Opinion Magazine
Number of visits: 9448933
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય બંધારણ મુજબ ધર્મનિરેપક્ષતા યાને બિનસાંપ્રદાયિકતા શું છે ?

પ્રતિભાવ : બકુલા ઘાસવાલા|Opinion - Opinion|19 October 2022

(ઈતિહાસ, અર્થ, સમજૂતી તેમ જ સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ સાથે)

પુસ્તક આલેખન : અશ્વિન ન. કારીઆ

હું જ્યારે જ્યારે મારા અસ્તિત્વ અને હયાતી વિશે વિચારું છું ત્યારે ત્યારે મને યાદ આવે છે કે હું સરહદથી અનહદ, સ્વથી સમષ્ટિ, પિંડથી બ્રહ્માંડ અને અંગતથી વિશ્વસંગતની વિભાવનામાં માનું છું, છતાં મને મારા દૈનિક જીવનને સંલગ્ન સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, ભૌગોલિક પરંપરાઓ સતત યાદ આપે છે કે મારા પર મારી બોલી, આહાર, પોશાક, સંબંધોની પણ એવી અસર દૃઢ થયેલી છે જેને કારણે મારું Conditioning જ એવું છે કે હું ભારતીય, ગુજરાતી, વલસાડી, અનાવિલ ઉપરાંત કોની પુત્રી, કોની પત્ની, કોની મા, કોની દાદી, કોની બહેન અને અન્ય સગપણો વિશે પણ વિચારું છું ! આમ ‘હું’ અને મારો દરજ્જો સ્થાપિત થતો રહે છે ત્યારે ભૂલી જાઉં છું કે હું એક ‘વ્યક્તિ’ છું . મારા સ્વતંત્ર દેશનું બંધારણ મને સમાનતા, સમાદર આપે છે અને સતત યાદ કરાવે છે કે સર્વ નાગરિકો વર્ણ, વર્ગ, જાતિ, લિંગભેદથી પર પહેલાં ભારતીય છે.

મારું બંધારણ મને એમ નથી કહેતું કે સંશયાત્મા વિનશ્યતિ ! એ કહે છે કે વૈજ્ઞાનિક વલણ દાખવો અને અંગત સ્તરે કે વ્યક્તિગત રીતે શ્રદ્ધા હોય તે ધર્મનું પાલન કરો. જો તમને કોઈ પણ ધર્મમાં શ્રદ્ધા ન હોય તો તે તમારી અંગત સમજણ છે. બંધારણ કહે છે કે રાજ્યનો એમાં કોઈ હસ્તક્ષેપ નથી કે તમે હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી કે અન્ય ધર્મ-સંપ્રદાયના અનુયાયી તરીકે ક્યા પરમ તત્ત્વમાં શ્રદ્ધા ધરાવો છો. તે સાથે બંધારણ દરેક દેશવાસીના અધિકાર અને ફરજો વિશે સ્પષ્ટ છે. આમ તો આ કેળવણી અને સમજ આપણને બાળપણથી નાગરિકશાસ્ત્રમાં મળતી રહી છે. તો પણ કેટલીક પરંપરાગત સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક, ધાર્મિક માન્યતાઓનાં કારણે આસપાસનો પરિવેશ ભૂલવા જ ન દે કે તમે ભણેલાં છો કે અભણ, તમે ગામડાંનાં છો કે મહાનગરનાં, તમારી જ્ઞાતિ, કોમ અને ધર્મ ક્યો છે, તમે નર છો કે નારી કે પછી નાન્યતર ? મને એક સ્ત્રી તરીકે જન્મજાત અનુભવ છે કે અમુકતમુક અપવાદ બાદ કરતાં મારું સ્થાન દુય્યમ જ રહ્યું છે ! કુમારિકા, સૌભાગ્યવતી, ત્યક્તા, વિભક્તા, વિધવા જેવાં લટકણિયાંઓએ અમારા વ્યક્તિત્વનો કેટલો હ્રાસ કર્યો છે ! તાજેતરમાં બેટી-સ્ત્રીઓ પર સતત વધી રહેલી હિંસાનાં સમાચારો જાણીને મન ભારે ઉદ્વિગ્ન છે. આપણા ગુજરાતમાં ૧૩-૧૪ વર્ષની એક કિશોરીનો એનાં જ પાલકો દ્વારા બલિ ચડાવી દેવાય અને એની ચીસ ક્યાં ડૂબી ગઈ તેનું ઓસાણ ન રહે, ત્યારે રહી રહીને એ સવાલ ઊઠે છે કે એ કોઈને કશું કહી શકે એવું વાતાવરણ પેદા કેમ ન થયું ? ‘એ દેશની ખાજો દયા’ આવી દયા ખાવા જેવી હાલતથી બદતર હાલત હોય ત્યારે ગર્વથી કાંઈ કહેવાની સ્થિતિમાં છીએ ખરા ? આપણી બંધારણીય વિભાવનાથી આપણે કંઈકેટલા જોજનો દૂર છીએ ! બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણસભાના એક સભ્ય ગુજરાતી વિદુષી હંસાબહેન મહેતા હતાં. એમણે Woman -Womenમાં Man -Men શબ્દ ઈંગિત છે જ કહીને સ્ત્રીઓને ‘વ્યક્તિ’ તરીકે પ્રસ્થાપિત કરવા યુનો સુધી મથામણ કરી છે તે તો ન જ ભુલાવું જોઈએ.

મને  આ પચીસેક પાનાંમાં લખાયેલી પુસ્તિકાનો બહોળો પ્રસાર થાય અને ભારતીય જનસમુદાય પોતાના પ્રથમ શ્રદ્ધેય પુસ્તક તરીકે આપણાં બંધારણને પ્રાથમિકતા આપે એમાં ખાસ રસ છે. બંધારણકર્તાઓએ સર્વાંગી વિકાસની પરિકલ્પના સાથે ભારતીયતાની એવી વ્યાખ્યા કરી છે જેમાં એમણે  સમાનતા, બંધુતા (ભગિનીત્વની ભાવના એ શબ્દમાં આવી જાય છે ! ), સામાજિક ન્યાય, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, રાષ્ટ્રની એકતા, અખંડતાનો મહિમા કર્યો છે. બંધારણનું આમુખ આ વિભાવના સ્પષ્ટપણે મુખર કરે છે જે અશ્વિન કારીઆ આલેખિત બંધારણનું મહત્ત્વ સમજાવતી આ પુસ્તિકાનાં મુખપૃષ્ઠ પર જોઈ-વાંચી શકાય છે. ભારતીય બંધારણમાં બિનસાંપ્રદાયિક, લોકશાહી રાજ્યની પરિકલ્પના સાકાર કરવા માટે જે નાગરિકધર્મ – અહીં ધર્મ એટલે ફરજો-જવાબદારીઓ સમાવિષ્ટ છે તે વિશેની સાદી સમજ આ પુસ્તિકા થકી મળે છે. ભારત ‘અનેકતામાં એકતા’ની ભાતીગળ સાંસ્કૃતિક ધરોહર અને પૃષ્ઠભૂમિ ધરાવે છે. પુસ્તિકાના અંતિમ પૃષ્ઠ પર ‘શબ્દ એ જ શસ્ત્ર’ શીર્ષક હેઠળ ફિલ બોસ્મન્સનું રમેશ પુરોહિત અનૂદિત વિધાન પ્રસ્તુત છે જે ધ્યાનથી વાંચવાં – સમજવાં જેવું છે. આ પુસ્તિકામાં ધર્મનિરેપક્ષતાનો ઇતિહાસ, સિદ્ધાંત અને તેનાં અપવાદો, લક્ષણો, સર્વોચ્ચ અદાલતના કેટલાક ચુકાદાઓ સહિતના મુદ્દાઓ આવરી લેવાયા છે. ધર્મનિરપેક્ષતા શબ્દ 1976માં બંધારણમાં સુધારો કરી ઉમેરાયો તેથી એવો પ્રચાર થાય છે કે ભારત ત્યારથી જ ધર્મનિરપેક્ષ રાજ્ય બન્યું છે. પુસ્તિકામાં જુદી જુદી બંધારણીય જોગવાઈઓ તેમ જ સર્વોચ્ચ અદાલતના મુકાદાથી એ પ્રતિપાદિત કરાયું છે કે બંધારણની શરૂઆતથી જ ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય છે.

અશ્વિનભાઈ આ પુસ્તિકાના લેખન માટે અધિકૃત વ્યક્તિ છે, તેઓ કાયદાતજ્જ્ઞ છે, એમણે બંધારણ અને કાયદા વિશે ભાવિ વકીલોને શિક્ષણ આપ્યું છે. નિવૃત્તિ પછી સતત કાર્યરત રહીને સમાજમાં વિવેકબુદ્ધિપૂત્ વલણ કેળવાય તે માટે અંધશ્રદ્ધા નિર્મૂલનના ગિરીશ સુંઢિયા અને અન્ય કર્મઠ રેશનાલિસ્ટ સભ્યોની સાથે મળીને પ્રયાસો કર્યા છે અને હજી કરતા રહે છે. આ નાનકડી અને અગત્યની પુસ્તિકાને આવકાર.

પ્રાપ્તિસ્થાન : ગિરીશ સુંઢિયા, બનાસકાંઠા જિલ્લા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ, ૬૯/૨, ચાણક્યપુરી સોસાયટી, હનુમાન ટેકરી, આબુ હાઈ-વે, પાલનપુર – ૩૮૫ ૦૦૧. : મો. નં. ૯૪૨૬૬૬૩૮૨૧ : Email – girlishsundhiya62@gmail.com : સહયોગ રાશી : ₹ ૩૦/-

e.mail : bakula.ghaswala@gmail.com 

Loading

19 October 2022 Vipool Kalyani
← અનુ-આધુનિકતાવાદ અને ‘ફેરફાર’ નવલકથા 
મુનશીથી દર્શક … વાયા ગો.મા.ત્રિ.! →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved