Opinion Magazine
Number of visits: 9504160
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભાજપ-સંઘનું કાશ્મીર ચિંતન

હરિ દેસાઈ|Opinion - Opinion|17 May 2017

જમ્મુ-કાશ્મીર મુદ્દે સૌ કોઈ પોતાની ડફલી વગાડીને પોતાને અનુકૂળ ઇતિહાસ રજૂ કરવાનો પ્રયાસ કરે છે.

જમ્મુ–કાશ્મીરમાં અજંપાભરી સ્થિતિને ઠારવામાં નિષ્ફળ નીવડેલી પીડીપી-ભાજપની યુતિ સરકારની વહારે ધાવા માટે ભા.જ.પ.ની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હવે કમર કસવી પડી છે. આગામી ૧૮ થી ૨૦ જુલાઈ દરમિયાન સંઘના દેશભરના પ્રચારકોની બેઠક જમ્મુમાં યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. સંઘના સરસંઘચાલક મોહન ભાગવત સહિતના ટોચના નેતાઓ આ બેઠકમાં હાજરી આપશે.

૨૮ જૂનથી અમરનાથ યાત્રા આરંભાશે. કાશ્મીરમાં સ્થિતિ અંકુશ બહાર હોવાથી તો મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના લોકસભા મતવિસ્તાર અનંતનાગમાં તેમના સગ્ગા ભાઈ જ સત્તામોરચાના ઉમેદવાર હોવા છતાં પેટા ચૂંટણી મોકૂફ રાખવાની ફરજ પડી છે. પાકિસ્તાન પર દોષારોપણ કરવાથી દેશના શાસકો જવાબદારી મુક્ત થઇ જતાં નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષ અધ્યક્ષ અમિત શાહના પ્રતિનિધિ અને ભારતના મસ્તક રાજ્યના પ્રભારી એવા વરિષ્ઠ પ્રચારક રામ માધવ પણ ખાસ્સી દોડાદોડી કરી રહ્યા છે, પણ મામલો શાંત પડતો નથી.

મહેબૂબા રાજ્યનું સુકાન સંભાળવામાં મુશ્કેલી અનુભવી રહ્યાં છે, ત્યારે બંધારણની ૩૭૦મી કલમને દૂર કરવાની વાત કરનારાઓને એટલે કે મિત્રપક્ષ ભા.જ.પ.વાળાઓ સહિતનાને એ “રાષ્ટ્રદ્રોહી” ગણાવવા સુધી જાય છે. સત્તામાં રહીને પ્રભાવક્ષેત્રને વધારવામાં રમમાણ ભા.જ.પ.વાળા મહેબૂબાની વાત ભણી આંખ આડા કાન કરે છે. એની પાછળ એમની લાંબી ગણતરી છે.

ભાજપી નેતૃત્વ સુપેરે જાણે છે કે રાજ્યમાં સત્તા એના હાથની કઠપૂતળી છે. દિલ્હીમાં ભા.જ.પ.નું શાસન છે. રાજ્યપાલે દિલ્હીના કેન્દ્રીય ગૃહ પ્રધાનના કહ્યાગરા થઈને રહેવું પડે. રાજ્યપાલનું શાસન (અહીં રાષ્ટ્રપતિ શાસન નહીં) લાદવાનો વખત આવે તો ય ભા.જ.પ.ના બેઉ હાથમાં લાડુ છે. વળી રાજ્યની વિધાનસભામાં અગમચેતીનાં પગલાંરૂપે જ અધ્યક્ષપદ ભા.જ.પે. રાખ્યું છે એટલે કાલ ઊઠીને કાંઇક નવાજૂની થાય તો ય બાજી તો ભા.જ.પ.ના હાથમાં જ રહેવાની. રાજ્ય વિધાનસભાની ચૂંટણી હજુ નવેમ્બર ૨૦૧૪માં જ થઇ છે એટલે છ વર્ષ પછી ૨૦૨૦માં જ ચૂંટણી આવવાની છે.

પી.ડી.પી. વંકાય તો ભા.જ.પ.ના બારણે ટકોરા મારવાવાળા પક્ષ અને ભા.જ.પ.માં સામેલ થઇ “ભારતમાતા કી જય” બોલવા સાટે પ્રધાનપદ મળતાં હોય તો એ કોરસગાન કરવામાં પણ કોઈને ભાગ્યે જ વાંધો છે. હજુ થોડાં વરસ પહેલાં અટલ બિહારી વાજપેયીના યુગમાં, “શેર હમારા મારા હૈ, અબદુલ્લાને મારા હૈ”ના નારાને વીસારે પાડીને, શ્યામા પ્રસાદ મુકરજીના હત્યારા માનતા શેખ અબદુલ્લાના પુત્ર ફારુક અબદુલ્લા અને પૌત્ર ઓમર અબદુલ્લા એન.ડી.એ.માં હતા. અબદુલ્લા જમ્મુ- કાશ્મીરના મુખ્ય મંત્રી હતા એટલું જ નહીં, ઓમર પણ કેન્દ્રમાં વિદેશ રાજ્ય મંત્રી હતા.

મોદીયુગીન ભા.જ.પ.નો સંકલ્પ દેશને કૉંગ્રેસમુક્ત બનાવવાનો છે, પછી છોને ભા.જ.પ. કૉંગ્રેસયુક્ત થઇ જાય, અંતે ચોટલી તો સંઘનિષ્ઠ ભાજપીઓના હાથમાં જ છે ને! જમ્મુ-કાશ્મીર મુદ્દે સૌ કોઈ પોતાની ડફલી વગાડીને પોતાને અનુકૂળ ઇતિહાસ રજૂ કરવાનો પ્રયાસ કરે છે. સંઘ-ભા.જ.પ. તરફથી કાશ્મીરનું કોકડું ગૂંચવવાનો સઘળો દોષ દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને અપાય છે, પણ હવે તો મહારાજા હરિસિંહના નવા દસ્તાવેજો પોકારીને કહી  રહ્યા છે કે કૉંગ્રેસના બંને દિગ્ગજ, નેહરુ અને સરદાર પટેલ, મહારાજાને સત્તા શેખ અબદુલ્લાને સુપરત કરવા સક્રિય હતા અને આખરે સરદારે જ મહારાજાને રાજ્યવટો આપવાની સઘળી જવાબદારી નિભાવી હતી!

મહારાજાએ સરદારમાં મૂકેલા વિશ્વાસ બદલ એમણે આઘાત જ અનુભવવાનો (“વિશ્વાસઘાતી ઘટનાક્રમ”) પ્રસંગ આવ્યો હતો. હરબંસ સિંહના મહારાજા હરિ સિંહ પરના તાજા પુસ્તકે મહારાજાની વેદનાને વાચા આપી છે. ક્યારેક જમ્મુ-કાશ્મીરમાં સંઘના પ્રાંત પ્રચારક રહેલા વર્તમાન અખિલ ભારતીય સહસંપર્કપ્રમુખ અરુણ કુમાર અને રાજ્યમાં સંઘ-ભા.જ.પ.ના પ્રભાવને વિસ્તારવામાં પાયાનું કામ કરનાર હરિ ઓમ મહાજને પાઠવેલા ઈ-મેઈલ ઉત્તરમાં મહારાજા ભારતમાં પોતાના રાજ્યનો વિલય કરવા પહેલાંથી તૈયાર જ હોવાનું જણાવીને સ્વતંત્ર દેશની તેમની કલ્પનાને નકારે છે.

આનાથી વિપરીત સરદારના સાથી વી.પી. મેનન અને હરબંસ સિંહ પણ નોંધે છે કે મહારાજા ત્રીજા વિકલ્પની તલાશમાં હતા. સંઘ સાહિત્યમાં મહારાજાને સમજાવીને ભારત સાથે જોડાવા પ્રેરવાનો યશ દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકરને આપવાનો પ્રયાસ થતો હોવા છતાં સંઘનિષ્ઠ ઇતિહાસવિદ હરિ ઓમ લખે છે: “આવું ક્યાં ય રૅકર્ડ પર નથી”, પણ કેટલાક આર.એસ.એસ.ના આગેવાનો એવો દાવો જરૂર કરે છે.

“અહીં મારે નોંધવું જોઈએ કે સરદારની ભૂમિકા પણ કાંઈ બહુ પ્રેરક રહી નહોતી.” હરિ ઓમે પી.ડી.પી. સાથે ભા.જ.પ.ના જોડાણનો વિરોધ કર્યો હતો. કુરુક્ષેત્ર ખાતે જૂન ૨૦૦૨માં મળેલી સંઘની પ્રતિનિધિસભાએ જમ્મુ – કાશ્મીરના ત્રિભાજન અંગે કરેલા ઠરાવના અમલનો તેમણે આગ્રહ સેવ્યો હતો. એટલે તેમને પક્ષ શિસ્તનો ભંગ કરવા બદલ છ વર્ષ માટે ભા.જ.પ.માંથી તગેડી મૂકાયા હતા. હવે જયારે સંઘની બેઠક જમ્મુમાં મળવાની છે ત્યારે ત્રિભાજન અંગેના ઠરાવનો પુનર્વિચાર કરશે કે એના અમલનો આગ્રહ થશે? એ રસપ્રદ ઘટનાક્રમ બની રહેશે.

ગઠબંધનથી સત્તા મેળવ્યા પછી શ્રીનગરમાં એકલે હાથે સત્તા હાંસલ કરવાની કવાયત આદરી બેઠેલો ભા.જ.પ. હવે કાશ્મીર ખીણ પ્રદેશમાં પગદંડો જમાવવા ઈચ્છુક છે. આવા સંજોગોમાં હવે તે ત્રિભાજન કે ચતુર્ભાજનની ફૉર્મ્યુલાને અભેરાઈએ ચડાવી દેવા ઈચ્છુક હોય  એ સ્વાભાવિક છે. એવું જ કાંઇક ભારતીય બંધારણની કલમ ૩૭૦નું થવાનું, એમ લાગ્યા વિના રહેતું નથી. ભા.જ.પ. રાજ્ય વિધાનસભામાં બે-તૃતીયાંશ બહુમતી ધરાવે નહીં, ત્યાં લગી એ આ કલમને સમાપ્ત કરવાની ભલામણ કેન્દ્રને કરી શકે નહીં.

રાષ્ટ્રપતિ સંસદની મંજૂરીથી એને રદ કરવાનો બંધારણીય અધિકાર ધરાવે છે, પણ સંસદના એ નિર્ણયને અદાલતમાં “જ્યુડિશિયલ રિવ્યૂ” માટેની અરજીથી  પડકારી શકાય. જો કે મુફ્તી મહંમદ સઈદ અને મહેબૂબાના મુખ્યમંત્રીપદના ગાળા દરમિયાન તેમના સલાહકાર રહેલા અમિતાભ માટૂ ૩૭૦ વિશે કહે છે કે આ કલમ વિશે હકીકતો કરતાં ભ્રમ વધુ પ્રવર્તે છે. નેહરુ અમેરિકા ગયેલા હતા ત્યારે ૧૭ ઑક્ટોબર ૧૯૪૯ના રોજ બંધારણ સભામાં એને દાખલ કરાવવામાં ગોપાલસ્વામી આયંગરને મદદ કરવામાં રિયાસતી ખાતાના પ્રધાન અને નાયબ વડા પ્રધાન સરદાર પટેલે સક્રિય ભૂમિકા ભજવી હતી.

એમનો હેતુ એટલો જ હતો કે એ રજવાડું ભારતનો હિસ્સો બની રહે. વળી, ભારતીય બંધારણ વાંચનારાઓને સહેજે ખ્યાલ આવી જશે કે ૩૭૦ જેવી જ કલમો બીજાં રાજ્યો માટે પણ છે. રાજ્ય બહાર પરણનાર મહિલાઓને ૩૭૦ની કલમની આડશે સંપત્તિમાંથી બેદખલ કરવાના પ્રસંગો પણ બને છે. મહારાજા હરિ સિંહે છેક એપ્રિલ ૧૯૨૭ અને જૂન ૧૯૩૨માં બહાર પાડેલાં  જાહેરનામાંના ખોટા અર્થઘટનથી  આવું બનતું હોય છે.

સંયોગ તો જુઓ, જમ્મૂ-કાશ્મીરમાં “કશ્મીર ફૉર કશ્મીરીઝ” ચળવળને પગલે આ શક્ય બન્યું હતું. આ ચળવળના નેતા કોઈ મુસ્લિમ નહીં, કાશ્મીરી પંડિત શંકરલાલ કૌલ હતા ! ઐતિહાસિક તથ્યોને જાણ્યા વિના જ ઘણીવાર કેટલાક નેહરુ અને શેખ અબદુલ્લાની આડેધડ ટીકા કરતા હોય છે. રંગીન સત્યો આપણને ગેરમાર્ગે દોરે છે.

સૌજન્ય : ‘મનગમતો રાગ’, “દિવ્ય ભાસ્કર”, 17 મે 2017

Loading

17 May 2017 admin
← વાસ્તવિક્તા
Trump and Truth →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved