Opinion Magazine
Number of visits: 9452374
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતની કોવિડ-૧૯ કટોકટી

ધ લાન્સેટ|Opinion - Opinion|16 May 2021

ભારતનાં પીડાનાં દૃશ્યોનો તાગ મેળવવાનું કઠણ છે. રોજના લગભગ ૩.૭૪ લાખ કેસની સરેરાશથી, મે ૪ સુધીમાં કોવિડ-૧૯ના ૨.૦૨ કરોડ કેસ નોંધાયા છે. મૃત્યુઆંક છે ૨.૨૨ લાખ (બે લાખ બાવીસ હજાર), જે નિષ્ણાતોના મતે વાસ્તવિક આંકડા કરતાં ઘણો ઓછો હોઈ શકે છે. હૉસ્પિટલો ઉભરાયેલી છે, આરોગ્યકર્મીઓ નીચોવાઈ ગયા છે અને ચેપગ્રસ્ત બની રહ્યા છે. મેડિકલ ઑક્સિજન, બેડ અને બીજી જરૂરિયાતો માટે ડૉક્ટરોની તેમ જ સામાન્ય લોકોની અપીલોથી સોશિયલ મીડિયા ભરચક છે. છતાં, માર્ચ(૨૦૨૧)ના આરંભે કોવિડ-૧૯નું બીજું મોજું આવ્યું, તે પહેલાં ભારતના આરોગ્ય મંત્રી હર્ષવર્ધને જાહેર કર્યું હતું  કે ભારતમાં મહામારીનો ખેલ ખતમ થવામાં છે. વાઇરસનાં સ્વરૂપાંતરોની અને બીજા મોજાના ખતરાની વારંવાર અપાયેલી ચેતવણીઓ છતાં, ભારત સરકાર તરફથી એવી જ છાપ ઊભી કરવામાં આવી કે મહિનાઓથી સતત ઘટતા કેસોના પગલે ભારતે કોવિડ-૧૯ને હરાવી દીધો છે. આંકડાકીય મૉડેલો દ્વારા ખોટી રીતે એવું સૂચવાયું કે ભારત હર્ડઇમ્યુનિટીના તબક્કે પહોંચી ગયું છે. તેના કારણે ગાફેલિયતને પ્રોત્સાહન મળ્યું અને તૈયારીનું કામ ઢીલું પડ્યું. પરંતુ જાન્યુઆરીમાં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના સીરોસર્વેમાં જણાયું હતું કે વસ્તીના માત્ર ૨૧ ટકા લોકોમાં SARS-CoV-2નાં પ્રતિરોધક દ્રવ્યો હતાં. તે વખતે વડા પ્રધાન મોદીની સરકાર મહામારી પર કાબૂ મેળવવાને બદલે ટિ્‌વટર પરથી ટીકાઓ દૂર કરવા માટે વધારે ઉત્સુક જણાતી હતી.

મોટા પાયે ચેપ ફેલાવનારાં સુપરસ્પ્રેડર આયોજનો અંગે ચેતવણીઓ છતાં, સરકારે બેરોકટોક ધાર્મિક ઉત્સવો થવા દીધા, જેમાં દેશભરમાંથી લાખો લોકોએ ભાગ લીધો. વિશાળ રાજકીય રેલીઓ યોજાવા દીધી, જેમાં કોવિડ-૧૯નો ફેલાવો અટકાવવા માટેની કશી વ્યવસ્થા ન હતી અને તે ઊડીને આંખે વળગે એવું હતું. કોવિડ-૧૯નો છેડો આવી ગયો છે, એવા સંદેશને કારણે ભારતમાં કોવિડ-૧૯ની રસીકરણ ઝુંબેશની શરૂઆત ધીમી થઈ. બે ટકાથી પણ ઓછી વસ્તીને રસી મળી છે. કેન્દ્રના સ્તરે ભારતનો રસીકરણ-કાર્યક્રમ વેરવિખેર થઈ ગયો. કેન્દ્ર સરકારે રાજ્યો સાથે વાતચીત કરવાને બદલે ઓચિંતો પાટો બદલ્યો અને ૧૮ વર્ષથી ઉપરના સૌ કોઈ રસી મેળવી શકશે, એવું જાહેર કરી દીધું. તેના કારણે રસીના જથ્થાની ઘટ પડતાં ભારે ગૂંચવાડો સર્જાયો અને રસીનું એવું બજાર ઊભું થયું, જેમાં રાજ્યો અને હૉસ્પિટલો રસી માટે સ્પર્ધામાં ઊતર્યાં.

કટોકટી બધે એકસરખી નથી. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યો કેસમાં ઓચિંતા ઉછાળા માટે તૈયાર ન હતાં. ત્યાં જોતજોતાંમાં મેડિકલ ઑક્સિજન ખાલી થઈ ગયો, બેડ ખૂટી પડ્યા, સ્મશાનોની ક્ષમતાનો છેડો આવી ગયો. કેટલીક રાજ્ય સરકારોએ ઑક્સિજન કે બેડની માગણી કરનારા સામે રાષ્ટ્રીય સુરક્ષાને લગતા કાયદા લાગુ પાડવાની ધમકી આપી. કેરળ અને ઓડિશા જેવાં રાજ્યો પ્રમાણમાં વધુ તૈયારી ધરાવતાં હતાં. એટલે બીજા મોજા વખતે તે બીજાં રાજ્યોમાં મોકલી શકે એટલી માત્રામાં ઑક્સિજનનું ઉત્પાદન કરી શક્યાં.

ભારતે હવે બેપાંખિયો વ્યૂહ અપનાવવાનો રહે છે : પહેલાં તો ખોટકાયેલા રસીકરણ-કાર્યક્રમને વ્યવસ્થિત સ્વરૂપ આપીને યથા યોગ્ય ઝડપે તેને શરૂ કરવો. આ કામમાં તત્કાળ બે અડચણો છે : રસીનો જથ્થો વધારવો (તેમાંથી કેટલોક જથ્થો પરદેશથી આવવો જોઈએ) અને વિતરણની એવી વ્યવસ્થા ગોઠવવી કે જે ફક્ત શહેરી જ નહીં, ગ્રામીણ અને ગરીબ નાગરિકોને પણ આવરી લે. ભારતની વસ્તીમાં તેમનો હિસ્સો ૬૫ ટકાથી વધારે (૮૦ કરોડથી વધારે) છે, પણ તે વર્ગ જાહેર આરોગ્ય અને પ્રાથમિક સારવારની સુવિધાઓની તીવ્ર અછત વેઠે છે. સરકારે સ્થાનિક અને પ્રાથમિક આરોગ્યકેન્દ્રો સાથે કામ કરવું જોઈએ, જે સ્થાનિક લોકસમુદાયને બરાબર જાણતા હોય અને જે રસીના વિતરણની સમાનતાપૂર્ણ વ્યવસ્થા ગોઠવી શકે.

બીજું, વૅક્સિન આવે ત્યાં સુધી ભારતે SARS-CoV-2નો ફેલાવો શક્ય હોય એટલો અટકાવવો પડશે. કેસ આવતા જાય તેમ સરકારે સમયસર રીતે ચોકસાઈપૂર્વકની માહિતી જાહેર કરવી જોઈએ. શું થઈ રહ્યું છે અને કેન્દ્ર સરકાર તરફથી લૉકડાઉન જાહેર કરવાની સંભાવના સહિત, કોવિડનો ચડતો આલેખ સપાટ કરવા માટે બીજું શું કરવું પડશે, તે લોકોને સ્પષ્ટ શબ્દોમાં જણાવવું જોઈએ. SARS-CoV-2નાં નવાં અને વધુ ચેપી સ્વરૂપાંતરોનું પગેરું દાબવા માટે, તેમની સમજ મેળવવા માટે અને તેમની પર કાબૂ મેળવવા માટે જિનોમ સિક્વન્સિંગનો – વાઇરસના બંધારણના અભ્યાસનો – વિસ્તાર થવો જોઈએ. સ્થાનિક સરકારોએ રોગનો ફેલાવો અટકાવવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે, પરંતુ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સમૂહમિલનો પર બંધી, સ્વૈચ્છિક રીતે ક્વૉરન્ટાઈન રહેવું અને ટેસ્ટ કરાવવા જેવી બાબતો લોકોને સમજાવવામાં કેન્દ્ર સરકારની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. કટોકટી દરમિયાન ટીકાને અને મુક્ત ચર્ચાને રૂંધવાના મોદીના પ્રયાસો કોઈ રીતે વાજબી ઠરાવી શકાય એવા નથી.

ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હૅલ્થ મૅટ્રિક્સ ઍન્ડ ઇવેલ્યુએશનના અંદાજ પ્રમાણે, ઑગસ્ટ ૧ સુધીમાં ભારતમાં કોવિડ-૧૯ને કારણે થયેલાં મૃત્યુનો આંકડો ૧૦ લાખે પહોંચશે. જો આવું થશે તો પોતાના રાજમાં જાતે વહોરી લીધેલી આ આફત માટે મોદી સરકાર જવાબદાર હશે. શરૂઆતના તબક્કે કોવિડ-૧૯ પર કાબૂ મેળવવામાં હાંસલ થયેલી સફળતા ભારતે વેડફી નાખી. એપ્રિલ (૨૦૨૧) આવ્યો, ત્યાં સુધી તો સરકારના કોવિડ-૧૯ ટાસ્કફોર્સની મહિનાઓથી મિટિંગ પણ મળી ન હતી. તેનાં પરિણામ આપણી સામે ઉઘાડાં છે. કટોકટી કારમી છે ત્યારે ભારતે નવેસરના આયોજન સાથે તેનો મુકાબલો કરવો પડશે. આ પ્રયાસોની સફળતાનો આધાર પોતાની ભૂલોનો સ્વીકાર કરી શકતી સરકાર પર, જવાબદાર અને પારદર્શક નેતૃત્વ પૂરું પાડવા પર તથા જેના કેન્દ્ર સ્થાને વિજ્ઞાન હોય એવાં જાહેર આરોગ્યને લગતાં પગલાં લેવા પર રહેશે.

(સુપ્રતિષ્ઠ મેડિકલ જર્નલ ‘ધ લાન્સેટ’ના મે ૮, ૨૦૨૧ના અંકનો તંત્રીલેખ, અનુવાદ : ઉર્વીશ કોઠારી)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 03

Loading

16 May 2021 admin
← દલા તરવાડીની વાડી
ભાગવતનું ભેંશ આગળ ભાગવત … →

Search by

Opinion

  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?
  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved