદા કરે છે. એ પુસ્તકો હતાં :

Originally published in 1986

Published in 2002
ફરહાનાએ ઉપાડેલી ઝૂંબેશ આખરે ફળીભૂત થઈ ૧૬ જૂન ૨૦૨૨ના દિવસે. એ અવસર પર હું હાજર હતી અને એ તક્તિ પર ઢાંકેલો પડદો ખોલી આ મકાનને લંડનનું ઐતિહાસિક સ્મારક બનાવનાર બહેનો હતી – બ્રિટનની લેખિકા અને એક્ટર મીરા સ્યાલ અને અનિતા આનંદ, જે બ્રિટિશ રેડિયો અને ટેલિવિઝનની પ્રિઝેન્ટર, પત્રકાર અને લેખિકા છે.

તે પ્રસંગે શરૂઆતમાં The English Heritage London Blue Plaque Schemeના CEO Kate Mavor એ આ સ્કીમનો ઇતિહાસ જણાવતાં કહ્યું કે રાષ્ટ્રીય ક્ષેત્રે આ સ્કીમ ૧૮૬૬માં શરૂ થઈ હતી અને લંડનની સ્કીમ ૧૯૮૬માં સ્થપાઈ. સ્ત્રીઓને પણ પુરુષો જેટલું મહત્ત્વ મળે તે માટે ૨૦૧૬માં ‘Plaques for Women’ની સ્કીમ શરૂ થઈ. એમણે એમ પણ જણાવ્યું કે લંડનમાં ૯૫૦ બ્લૂ તક્તિઓ છે, જેમાં ફક્ત ૧૪% પ્રસિદ્ધ સ્ત્રીઓનાં રહેઠાણો પર છે, જેમાં લઘુમતિ પ્રજાની સ્ત્રીઓ જવલ્લે જ જોવા મળે છે, એટલે આજનો આ પ્રસંગ ઐતિહાસિક દૃષ્ટિએ પણ બહુ મહત્ત્વનો છે, જેનો જશ ફરહાના અને રોઝિનાને જાય છે.
ત્યાર બાદ રોઝિના વિસરામે આયાઓ વિશેની પાર્શ્વભૂમિકા રજૂ કરતું વક્તવ્ય આપ્યું, તે ઉપરાંત બ્રિસ્ટલ યુનિવર્સિટીના લેક્ચરર ડો. Florian Stadtlerએ પણ એ વિષયમાં તેમણે કરેલા સંશોધન વિશે કહ્યું અને ત્યા રબાદ ફરહાનાએ પોતાના ઝૂંબેશની વાત કરી; અને છેવટમાં, હેક્નીનાં એક મહિલા કાઉન્સિલરે ૫૦ જેટલી હાજર રહેલી વ્યક્તિઓ, જેમાં મુખ્યત્વે સ્ત્રીઓ હતી, એમનો આભાર માન્યો હતો. એ પ્રસંગના ફોટાઓ અહીં પ્રસ્તુત છે.
e.mail: bv0245@googlemail.com
પ્રસંગોચિત છબિઓ :




![]()



યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીની નવમી ભાષા-સાહિત્ય પરિષદ(ર૯ અને ૩૦ ઑગસ્ટ, ર૦૧પ)ના અધ્યક્ષપદેથી, અદમ ટંકારવીએ એઝરા પાઉન્ડનું વાક્ય “Choose for translation, writers whose work marked a significant turning point in the development of world literature.” ટાંકીને કહ્યું હતું, “યુગવર્તી કૃતિઓના પ્રભાવે આપણા સાહિત્યકારની સર્જકચેતના સંમાર્જિત-પરિષ્કૃત થશે અને ગુજરાતી સાહિત્ય વધુ પ્રાણવાન, તેજોમય બનશે. કાળક્રમે કદાચ આપણી ભાષામાં કાફ્કા વાંછિત ધિંગું પુસ્તક નીપજી આવશે. એવું પુસ્તક જે મસ્તક પર ધડ દઈને ફટકો મારી આપણને જાગ્રત કરી દે, આપણી અંદર થીજી ગયેલા હિમસાગરને કુહાડો બની કાપે.”
આ બધા અનુવાદો The Nobel Prizeની સત્તાવાર વેબસાઈટ nobelprize.org પરથી વક્તવ્યો ઉતારીને કરવામાં આવ્યા છે. જ્યાં ખપ પડ્યો ત્યાં છબીઓ પણ મોટે ભાગે એમાંથી જ વાપરવામાં આવી છે. એ રીતે વર્તમાન અને આવનારી પેઢી માટે આ ઉજ્જવળ અને ઉમદા ખજાનો ખુલ્લો મૂકનાર નૉબેલ ફાઉન્ડેશન માટે સાભાર સૌજન્યની લાગણી અને ફરજ બની રહે છે.
૧૯૦૧થી ૧૯૧રના ગાળામાં આદર્શ એટલે ‘ઉદ્દાત્ત અને અણીશુદ્ધ આદર્શવાદ’ એવી સમજ રહી – એવો સનાતની આદર્શવાદ જેમાં દેવળ, રાજ્ય અને કુટુંબની પવિત્રતાનો સ્વીકાર હોય. પ્રથમ વિશ્વયુદ્ધના આરંભે આ દૃષ્ટિબિંદુ બદલાયું અને ‘સાહિત્યિક તાટસ્થ્યની નીતિ’ અપનાવાઈ. યુદ્ધખોર મહાસત્તાઓને કોરે મૂકી નાનાં રાષ્ટ્રો તરફ ધ્યાન ગયું. ૧૯ર૦થી ત્રીજો ગાળો શરૂ થયો જેને ‘ઉત્કૃષ્ટ શૈલી’નો ગાળો કહી શકાય. આના પાયામાં હતાં પ્રશિષ્ટનાં લક્ષણો. પછીથી આ અર્થઘટનનો વ્યાપ વધારી એમાં ‘ઉદાર દિલનું માનવ્ય’નો સમાવેશ કરાયો. ૧૯૩૦ના ગાળામાં ‘માનવજાત માટે મહત્તમ લાભકર્તા’ સંદર્ભે અકૅડમીએ નૂતન અભિગમ અપનાવ્યો. ‘માનવજાત’ એટલે જે તે કૃતિના ભાવકો, એવું અર્થઘટના સ્વીકારાયું. આમાં દરેકની પહોંચમાં હોય એવા સર્વદેશીય સાહિત્યનો સમાવેશ થયો. આને કારણે પર્લ બૅક અને સિન્કલૅર લૂઇસ જેવાં સર્જકો પોંખાયાં અને પૉલ વાલૅરિ જેવા કવિ બાકાત રહ્યા. બીજા વિશ્વયુદ્ધ પછી, ૧૯૪૬માં લોકભોગ્યનો મહિમા ઘટ્યો અને ‘અગ્રિમો’ પર લક્ષ કેન્દ્રિત થયું. આ ‘અગ્રિમો’ એટલે નવી પ્રણાલી માટે કેડી તૈયાર કરનારા સર્જકો. એવા અગ્રગામી સર્જક જે સાહિત્યમાં વિશ્વદર્શન અને નિરૂપણશૈલીની નવી શક્યતાઓ ઉઘાડી આપે. ૧૯૭૮થી આ નીતિમાં ‘વ્યવહારુ વિચારણા’નું નવું પરિમાણ ઉમેરાયું. ‘મહત્ત્વના પણ અજાણ્યા સર્જકો અને સાહિત્યો’ને ધ્યાનમાં લેવાયાં. ૧૯૮૦ પછી તો આમાં વિશ્વસાહિત્યને આવરી લેવાયું. નૉબેલના વસિયતનામાનો નિર્દેશ પણ આંતરરાષ્ટ્રીય ક્ષિતિજોનો જ હતો. લાંબા ગાળા સુધી આ પારિતોષિક મહદંશે ‘યુરોપીય ઘટના’ હતી, તે સ્થિતિ હવે બદલાઈ અને બિનયુરોપીય સર્જકો તરફ પણ ધ્યાન ગયું. ૧૯૯૦ના દાયકામાં ‘આદર્શ દિશામાં’ના શાબ્દિક અર્થને બદલે, ‘એવું સાહિત્ય જે માનવ અને માનવનિયતિ વિશેની સભાનતા વધારે, અને માનવજીવનને સમૃદ્ધ કરવા મથે’, એવું ઉદાર અર્થઘટન થયું. આ પ્રક્રિયાને અંતે આજે એમ કહી શકાય કે, સાહિત્યનું નૉબેલ ઇનામ ‘સાહિત્યિક પારિતોષિક’ છે. ૧૯૭૦ના ગાળામાં પ્રયોગશીલતાના ભોગે નૈતિક મૂલ્યોનો જે મહિમા થતો હતો તે હવે નથી. સાહિત્યનું નૉબેલ પારિતોષિક આજે એના નામને ચરિતાર્થ કરતું ઇનામ છે.


‘તમે શા માટે લખો છો?’ એવો પ્રશ્ન સાહિત્યકારોને વારંવાર પૂછાય છે. આના ઉત્તરમાં પામુક કહે છે : “હું લખું છું, કેમ કે એ મારી આંતરિક જરૂરિયાત છે! હું લખું છું, કેમ કે હું બીજા લોકોની જેમ સામાન્ય કામ કરી શકતો નથી. હું લખું છું, કેમ કે મારે હું લખું છું એવાં પુસ્તકો વાંચવાં છે. હું લખું છું, કેમ કે મને તમારા બધા પ્રત્યે ગુસ્સો ઊપજે છે. હું લખું છું, કેમ કે આખો દિવસ ઓરડામાં પૂરાઈ લખલખ કરવાનું મને ગમે છે. હું લખું છું, કેમ કે હું વાસ્તવિક જીવનને બદલીને જ એમાં સહભાગી થઈ શકું. હું લખું છું, જેથી અન્યો, આપણે સૌ, આખું જગત જાણે કે આપણે કેવા પ્રકારનું જીવન જીવીએ છીએ. હું લખું છું, કેમ કે મને કાગળ, પેન અને શાહીની સુવાસ ગમે છે. હું લખું છું, કેમ કે મને સાહિત્યમાં, નવલકથાસર્જનમાં સૌથી વધુ શ્રદ્ધા છે. હું લખું છું, કેમ કે એ ટેવ છે, ધખના છે. હું લખું છું, કેમ કે મને ભુલાઈ જવાનો ડર છે. હું લખું છું, કેમ કે લખાણથી જે કીર્તિ મળે છે તે મને ગમે છે. હું એકાકી રહેવા લખું છું. તમારા પ્રત્યે, દરેક પ્રત્યે મને આટલો બધો ગુસ્સો કેમ છે એ સમજવાની આશાએ હું લખું છું. હું લખું છું, કેમ કે મને વંચાવું ગમે છે. હું લખું છું, કેમ કે એકવાર મેં નવલકથા, નિબંધ, પૃષ્ઠ લખવાનું શરૂ કર્યું તો મારે એને પૂરું કરવું છે. હું લખું છું, કેમ કે બધા હું લખું છું એવી અપેક્ષા રાખે છે. હું લખું છું, કેમ કે મને પુસ્તકાલયો અને જે છાજલી પર મારાં પુસ્તકો છે તેમના અમર્ત્ય હોવામાં છોકરવાદી શ્રદ્ધા છે. હું લખું છું, કેમ કે જીવનનાં સૌંદર્ય અને સમૃદ્ધિને શબ્દસ્થ કરવામાં રોમાંચ છે. હું વાર્તા કહેવા નહીં પણ વાર્તા સર્જવા લખું છું. હું એવા અનિષ્ટ અણસારથી છટકવા લખું છું કે, એવી કો’ક જગ્યા છે જ્યાં મારે જવું જોઈએ પણ – સ્વપ્નમાં થાય છે તેમ – હું ત્યાં પહોંચી શકતો નથી. હું લખું છું, કેમ કે હું કદી સુખી થઈ શક્યો નથી. હું સુખી થવા લખું છું.” આ પ્રલંબ જવાબમાં આપણને સાહિત્યના પ્રયોજન વિશેના સંકેતો સુપેરે મળી રહે છે.