Opinion Magazine
Number of visits: 9449705
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બુલેટ ટ્રેનના 1.10 લાખ કરોડના પ્રોજેક્ટમાં હજારો અસરગ્રસ્તોના અસ્તિત્વનો સવાલ

સંજય શ્રીપાદ ભાવે
, સંજય શ્રીપાદ ભાવે
, સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|8 June 2018

માત્ર બે કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચાડનારી ટ્રેન અસરગ્રસ્તોને તેમની જિંદગીનાં રગશિયાં ગાડાંના ફુરચા ઊડાવી દેનારી લાગે છે: મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસીઓ અને ખેડૂતો બુલેટ ટ્રેન યોજનાનો વિરોધ કરતા રહ્યા છે

દેશભરના ખેડૂતોનું આંદોલન, તેના ફેલાવા તેમ જ શાકભાજીના બગાડના બનાવોને કારણે લોકોના ધ્યાનમાં આવ્યું છે, પણ મહારાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો, આદિવાસી ખેડૂતો તેમ જ આદિવાસીઓ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન યોજના વિરુદ્ધ ગયા નવેક મહિનાથી જે ચળવળ ચલાવી રહ્યા છે, તેની તરફ ખાસ ધ્યાન ખેંચાયું નથી. બુલેટ ટ્રેન હેઠળ તેમની જમીન દબાઈ જવાની છે. એટલે કોઈ પણ ભોગે જમીન નહીં આપવાનો નિર્ધાર હમણાં રવિવારે બંને રાજ્યોનાં અનેક સંગઠનોનાં બનેલા ‘બુલેટ ટ્રેનવિરોધી જનમંચ'ના નેજા હેઠળ પાલઘરમાં મળેલી સભામાં ફરી એક વાર જાહેર કરવામાં આવ્યો હતો. 

ગુજરાતમાં આ ચળવળ મુખ્યત્વે ‘ખેડૂત સમાજ' અને ‘પર્યાવરણ સુરક્ષા સમિતિ' સંગઠનોના નેજા હેઠળ છે. ૨૮મી મેએ થયેલી પેટા ચૂંટણીના માહોલમાં પણ દહાણુ, તલાસરી, મોખડા અને વસઈ-વિરાર તાલુકામાં બુલેટ ટ્રેન માટે લોકોમાં રોષ દેખાતો હતો. તે પૂર્વે ત્રીજી મેએ દહાણુ ખાતે થાણા અને પાલઘર જિલ્લાનાં સાઠથી વધુ ગામોના પચાસેક હજાર કિસાન અને આદિવાસીઓએ ઑલ ઇન્ડિયા કિસાન સભાના નેજા હેઠળ દોઢ કિલોમીટર લાંબી વિરોધ-કૂચ કાઢી હતી.

આમ તો ખેડૂતો-આદિવાસીઓએ પહેલવહેલો વિરોધ તો સપ્ટેમ્બરમાં ભારત અને જાપાનના વડા પ્રધાનોએ મળીને અમદાવાદમાં બુલેટ ટ્રેન યોજનાનું ખાતમુહૂર્ત કર્યું ત્યારે પાલઘરમાં દેખાવો યોજીને કર્યો હતો. માત્ર બે જ કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચાડનારી રેલગાડી અસરગ્રસ્તોને તેમની જિંદગીનાં રગશિયાં ગાડાંના ફુરચા ઊડાવી દેનારી લાગે છે. જાપાનની ગણતરીપૂર્વકની ભરપૂર સહાયથી શરૂ થનારી આ હાઇસ્પીડ રેલવે લાઈન ૫૦૮.૧૭ કિલોમીટર લાંબી છે. તેના ૧૫૫.૬ કિલોમીટર મહારાષ્ટ્રમાં, ૩૫૦ કિલોમીટર ગુજરાતમાં અને બે કિલોમીટર દાદરા નગરહવેલીમાં આવે છે. 

મોટા ભાગનું અંતર જમીનથી ઉપરના એલેવેટેડ કૉરિડોર તરીકે હશે, જ્યારે બાવીસેક કિલોમીટર થાણાની ખાડીના દરિયાના પેટાળમાં થઈને બનાવેલા બોગદા તરીકે હશે. પ્રોજેક્ટ માટે જે જમીન સંપાદન કરવાની આવશે, તેમાં ગુજરાતની જમીન ૬૧૨.૧૭ હેક્ટર, મહારાષ્ટ્રમાંથી ૨૪૬.૪૨ અને દાદરા-નગરા હવેલીમાંથી ૭.૫૨ હેક્ટર હશે. યોજનાના ફાયદા અંગેના સરકારના દાવા અને નુકસાન અંગે અભ્યાસીઓનાં મંતવ્યો ચર્ચાતાં રહ્યાં છે.

મોટા ભાગની કહેવાતી મોટી યોજનાઓની જેમ જમીન સંપાદન અહીં પણ મડાગાંઠ સાબિત થઈ રહ્યું છે. કુલ ૫૦૮ કિલોમીટરમાંથી ૧૦૮ કિલોમીટર પાલઘર જિલ્લાના છે. તેને માટે ૧૨૩ ગામોની ૧૭૦ હેક્ટર જેટલી જમીન લેવી પડે એમ છે. મોટા ભાગના ખેડૂતો પાસે જમીનના ટુકડા છે જે તેમની આજીવિકાનું એક માત્ર સાધન છે. તેની સામે સરકાર વળતર કેટલું અને કેવી રીતે આપશે એ અંગે તેમને પૂરેપૂરો શક છે. થોડાંક વર્ષો પહેલાં ધોરી માર્ગ પહોળો કરવા માટે જેમની જમીનો સંપાદિત કરવામાં આવી તેમને વળતરના કડવા અનુભવો છે. એટલે મોટા ભાગની ગ્રામસભાઓએ જમીન નહીં આપવાનો ઠરાવ કરેલો છે. 

તદુપરાંત આ પ્રોજક્ટ માટે જે જંગી બાંધકામ થશે તેના માટે રેતી મેળવવા નદીના પટ અને ટેકરિયાળ વિસ્તારોને ભારે હાનિ પહોંચશે. જંગલપેદાશો પર જીવતા આદિવાસીઓ અને નદીનાં પાણી પર જીવતા માછીમારોને પણ મોટી અસર થશે. પાલઘરના લોકોનું એમ પણ કહેવું છે કે પીવાનું પાણી, રસ્તા, તબીબી સેવા, શિક્ષણ જેવી પાયાની સુવિધા માટે સરકાર પૈસા ફાળવતી નથી અને જાપાન પાસેથી લોન લઈને આ મસમોટી યોજના બનાવે છે. ગુજરાતના ખેડૂતોએ એમ માગણી છે કે સરકારે જમીન માટેનું વળતર ૨૦૧૧ના એન્યુઅલ સ્ટેટમેન્ટ ઑફ રેટ પ્રમાણે નહીં, પણ જમીનના અત્યારના બજાર ભાવ પ્રમાણે આપવું જોઈએ.

બુલેટ ટ્રેનના વિરોધનો એક મહત્ત્વનો મુદ્દો પારદર્શકતાના અભાવ અને બિનલોકશાહી અભિગમનો છે. તેની સાબિતી યોજના અંગેની જાહેર સુનાવણીના ઉપક્રમમાંથી મળે છે. જાહેર સુનાવણીનો હેતુ લોકોને લગતી યોજના અંગેની લોકોની વચ્ચે સત્તાવાળાઓ દ્વારા છણાવટ થાય, લોકોનાં મંતવ્યો-માગણીઓ મુજબ યોજનામાં ફેરવિચારણા અને ફેરફાર કરવામાં આવે એવો હોય છે. લોકોનો ખૂબ વિરોધ હોય તો યોજના પડતી મૂકવામાં આવે છે. ભાવનગર પાસે મીઠી વીરડીમાં અણુવિદ્યુત મથકની યોજના પડતી મૂકવામાં જાહેર સુનાવણી પ્રક્રિયાનો નોંધપાત્ર ફાળો હતો.

જો કે બુલેટ ટ્રેન પરની જાહેર સુનાવણી બાબતે કર્મશીલ આનંદ જણાવે છે કે એ પ્રક્રિયા ‘માત્ર આઘાતજનક અને સંવેદનહીન જ નહીં, તૈયારી વગરની અને બેજવાબદારીભરી હતી'. માર્ચ-એપ્રિલ દરમિયાન નડિયાદ, વડોદરા અને ભરૂચની સુનાવણીઓને આધારે તેમની વાત સમજાવે છે. આ સુનાવણીઓની જાહેરાતો, તેમનાં તારીખ અને સ્થળ એમ અનેક બાબતો એ રીતે ગોઠવવામાં આવી હતી કે તેમાં લોકો મોટી સંખ્યામાં જોડાઈ ન શકે. તદુપરાંત લોકોને આપવામાં આવતી છાપેલી માહિતી કે તેમની સામે કરવામાં આવેલાં પાવરપૉઇન્ટ પ્રેઝેન્ટેશન્સ મોટે ભાગે અંગ્રેજીમાં હતાં, જે મોટો અવરોધ ગણાય. કલેક્ટર તેમ જ પ્રોજેક્ટ સંબંધિત અધિકારીઓનાં વર્તન પણ અધીરા, ઉતાવળા, સરકારતરફી અને સરવાળે લોકવિમુખ હતા. 

આનંદ કહે છે : ‘અત્યંત ચોંકાવનારી વાત એ છે કે ૧ લાખ ૧૦ હજાર કરોડ રૂપિયા જેટલા જંગી ખર્ચથી થનાર આ પ્રોજેક્ટ જેમાં હજારો લોકોના રોજી-રોટીના સવાલો ઊભા થાય તેમ છે, તે અંગે જાહેર સુનાવણીની કે બીજી કોઈ જ ધોરણસરની પદ્ધતિ વિના પ્રોજેક્ટ દેશ પર થોપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.' વડોદરામાં યોજાયેલ જાહેર સુનાવણી કેવી રીતે માત્ર એક ‘આઇવૉશ' એટલે કે દેખાવ હતો તેની વાત સૂરતના કર્મશીલ કૃષ્ણકાન્ત સમજાવે છે. ચૌદમી મે સૂરતની જાહેર સૂનાવણીમાં ખેડૂત સમાજના ચારસોએક ખેડૂતો ઓલપાડ, કામરેજ, પલસણા અને ચોરિયાસી તાલુકાના ગામોમાંથી એકઠા થયા હતા. પણ કાર્યવાહી શરૂ થાય તે પહેલાં પોલીસે પંદરેક આગેવાનોની અટકાયત કરતાં ખેડૂતોએ સુનાવણીનો બહિષ્કાર કર્યો હતો. મહિનાના આખરે નવસારી અને સૂરતમાં યોજાયેલી સુનાવણીમાં ‘આયોજકોની હંમેશ મુજબની અસંતોષકારક ભૂમિકાને કારણે હોબાળો થયો' એમ જાણવા મળે છે.

‘ખેડૂત સમાજ'ના અગ્રણી કર્મશીલ સાગર રબારીએ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લોકવિરોધી અને વિનાશક બાજુ ખુલ્લી પાડતી પુસ્તિકા લખી છે. તેની શરૂઆતમાં યોજનાની ‘આછેરી ઝલક'માં તેના ઉદ્દભવ અને તેમાં જાપાનનાં જોડાણની વિગતો છે. તેને છેડે તે નોંધે છે : ‘વિકાસ અને જી.ડી.પી. વધારવાને નામે જાપાન આપણને નાણાં ધીરશે, વ્યાજ કમાશે, ટેક્નોલૉજિ-ટ્રેઇનિન્ગ-કૉન્ટ્રાક્ટ થકી એની કંપનીઓ પૈસા પાછા જાપાન લઈ જશે … ભારતના નાગરિકો માથે એક લાખ કરોડનું દેવું વધશે! જાપાની જળ-જંગલ-જમીન આપણાં વેડફાશે … ને આપણે રાજી થઈશું કે આપણે વિકાસ કર્યો.' 

ત્યાર પછી સાગરભાઈ આદિવાસીઓ, ખેડૂતો અને માછીમારોના લાભ માટેના કાયદાનો આ પ્રોજેક્ટમાં શી રીતે ભંગ થયો છે તેની માહિતી આપે છે. પછી તે બતાવે છે કે યોજનાને પૈસો પૂરો પાડનાર ‘જાપાન ઇન્ટરનૅશનલ કૉર્પોરેશન એજન્સી'ની પર્યાવરણ અને સામાજિક અસરો લગતી માર્ગદર્શિકાનો ભંગ થયો છે. સાગરભાઈને યોજનાના આર્થિક પાસા અંગે સવાલ થાય છે:  ‘જરૂરિયાત, વિકાસ કે લૂંટ ?' તેની ચર્ચા કરીને તેઓ વિકલ્પ તરફ આંગળી ચીંધે છે. અંતે લખે છે : બુલેટ ટ્રેનના પિલર નીચે ધરબાશે પર્યાવરણ, મહેનતકશોના રોજગાર અને લોકશાહી અધિકારો … ‘વિકાસ'ની તમારી ભૂખ ભાંગવા કેટકેટલાને ઉજાડશો ?’

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘ ક્ષિતિજ’ નામક લેખકની કતાર, “નવગુજરાત સમય” 8 જૂન 2018

Loading

8 June 2018 admin
← ગાંઠિયાનો મહિમા : અમારું કાઠિયાવાડ
ભાષાને બરાબર વળગી રહીને સહજ બોલનારાં-સાંભળનારાંની આગલી પેઢી અસ્ત પામી છે →

Search by

Opinion

  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved