Opinion Magazine
Number of visits: 9448707
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભૂદાન આંદોલન: એક અધૂરી ક્રાંતિની પોણી સદીએ …

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 May 2025

ચંદુ મહેરિયા

દેશ આઝાદ થયાને હજુ તો છ મહિના ય થયા નહોતા અને ગાંધીજીની હત્યા થઈ. ગાંધી હત્યાએ સર્જેલ શૂન્યાવકાશ, આઘાત અને વિષાદમાંથી ઉબરવા જ શાયદ વિનોબા ભાવેએ પહેલ કરી. માર્ચ ૧૯૪૮માં મહારાષ્ટ્રના સેવાગ્રામ(જિ.વર્ધા)માં ગાંધીજનોનું સંમેલન યોજ્યું. વડા પ્રધાન જવાહરલાલ નહેરુ, રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ, મૌલાના આઝાદ સહિતના અનેક અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા સેવાગ્રામ સંમેલનમાં ગાંધીજીનાં કાર્યોને આગળ વધારવાની વિચારણા થઈ હતી. 

ઈ.સ. ૧૯૦૪માં ગાંધીજીએ રસ્કિનનું ‘અનટુ ધિસ લાસ્ટ’ વાંચ્યું હતું. અને તે તેમના દિલોદિમાગમાં છવાઈ ગયું હતું .૧૯૦૮માં તેનો ગુજરાતી અનુવાદ પ્રગટ થયો ત્યારે ગાંધીજીએ તેના શીર્ષક તરીકે ‘સર્વોદય’ શબ્દ સૂચવેલો. ‘હિંદ સ્વરાજ'(૧૯૦૯)માં તેમણે સર્વોદયનો ખ્યાલ સ્પષ્ટ કર્યો હતો. સર્વોદય અર્થાત વધારેમાં વધારે માણસોનો વધારેમાં વધારે ઉદય એ ગાંધી વિચારનો અર્ક હતો. એટલે તેની આસપાસની સઘળી વિચારણાઓ પછી સેવાગ્રામ સંમેલનમાં ‘વિચારની મુક્ત સંગતિની યોજના’ તરીકે ‘સર્વોદય સમાજ’  અને ‘ કાર્યની સુગઠિત વ્યવસ્થા કાજે’ ‘સર્વ સેવા સંઘ’ની રચના કરવામાં આવી. પંડિત નહેરુના આગ્રહથી વિનોબાએ પાકિસ્તાનથી આવેલા ચાળીસ લાખ નિરાશ્રિતોના પુનર્વાસનું ગંજાવર કામ હાથ પર લીધું. પુનર્વસનના કામ દરમિયાન વિનોબાને અમલદારશાહીના જડસુ, લોકવિરોધી અને વિચારહીન વલણોનો અનુભવ થયો. એટલે તેઓ લોકશક્તિ જાગ્રત કરવા દેશ આખામાં ઘૂમવા માંડ્યા.

સર્વોદય સમાજના વાર્ષિક સંમેલનોની પરંપરામાં એપ્રિલ ૧૯૫૧માં આંધ્રના શિવરામપલ્લીમાં સંમેલન હતું. વિનોબા સેવાગ્રામથી ત્રણસો કિલોમીટરની પદયાત્રા કરીને સંમેલનમાં ગયા હતા. તેલંગાણાના  એ વિસ્તારમાં ત્યારે ભૂમિ સમસ્યા ચરમ પર હતી. સામ્યવાદીઓએ મોટા જમીનદારો સામે જમીનવિહોણાઓને સંગઠિત કરી હિંસા, લૂંટફાટ  તથા ખૂનામરકીથી જમીનો મેળવી હતી. એટલે વિનોબાએ તે વિસ્તારની જાતતપાસ માટે પદયાત્રાનું આયોજન કર્યું. ૧૫મી એપ્રિલ ૧૯૫૧ને રામનવમીના દિવસે હૈદરાબાદથી તેમણે પદયાત્રા આરંભી. 

૧૮મી એપ્રિલ ૧૯૫૧ના દિવસે પદયાત્રા તેલંગાણાના નલકોંડા જિલ્લાના પોચમપલ્લી પહોંચી હતી. ૭૦૦ ઘરની વસ્તીના આ ગામમાં પોણા ભાગના જમીનવિહોણા ખેતમજૂરો હતા. સવાર સવારમાં જ પદયાત્રા પોચમપલ્લીની દલિત વસ્તીમાં ગઈ. દલિતોએ વિનોબાને કહ્યું, “અમે હાડતોડ મહેનત કરીએ છીએ પણ તો ય બે ટંક રોટલા ભેળા થતા નથી. અમારે પેટ માટે રોટલો અને રોટલા માટે જમીન જોઈએ છે.” વિનોબાએ તેમની અરજ સાંભળી વળતાં પૂછ્યું તો દલિતોએ કહ્યું કે ‘૮૦ એકર જમીન મળે તો ભયો ભયો’. ભલે તેમાં અડધી સૂકી કે બિનફળદ્રુપ હોય. સરકાર પાસે સરકારી પડતર જમીન મેળવવા વિનોબા વિચારતા હતા. એવામાં તેમણે સાથી પદયાત્રીઓ અને ગ્રામવાસીઓને પૂછ્યું કે ‘શું ગામમાંથી તેમને જમીન આપી શકાય તેમ છે?’ એ જ સમયે રામચંદ્ર રેડ્ડીએ તેમના પિતાની સ્મૃતિમાં તેમની ઈચ્છાનુસાર ૧૦૦ એકર જમીન દાન આપવાનું કહ્યું અને જાણે કે નવી દિશા ઉઘડી.

ભૂમિસમસ્યાગ્રસ્ત તેલંગાણાની એ પદયાત્રામાં વિનોબાએ બીજા દિવસે પણ કોઈ સજ્જન ભૂમિવાન મળી રહેશેની આશે લોકો પાસે જમીન માંગી અને એ દિવસે પણ ૨૫ એકર મળી. એટલે વિનોબાને સર્વોદયનો માર્ગ મળી ગયો. જમીનના દાને નવી વિચારસૃષ્ટિ ઉઘડી. ભારતની ભૂમિ સમસ્યાનો કરુણા, સદ્દભાવના અને સમજાવટના માર્ગે ઉકેલ જડ્યો. ત્રીજા દિવસે ૨૦મી એપ્રિલ ૧૯૫૧ના રોજ વિનોબાએ ભૂદાનયજ્ઞ શબ્દ જાહેર કર્યો અને તેમની શેષ યાત્રા તેને જ સમર્પિત કરી. આજે તો હવે તે હકીકતને પંચોતેર વરસ થયાં. 

બાદમાં ભૂદાનયજ્ઞ વિસ્તરીને આખા દેશમાં ભૂદાન આંદોલન અને અંતે ભૂદાન આરોહણ બન્યો. તેમાં ગ્રામદાન, સંપત્તિદાન, સાધનદાન અને જીવનદાન જેવા નવા આયામો ઉમેરાતાં રહ્યાં. જમીન એ તો શોષણનું સૌથી મોટું સાધન છે. સ્વતંત્ર ભારતમાં જમીનોની માલિકી રાજા-મહારાજા, નિઝામો- નવાબો અને મોટા જમીનદારોની હતી. એ સંજોગોમાં વિનોબાએ હવા અને પાણીની જેમ જમીન પર પણ કોઈની વ્યક્તિગત માલિકી ન હોઈ શકે, તે લોકોની મઝિયારી સંપત્તિ છે એવો અલખ જગવ્યો. તે જમીનદારોને અપીલ કરતાં કે ‘હું દાન નહીં ગરીબોનો હક માંગુ છું’. દાન સંવિભાગના ન્યાયે દાન એટલે સમ્યક વિભાજન. ‘ખેતીલાયક જમીનનો છઠ્ઠો ભાગ મને છઠ્ઠો ભાઈ ગણી આપો’ એવી તેમની લાગણીસભર અપીલની ભૂમિવાનો પર ખાસ્સી અસર થતી અને જમીનો મળવા માંડી. ભૂદાન આંદોલનમાં જમીનોનું વિતરણ પણ સાથે જ થતું હતું.

૧૮મી એપ્રિલ ૧૯૫૧થી ૧૦મી એપ્રિલ ૧૯૬૪ના તેર વરસો સુધી ભૂદાન આંદોલન ચાલ્યું. ૫૮,૭૪૧ કિલોમીટરની પદયાત્રામાં ૪૨ લાખ એકર જમીન મળી. જે ૧૮ લાખ જમીનવિહોણા પરિવારોને વહેંચવામાં આવી. તેમાં મોટાભાગના નિર્ધન દલિત, આદિવાસી, પછાત હતા. દેશમાં જે કુલ ૧૩,૦૦૦ ગ્રામદાન રજિસ્ટર થયા તેની બધી જમીન કે ભૂમિવાનોની વીસ ટકા જમીનો ગામની માલિકીની બની. ભૂદાન આંદોલન એક અહિંસક ક્રાંતિ હતી. તેણે કતલ કે કાનૂનના બદલે કરુણાના રસ્તે ગરીબી મિટાવી અને અમીરી ઘટાડી હતી. દેશના અન્ય ભાગોની જેમ ગુજરાતમાં પણ ભૂદાન આંદોલનની વ્યાપક અસર થઈ હતી. ગુજરાતે ભૂદાન આંદોલનમાં ૧૯૫૨થી ૧૯૫૮ના ગાળામાં ૧૮,૩૨૭ ભૂદાતાઓ પાસેથી ૧,૦૩,૫૪૩ એકર જમીન મેળવી હતી. 

પોણી સદીએ ભૂદાન આંદોલનના લેખાંજોખાં માંડતા જણાય છે કે ભારતની ભૂમિસમસ્યા ઉકેલવામાં તેનો અલ્પ ફાળો જરૂર છે. જમીનદારી નાબૂદીના કે જમીન ટોચમર્યાદાના કાયદા ઘડાયા કે તેને અદાલતી સમીક્ષાથી વેગળા રખાયા તેમાં ભૂદાન આંદોલનનું મહત્ત્વનું યોગદાન છે. મોટા જમીનદારોને જ્યારે ભૂદાનયાત્રીઓ મળતા ત્યારે તેઓ અભિમાન કે ગૌરવને બદલે દબાતા અવાજે પોતાની માલિકીની જમીનનો મોટો આંકડો કહેતા હતા.એટલે તેમને ભાવનાત્મક સ્તરે શરમિંદા કરવાનું કામ આંદોલને કર્યું હતું. આ આંદોલનમાં ‘શબરીના બોર અને સુદામાના તાંદુલ’ જેવા દાન મળ્યા હતાં તો પોતે ખપજોગી રાખીને બાકીની બધી જ જમીન દાન કરી હોય તેમ પણ બન્યું છે. એ અર્થમાં આંદોલનની વૈચારિક અને ભાવનાત્મક અસર બહુ પ્રબળ થઈ હતી. 

ભૂદાન આંદોલનની ભૌતિક સફળતા ખાસ જોવા મળતી નથી. ૧૯૫૧માં ખુદ વિનોબાજીએ આંદોલનના આરંભે દેશના સઘળા ભૂમિહીનો માટે પાંચ કરોડ એકર જમીનની જરૂરિયાત ગણાવી હતી. પરંતુ લગભગ સવા દાયકાના અંતે આંદોલન સમેટાયું ત્યારે માંડ અડધો કરોડ એકર પણ જમીન મળી નહોતી. એટલે આવશ્યકતાના દસમા ભાગ જેટલી જમીન મળી હતી. ગુજરાતમાં જમીન તો એક લાખ એકર મળી પણ તેમાંથી અડધી (૫૦,૯૮૪ એકર) જ વિતરિત કરી શકાઈ કેમ કે બાકીની જમીનો કોર્ટકચેરી અને હકદાવાના ચકકરમાં અટવાયેલી હતી. એટલે મળ્યા છતાં ના મળ્યા બરાબર હતી. આવું આખા દેશમાં પણ બન્યું હશે. ૧૯૫૧માં  દેશમાં આશરે પાંચ લાખ ગામડાંમાંથી માત્ર તેર હજાર ગામો જ ગ્રામદાની બન્યા તે  સિદ્ધિ પણ સામાન્ય ગણાય. 

ભૂદાન આંદોલનની એક અન્ય મર્યાદા એ રહી કે લોકોમાં ખાસ કરીને અમીરો અને જમીનદારોમાં દાનની લાગણી અને ભાવનાના જે ઉભરા વહેતા થયા તેને યોગ્ય રીતે અને સમયસર ચેનલાઈઝ અને ઈન્સ્ટિટ્યુલાઈશન ના કરી શકાયું. ભૂદાન કરનાર જમીનદારો અને જમીન મેળવનાર જમીનવિહોણાઓનું કોઈ સંગઠન ના બનાવાયું. ભૂદાન અને અને ગ્રામદાનના કાયદા ઘડાયા તેમ ભૂદાનથી ઊભા થયેલા માહોલનો લાભ લઈને જમીન સુધારાના પ્રગતિશીલ કાયદા ઘડવા સરકાર પર દબાણ ઊભું કરવાની અમૂલ્ય તક પણ આંદોલને ન ઉઠાવી.

ભૂમિ સમસ્યા આજે ય વણઉકલી છે. હવે તે વધુ તીવ્ર બની છે. ખેતીની જમીનોનું ઉદ્યોગો અને વિકાસ કામો માટે સરકાર બળજબરીથી અધિગ્રહણ કરે છે. મસમોટા ફાર્મ હાઉસિસ અને કોર્પોરેટ ફાર્મિગના જમાનામાં ખરા ખેડૂતો હાંસિયામાં ધકેલાઈ ગયા છે. ભૂદાન આંદોલનનું અમૃત વરસ ભૂમિ સમસ્યાને આજે અને અબઘડી ઉકેલવાનું આહવાન તો કરે છે પણ રસ્કિન-ગાંધી વિચાર ‘સર્વોદય’થી આરંભાયેલી મજલ આજે તો ‘સબ કા વિકાસ’ના રાજકીય ‘બણગાંએ આવી ઊભી છે તે અંગે વિચારવા વિવશ કરે છે. સાંભળો છો કોઈ?

e.maill : maheriyachandu@gmail.com 

Loading

29 May 2025 Vipool Kalyani
← ‘સત્યનો અંતિમ પ્રયોગ’
સર્વોચ્ચ અદાલતની સાફ વાત: ઈ.ડી. એ કંઈ કેન્દ્રનો હાથો નથી →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved