Opinion Magazine
Number of visits: 9446701
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભ્રષ્ટાચારનો ભોરિંગ અને લોકપાલ-લોકાયુક્તની મોરલી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|27 October 2023

ચંદુ મહેરિયા

અન્ના હજારેનું ૨૦૧૧નું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન યાદ છે? તેને કારણે જ લગભગ સર્વાનુમતે સંસદે લોકપાલ–લોકાયુક્તને લગતો કાયદો ઘડ્યો હતો. આજે  અન્ના આંદોલનના સવા અને લોકપાલ–લોકાયુક્ત અધિનિયમ–૨૦૧૩ના એક દાયકે દેશ ભ્રષ્ટાચાર મુક્ત થયાનું કે લાંચ–રુશ્વતની બદી ઘટ્યાનું લાગે છે ખરું ? દેશના સર્વ રાજકીય પક્ષો પર જે લોકપાલનો કાયદો ઘડીને ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવાનું દબાણ ઊભું થઈ શક્યું હતું તે કાયદો નબળો કે બોદો લાગે અને સમસ્યા યથાતથ હોય ત્યારે નાગરિક માત્રને નિરાશા ઉપજે છે. આર્થિક ગેરરીતિઓ, લાગવગ, લાંચ કહેતાં ભ્રષ્ટાચારનો પડકાર કેટલો મોટો અને ગંભીર છે અને દેશવ્યાપી આંદોલન પછી પણ શઠ રાજકારણીઓની રાજકીય ઈચ્છાશક્તિના અભાવે તેનો કાનૂની માર્ગે મર્યાદિત ઉકેલ પણ શક્ય નથી બની શકતો તેનો રંજ થાય છે.

લોકતાંત્રિક દેશોમાં નાણાકીય ગેરરીતિ, લાગવગ, લાંચ, સત્તાનો દુરુપયોગ  જેવા વહીવટી તંત્રમાં વ્યાપ્ત ભ્રષ્ટ આચારો અંગે સ્વતંત્ર, નિષ્પક્ષ અને નિર્ભીકતાથી વિચાર કરી શકે તેવી વ્યવસ્થા જરૂરી છે. આ પ્રકારની વ્યવસ્થા હોય તો લોકો ફરિયાદ કરી શકે અને તેની સમુચિત તપાસ કરી તેને દૂર કરી શકાય. આ પ્રકારની વ્યવસ્થા લોકોનો વહીવટમાં વિશ્વાસ ટકાવી રાખે છે.

દુનિયાના ઘણા દેશોમાં ભ્રષ્ટાચારની તપાસ માટે ઓમ્બુડ્સમેન કે લોકપાલ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકપાલનું પગેરું છેક ૧૮૦૯ની સાલમાં સ્વીડનમાં મળે છે. વીસમી સદીમાં તેનો સંસ્થાગત વિકાસ થયો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી તેમાં ગતિ આવેલી જણાય છે. ફિનલેન્ડમાં ૧૯૨૦થી સંસદીય લોકપાલ અસ્તિત્વમાં છે. નોર્વે અને ન્યૂઝીલેન્ડમાં ૧૯૬૨માં લોકપાલની પ્રણાલિ દાખલ થતાં તેનો વ્યાપક પ્રસાર થયો હતો. ૧૯૬૬માં લોકપાલનો વિચાર અપનાવનાર ગુયાના પ્રથમ વિકાસશીલ અને ૧૯૬૭માં તે અપનાવનાર બ્રિટન પ્રથમ લોકતાંત્રિક દેશો છે. મોરીશસ, સિંગાપુર અને મલેશિયાએ પણ તે પછી લોકપાલની રચના કરી છે.

ભારતમાં લોકપાલની રચનાનો દીર્ઘ ઇતિહાસ છે. ૧૯૬૦ના દસકના આરંભે સૌ પ્રથમ વખત તેનો વિચાર કાયદા મંત્રી એ.એન. સેને સંસદમાં રજૂ કર્યો હતો. જો કે લોકપાલ અને લોકાયુક્ત શબ્દ સૌ પ્રથમ વખત ૧૯૬૩માં કાયદાવિદ અને સાંસદ લક્ષ્મીમલ સિંઘવીએ પ્રયોજ્યો હતો. મોરારજી દેસાઈના પ્રમુખપણા હેઠળના પ્રથમ વહીવટી સુધારણા પંચે ૧૯૬૬માં સાંસદો સહિતના લોકસેવકો અને જાહેર સેવકોના ભ્રષ્ટાચારની ફરિયાદોની તપાસ માટે કેન્દ્ર અને રાજ્યોમાં લોકપાલ-લોકાયુકતની રચનાની ભલામણ કરી હતી. તે અન્વયે ૧૯૬૯માં ચોથી લોકસભામાં લોકપાલ-લોકાયુક્ત વિધેયક પસાર થયું હતું. આ વિધેયક રાજ્યસભામાં પડતર હતું તે દરમિયાન લોકસભાનું વિસર્જન થતાં તે લેપ્સ ગયું. નહીં તો પચાસેક વરસ પહેલાં લોકપાલનો કાયદો અસ્તિત્વમાં આવી ગયો હોત ! ૨૦૦૨માં બંધારણ સમીક્ષા પંચે અને ૨૦૦૫માં બીજા વહીવટી સુધારણા પંચે પણ લોકપાલની ભલામણ કરી હતી. ૧૯૭૧, ૧૯૭૭, ૧૯૮૫, ૧૯૮૯, ૧૯૯૬, ૧૯૯૮, ૨૦૦૧ અને ૨૦૧૧ એમ કુલ આઠ પ્રયાસો પછી ૨૦૧૩માં અન્ના આંદોલનના ધક્કે લોક્પાલ વિધેયક સંસદે પસાર કર્યું હતું. ૨૦૧૪થી તે અમલમાં આવ્યું છે. આ ક્રોનોલોજી દર્શાવે છે કે રાજનેતાઓ લોકપાલ કાયદાથી ડરતા હતા અને તેને ટાળતા હતા.

કેન્દ્રના લોકપાલ-લોકાયુક્ત કાયદા પૂર્વે ઘણાં રાજ્યોમાં લોકાયુક્તના કાયદા ઘડાયા હતા. એટલે ભ્રષ્ટાચાર નિવારણની દિશામાં કાનૂની માર્ગ અખત્યાર કરવામાં કેન્દ્ર કરતાં રાજ્યો આગળ હતાં. ઓડિશામાં ૧૯૭૦માં, મહારાષ્ટ્રમાં ૧૯૭૧માં અને ગુજરાતમાં ૧૯૮૬માં રાજ્ય લોકાયુક્ત અધિનિયમ ઘડાયા હતા.

વડા પ્રધાન સહિતના મંત્રી મંડળના સભ્યો, સાંસદો અને કેન્દ્ર સરકારના તમામ શ્રેણીના અધિકારીઓના ભ્રષ્ટાચારની તપાસને આવરી લેતો ૨૦૧૩નો અધિનિયમ  તપાસથી  માંડીને જપ્તી સુધીની ભલામણની સત્તા ધરાવે છે. જો કે લોકપાલ કોઈ બંધારણીય દરજ્જો ધરાવતી નહીં પણ વૈધાનિક સંસ્થા છે. એક ચેરપર્સન અને અન્ય આઠ સભ્યોના બનેલા લોકપાલની પસંદગી વડા પ્રધાન, લોકસભા અધ્યક્ષ, વિપક્ષના નેતા, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વગેરેની બનેલી સમિતિએ કરવાની જોગવાઈ છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભા.જ.પ.ના વડા પ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને અન્ના આંદોલનનું સમર્થન ઘણું ફળ્યું હતું. ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી’ની ઈમેજ  ઊભી કરનાર મોદીએ ભ્રષ્ટાચાર પર લગામ કસવા વડા પ્રધાન બન્યા પછી તરત જ લોકપાલની નિમણૂક કરવી જોઈતી હતી, પરંતુ તેમની તે માટે કોઈ પ્રતિબધ્ધતા જ નહોતી. એટલે ૨૦૧૪માં અમલી બનેલા લોકપાલ કાયદા હેઠળ ન.મો.એ છેક પાંચ વરસે ૨૦૧૯માં પ્રથમ લોકપાલની નિમણૂક કરી હતી. આ બાબત વડા પ્રધાન મોદીની અને ભારતીય જનતા પક્ષની ભ્રષ્ટાચાર બાબતે કેવી રાજકીય ઈચ્છાશક્તિ છે તે દર્શાવે છે.

રાજ્યોએ એક વરસમાં આ કાયદાની જોગવાઈ મુજબ લોકાયુક્તની રચના કરવાની હોય છે. પરંતુ આઠ રાજ્યોમાં હજુ ૨૦૧૩ના કાયદા પ્રમાણે લોકાયુક્તની રચના થઈ નથી. કેટલાક રાજ્યોમાં લોકાયુક્ત કે સભ્યોની જગ્યાઓ ખાલી છે. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીકાળમાં તો ગુજરાતમાં દસ વરસ કરતાં વધુ સમય ૧૯૮૬ના કાયદા મુજબની લોકાયુક્તની જગ્યા ખાલી રહેવા પામી હતી. જ્યારે ગવર્નર કમલા બેનીવાલે ખુદે જસ્ટિસ આર.એ. મહેતાને લોકાયુક્ત તરીકે નિયુક્ત કર્યા ત્યારે બી.જે.પી. સરકારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં તેને પડકારી હતી. બંને કોર્ટોએ સરકારની વિરુદ્ધમાં ચુકાદા આપી રાજ્યપાલે કરેલી નિમણૂક્ને કાયદેસર ઠેરવી ત્યારે પણ સરકાર તે હકીકત સ્વીકારી શકી નહોતી.. વળી આજ મોદી ‘ન ખાતા હું ન ખાને દેતા હું’નો રાગ સતત આલાપ્યા કરે છે. ૨૦૧૩ના કાયદાની કલમ-૫માં અધ્યક્ષ અને સભ્યોના કાર્યકાળ (૭૦ વરસની વય અને પાંચ વરસ)ની સમાપ્તિના ત્રણ મહિના પહેલાં નવી નિમણૂકો કરવાની જોગવાઈ છે. કેન્દ્રમાં લોકપાલનો કાર્યકાળ ૨૦૨૨માં અને ત્રણ સભ્યોનો ૨૦૨૦માં સમાપ્ત થઈ જવા છતાં ન.મો. શાસનમાં હજુ નવી નિમણૂકો થઈ નથી.

પર્સોનલ, પબ્લિક ગ્રિવન્સિસ, લો એન્ડ જસ્ટિસ વિભાગ સંબંધી સંસદની સ્થાયી સમિતિએ લોકપાલની કામગીરી અંગે હળવામાં હળવા શબ્દોમાં ટીકા કરતાં કહ્યું છે કે ‘લોકપાલની કામગીરી સંતોષજનક પ્રતીત થતી નથી’. સમિતિના મતે સ્વચ્છ અને જવાબદાર શાસનમાં વૃદ્ધિના પ્રયાસો માટે  લોકપાલની રચના થઈ છે.  તેથી તેણે અવરોધકને બદલે સહાયકના રૂપમાં કાર્ય કરવું જોઈએ. પોતાની આલોચનાના આધાર તરીકે સમિતિએ જણાવ્યું છે કે ૨૦૨૨-૨૩ના વર્ષમાં લોકપાલને કુલ ૨,૫૧૮ ફરિયાદો મળી હતી. તેમાંથી ૨,૨૭૬ (૯૦ ટકા) ફરિયાદો તેણે નિયત નમૂનામાં ન હોવાના કારણસર રદ્દ કરી છે. બાકીની ૨૪૨માંથી ૧૯૧નો એટલે કે  ૮૮ ટકા ફરિયાદોનો નિકાલ દર્શાવી વાહવાહી મેળવવા પ્રયાસ કર્યો છે. પરંતુ સમિતિએ “વાસ્તવિક કે તથ્ય જણાય તેવી ફરિયાદો ટેકનિકલ કારણોસર રદ્દ ના કરવા” લોકપાલને સલાહ આપી છે. વળી ભ્રષ્ટાચારની જેમના પર ફરિયાદો છે એવી વ્યક્તિઓ પર ચાર વરસમાં લોકપાલે એક પણ કેસ ચલાવ્યો નથી તે અંગે સંસદીય સમિતિએ આઘાત અને આશ્ચર્ય વ્યક્ત કર્યાં છે.

રાજ્યોમાં લોકાયુકતની કામગીરી પણ ઝાઝી વખાણવા લાયક નથી. ગોવાના લોકાયુકત તરીકેના કાર્યકાળની સમાપ્તિએ જસ્ટિસ પ્રફુલ્લકુમાર મિશ્રએ તેમના અનુભવો અને પ્રતિભાવ લેખિત નિવેદન મારફત જણાવ્યા હતા. તેમણે લખ્યું છે  કે “લોકાયુકતને માત્ર ભલામણની સત્તા છે. મેં રાજ્ય સરકારને ૨૧ ભલામણો કરી હતી. પરંતુ એક પણ ભલામણ અંગે સરકારે કોઈ પગલાં લીધા નથી. તો પછી લોકાયુક્તની જરૂર શું છે ? જનતાના નાણાંનો બગાડ કરવાને બદલે લોકાયુક્ત સંસ્થાને ખતમ કરી દેવી સારી”. ઉત્તરાખંડમાં ૨૦૧૩થી લોકાયુક્ત અને સભ્યોના પદ ખાલી છે. પરંતુ વગર લોકાયુક્તે ઓફિસમાં ૨૪ અધિકારી-કર્મચારી કામ (?) કરે છે. લોકાયુક્તની કચેરી માટે સરકારે રૂ. ૩૬ કરોડ ૯૫ લાખની ગ્રાન્ટ ફાળવી હતી અને રૂ. ૨૯ કરોડ ૭૩ લાખનો (મુખ્યત્વે પગાર-ભથ્થાનો) ખર્ચ થયો છે. શું આ રીતે આપણે ભ્રષ્ટાચાર હઠાવી શકીશું ખરા?

e.mail : maheriyachandu@gmail.com

Loading

27 October 2023 Vipool Kalyani
← … ત્યારે રાવણ એક હતો, આજે અનેક છે !
પરિચયના મુસાફિર: ગુલઝાર અને પંચમ  →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved