Opinion Magazine
Number of visits: 9449459
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભાષાકીય સમાનતા અને ભાષાની રાજનીતિ

પ્રવીણ પંડ્યા|Opinion - Opinion|17 April 2018

ભાષાની વાત ભાષા સાથે અથવા ભાષકો સાથે રહીને પ્રાદેશિકતાનો અલગતા વાદી ભાવ પોષાય નહીં તે રીતે કરવી જોઈએ, સત્તા સાથે કે સત્તાની રાજનીતિ સાથે રહીને નહીં; એવી આપણી સમજણ છે, અને એ સમજણ નર્મદથી લઈને  ઉમાશંકર સુધીના સહુએ  ઘૂંટી આપી છે. પહેલાં નર્મદને એટલે યાદ કરું છું કેમ કે ‘જય જય ગરવી ગુજરાત’ ગાનારો આ કવિ પછી ‘કોની કોની રે ગુજરાત’ લખે છે ત્યારે એમાં ગુજરાત પરના સહુના સમાન અધિકારોને સ્વીકારીને સીમિત અધિકારોના અભિગમ બાબતે ‘ના ના ના’ કહી ઘણી સ્પષ્ટતા કરી આપે  છે. ઓગણીસો પાંસઠમાં જ્યારે ઉમાશંકર અને કન્નડ કવિ કુવેમ્પૂને સમાન રૂપે જ્ઞાનપીઠ મળ્યો ત્યારે માતૃભાષાને લઈને બંનેના એક સરખા વિચારો જુદા જુદા શબ્દોમાં વ્યક્ત થયેલા; ઉમાશંકરે પોતાના જ્ઞાનપીઠ વક્તવ્યમાં કહેલું કે ‘હું ગુજરાતીમાં લખતો ભારતીય કવિ છું,’ અને જુઓ જ્ઞાનપીઠ લેતી વખતે કુવેમ્પૂ શું કહે છેઃ

‘રાજ્યની દૃષ્ટિએ હું કર્ણાટકનો છું, ભાષાની દૃષ્ટિએ કન્નડભાષી છું, પરંતુ સંસ્કૃિત અને રાષ્ટ્રની દૃષ્ટિએ ભારતીય છું. મારું પ્રાદેશિક તત્ત્વ ભારતીયતા સાથે ટકરાતું નથી. કર્ણાટકત્વ ભારતીયતા માટે નિર્વિરોધપણે સેવારત રહીને જ પોતાનાં અસ્તિત્વની રક્ષા કરી શકશે. ભારતી માતા છે; કર્ણાટક એની પુત્રી છે. ભારતને ધક્કો લાગશે તો કર્ણાટક નહીં બચે …..’ આમ કહ્યા પછી એ ઉમેરે છેઃ

‘કર્ણાટકનો કવિ – જય હો કર્ણાટક માતા ગાય છે ત્યારે જયગાથાનો આરંભ – જય ભારત જનનીની તનુ જાતા કહીને જ કરે છે.’

આ વાત અત્યારે એટલે ફરી ફરી યાદ કરવી પડે છે કેમ કે છેેલ્લા કેટલાક સમયથી રાજનીતિથી પ્રેરિત પ્રાદેશિકતા માતૃભાષાના વેશમાં ફરી રહી છે. દેખાતા નથી પણ રાજકીય પક્ષોના સંરક્ષકો ભાષા-સાહિત્યમાં ભેલાણ કરી રહ્યા છે. માતૃભાષાનો રાજકીય ઉપયોગ વ્યાપક ભારતીય ઓળખને સંકુચિત બનાવે એવો ન હોવો જોઈએ. એવો તો ન જ હોવો જોઈએ કે એક રાજ્યની વ્યક્તિ બીજાં રાજ્યમાં પોતાને પરદેશી અને પારકો ગણે. ડરીને જીવે. આ પ્રકારનું રાજ્યવાર ભાષાકીય ગૌરવ ભાઈચારાનો છેદ ઉડાડી મૂકે એવું હોય છે. કદાચ પ્રાદેશિકતાના આ નેપથ્યને પારખીને જ તાજેતરમાં લોર્ડ મેઘનાદ દેસાઈએ એક વ્યાખ્યાનમાં આમ કહ્યું હશે કેઃ ‘ભારતના રાજ્યો દેશની માફક વર્તી રહ્યા છે.’

જે  વાત છે તે ટોનની છે. ઉમાશંકર ‘હું ગુર્જર ભારતવાસી’ કહે છે તો કુવેમ્પૂ ‘મારું પ્રાદેશિક તત્ત્વ ભારતીયતા સાથે ટકરાતું નથી’ એમ કહે છે. આપણે આજે જે નથી વિચારતા તે એ છે કે આ બંને કવિઓએ માતૃભાષાનો મહિમા કરવાની સાથે જ ભાષાકીય સમાનતા અને ભારતની એકતાના વિચારને કેમ ઘુંટ્યો? જો આપણે એમનાં કથનને બરાબર નહીં સમજીએ તો માતૃભાષાના નામે જે પ્રાદેશિકતાનો ચક્રવ્યૂહ રચાઈ રહ્યો  છે તેમાં સભાન કે અભાન પણે સામેલ થઈ જઈશું. અને માતૃભાષાના નામે પ્રાદેશિકતાની રાજનીતિમાં થયેલી આપણી આવી સામેલગીરી તત્કાળ આપણને કદાચ ઘણું બધું પ્રાપ્ત પણ કરાવી દેશે પણ લાંબે ગાળે જે ભાષાકીય સમાનતા કે સાંસ્કૃિતક એકતાનો વિચાર ઉમાશંકર – કુવેમ્પૂએ આપણને આપ્યો છે તેનાથી આપણું ખૂબ છેટું પડી જશે.

આપણે સહુ ૨૧, ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસની ઉજવણી કરીએ છીએ એની શરૂઆત બાંગ્લાદેશની સ્વતંત્રતા સાથે થયેલી તે આપણે સહુ જાણીએ છીએ. આમ તો બાંગ્લાદેશનો પાયો ૧૯૪૭ માં પાકિસ્તાનના કાયદે આઝમ જિન્હાએ આમ કહીને નાંખેલો; ‘હવેથી સમગ્ર પાકિસ્તાનની એક જ ભાષા હશે અને તે ઉર્દૂ.’ એમની આ જાહેરાત સાથે જ જે બંગાળ મુસ્લિમ બહુલતાના આધારે પાકિસ્તાન સાથે ગયું હતું તે સામે આવી ગયું. અને પછી ૧૯૭૧ની આસપાસ ‘અમાર સોનાર બાંગ્લા દેશે અમે તોમાર ભાલો બાશી’ વિશ્વમાં ગુંજી ઊઠ્યું અને નકશા પર એક નવો દેશ ભાષાના આધારે ઉભરી આવ્યો. એટલું જ નહીં બાંગ્લાદેશના રાષ્ટ્ર ધ્વજમાં લીલા ચોરસ વચ્ચે લાલ ગોળાકાર છે પણ ઇસ્લામિક રાષ્ટ્રનું ચિહ્‌ન, એટલે કે ઇદનો ચાંદ; ખરેખર ઈદનો ચાંદ બની ગયો છે. આપણે ત્યાં આવું કંઈ જ નથી બન્યું એનું કારણ એ છે કે આપણે ભાષાનાં વૈવિધ્યને જણસ ગણી જાળવ્યું.

છેલ્લા કેટલાક સમયથી બંધારણની કલમ-૮માં જે ભાષાઓની જોગવાઈ છે એનો બહુ મોટા પાયે રાજકીય સદુપયોગ શરુ થયો છે. એની શરૂઆત હિંદી ભાષી પ્રદેશોમાંથી થઈ છે. (આ કહેતા પૂર્વે હું એ સ્પષ્ટતા કરી લઉં કે બંધારણની કલમ-૮ પ્રમાણે લૂપ્ત થતી આદિવાસી ભાષાઓને તથા એના સાહિત્યને બચાવવાની જે પહેલ ચાલે છે તેનો હું વિરોધ નથી કરતો.)  આ રાજનીતિ અવધી, વ્રજ, મૈથિલી, રાજસ્થાની, ભોજપુરી જેવી હિંદીની બોલીઓને ભાષાનો દરજ્જો આપવાથી શરૂ થઈ છે. આનાં કારણોની ચર્ચા પછી કરીશું, પણ પહેલાં પરિણામોની ચર્ચા કરવી જરૂરી લાગે છે. જે કબીરને અત્યાર સુધી આપણે હિંદી કવિ તરીકે ભણ્યા છીએ, એ હવે ભોજપુરી કવિ છે. અવધીમાં લખનાર તુલસી; જે ગુજરાત હોય કે મહારાષ્ટ્ર કે પછી દરિયાપારનો દેશ, હિંદી કવિ તરીકે ગવાય છે તે હવે અવધીના કવિ છે. જે મીરાની પ્રેમની કટારી આપણી છાતીમાં હિંદીમાં વાગતી હતી તે હવે રાજસ્થાનીમાં વાગશે. જે સુરદાસ કીડીના પગે ઝાંઝર બાંધવાની વાત હિંદીમાં કરતા હતા તે હવે વ્રજના કવિ છે. વિદ્યાપતિ મૈથિલીના. આવું કેમ થયું? અહીંથી આપણે એ વાત સમજવા તરફ હિંમતભેર આગળ વધવું પડશે જ્યાંથી ભાષા અને સાહિત્યમાં મુઠ્ઠીભર લોકો રાજ સત્તા સાથે રહીને પોતાના વર્ચસ્વની લડાઈ આદરે છે.

હિંદીમાંથી આ બધી બોલી એટલે અલગ થવા લાગી કેમ કે હિંદી પટ્ટો બહુ મોટો પણ એમાં હંમેશાં દિલ્હીના સાહિત્યકારોની જ જોહુકમી ચાલી. અકાદમી, જ્ઞાનપીઠ, સરસ્વતિ, તુલસી સન્માનથી લઈને લઈને નાનાં મોટા દરેક પુરસ્કાર દિલ્હીમાં બેઠેલા કેટલાક સાહિત્યકારોની કૃપા દૃષ્ટિથી જ મળતા હતા. બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવાં સત્તાના કેન્દ્રથી દૂરના હિંદી ભાષી પ્રદેશોમાં વસતા સાહિત્યકારોનો પનો દિલ્લીના સાહિત્યકારો આગળ ટૂંકો પડતો. અને એ તો હકીકત છે કે જ્યાં કેટલાક અગ્રણી સાહિત્યકારો આ પ્રકારે સરકારી-બિન સરકારી બધાં સંસાધનો પર પોતાના નાનકડાં જૂથનો કબ્જો જમાવે ત્યાં હાંસિયામાં મૂકાયેલા હિજરાય-ઉપેક્ષાય-ચિડાય અને એનો ઉપયોગ રાજકીય લોકો કરે. અને એ સમજી શકાય છે કે આ તાલ ઉપર જ હિંદીમાંથી પહેલા બોલી તરીકે હતી તે ભાષાઓ સ્વરૂપે અલગ થઈ.  આપણી ખોબા જેવડી ગુજરાતી ભાષાની જ સ્થિતિ જૂઓને? આપણી પરિષદ કે અકાદમી જેવી પ્રજાકીય સંસ્થાઓ નાનકડાં જૂથની જાગીર ન બની હોત તો શું સરકાર અકાદમી હસ્તગત થોડી કરી શકત? આ મુદ્દે ચર્ચા કરવી પણ હવે વ્યર્થ છે. પણ ભાષા અને સાહિત્યમાં આપણે ગુણવત્તાની ભલે ચર્ચા કરીએ, આગ્રહ સેવીએ પણ ઊંચનીચનાં ભેદ કે પક્ષપાત તો ન જ હોવા જોઈએ. પણ જે ન હોવું જોઈએ તે જ હોય છે. સરકારે અકાદમીના લોકતંત્રને અવગણીને જોહુકમીથી પોતાના પ્રમુખો બેસાડવાની જે પરંપરા શરૂ કરી તેની સામેની ચળવળમાં આપણા દલિત સાહિત્યકાર મિત્રોએ સાથ ન આપ્યો, એનો મને સહેજ પણ રંજ નથી. શું કામ આપે? અકાદમી સ્વાયત્ત હતી ત્યારે પણ એક જૂથ અકાદમી અને પરિષદ બંને પર હક જામાવીને બેઠું હતું, દલિત સાહિત્યકારોને તો અળગા જ રાખવામાં આવ્યા હતા, અને એ હકીકત છે કે આવી લોકશાહી કે સ્વાયત્તતા એમના માટે તો વ્યર્થ જ લેખાયને જેમ આ દેશની સ્વતંત્રતા અને આઝાદી છે.

આ તો આડ વાત થઈ. મૂળ મુદ્દો ભાષાની સમાનતા અને એની રાજનીતિનો છે. ભોળાભાઈ પટેલથી આપણે સહુ પરિચિત છીએ.  એ નર્યા કલાવાદી હતા એવું એમના લખાણ પરથી સ્પષ્ટ જોઈ શકાય. પણ એ ભાષાની સમાનતા અને ભાષાની રાજનીતિની બાબતમાં જરા જુદા પડતા હતા. મને બરાબર યાદ છે ૧૯૯૫ દરમ્યાન થોડા સમય માટે  મારે જરીક એમની નજીક જવાનું બન્યું. એક વખત ભોળાભાઈ એરપોર્ટ પર લાગેલા એક સૂત્રને કારણે બહુ વ્યથિત જણાયેલા, એ સૂત્ર હતું; ‘હિંદી દેશ કી રાની હૈ.’

એમનું કહેવું હતું કે તો શું બાકીની પ્રાદેશિક ભાષાઓ દાસી છે? જો કે ભોળાભાઈ પ્રોફેસર તો હિંદીના હતા. કલાવાદી હોવાને કારણે એમને સામાજિક નિસબત કે રાજકીય બાબતો પ્રત્યે થોડો અણગમો હતો. પણ એક વખત તત્કાલીન મુખ્યમંત્રીનાં કાર્યકલાપ અંગે બળાપો કાઢતા એમણે લખીને કહેલું; ‘એ પોતાને નેપોલિયન સમજે છે’. ભોળાભાઈ પદ્મ પુરસ્કારથી વિભૂષિત હતા, પણ એમણે ક્યારે ય નામની સમાનતાનો લાભ આપી મુખ્યમંત્રીને વિવેકાનંદ સાથે સરખાવી પોતાનું સ્તર ન ગુમાવ્યું.

ભાષા-પ્રેમ આંખમાથાં પર, માતૃભાષા પ્રેમ એ પણ આંખમાથા પર. પણ આ મુદ્દે કોઈપણ પક્ષ કે સરકાર સાથે જતા પહેલાં એ વિચારવું રહ્યું કે એમને મન માતૃભાષા પ્રેમ શું છે? જો એ માતૃભાષા પ્રેમ કુવેમ્પૂ કહે છે તેમ ‘રાજ્યની દૃષ્ટિએ હું કર્ણાટકનો છું, ભાષાની દૃષ્ટિએ કન્નડભાષી છું, પરંતુ સંસ્કૃિત અને રાષ્ટ્‌ની દૃષ્ટિએ ભારતીય છું. મારું પ્રાદેશિક તત્ત્વ ભારતીયતા સાથે ટકરાતું નથી.’ જેવો અથવા ઉમાશંક કહે છે તેમ; ‘હું ગુજરાતીમાં લખતો ભારતીય કવિ છું,’ એવો સમન્વયની દિશામાં લઈ જનારો હોય તો ઠીક છે, બાકી જો એમની રાજનીતિક પ્રાથમિકતાનો ભાગ હોય તો આપણે એમાં સામેલ ન થવાય. પણ આ વાત વેપારમાંથી સાહિત્ય વ્યાપારમાં આવેલા માતૃભાષા પ્રેમીઓને સમજાવવી કઠિન છે. અને રાજસત્તા સાથે સાંઠગાંઠ કરી પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવાની નેમ ધરાવનારાને  સમજાવવી તો  એનાથી પણ કઠિન છે.

૨૭ માર્ચ, વિશ્વ રંગભૂમિ દિવસે ગુજરાત સરકારે ધોરણ એકથી આઠ માટે, દરેક બૉર્ડ માટે ગુજરાતી ફરજિયાત કર્યું તે આનંદનો વિષય છે. એ અંગે તરત જ ૨૮, માર્ચના અખબારમાં પરિષદ પ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્ર, માતૃભાષા અભિયાનના ટ્રસ્ટી રાજેન્દ્ર પટેલ અને રઘુવીર ચૌધરીનાં નિવેદનો આવ્યાં. સિતાંશુ કહે છે; ‘જ્યાં સારું લાગે ત્યાં તેનું સ્વાગત કરવું અને જ્યાં કહેવા જેવું લાગે ત્યાં તે કહેવું તેવો પુખ્ત સબંધ છે ગુજરાતી સાહિત્ય પરિષદ અને સરકારનો.’ રાજેન્દ્ર પટેલ કહે છે કે ‘સરકારે માતૃભાષા માટે યોગ્ય વાતાવરણ રચ્યું છે. ’ રઘુવીર સરકારને આવકારતા આ ઘટનાનું શ્રેય લેતા કહે છે;  ‘હવે અમે ધોરણ-૧૨ સુધી ગુજરાતી ફરજિયાત બને તે માટે પ્રયાસ કરતા રહીશું’.

જો કે હમણાં માર્ચનાં અંતિમ સપ્તાહમાં હું જ્યારે પૂના ગયો ત્યારે ત્યાની ડા.ડી.વાય. પાટિલ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ૩૦ માર્ચના અખબારમાં ઉપ રાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ હિંદીમાં કહ્યું; ‘સ્થાનિય ભાષા કો શિક્ષા મેં અનિવાર્ય બનાયા જાયે; માતૃભાષા જીવન રૂપી જડ હૈ. ભાષા સમાજ કો જોડને કા જીવંત માધ્યમ હૈ. સ્થાનિય ભાષાયેં હમારી પ્રાથમિકતા હૈ.’ પણ આપણે શકટનો ભાર તાણવાના ન્યાયે એમ માની લઈએ કે ગુજરાતીને શિક્ષણના માધ્યમ તરીકે ફરજિયાત કરવું તે સરકારના એજન્ડાનો નહીં પણ રઘુવીરભાઈ અને રાજેન્દ્ર પટેલની નિસબતનું જ ફળ છે, અને જ્યારે સરકાર એમની આટલી અદબ જાળવે છે તો એમણે પરિષદના અકાદમી સ્વાયત્ત કરાવવાના ઠરાવ બાબતે પણ સરકારને કહેવું જોઈએ, જેમ સરકારે એમના પ્રયાસોથી ધોરણ-૮ સુધીનું માતૃભાષા શિક્ષણ ફરજિયાત કર્યું છે, અને હવે એમના કહેવાથી બાર સુધી પણ ફરજિયાત કરશે, તો  એમની રજુઆતથી કદાચ સરકાર તરત અકાદમીને લોકતાંત્રિક પણ બનાવે.

મૂળ હકીકત તો એ છે કે આપણે સરકારના એજન્ડાનો ભાગ બનતા હોઈએ છીએ અને પ્રજામાં જાણે પ્રજાનું કામ કરતા હોઈએ એવી છાપ ઊભી કરતા હોઈએ છીએ. માતૃભાષાના વિકાસની બાબતમાં ગુજરાત કદાચ છેલ્લે નંબરે છે એની આપણને જાણ હોવી જોઈએ. કર્ણાટકમાં તો ‘કન્નડા ડેવલપમેન્ટ ઓથોરિટી’ નામનો એક આખો વિભાગ ત્યાંના સચિવાલયમાં બિરાજે છે. એના પ્રમુખ પણ સાહિત્યકાર હોય છે, કોઈ પક્ષના પ્રચારક નહીં. આ બૉર્ડ કન્નડા ભાષાના વિકાસ માટે સતત કાર્યરત છેે. જે સમસ્યા આપણને હવે પછી નડવાની છે તે છે અન્ય ભાષીઓને ગુજરાતી કેવી રીતે શિખવશો? કન્નડા ડેવલપમેન્ટ ઑથોરિટીએ આખા કર્ણાટકમાં અન્ય ભાષીઓ માટે કન્નડાના બ્રિજ કોર્સ અમલી બનાવ્યા છે. ત્યાંની કન્નડા સાહિત્ય પરિષદ, જે લોકતાંત્રિક અને સ્વાયત્ત છે તેને કન્નડા ડેવલપમેન્ટ ઑથોરિટી એના કાર્ય કલાપમાં સરકારી દખલ વિના દર વર્ષે વીસ કરોડ જેટલું ફંડ આપે છે, જેથી પરિષદ કન્નડ ભાષા અને સાહિત્ય માટે કામ કરી શકે. ઉપરોક્ત માતૃભાષાપ્રેમી મિત્રોએ સરકારમાં આ અંગે પણ રજુઆત કરવી જોઈએ. પણ આ કર્ણાટકના માતૃભાષા પ્રેમ પાસે થોડીવાર થોભીએ. કુવેમ્પૂ આ કન્નડ ભાષાના જ રાષ્ટ્ર કવિ છે. પણ અત્યારે કર્ણાટકનો માતૃભાષા પ્રેમ ‘રાજ્યની દૃષ્ટિએ હું કર્ણાટકનો છું, ભાષાની દૃષ્ટિએ કન્નડભાષી છું, પરંતુ સંસ્કૃિત અને રાષ્ટ્રની દૃષ્ટિએ ભારતીય છું. મારું પ્રાદેશિક તત્ત્વ ભારતીયતા સાથે ટકરાતું નથી.’ એ કુવેમ્પૂ તર્જ પર નથી. આ માતૃભાષા પ્રેમ પર કટ્ટરતાનું પાણી ચડી રહ્યું છે અને એને ધાર કઢાઈ રહી છે. ત્યાંની સરકારે વિધાનસભામાં એવો ઠરાવ પસાર કર્યો છે કે કર્ણાટક રાજ્યમાં કેવળ મૂળ જન્મથી કન્નડ છે એને જ નોકરી મળશે! ત્યાં મારી બે દીકરીઓ છે, મારા મિત્રોની પુત્રીઓ. હું એમને મળ્યો, તેઓ માતૃભાષામાં શિક્ષણ ફરજિયાત હોવાના આદેશથી અને માત્ર કન્નડને નોકરી મળશે એવા આદેશથી પરેશાન છે. આ ટૉન નથી કુવેમ્પૂનો કે નથી ઉમાશંકરનો. આ તો રાજસત્તાનો ટૉન છે. મહારાષ્ટ્ર જેવો. ત્યાંના થાણેમાં હમણાં જ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના ‘માતૃભાષા પ્રેમીઓ’એ ગુજરાતીમાં લખાયેલાં ગુજરાતીઓની દુકાનોનાં બૉર્ડ તોડી નાખ્યા. મરાઠીમાં લખવાની ધમકીઓ આપી. એ જ હાલ ત્યાં સિનેમા ગૃહોનાં છે, મરાઠી ફિલ્મ પ્રાઈમ ટાઈમમાં નહીં ચલાવો તો …!

માતૃભાષાના નામે ગુજરાત આ રસ્તે ન નીકળી પડે એની મને ધાસ્તી છે. હું આશા રાખું કે આ માતૃભાષા ભાવ અન્ય ભાષીઓ માટેનો દુર્ભાવ કે પ્રાદેશિક કટ્ટરવાદ નહીં બને. અને એવી પણ આશા રાખું છું કે માતૃભાષા પ્રેમી આ સરકાર, અને એને માતૃભાષાના મુદ્દે ટેકો આપનારા આપણા માતૃભાષા પ્રેમીઓ એવાં ખરાખરીને ટાણે કપડાં સંકોરીને દૂર નહીં જઈ બેસે, પણ પ્રજાની વહારે ધાશે. અહીં મારે એ સ્પષ્ટ કહેવું છે કે હું ભાષાકીય સમાનતામાં માનું છું. કુવેમ્પૂ અને ઉમાશંકરે કહ્યો છે એવો માતૃભાષા પ્રેમ મારા અંતરમાં ય વહે છે. પરિષદ પ્રમુખ સિતાંશુએ ખરું કહ્યું છેઃ ‘જ્યાં સારું લાગે ત્યાં તેનું સ્વાગત કરવું અને જ્યાં કહેવા જેવું લાગે ત્યાં તે કહેવું તેવો પુખ્ત સબંધ છે ગુજરાતી સાહિત્ય પરિષદ અને સરકારનો.’ આપણે સાહિત્યકાર કે સાહિત્ય રસિક યા માતૃભાષા પ્રેમી તરીકે સરકાર સાથે આટલો અંગત અને છતાં સ્વાયત્ત સબંધ રાખવો રહ્યો.

તા. ૧૦-૦૪-૧૮

E-mail : pjagjivandas@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2018; પૃ. 04-06

Loading

17 April 2018 admin
← પ્રશ્ન પ્રબંધનનો જ નહીં, વજૂદનો પણ
શિકારીની માનસિકતા: હેમિંગ્વે, સલમાન અને ટ્રમ્પ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved