Opinion Magazine
Number of visits: 9483289
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય રાજકારણમાં વિચારધારાનો લોપ

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|14 February 2017

ભાજપે કોમન સિવિલ કોડને મુસ્લિમવિરોધ માટે અને કાશ્મીર મુદ્દાને નેહરુવિરોધ માટે નીચોવી નાખ્યો

આઝાદીના આંદોલનમાં ગાંધીજીની આગેવાની હેઠળ કોંગ્રેસની વિચારધારા સર્વસમાવેશક હતી. (સામ્યવાદીઓને બાદ કરતાં) સમાજવાદીઓથી માંડીને હિંદુત્વની ઝાંય ધરાવતા નેતાઓ તેમાં સમાય ને પોસાય એવી તેની મોકળાશ હતી. આઝાદી પછી સામ્યવાદી અને સમાજવાદી વિચારધારા ધરાવતા વિવિધ પક્ષો ઉપરાંત (ભાજપના પૂર્વસૂરિ જેવા) ભારતીય જનસંઘ, સરકારી દખલગીરીને બદલે મુક્ત બજારની હિમાયત કરતો, વેપારીઓ-ધનિકો-ભૂતપૂર્વ રાજવીઓનો ટેકો ધરાવતો સ્વતંત્ર પક્ષ અને બીજા સ્થાનિક રાજકીય પક્ષો અસ્તિત્ત્વમાં આવ્યા. એ પક્ષો અને નેતાઓ સો ટચના, સતયુગી આદર્શવાદી હતા એમ તો ન કહેવાય, પણ જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહિયા સહિત કેટલાક નેતાઓ નીતાંત રાજકીય પ્રાણી એવા પક્ષ અને નખશીખ આદર્શ એવી વિચારધારા વચ્ચે જીવંત તંતુની ગરજ સારતા હતા.

હિંદુ-મુસ્લિમ સંઘર્ષ અને હિંદુ અંતિમવાદના પરિણામે ગાંધીજીની હત્યા થઈ. ત્યાર પછી કોમવાદનો પર્યાય બનેલા હિંદુ હિતના રાજકારણ માટે મુખ્ય ધારામાં બહુ જગ્યા ન રહી.  ગાંધીજીની હત્યાના કલંકને લીધે તે એવા અસ્પૃશ્ય બન્યા કે ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીના કલંકથી જ તેમનું કલંક હળવું બન્યું અને તેમને મુખ્ય ધારાના રાજકારણમાં પાછા લાવવામાં મહત્ત્વનું બન્યું. ગુજરાતમાં કોંગ્રેસવિરોધી રાજકારણના જૂના સંસ્કારને લીધે જમણેરી રાજકારણનો પગદંડો જામવાની શરૂઆત વહેલી થઈ ચૂકી હતી. કટોકટી પહેલાં થયેલા નવનિર્માણ આંદોલને સંઘ પરિવાર અને તેની સંસ્થાઓને લોકમાન્યતા અપાવવામાં ઠીક ઠીક ભૂમિકા ભજવી હતી.

કટોકટી પહેલાં ઇંદિરા ગાંધીનો સમાજવાદી રાહે અપાયેલો ‘ગરીબી હટાવો’ નારો કોંગ્રેસની વિચારધારાનું પ્રતિક બન્યો હતો. પરંતુ કટોકટી પછી જનતા પક્ષની મોરચા સરકાર અધવચ્ચેથી તૂટી પડી, ત્યારે સ્થિર સરકાર આપી શકવાની કોંગ્રેસની ક્ષમતા અને ગરીબો-મુસ્લિમો-દલિતોના પક્ષ તરીકેની તેની જૂની છાપ કોંગ્રેસની ઓળખ બની રહી. ઇંદિરા ગાંધીના એકંદર મૂલ્યાંકનમાં તેમની પર સત્તાકેન્દ્રી સિવાયની કોઇ વિચારસરણીનો આરોપ મુકી શકાય એમ ન હતો. તેમની હત્યા પછી વડાપ્રધાન બનેલા રાજીવ ગાધીને વિચારધારા તો ઠીક, રાજકારણ સાથે જ કશો સંબંધ ન હતો.  તેમના રાજમાં ભારતે મુક્ત બજારની દિશામાં સાવ આરંભનાં ડગ માંડ્યાં. ભારતને એકવીસમી સદીમાં લઇ જવાના તેમના મુગ્ધ ઉત્સાહથી ભારત લાયસન્સ-પરમિટરાજ વચ્ચે પણ એસ.ટી.ડી. યુગ અને કમ્પ્યુટર યુગમાં પ્રવેશ્યું.

એ સમય કોંગ્રેસની જૂની, સમાજવાદનો અંચળો ધરાવતી,  સર્વસમાવેશક વિચારધારાના અસ્તનો હતો. રાજીવ ગાંધીના સમયમાં બોફર્સ કાંડથી ભ્રષ્ટાચાર પહેલી વાર કેન્દ્ર સરકારને ગબડાવે એવો, લગભગ વિચારધારાકીય, મુદ્દો બન્યો (જેનું અનુસંધાન અઢી દાયકા પછી, અમુક અંશે 2014માં જોવા મળ્યું) રાજીવને હરાવીને સરકાર રચનારા વી.પી. સિંઘે મંડલ પંચનો અભરાઈ પર ચડેલો અહેવાલ ઉતારીને, તેના આધારે અન્ય પછાત જાતિઓને 27 ટકા અનામત આપવાની જાહેરાત કરી. એ સાથે જ, ચૂંટણીપટુઓની વ્યૂહબાજીનો અભિન્ન હિસ્સો ગણાતાં જ્ઞાતિ સમીકરણો ઉઘાડેછોગ રાજકીય વિચારધારા તરીકે સ્થાન પામ્યાં. ત્યાર પહેલાં કાંશીરામ દલિત હિતના રાજકારણ સાથે બહુજન સમાજ પક્ષની શરૂઆત કરી ચૂક્યા હતા. તેમનો પક્ષ સ્થાનિક હોવા છતાં, ભારતના રાજકારણના હાર્દ સમા ઉત્તર પ્રદેશમાં તેનું જોર હોવાને કારણે, તે રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતો બન્યો.

જનસંઘના અનુજ ભારતીય જનતા પક્ષે હિંદુ હિતના ઓઠા તળે કોમવાદ અને ‘મુસ્લિમ તુષ્ટિકરણ’ના વિરોધના નામે ‘હિંદુત્વ ખતરેમેં’ની ભાવના પ્રેરવાનું શરૂ કર્યું. તેમણે કોમન સિવિલ કોડ જેવા વાજબી મુદ્દાને મુસ્લિમવિરોધ માટે અને કાશ્મીરમુદ્દાને નકરા નેહરુવિરોધ માટે નીચોવી નાખ્યો. બાબરી મસ્જિદ-રામજન્મભૂમિનું આખું ધાંધલ વિચારધારાના નામે રાજકીય ફાયદો લેવા ઊભું કરાયેલું હતું, એની હવે તો એ સમયે તેના પ્રત્યે ભાવ ધરાવતા ઘણાખરા લોકોને પણ ખાતરી થઈ ચૂકી હશે. રાજીવ ગાંધીની હત્યા પછી, 1991માં ગાંધી પરિવારની બહારના પહેલા કોંગ્રેસી વડાપ્રધાન નરસિંહ રાવને આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવવાની ફરજ પડી. એ સાથે ભારતના રાજકારણમાં સામાજિકને બદલે આર્થિક વિચારધારાનો યુગ શરૂ થયો.

પરંતુ ભારતમાં ગરીબ-વંચિત મતદારોનું પ્રમાણ એટલું મોટું હતું કે મુક્ત બજારવાદ ચૂંટણીલક્ષી, રાજકીય વિચારધારા તરીકે ચાલી શકે નહીં (જેમ વિકાસના ભેખ વગરનું નકરું હિંદુત્વ સત્તા હાંસલ કરવા માટે પૂરતું ન ગણાય) ઉદારીકરણ પછી દેશના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો વિચારધારાકીય ભેદ નાબૂદ થયો. બન્ને પક્ષો અધકચરા ઉદારીકરણમાં અને સરકારી રાહે અધકચરા સમાજકલ્યાણમાં રાચતા થયા. યુપીએના જમાનામાં કોંગ્રેસે સેક્યુલરિઝમ અને ગરીબકલ્યાણનો જૂનો નકાબ ઓઢી રાખ્યો, પરંતુ ગુજરાતમાં 2002માં આ જ કોંગ્રેસને સોફ્ટ હિંદુત્વની લાઇન લેવામાં કશો ખચકાટ થયો નહીં.  અસરકારક વહીવટથી સમાજકલ્યાણ-ગરીબકલ્યાણ કરવાને બદલે, કોંગ્રેસે અવનવી યોજનાઓથી સંતોષ માન્યો અને ભ્રષ્ટાચાર ભણી આંખ આડા કાન કર્યા.

એનડીએના મુખ્ય પક્ષ ભાજપ પાસે વિચારધારાના નામે સોફ્ટને બદલે ઉશ્કેરણીજનક હિંદુત્વ અને વિકાસના વાયદા હતા. તેમનો ભ્રષ્ટાચારવિરોધ ચૂંટણી પહેલાં કોંગ્રેસવિરોધ પૂરતો મર્યાદિત હતો. ચૂંટણીવિજય પછી તે ફક્ત ગાંધીપરિવારના વિરોધ પૂરતો સીમિત બન્યો છે. (ગાંધી પરિવાર સિવાયના) બધા કોંગ્રેસીઓને બે હાથે આવકારનાર અને શરદ પવારને પદ્મવિભૂષણ આપનાર એનડીએ સરકારના ભ્રષ્ટાચારવિરોધના દાવા વિશે કશું કહેવાનું રહેતું નથી.

તો હવે વિચારધારાના નામે શું રહ્યું?

જવાબ છેઃ ભાજપ સિવાયના પક્ષો માટે સેક્યુલારિઝમનું અને ભાજપ માટે હિંદુત્વનું સગવડિયું મહોરું. ભાજપની માતૃસંસ્થા સંઘ પરિવાર અને તેનાં ઘણાં સંગઠનો-કાર્યકરો તેમના ઝનૂની, કોમવાદી ખ્યાલોમાં રાચે છે. ગાંધી-આંબેડકર સૌને વાપરી લેવા ઉત્સુક વડાપ્રધાન મોદી એક બાજુ વિશ્વનેતા બનવાનાં સપનાં સેવે છે ને હજુ તેમની સડકછાપ લોકરંજનીમાંથી ઊંચા આવતા નથી. ટ્રમ્પની જીત પછી તેમને આ બાબતમાં પ્રોત્સાહન મળ્યું હોય તો નવાઈ નહીં. સામ્યવાદીઓ તેમના વિચારધારાકીય માળખામાં કેદ અને હવે અપ્રસ્તુત બની ગયા છે, તો સૌથી નવા ખેલાડી કેજરીવાલની એકમાત્ર વિચારધારા ભ્રષ્ટાચારવિરોધની છે. એ સિવાય સ્થાનિક વ્યક્તિકેન્દ્રી પક્ષોનાં નામ ગમે તે હોય, સત્તા સિવાય તેમની કોઇ વિચારધારા નથી. વિચારધારાનો ખાલીપો હવે વ્યક્તિપૂજાથી પુરવાની કોશિશ થઇ રહી છે. પક્ષો વિચારધારાથી વિહોણા-નબળા થાય અને કોઇ એક નેતા સર્વેસર્વા બને તે કોંગ્રેસ-ભાજપ સહિત બધા પક્ષો માટે માટે એકસરખું અનિચ્છનીય અને લોકશાહી માટે-લોકો માટે નુકસાનકારક છે.

સૌજન્ય : ‘સગવડ-ધારા’, “દિવ્ય ભાસ્કર”, 14 ફેબ્રુઆરી 2017

Loading

14 February 2017 admin
← આ લેખ વાંચીને નક્કી કરો કે તમારું બાળક દીનાનાથ બત્રાના હાથમાં સલામત છે કે જવાહરલાલ નેહરુના?
વિક્ટર વિનાનું સખ્ય →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved