પરિવર્તન સંસારનો નિયમ છે, અને આપણો દેશ પણ સમય સાથે બદલાઈ રહ્યો છે, આ પરિવર્તન સારું કે ખરાબ એ વખત આવ્યે ખબર પડશે, પણ એક સમયે આપણા દેશનો જે પરમાણુ સિદ્ધાંત એટલે કે ન્યુક્લિયર ડૉક્ટરીન ઘડાયો હતો તે વર્તમાન સંજોગોમાં બંધબેસે તેવો નથી રહ્યો.

ચિરંતના ભટ્ટ
1998માં જ્યારે ભારતે પોતાને પરમાણુ શસ્ત્ર સજ્જ દેશ જાહેર કર્યો, ત્યારે ‘મિનિમમ ક્રેડિબલ ડિટરન્સ’ (ન્યૂનતમ વિશ્વસનીય નિવારણ) એક તર્કબદ્ધ વિચાર હતો. ત્યારે ચીન પાસે અંદાજે 300થી ઓછા પરમાણુ વૉરહેડ્સ હતા. તેનું નૌકાદળ માત્ર દરિયાકાંઠા સુધી સીમિત હતું. હિંદ મહાસાગરમાં ચીનની હાજરી ક્યારેક જ જોવા મળતી. ભારતને ત્યારે સમાનતાની જરૂર નહોતી, માત્ર ટકી રહેવાની ક્ષમતાની જરૂર હતી. એટલે કે આપણને એટલી તાકાત જોઈતી હતી કે જો કોઈ પહેલો હુમલો કરે, તો ભારત વળતો એવો પ્રહાર કરી શકે જે દુશ્મનને અસ્વીકાર્ય હોય, તેને ગોઠે નહીં.
એક સમય સુધી આ તર્ક, આ વ્યૂહરચના કામે લાગી પણ હવે એ સંપૂર્ણપણે કામ નથી કરી રહી. આજે ચીન પાસે અંદાજે 500 પરમાણુ વૉરહેડ્સ હોવાનું મનાય છે અને 2035 સુધીમાં આ આંકડો 1,000ને પાર કરી જવાની શક્યતા છે. ચીનનું દરિયાઈ સંરક્ષણ હવે પ્રાયોગિક ધોરણે નથી, તે સક્રિય અને સાબદું છે; તેની સબમરીનમાંથી છોડાતી બેલેસ્ટિક મિસાઈલો ભારતના મુખ્ય શહેરોને નિશાન બનાવવાની ક્ષમતા ધરાવે છે. પાકિસ્તાનનું ગ્વાદર, શ્રીલંકાનું હંબનટોટા અને જિબૂતીમાં લશ્કરી મથક; આ બધું જ ચીનના નૌકાદળના પદચિહ્નો છે. હિંદ મહાસાગરમાં ચીની જહાજો હવે ભાગ્યે નજરે ચઢતા અપવાદ નહીં, પણ નિયમિત હાજરી બની ગયા છે.
આવામાં આપણો ન્યુક્લિયર ડૉક્ટરીન જૂના સમયની ભાષા બોલે છે. ટૂંકમાં ડ્રાઈવરલેસ કારના જમાનામાં ગાડું બરાબર સાધન હતું એવી વાત કરીએ તો તેનો કંઇ અર્થ ન સરે. આ તફાત હવે વૈચારિક નથી રહ્યો, ભૌતિક બની ચૂક્યો છે.
ભારતનું સૌથી મજબૂત સંરક્ષણ દરિયાના પેટાળમાં છે. ‘અરિહંત’ ક્લાસની સબમરીન એવી રીતે બનાવવામાં આવી છે કે ગમે તેવા ખરાબ સંજોગોમાં પણ વળતો પ્રહાર (Second Strike) કરવાની ગેરંટી આપે. આ એ વીમો છે જે ભારત પરના કોઈપણ પહેલા હુમલાને અતાર્કિક બનાવી દે છે. પરંતુ આ ગેરંટી એક એવી વસ્તુ પર ટકેલી છે જેના વિશે જાહેરમાં ભાગ્યે જ ચર્ચા થાય છે અને તે છે ઈંધણ.
આ સબમરીન ચલાવવા માટે જરૂરી ‘એનરિચ્ડ યુરેનિયમ’ (સંવર્ધિત યુરેનિયમ) દેશના પોતાના તંત્રમાંથી આવતું હોય છે, જે આપણે ત્યાં હજી સુધી એ સ્તરે વિકસ્યું નથી કે જે આપણા સંરક્ષણ સિદ્ધાંતને ટેકો આપી શકે. ભારતની અત્યારની ક્ષમતા સતત સબમરીન તૈનાતી માટે જરૂરી ઈંધણના માત્ર એક તસુ ભાર હિસ્સા સમાન છે. અરિહંત પ્રોગ્રામ સાવચેતીપૂર્વક અને શાંતિથી આગળ વધ્યો છે એ સાચું, પણ ઈંધણના સ્રોતને મામલે ગોકળગાયથી ધીમી ગતિએ કામ આગળ વધ્યું છે.
યુરેનિયમ સંવર્ધનની આખી ચર્ચા ખરેખર આ ખાઈ ભરવા વિશે છે. તે માત્ર ઉર્જા કે વિજ્ઞાનનો વિષય નથી. તે સિદ્ધાંતના વચન અને વાસ્તવિક સપ્લાય વચ્ચેના અંતરનો વિષય છે. આને ‘વ્યૂહાત્મક સંયમ’ ન કહેવાય, આ તો ‘એકઠો થયેલો વિલંબ’ છે, અને અમુક તબક્કે, આવો વિલંબ વ્યૂહાત્મક જોખમ બની જાય છે.
યુરેનિયમ સંવર્ધન માટેના નાગરિક કારણો પણ ઠોસ છે અને તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. ભારત તેની જરૂરિયાતનું 85 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે અને તેના માટે દર વર્ષે અંદાજે 200 અબજ ડોલર ખર્ચે છે. દાયકાઓ જૂની નીતિઓ છતાં ભારતના કુલ વીજ ઉત્પાદનમાં પરમાણુ ઊર્જાનો હિસ્સો માત્ર 3 ટકા છે. ભારત પાસે દુનિયાનો સૌથી મોટો થોરિયમ ભંડાર છે (3 લાખ ટનથી વધુ), પરંતુ તે વ્યાપારી રીતે નિષ્ક્રિય છે કારણ કે ‘બ્રીડર રિએક્ટર’ ટેક્નૉલૉજીને સક્રિય કરવા માટે જે સંવર્ધન માળખું જોઈએ, તે આપણે મોટા પાયે ક્યારે ય ઊભું જ કર્યું નથી.
ભારતે આ માર્ગના એવા તત્ત્વો વિકસાવ્યા છે જે જાપાન અને જર્મની જેવા વિકસિત દેશોને પણ પરવડ્યા નહોતા. આ એક મોટી સિદ્ધિ છે. ટેકનોલૉજીનો અવરોધ મોટો છે, પણ અશક્ય નથી. પરંતુ આનું વિસ્તરણ (scaling) કરવું એ પાયાના સ્તરે એક અલગ જ પડકાર છે. નિયંત્રિત વાતાવરણમાંથી રાષ્ટ્રીય માળખાગત સુવિધાઓ સુધી પહોંચવામાં દાયકાઓ લાગશે. મોટાભાગના અંદાજો સૂચવે છે કે અનુકૂળ પરિસ્થિતિઓમાં, 2040 સુધીમાં ભારતના કુલ વીજ પુરવઠામાં પરમાણુ ઉર્જાનો હિસ્સો લગભગ દસ ટકા સુધી પહોંચી શકે છે. તે પરિવર્તન માટે સતત મૂડી, નિયમનકારી સાતત્ય અને અનેક રાજકીય ચક્રો સુધી શિસ્તબદ્ધ અમલીકરણની જરૂર છે — જેમાંથી એક પણ ભારતની સૌથી વિશ્વસનીય સંસ્થાકીય લાક્ષણિકતાઓ નથી.
અહીં બે દલીલો ભેગી થાય છે. ‘ફ્યુઅલ સાયકલ ઑટોનોમી’ સાંભળવામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોલિસી જેવું લાગે છે પણ તેનો સીધો સંબંધ વીજળી અને ઊર્જા સુરક્ષા સાથે છે. આ બાબત સરકારને તક આપે છે કે તે આ પ્રક્રિયાને માત્ર અવરોધ દૂર કરવાના પ્રયત્ન તરીકે નહીં પણ આત્મનિર્ભર ભારતના મિશન તરીકે રજૂ કરે. વાસ્તવમાં જે ક્ષમતા આપણને ઊર્જા ક્ષેત્રે સ્વાવલંબી બનાવે છે તે ક્ષમતા આપણા દરિયાઈ સંરક્ષણની ખોટ પણ પૂરે છે. આમ આ રોકાણ એક છે પણ પરિણામો બેવડાં છે. સ્થાનિક સ્તરે પહેલા પાસા પર ભાર મૂકાશે જ્યારે વૈશ્વિક વ્યૂહાત્મક જગત તેની સંરક્ષણ શક્તિને પારખશે. જો કે, ક્ષમતા હોવી અને તેને વાસ્તવિકતામાં બદલવી એ બંને અલગ બાબતો છે. ભારત પાસે સામર્થ્ય તો છે જ, હવે જરૂર છે માત્ર મક્કમ અમલીકરણની.
મુત્સદ્દીગીરી એટલે કે ડિપ્લોમસીના મામલે આ જટિલ પાસું છે. ભારત પાસે અખતરા કે ભૂલ કરવાનો અવકાશ નહીંવત્ છે. વૈશ્વિક પરમાણુ વ્યવસ્થામાં ભારતનું સ્થાન અનોખું છે. ભારતે NPT (પરમાણુ અપ્રસાર સંધિ) પર સહી નથી કરી, છતાં 2008માં તેને NSG તરફથી જે છૂટછાટ મળી તેના કારણે તે પરમાણુ વેપાર કરી શકે છે આ વિશેષ છૂટ એક ચોક્કસ ધારણા પર આધારિત હતી: કે ભારત એક જવાબદાર રાષ્ટ્ર છે, જે કાયદાકીય બંધન વગર પણ સંયમ જાળવી શકે છે. આ સમજૂતી ભારતની શાખ (reputation) પર ટકેલી હતી, પણ તે દેખાય છે તેના કરતાં વધુ નાજુક બાબત છે.
જો આપણે યુરેનિયમ એનરિચમેન્ટની ક્ષમતા વધારીશું, તો વોશિંગ્ટન, બેઇજિંગ અને વિયેના તરત જ તેની નોંધ લેશે. આનાથી અમેરિકા ફરી મૂંઝવણમાં મુકાઈ જશે. એક તરફ, તેની ‘ઇન્ડો-પેસિફિક’ રણનીતિ માટે અમેરિકાને ભારતની જરૂર છે. પણ બીજી તરફ, જો દક્ષિણ એશિયામાં આ ક્ષમતા વધે તો અન્ય દેશોને પણ આવું કરવાની છૂટ મળી જશે. આમાં નવા સમીકરણ ગોઠવાશે. પાકિસ્તાન સાથેના સંતુલન અને અમેરિકી સંસદની કડક તપાસ અંગે એવા સવાલો ઊભા થશે, જેની જાહેરમાં ચર્ચા કરવાનું અમેરિકાનો કોઈપણ સત્તાધારી પક્ષ નહીં ઇચ્છે. બહારથી તો અમેરિકા ભારતને ટેકો આપશે, પરંતુ અંદરખાને ટેકનોલોજીની મંજૂરી કે ઇંધણના કરારોમાં એવી મુશ્કેલીઓ ઊભી થશે જે કદાચ સીધી દેખાશે નહીં, પણ તેની અસર ચોક્કસ અનુભવાશે.
પણ આનો અર્થ એમ નથી કે ભારતે પીછેહઠ કરવી જોઈએ, આ તો 2008 જેવી ગંભીરતા સાથે પૂર્વતૈયારી કરવાનો સંકેત છે. આપણે જાહેરાતો કરીને પછી પ્રયોગો નહીં નક્કર રાજદ્વારી પાયા નાખવા પડશે. અહીં પાકિસ્તાનનું મહત્ત્વ ઓછું છે. ઈસ્લામાબાદની ન્યુક્લિયર નીતિ મુશ્કેલી છે ખરી પણ તે એક જૂદો પ્રશ્ન છે. આ મુદ્દાને ભારતની યુરેનિયમ સંવર્ધન ક્ષમતા સાથે કોઈ લેવાદેવા જ નથી. પાકિસ્તાન સાથેના આપણા સંબંધોમાં પહેલેથી જ એક પ્રકારની કાયમી અસ્થિરતા છે. મૂળે તો સંવર્ધનનો આ પ્રશ્ન ચીન સાથે જોડાયેલો છે. ચીન અને પાકિસ્તાન સાથેની આપણી સમસ્યાઓ સરખી નથી.
આપણે ન્યુક્લિયર રણનીતિની જાહેરાતો પ્રેસ કોન્ફરન્સમાં નથી જણાવવાના. આ ફેરફાર રોકાણની રીતો અને નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ધીરે ધીરે દેખાશે. ઉપર ઉપરથી તે ઊર્જા માટે લાગશે, પણ અંદરખાને તે આપણી સંરક્ષણ શક્તિને વધુ મજબૂત બનાવનારી બાબતો હશે. રાષ્ટ્રીય સુરક્ષાની બાબતોમાં ભારત હંમેશાં ધીમી ગતિએ જ આગળ વધે છે, અને તે સમજદારીભર્યું પણ છે. આનાથી દુ:શ્મન દેશો સીધા ઉશ્કેરાતા નથી, આપણી યોજનાઓ ગુપ્ત રહે છે અને મુત્સદ્દીગીરી માટે પૂરતો સમય મળે છે.
પણ આ ધીમી ગતિ ત્યારે જ કામની છે જો આપણે સાચી દિશામાં જઈ રહ્યા હોઈએ. અને દિશા ત્યારે જ સાચી ગણાશે, જો આપણી રણનીતિ આજના સમયના જોખમોને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવી હોય. ભારતની પરમાણુ રણનીતિ (minimum credible deterrence) એક એવા સમય માટે બની હતી જ્યારે ચીન અને હિંદ મહાસાગરની સ્થિતિ સાવ અલગ હતી. આજે સંજોગો બદલાઈ ગયા છે, પણ આપણી રણનીતિ હજુ જૂની છે. આ અંતર જેટલું લાંબું ખેંચાશે, એટલું જ એવું લાગશે કે આપણે સંયમ નથી જાળવી રહ્યા, પણ જૂની વાતોના મોહમાં ફસાઈને સાચી વ્યૂહરચના બનાવવાનું ભૂલી ગયા છીએ.
બાય ધી વે :
ભારત પાસે દુનિયામાં સૌથી વધુ થોરિયમ છે અને તેને વાપરવાની ટેક્નોલોજી પણ છે, જે વિકસિત દેશો પાસે પણ નથી. છતાં આપણી કુલ વીજળીમાં પરમાણુ ઉર્જાનો હિસ્સો માત્ર 3 ટકા જ છે. આનો અર્થ એ છે કે આપણી પાસે આવડત તો છે, પણ તેનો ઉપયોગ કરવાનો મક્કમ નિર્ણય હજી લેવાયો નથી. ઘણીવાર અડચણ ટેક્નોલૉજીની નહીં, પણ ઇચ્છાશક્તિની હોય છે. જે સંરક્ષણ શક્તિ સામેવાળાને ડરાવી ન શકે, તે સાચી શક્તિ નથી; એ માત્ર એક દેખાડો છે. આપણે યાદ રાખવું પડશે, જ્યારે સાચો દુ:શ્મન સામે હોય ત્યારે માત્ર દેખાવો કામ નથી આવતો, મજબૂત રણનીતિ જ કામ આવે છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 ઍપ્રિલ 2026
![]()

