Opinion Magazine
Number of visits: 9446165
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતને ભયભીત કરવાના સાર્વત્રિક પ્રયત્નો થઈ રહ્યા છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 December 2023

રવીન્દ્ર પારેખ

બેંગ્લુરુમાં 1 ડિસેમ્બરે 68 સ્કૂલોમાં મુજાહિદ્દીન ગ્રૂપ તરફથી એક ઈ-મેઈલ, એવો પહોંચ્યો કે સ્કૂલમાં વિદ્યાર્થીઓને અને કર્મચારીઓને ઉડાવી દેવા બોમ્બ પ્લાન્ટ થયા છે. એ ઈ-મેઈલમાં એવી પણ ધમકી આપવામાં આવી કે ઇસ્લામ અપનાવો અથવા મરવા તૈયાર રહો. દેખીતું છે કે સ્કૂલોનો જીવ તાળવે ચોંટે. સ્કૂલોએ તો વિદ્યાર્થીઓને સલામત રીતે છોડી મૂક્યા, પણ ગભરાટ તો ફેલાયો જ ! વાલીઓને ખબર પડતાં એ રઘવાયા થઈને સ્કૂલે દોડી આવ્યા. સંતાનોને હેમખેમ ન જુએ ત્યાં સુધી વાલીઓનો જીવ હેઠો કેમ બેસે? સ્કૂલોએ પોલીસને જાણ કરી. પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને એન્ટિ-સેબોટેજ ટીમ સાથે બધી સ્કૂલોમાં પહોંચી ને સ્કૂલો ખાલી કરાવી. સઘન તપાસને અંતે પોલીસ એવા નિષ્કર્ષ પર પહોંચી કે આ અફવા છે ને એમાં વજૂદ નથી. આવા ઈ-મેઈલ નવા નથી. અગાઉ પણ સ્કૂલોને આવા ઈ-મેઈલ મોકલાયા છે ને અંતે અફવા સાબિત થયા છે. અગાઉ તો આવી ધમકી મોકલનારાઓને પોલીસે ઓળખી કાઢ્યા હતા ને આ વખતે પણ ઓળખી કાઢશે એવી ખાતરી આપી છે. પોલીસે આ અંગે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. કર્ણાટકના મુખ્યમં ત્રી સિધ્ધારમૈયાએ સ્કૂલો અને મંદિરોને પૂરતું રક્ષણ આપવાની પોલીસને તાકીદ પણ કરી છે. એ પછી તો રાબેતા મુજબ જે થતું આવ્યું છે તે થશે, પણ સ્કૂલો પર, વાલીઓ- વિદ્યાર્થીઓ પર થોડા સમયમાં જે વીત્યું એની કલ્પના જ કરવાની રહે છે. ઈ-મેઈલ મુજાહિદ્દીન ગ્રૂપ તરફથી આવ્યો છે એ પરથી એ કોઈ આતંકવાદી સંગઠનનું કામ હોઈ શકે. એવું હોય તો પોલીસ એ રીતે તપાસ કરશે. ઈ-મેઇલમાં ઇસ્લામ અપનાવવાની ને તેમ નહીં થાય તો મરવાની તયારી રાખવાની ધમકી અપાઈ છે, એટલે ઇરાદો મજાકનો હોવા વિષે શંકા રહે છે. પોલીસ એ વાતને ધ્યાને લઈને તપાસ કરે એ અપેક્ષિત છે. એ ખરું કે પોલીસને શંકાસ્પદ કશું જણાયું નથી, તો પણ આ બાબતને હળવાશથી લેવા જેવી નથી. ઈ-મેઈલ આવ્યો ત્યારે વિદ્યાર્થીઓ સ્કૂલોમાં હતા. એમની પરીક્ષા હતી. એ આપવાની તૈયારી સાથે આવ્યા હશે. એમાં ઓચિંતો વળાંક આવ્યો. એ સુખદ ન હતો. એને લીધે જે તાણ અનુભવવાનું બન્યું એ ચિંતા ઉપજાવનારું છે. એ જ સ્થિતિ સ્કૂલના સ્ટાફની, વાલીઓની થઈ. કરનાર માટે એ મજાક હતી, પણ એ પાકું ન થયું ત્યાં સુધી બધાના જ શ્વાસ અધ્ધર રહ્યા. આવી મજાક કરનારને તો એ અંદાજ નહીં આવે કે એણે કેટલા જીવોની ચિંતા વધારી છે, પણ એનો તો હેતુ જ એ હતો કે ટેન્શન વધે. આમ ન થવું જોઈએ, પણ થાય છે. અગાઉ પણ થયું છે ને હવે ન જ થાય એની કશી ખાતરી નથી. પોલીસ દોડે, વાલીઓ ઊંચા જીવે રહે આ બધાંમાં આનંદ લેનારો એક વિકૃત વર્ગ છે ને કરુણતા એ છે કે એ હવે બધે જ વધતો આવે છે.

એમ લાગે છે કે આખા જગતને કુદરતી મૃત્યુ પર ભરોસો જ રહ્યો નથી, એટલે માણસનાં મૃત્યુ માટે માણસો જ પ્રયત્ન કરવા લાગ્યા છે. હિંસા એ જાણે વિશ્વનો સ્વભાવ થઈ ગયો છે. રશિયા-યુક્રેન, હમાસ-ઇઝરાયલ યુદ્ધની સાથે અન્યત્ર પણ યુદ્ધની તજવીજ ચાલી રહી છે. અરાજકતા ફેલાવવાનો ને લોહી રેડીને તેનો આનંદ લેવાનો વૈશ્વિક પ્રયત્ન ચાલી રહ્યો છે. વિશ્વને કદાચ શાંતિ ખપતી જ નથી. નિજજરની હત્યાનો આરોપ ભારતીય એજન્ટ પર મૂકીને કેનેડાએ ભારત સાથેના સંબંધો દાવ પર લગાવ્યા છે. તેનો વિવાદ શાંત પડતો નથી, ત્યાં ખાલિસ્તાની આતંકવાદી ગુરૂપતવંતસિંહ પન્નૂની હત્યાનું કાવતરું અમેરિકાએ નિષ્ફળ બનાવ્યું તેની વધામણી ભારત સામે ખાધી છે. અમેરિકાને એવું છે કે આ કાવતરું ભારતમાં ઘડવામાં આવ્યું છે. ફરિયાદીઓએ જેની હત્યા થવાની હતી તેનું નામ આપ્યું નથી, પણ અમેરિકન મીડિયાએ એ પન્નૂ છે એવા અહેવાલો પ્રદર્શિત કર્યા છે. પન્નૂએ ભારતના રાજદ્વારીઓને અને ભારતીય ગુપ્તચર સંસ્થા રોના એજન્ટોને રોકડું પરખાવ્યું છે કે એ ભલે હત્યાનો પ્રયાસ કરી લે, પણ તેમણે કાયદાનો સામનો તો કરવો જ પડશે. ભારતે પન્નૂને આતંકવાદી ઘોષિત કર્યો છે તો પન્નૂએ ભારતને કાયદેસર કાર્યવાહીની ધમકી આપી છે. પન્નૂ પોતે તો એ આરોપો નકારે છે. પન્નૂ વકીલ છે ને તેના વડવાઓ પંજાબના છે. પન્નૂ સામે માનવ વધના, હત્યાના અને ટાડાના અનેક કેસો થયેલા છે. 1991-‘92માં તેણે અમેરિકા સ્થળાંતર કર્યું અને 2007માં ‘શીખ્સ ફોર જસ્ટિસ’ નામનું સંગઠન સ્થાપ્યું, જેણે ભારતીય પંજાબની મુક્તિ તથા ખાલિસ્તાનને નામે ઝુંબેશ શરૂ કરી. એનાં પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો ને તેને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું.

આ પન્નૂની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર મૂકવામાં આવ્યો છે. અમેરિકી એટર્ની ડેમિયન વિલિયમ્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રતિવાદીએ ભારતથી ભારતીય-અમેરિકન નાગરિકની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જો કે, એ નાગરિક પન્નૂ જ હતો એવું નામ ફોડીને કહેવાયું નથી. નિખિલે એવી વ્યક્તિને રોકી જે ગુનેગારો સાથે સંબંધ ધરાવતો હતો, પણ તે કિલરને બદલે અમેરિકન એજન્સીનો ગુપ્તચર નીકળ્યો. આ ગુપ્તચરે નિખિલ ગુપ્તાને ‘હિટમેન’ બતાવી એક વ્યક્તિ સાથે પરિચય કરાવ્યો હતો. આ હિટમેન પણ અમેરિકન એજન્સીઓનો અંડરકવર ઓફિસર હતો. આમ નિખિલ ગુપ્તાની સંડોવણી જણાતા તેની ધરપકડ પણ થઈ છે. અમેરિકી કોર્ટમાં રજૂ થયેલ ચાર્જશીટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકારના અધિકારીએ નિખિલ ગુપ્તાને ગુજરાતમાં તેની સામે ચાલી રહેલ કેસમાં રાહતની ઓફર આપવાનું કહ્યું હતું, જેના બદલામાં તેણે પન્નૂની હત્યાની જવાબદારી ઉપાડવાની હતી. હવે અમેરિકા એ રાહ જોઈ રહ્યું છે કે આ મામલે ભારત શું કરવા જઈ રહ્યું છે. ભારત સરકારે તપાસની ખાતરી તો અલબત્ત આપી છે.

પણ, આ આખા વેપલામાં અમેરિકા ઉઘાડું પડી ગયું છે. તેણે પન્નૂ જેવા આતંકવાદીની હત્યાના કાવતરાં બદલ ભારતના અધિકારીની ધરપકડ કરી છે. એક તરફ કેનેડાને તો નિજજરની હત્યાને મામલે ભારત જોડે વાંકું પડ્યું જ છે, તેમાં પન્નૂની હત્યાનાં કાવતરાં બદલ અમેરિકાને પણ વાંકું પડ્યું છે. આમ તો અમેરિકા સંબંધ યથાવત રહેવાની વાત કરે છે, પણ સંબંધોમાં ખટાશ તો આવી જ ગઈ છે. કેનેડાને મામલે પણ અમેરિકા સમર્થન ભારતનું નહીં, પણ કેનેડાનું કરે છે, બાકી હતું તે પન્નૂની હત્યાનાં કાવતરામાં ભારતની સંડોવણી ફોડીને અમેરિકાએ પણ ભારતને છંછેડ્યું છે. એક તરફ આતંકવાદની સામે અમેરિકા, ભારતની મદદ માંગે છે ને બીજીતરફ એક આતંકવાદીની હત્યાનાં કાવતરાં બદલ ભારત સામે આંગળી ચીંધે છે. હદ તો એ છે કે પન્નૂ જેવા આતંકીને, ભારતને સોંપવાને બદલે તેને આશરો આપે છે. આ સ્થિતિ હોય તો અમેરિકા આતંકીઓની વિરુદ્ધ છે એવું કઇ રીતે માનવું? ટૂંકમાં, અમેરિકાના બતાવવાના અને ચાવવાના જુદા છે. યુ.એસ. દ્વારા ભારતીય અધિકારીનું નામ ફોડાયું નથી, એટલું જ નહીં, કોની હત્યાનું કાવતરું હતું એ મામલે પણ મગનું નામ મરી પડાયું નથી, પણ અમેરિકા દ્વારા ભારત સામે આંગળી ચીંધાઈ છે તે હકીકત છે. અમેરિકાએ એ સમજવાનું રહે કે પન્નૂ ખાલિસ્તાનીને તે ટેકો આપી રહ્યું છે, પન્નૂએ અલગ ખાલિસ્તાનને મુદ્દે સંગઠન પણ સ્થાપ્યું છે, એવી વ્યક્તિને તે આશરો આપતું હોય તો તે ભારતની સાથે રહીને આતંકવાદને ખતમ કરવા માંગે છે એ વાત મજાક નથી તો શું છે?

અમેરિકા, કેનેડાના ભારત સાથેના સંબંધો વણસવામાં કૈં બાકી રહ્યું નથી. ચીન, પાકિસ્તાન સાથે તો ભારતનું ખટકેલું જ છે. આમ મરવા પડ્યું છે, પણ પાકિસ્તાનના આતંકી હુમલાઓમાં ય ખોટ આવી નથી, જ્યારે ચીન સરહદી જમીનો પર કબજો કરીને, વસાહતો ઊભી કરીને સતત કનડગત કરી રહ્યું છે. નેપાળ સાથે પણ કૈં બહુ વહી જતું નથી. આ ઉપરાંત નક્સલવાદી પ્રવૃત્તિઓ, કોમી તણાવ જેવી બાબતો પણ દબાણ ઊભું કરતી રહે છે. એમ લાગે છે કે ભારત સરહદી દેશો સાથે તથા અમેરિકા, કેનેડા સાથે ડરીને ચાલે એવું વાતાવરણ છે, પણ વિશ્વે એ સમજી લેવાનું રહે કે તે કોઈ પણ કનડગતને વશ નહીં થાય. એ 1962નું કે 1971નું બિચારું, બાપડું ભારત નથી. તેણે વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. પાકિસ્તાન જેવાંને તો એક દિવસમાં તે કબજે કરી શકે એમ છે, પણ સામેથી હુમલો કરવામાં તે માનતું નથી. હા, સ્વમાન દાવ પર લાગશે, એ દિવસે તે શાંત નહીં રહે એટલું નક્કી છે…

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 ડિસેમ્બર 2023

Loading

4 December 2023 Vipool Kalyani
← આરબ-ઈઝરાયેલ યુદ્ધ, ઇસ્લામ અને ઉમ્મા
માણસ પાસે જેમ સમૃદ્ધિ વધે, તેમ તેનામાં કરુણા ઘટે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved