Opinion Magazine
Number of visits: 9448797
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બ્રાહ્મણોએ પોતાનું ઉચ્ચ સ્થાન કેમ ગુમાવ્યું ?

રમેશ ઓઝા|Opinion - Opinion|7 November 2019

બ્રાહ્મણ એટલે હિંદુસ્તાનની સર્વશ્રેષ્ઠ જ્ઞાતિ, બધા જ ગુણ તેમનામાં છે એમ તેઓ માને છે. તેમને એટલે કે હિંદુસ્તાનના સર્વોચ્ચ-સર્વશ્રેષ્ઠ લોકોને અડધા કરતાં વધુ હિંદુસ્તાન પર રાજ કરવાનો મોકો મળ્યો હતો, પણ તેમને રાજ કરતાં આવડ્યું નહીં, એ વાતનો ચચરાટ મહારાષ્ટ્રના બ્રાહ્મણો અનુભવતા હતા અને આજે પણ અનુભવે છે. પેશ્વાઓએ સામ્રાજ્યની રચના તો નહોતી કરી; પરંતુ ચોથાઈ લઈને તે પૈસા દ્વારા બ્રાહ્મણ શાસકો વિલાસી જીવન જીવતા હતા, તેમનું શાસન દરેક અર્થમાં બ્રાહ્મણી સનાતની હતું, તેઓ આપસમાં કાવાદાવા કરતા હતા, વિશ્વાસઘાત કરતા હતા, પોતે જ પોતાને કમજોર કરતા હતા અને શાસકમાં હોવી જોઈતી દીર્ઘ દૃષ્ટિ નામની હતી.

બ્રાહ્મણ પરાજીત થયા અને એ પણ મુઠ્ઠીભર અંગ્રેજો સામે. એક પ્રસંગ મહારાષ્ટ્રના ઇતિહાસમાં વારંવાર ટાંકવામાં આવે છે. પેશવાઈનો અંત આવ્યો અને અંગ્રેજોનું રાજ આવ્યું ત્યારે મુંબઈનો ગવર્નર એલ્ફીન્સ્ટન પૂના ગયો. બ્રાહ્મણો મહારાષ્ટ્રની શાસક પ્રજા હતી એટલે તેમને શાંત પાડવાના ઈરાદાથી તેણે પૂનામાં વગ ધરાવનારા બ્રાહ્મણોને મળવા બોલાવ્યા. ન્યાયી શાસનનો સધિયારો આપ્યા પછી એલ્ફીન્સ્ટને મહારાષ્ટ્રના વગદાર બ્રાહ્મણોને પૂછ્યું કે તમારી કોઈ માગણી હોય તો કહો. બ્રાહ્મણોએ માગણી કરી કે પેશ્વાઓ અમને દક્ષિણા આપતા હતા એ જળવાઈ રહેવી જોઈએ. એલ્ફીન્સ્ટને ધાર્યું હતું કે બ્રાહ્મણો કદાચ સત્તામાં ભાગીદારી માગશે, કેટલાક હોદ્દાઓ માગશે, પણ માગી માગીને દક્ષિણા? તથાસ્તુ.

સામે પક્ષે બાબરે મરતા પહેલાં પોતાના પુત્ર હુમાયૂને શી સલાહ આપી હતી એ જુઓ : “હિંદુસ્તાનમાં અનેક ધર્મોના લોકો વસે છે. અલ્લાહનો આભાર માન કે તેણે તને આ દેશનો શાસક બનાવ્યો. તું સબૂરી સાથે, નિષ્પક્ષ રહીને, દરેક ધર્મને આદર આપીને ન્યાયપૂર્વક રાજ કરજે. ગાયને હિંદુઓ પવિત્ર માને છે એટલે બને ત્યાં સુધી ગોવધ ન થાય એનું ધ્યાન રાખજે અને હિંદુઓના મંદિરો/પૂજાસ્થાનો નષ્ટ કરવામાં ન આવે એનું ધ્યાન રાખજે.” ભોપાલના આર્કાઈવમાં બાબરનું વસિયતનામું સંગ્રહિત છે અને તે બાબરનું જ હોવાનું કેટલાક વિદ્વાનો માને છે.

બાબર માણસ તરીકે કેટલો મહાન હતો કે નહોતો એ ચર્ચાનો વિષય નથી. ચર્ચાનો વિષય એ છે કે પરાઈ ભૂમિ પર પગ મુક્યા પછી તેને કેમ સ્થિર કરવો અને પછી કેમ ફેલાવવો એ શાસકનો ગુણ તેનામાં હતો. ટકી રહેવા માટે અને ફેલાવા માટે ઇસ્લામને બાજુએ રાખજે એમ સલાહ આપવા જેટલું ભાન બાબરને હતું, પણ એ જ પચરંગી હિંદુસ્તાનમાં ટકી રહેવા માટે અને ફેલાવા માટે હિન્દુત્વ અને બ્રાહ્મણત્વને બાજુએ રાખવું જોઈએ એનું ભાન પેશ્વાઓને નહોતું. જેનું ભાન વિદેશીને હતું તેનું ભાન સ્વદેશીને નહોતું. આને કારણે હાથ લાગેલી અમૂલ્ય તક બ્રાહ્મણોએ ગુમાવી દીધી. બીજા કોઈએ નહીં, આ ધરતી પર પોતાને સર્વશ્રેષ્ટ જાતિ તરીકે ઓળખાવનારાઓએ એ તક ગુમાવી દીધી. આ ચચરાટ જેવો તેવો નથી.

એમાં અંગ્રેજોએ ઇતિહાસ લખીને ભારતની પ્રજાને અને આખા જગતને કહી દીધું કે પેશ્વાઓ(બ્રાહ્મણો)નો પરાજય શેને કારણે થયો. તેમને સામ્રાજ્યની રચના કરતા આવડ્યું નહોતું એ પણ કહ્યું. અંગ્રેજી શિક્ષણ મેળવેલી હિંદુઓની એક પછી એક પેઢી આવવા લાગી તેમણે પણ જોયું કે ભારતની સર્વોચ્ચ ગણાતી જાતિના શાસકો તો સાવ ફૂહડ સાબિત થયા. આ બાજુ બહુજન સમાજમાં પણ ભણેલી પેઢી આવવા લાગી અને તેમણે પણ અનુભવ્યું કે બ્રાહ્મણો શાસકો તરીકે ફૂહડ તો હતા જ પણ અન્યાયી પણ હતા. ન્યાય તો હવે અંગ્રેજો આપે છે.

આ બધું મહારાષ્ટ્રમાં બન્યું હતું એટલે મહારાષ્ટ્રના બ્રાહ્મણોની અકળામણ જેવી તેવી નહોતી. આ અકળામણ છૂપાવવા માટે તેઓએ બ્રાહ્મણગૌરવનો આશરો લીધો. બ્રાહ્મણગૌરવને વિસ્તારીને તેને હિંદુગૌરવ સાથે જોડીને હિન્દુત્વ વિકસાવ્યું. એને સ્વાભાવિક ક્રમે હિન્દવી સ્વરાજ અને હિંદુ રાષ્ટ્ર સાથે જોડ્યું. આ માટે તેમણે અતીતમાં પ્રવેશ કર્યો તે આજ સુધી તેમાંથી તેઓ બહાર આવ્યા નથી અને હિંદુઓને બહાર આવવા દેતા નથી. વર્તમાન ઉઘાડો અકળાવનારો છે, નાક કાપનારો છે એટલે સધિયારો અતીતમાં જ મળી શકે એમ છે. અનુકૂળ ઇતિહાસ શોધવાનો અને જો હાથ ન લાગતો હોય તો રચવાનો. વર્તમાનમાં વર્તમાનની જરૂરિયાત મુજબ ઇતિહાસ રચવાનો. મહારાષ્ટ્રમાં આ ઉદ્યોગ દોઢસો વરસથી ચાલે છે. ઇતિહાસમાંથી શૌર્ય શોધવાનો, ઓછુ પડતું હોય તો ઉમેરણ કરવાનો અને ઇતિહાસમાં ખરે ટાણે હિંદુઓમાં હોવું જોઈતું શૌર્ય ન જડતું હોય તો આરોપવાનો આ ઉદ્યોગ છે. આ ઉદ્યોગના પ્રવર્તક વિનાયક દામોદર સાવરકર છે. મૂળ ઉદ્દેશ મોકો ગુમાવવાની અને ખરે ટાણે ફૂહડ સાબિત થવાની શરમ છૂપાવવાનો છે. લોકોનું ધ્યાન બીજે દોરવાનો છે.

તમે ક્યારે ય વિચાર્યું છે કે શા માટે હિન્દુત્વનો પાયો મહારાષ્ટ્રમાં નખાયો છે? શા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રીયન બ્રાહ્મણો દ્વારા થઈ? શા માટે આજે પણ સંઘના મોટા ભાગના નેતાઓ મહારાષ્ટ્રના બ્રાહ્મણો છે? શા માટે ગાંધીજીની હત્યા કરવાના પ્રયાસ મહારાષ્ટ્રમાં જ થયા અને શા માટે ગાંધીજીની હત્યા મરાઠી બ્રાહ્મણોએ કરી? ગાંધીજી પર બોમ્બ ફેંકનાર મદનલાલ પાહવા પંજાબી હતો, પણ ગાંધીજીની હત્યા કરવામાં તેને મહારાષ્ટ્રના બ્રાહ્મણોએ જ મદદ કરી હતી. પકડાયા પછી તેણે પોલીસને કાવતરાખોરોનાં જે નામો આપ્યાં હતાં એ બધાં મહારાષ્ટ્રના બ્રાહ્મણોનાં જ નામ હતાં. ક્યારે આ વિષે વિચાર્યું છે ખરું?

મહારાષ્ટ્રના બ્રાહ્મણો કૉન્ગ્રેસ દ્વારા રાષ્ટ્રીય રાજકારણમાં વર્ચસ્વ ધરાવતા હતા. સુધારકો તેમના દુશ્મનો હતા, પરંતુ સુધારાવાદી વિનીતોને પ્રજાનો ટેકો નહોતો એટલે તેમની ચિંતા કરવાની જરૂર નહોતી. ૧૯૧૫માં ગાંધીજી ભારતમાં આવ્યા એ પછી સ્થિતિ પલટાઈ ગઈ. ગાંધીજી વિનીતોમાં વિનીત હતા, જહાલોમાં જહાલ હતા અને હિંદુઓમાં હિંદુ હતા. ભારતમાં દરેકને એમ લાગવા માંડ્યું કે ગાંધીજી તેમની ભાષા બોલે છે. દરેકને એમ લાગ્યું કે આ માણસ આપણો છે. ગાંધીજી માત્ર એ લોકોની ભાષામાં નહોતા બોલતા જે ભાષામાં મહારાષ્ટ્રમાં હિન્દુત્વવાદી બ્રાહ્મણો બોલતા હતા. તેઓ પોતાને સનાતની હિંદુ તરીકે ઓળખાવતા હતા, પરંતુ હિંદુગૌરવની વાતો નહોતા કરતા. આને કારણે લોકમાન્ય તિલકના અવસાન પછી મહારાષ્ટ્રના બ્રાહ્મણો ગાંધીજીની સાથે જઈ શકે તેમ નહોતા.

તેમને ગાંધીજી માફક નહોતા આવતા અને કૉન્ગ્રેસ પર ગાંધીજીનો કબજો હતો એટલે તેમની પાસે માત્ર બે જ વિકલ્પ બચતા હતા. કાં તો આખા દેશની પ્રજાની સરખી ભાગીદારીવાળા ગાંધીજીની કલ્પનાના ભારતનો સ્વીકાર કરવો અને કાં ગાંધીજી અને કૉન્ગ્રેસનો ત્યાગ કરવો. દેખીતી રીતે પહેલો વિકલ્પ તેમને ભાવે તેમ નહોતો એટલે તેઓ કૉન્ગ્રેસની વિરુદ્ધ ગયા. ૧૯૨૫માં તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી. મહારાષ્ટ્રના બ્રાહ્મણો ગાંધીજી અને કૉન્ગ્રેસથી દૂર થયા એટલે મહારાષ્ટ્રનો બહુજન સમાજ ગાંધીજી સાથે થઈ ગયો. મહારાષ્ટ્રમાં બ્રાહ્મણો અને બહુજન સમાજ સાથે રહી શકે એ ત્યારે શક્ય જ નહોતું.

ગાંધીજી જ્યારે પાઘડી દ્વારા જ્ઞાતિની ઓળખ ખતમ કરવા અને કાપડનો વેડફાટ બચાવવા ગાંધીટોપી લઈ આવ્યા ત્યારે મહારષ્ટ્રના બ્રાહ્મણોએ ગાંધીટોપીનો વિરોધ કર્યો હતો. તેમણે પાઘડીપુરાણ રચ્યાં હતાં હતાં અને ટોપીની હાંસી ઉડાવી હતી. તેમણે જ્યારે જોયું કે પાઘડી તેનું સ્થાન ગુમાવી રહી છે તો તેમણે ટોપી તો અપનાવી પણ તેનો રંગ સફેદને બદલે કાળો કરી નાખ્યો. આ બાજુ બહુજન સમાજે ધરાર ટોપી અપનાવી લીધી. ગાંધીટોપી આજે આખા ભારતમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ વપરાય છે. હવે બહુજન સમાજના જે લોકો ટોપી નથી પહેરતા એ લોકો પણ શુભાશુભ પ્રસંગે ગાંધીટોપી અવશ્ય પહેરે છે. ૧૯૪૮માં મહારાષ્ટ્રના બ્રાહ્મણોએ ગાંધીજીની હત્યા કરી એ પછી મહારાષ્ટ્રમાં બહુજન સમાજના લોકોએ બ્રાહ્મણોનાં ઘર બાળ્યાં હતાં. ગાંધીદ્વેષી બ્રાહ્મણો માટે બહુજન સમાજને દ્વેષ હતો.

આનો રાજકીય અને ચૂંટણીકીય લાભ કૉન્ગ્રેસને મળતો રહ્યો છે. ૧૯૭૭માં ઈમરજન્સી પછી કૉન્ગ્રેસનો અનેક રાજ્યોમાં પરાજય થયો હતો, પરંતુ મહારાષ્ટ્રમાં નહોતો થયો. કૉન્ગ્રેસ વિરોધી પક્ષો માટે ત્યારે દેશનાં અનેક રાજ્યોમાં અનુકૂળતા પેદા થઈ હતી, પરંતુ મહારાષ્ટ્રમાં તો તેમને માટે પ્રતિકૂળતા જ હતી. મહારાષ્ટ્રમાં બ્રાહ્મણવિરોધી રાજકારણ આટલી હદે તીવ્ર છે અને ધ્રુવીય છે.

આજે એ બધી વાતોને સો વર્ષ થવાં આવ્યાં છે. આ ઉપરાંત કૉન્ગ્રેસ હવે એ ગાંધી-નેહરુની કૉન્ગ્રેસ રહી નથી. હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનો જુવાળ છે. નરેન્દ્ર મોદી લોકપ્રિયતાની ટોચે છે. ગોદી મીડિયા નરેન્દ્ર મોદીના પક્ષમાં રાષ્ટ્રીય સંમતિ પેદા કરવા મથી રહ્યા છે. વોટ્સેપ યુનિવર્સિટી સક્રિય છે અને બી.જે.પી. પાસે માપબાર પૈસા છે. આ બધા સંજોગો જોતાં એમ લાગતું હતું કે મહારાષ્ટ્રમાં આ વખતે બિન કૉન્ગ્રેસી પક્ષને અર્થાત્ બી.જે.પી.ને સ્પષ્ટ બહુમતી મળી જાય તો આશ્ચર્ય નહીં. પણ ફરી એકવાર એવું બન્યું નથી જે બતાવે છે કે આઝાદી પહેલાનાં છેક ૧૯મી સદી સુધી લઈ જનારાં પરિબળો હજુ પણ સક્રિય છે.

આ પરિબળો બીજાં અંતિમે તામિલનાડુમાં પણ સક્રિય છે. ત્યાં બ્રાહ્મણો ગાંધીજીની સાથે રહ્યા એટલે પોતાને આર્ય સંસ્કૃતિના વિરોધી ગણાવતા ત્યાંના દ્રવિડો કૉન્ગ્રેસની વિરુદ્ધ ગયા હતા. તામિલનાડુમાં બ્રાહ્મણોને આર્ય સંસ્કૃતિના રખેવાળ માનવામાં આવે છે. 

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 07 નવેમ્બર 2019

Loading

7 November 2019 admin
← અપૂર્વ આશ્ચર્ય : મુંબઈનું એરપોર્ટ
‘હેલ્લારો’ : સર્જકતા, સમજ અને મહેનતથી બનેલી ફિલ્મ, શું તેની છાલક પુરુષપ્રધાન માનસને ભીંજવી શકશે ? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved