Opinion Magazine
Number of visits: 9503709
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય સૈનિકો શહીદ થવા માટે જ છે?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 July 2024

રવીન્દ્ર પારેખ

15 જુલાઇ, 2024ની રાત્રે જમ્મુના ડોડા વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં એક કેપ્ટન સહિત 4 જવાનો શહીદ થયા, એ સાથે એક પોલીસકર્મીનું પણ મોત થતાં કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા. ખરેખર તો સેના અને પોલીસને આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. પહેલી વખત તો આતંકીઓ હુમલો કરીને જંગલમાં ભાગી છૂટ્યા, પણ પછી રાતના નવના સુમારે ફરી હુમલો કરતાં ભારતે 5 જીવો ખોવાના આવ્યા. એ પછી રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસે સર્ચ ઓપરેશન વધુ જલદ કર્યું, તો ય 16મી જુલાઈએ આતંકીઓ અને જવાનો વચ્ચે બે વખત સામસામા ગોળીબાર તો થયા જ ! એમાં જાનહાનિ તો ન થઈ, પણ 17 જુલાઈએ હેલિકોપ્ટર અને ડ્રોનની મદદથી આતંકીઓની ખોળખાળ ચાલી. આની જવાબદારી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ કાશ્મીર ટાઈગર્સે સ્વીકારી ને એ આતંકી સંગઠનનો દાવો છે કે આર્મી કેપ્ટન સહિત 12 સૈનિકો માર્યા ગયા છે ને 6 ઘવાયા છે. 17મીએ પણ આતંકીઓએ કાસ્તીગઢ વિસ્તારમાં મોડી રાત્રે શાળામાં તૈયાર કરેલ અસ્થાયી સુરક્ષા કેમ્પ પર ગોળીબાર કર્યો ને સેનાએ વળતો હુમલો કરતાં આતંકીઓ ભાગી છૂટ્યા હતા, પણ સેનાએ તેમને ઘેરી લેતાં 4 કલાક સુધી સામસામા ગોળીબાર થયા હતા. 18 જુલાઈએ વહેલી સવારે વળી આતંકવાદીઓએ હુમલો કરીને 2 જવાનોને ઘાયલ કર્યા હતા.

ડોડા જિલ્લાને આમ તો 2005માં આતંકવાદ મુક્ત જાહેર કરાયો હતો, પણ છેલ્લા ત્રણેક મહિનામાં 10 આતંકવાદી હુમલા થયા છે ને અત્યાર સુધીમાં 52 જવાનો સહિત 70નાં મોત થયાં છે. એ પછી સેનાએ 7,000 જવાનો, 8 ડ્રોન અને 40 સ્નિફર ડોગથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, તે એટલે કે સુરક્ષા દળોને 24 આતંકીઓ છુપાયા હોવાના સંકેતો મળ્યા છે. આ આતંકીઓમાં ડોડાના દેસા જંગલમાં 5 જવાનોને શહીદ કરનારા આતંકીઓ પણ ખરા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીનું કહેવું છે કે ડોડા અને કઠુઆ પાંચેક મહિનાથી આતંકવાદનું કેન્દ્ર બન્યાં છે. કઠુઆના બદનોટાથી ડોડામાં ધારીગોટે અને બગ્ગી સુધીના અઢીસો કિલોમીટરના અંતરમાં આતંકીઓ છુપાયા છે. આ વિસ્તાર પહાડી છે અને આતંકીઓ પહાડ પર ચડીને ઊંચેથી નીચે હુમલાઓ કરી શકે એમ છે. જો કે, આ વખતે સૈનિકોને પહાડો પર દારૂગોળા અને ખાદ્ય સામગ્રીઓ સાથે તૈનાત કરવામાં આવ્યા છે.

એ ખરું કે જમ્મુના આતંકીઓ વિદેશી છે ને તેઓ અદ્યતન તાલીમ લઈને આવ્યા છે. તેમની પાસે સ્ટીલની બનેલી આર્મર-પિયર્સિંગ બુલેટ્સ તથા લાઇટ વેઇટ M4 કાર્બાઈન ગન છે. આ બુલેટ્સ ને ગન અમેરિકા અને નાટોના સૈનિકો અફઘાનિસ્તાનમાં તાલિબાનો સામે વાપરતા હતા. એ બુલેટ્સ અને ગન જમ્મુમાં આતંકવાદીઓ વાપરે છે, તો સવાલ થાય કે એ ગન અને બુલેટ્સ એમની પાસે આવી ક્યાંથી? અમેરિકા ભારતનું મિત્ર છે, પણ ભારત સામે વાપરવા હથિયારો તે પાકિસ્તાનને પૂરાં પાડે છે. વળી આ આતંકીઓએ તાલીમ પાકિસ્તાન આર્મી પાસેથી લીધી છે, એટલે બિનતાલીમી સ્થાનિક-કાશ્મીરી આતંકીઓ કરતાં તેમનો સામનો કરવાનું મુશ્કેલ છે, પણ ભારતીય જવાનો પણ સુસજ્જ છે, એટલે વહેલી તકે આતંકીઓનો સફાયો થઈને રહેશે એ નક્કી છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે આર્મી ચીફ પાસેથી જરૂરી માહિતી મેળવી છે. જમ્મુ ડિવિઝનનાં ડોડામાં આ પાંચમું એન્કાઉન્ટર છે. અગાઉ 9 જુલાઈએ એન્કાઉન્ટર થયું હતું. આ વિસ્તારમાં 26 અને 12 જૂને બબ્બે હુમલાઓ થયા હતા. એ પછી સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી, તેમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. તાત્પર્ય એ છે કે સર્જિકલ સ્ટ્રાઇકને બાદ કરતાં આતંકી હુમલાઓમાં ભારતે વધુ વેઠવાનું આવ્યું છે. એ કમનસીબી છે કે ભારતને પડોશી રાષ્ટ્રો શત્રુવટ રાખનારાં મળ્યાં છે. ચીનની આડાઈ, ભારતીય સરહદો સાથેની છેડછાડ, સરહદો નજીક ઊભી કરાતી વસાહતો, સરહદો પર થતાં અતિક્રમણથી ચીન સાથેના સંબંધો વણસેલા છે, તો પાકિસ્તાન બધી રીતે મરવા પડ્યું છે, પણ તેની કનડગત ઘટતી નથી. ભારત, સામેથી કદી હુમલો કરતું નથી, તે ખાનદાનીને પાકિસ્તાન ભારતની નબળાઈ માની રહ્યું છે. તે એ પણ જાણે છે કે સીધા યુદ્ધમાં તે કદી ફાવી શકે એમ નથી, એટલે સીમા  પારથી નિર્લજ્જ આતંકી હિલચાલ કરતું રહે છે.

એ ભારત માટે પણ શરમજનક છે કે આતંકી પ્રવૃત્તિઓ દ્વારા પાકિસ્તાન કાશ્મીરથી જમ્મુ સુધી ઘૂસી આવ્યું છે ને પાંચેક મહિનાથી આ પ્રવૃત્તિઓએ વેગ પકડ્યો છે, પણ કેન્દ્ર સરકાર તેને હળવાશથી લઈ રહી હોવાનું લાગે છે. એ બેહદ ચિંતાનો વિષય છે કે કાશ્મીરી ઘાટીઓ પૂરતી સીમિત રહેલી આતંકી ગતિવિધિ જમ્મુ સુધી વિસ્તરી છે, એટલું જ નહીં, પાંચેક મહિનામાં જમ્મુ મુખ્ય મથક પણ બન્યું છે, તે પણ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે ત્યારે ! લોકસભાની ચૂંટણીમાં ભારે મતદાન થયું તેવું આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ન થાય ને વાતાવરણ બગડે એવી કોઈ રમત રમાતી હોવાનું આતંકી પ્રવૃત્તિઓમાં આવેલા વેગ પરથી લાગે છે. શંકા તો એવી પણ છે કે કાશ્મીરથી જમ્મુ સુધી આતંકીઓ પહોંચવામાં સફળ થયા છે, એમાં સ્થાનિકોનો સહકાર મળી રહ્યો હોય એવી શક્યતા નકારી શકાય એમ નથી.

વાત તો એવી પણ છે કે પાકિસ્તાન પૂર્વ સૈનિકોને આતંકવાદી બનાવીને ભારતમાં મોકલી રહ્યું છે. એ સાથે જ ટેકનિકલ ઇન્ટેલિજન્સ મામલે પણ પ્રશ્નો ઉદ્દભવે છે. નવી ટેકનોલોજી સેનામાં દાખલ કરવાની વર્ષોથી વાત ચાલે છે, પણ હજી સુધી તો એ વાતો જ છે. આટલા આતંકી હુમલા થાય એનો અર્થ જ એ કે આતંકીઓનું કોમ્યુનિકેશન પહોંચની બહાર છે. એવે વખતે કેવળ સૂત્રોથી આશ્વસ્ત થઈ શકાય નહીં, કારણ સૈનિકો યુદ્ધમાં નહીં, પણ આતંકી હુમલામાં શહીદ થઈ રહ્યા છે. સૈનિકો તો જીવ રેડીને લડી રહ્યા છે, પણ વગર યુદ્ધે વેડફાઇ રહ્યા હોય તેવું લાગે છે. યુદ્ધ વગર, યુદ્ધ જેવું મોત કયો સૈનિક ઈચ્છે?

ખરેખર તો આ છમકલાંઓનો સામનો કરવા કરતાં, ભારતે પાકિસ્તાનને પૂરી તાકાતથી પડકારીને તેની બોલતી બંધ કરવી જોઈએ, પણ સરકારની ઢીલાશ આતંકીઓને જાણ્યે અજાણ્યે છમકલાંની તક પૂરી પાડે છે, આ છમકલાં એક પણ સૈનિકનો જીવ લઈ લે એ જરા પણ પરવડવું ન જોઈએ. ભારતીય સૈન્ય આતંકીઓનો સામનો કરે જ છે, પણ હકીકત એ છે કે સૈનિકો મરે પણ છે જ ! સવાલ એ છે કે કોઈ યુદ્ધ વગર ભારતનો એક પણ સૈનિક શું કામ મરવો જોઈએ?

પાકિસ્તાન જન્મ્યું છે ત્યારથી ભારતને નડ્યું છે, ભાગલાને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે, ભારતે તેની સાથે યુદ્ધમાં સંડોવાવું પડ્યું છે ને એને લીધે એક વડા પ્રધાન તાશ્કંદમાં ખોયો પણ છે. એ પછી પણ નાપાક પાક ઠરીને બેઠું નથી. એ ખરું કે વૈશ્વિક આતંકવાદનાં મૂળમાં પાકિસ્તાન જ છે ને થોડે થોડે વખતે આતંકી હુમલાઓ કરીને ભારતને નબળું પાડવાના બાલિશ પ્રયત્નો કરતું રહ્યું છે. કારગિલ યુદ્ધ પછી પણ તે ઢીલું પડ્યું નથી, બલકે, વધારે વિકૃત થયું છે ને હવે તે ચીનને ખોળે બેઠું છે. ચીન પણ વાયા પાકિસ્તાન શત્રુતા તો ભારત સાથે જ વધારે છે ને એ દ્વારા પણ પાકિસ્તાન, ભારતને કનડી શકતું હોય તો એ તક તે જવા દેવા તૈયાર નથી. આમ બેવડાં જોખમો પાકિસ્તાન અને ચીનનાં સામે હોય ને સરકાર વિપક્ષને પાઠ ભણાવવામાંથી જ ઊંચી ન આવતી હોય તો એ કઈ રીતે યોગ્ય છે?

આમ તો પી.ઓ.કે. (પાકિસ્તાન ઓકયુપાઈડ કાશ્મીર) 1947થી ચાલી આવતી વર્ષો જૂની સમસ્યા છે, પણ 2024 છતાં એનો નિકાલ આવ્યો નથી, એ જ બતાવે છે કે સરકારનું ધ્યાન આ મામલે કેટલું છે ! મંત્રીઓ બોલ્યા કરે છે કે પી.ઓ.કે. લઈને રહીશું, પણ ક્યારે, એનો જવાબ મળતો નથી. આટલાં વર્ષમાં એનું મુહૂર્ત કેમ આવ્યું નથી એવું કોઈ પૂછતું નથી. મંત્રીઓની આતંકવાદને ખતમ કરવાની કે કચડી નાખવાની ઘણી વાતો કાન કોતરે છે, પણ વાતો, પરિણામ પણ આપે તે અપેક્ષિત છે. એક વાત સ્પષ્ટ છે કે યુદ્ધ વગર, પી.ઓ.કે. અને આતંકી પ્રવૃત્તિઓનો અંત આવવાનો નથી. સામેથી લડવા ન જવું, પણ કોઈ હક દબાવીને બેઠું હોય કે છાશવારે કનડગત કર્યાં જ કરતું હોય ને સમજાવટથી કામ થાય એમ જ ન હોય તો પાઠ ભણાવવામાં કૈં ખોટું નથી. કરડવું નહીં, પણ ફૂંફાડો ય ન મારવો એ કાયરતા છે એ સમજી લેવાનું રહે.

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 જુલાઈ 2024

Loading

19 July 2024 Vipool Kalyani
← પ્રવાસન ક્ષેત્રની હાલત કમાઉ છતાં ઓરમાન સંતાન જેવી છે
असुरक्षा का भाव चमका रहा है बाबाओं का धंधा →

Search by

Opinion

  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન
  • એકસો પચાસમે સરદાર પૂછે છેઃ ખરેખર ઓળખો છો ખરા મને?
  • RSS સેવાના કાર્યો કરે છે તો તે ખતરનાક સંગઠન કઈ રીતે કહેવાય? 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved