Opinion Magazine
Number of visits: 9449635
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“બીઇન્ગ ઍન્ડ નથિન્ગનેસની આસપાસ” યાને ‘ધીરે ધીરે વાંચજે, ધીરે ધીરે સમજાશે’

સુમન શાહ|Opinion - Opinion|25 February 2020

સાર્ત્ર-લિખિત ‘બીઇન્ગ ઍન્ડ નથિન્ગનેસ’ ગ્રન્થમાં ૭ બાબતો એવી છે જેને વિશે સામાન્યપણે જાણવું જરૂરી ગણાય છે :

૧ : ફિનૉમિના એટલે કે, આવિષ્કાર : ૨ : ‘હું’ અને ‘વસ્તુ’ : ૩ : બૅડ ફેઇથ, એટલે કે, આત્મવંચના : ૪ : ફન્ડામૅન્ટલ પ્રોજેક્ટ એટલે કે, ‘હું’ જે થવા ઇચ્છે છે તે પરિયોજના : ૫ : ઇચ્છા શું છે? : ૬ : અધર એટલે કે અન્ય શું છે? : ૭ : ઑથેન્ટિસિટી એટલે કે અધિકૃતતા શું છે?

એ ૭-માંથી આપણે પહેલી બે બાબતોની ચર્ચા આ અગાઉના તારીખ 12 January 2020 -ના અંશ 3-માં કરી હતી.

હવે આગળની બાબત, ૩ : 'બૅડ ફેઇથ' વિશે આ અંશ – 4

બૅડ ફેઇથ : આત્મવંચના

બીઇન્ગ ઍન્ડ નથિન્ગનેસ’-માં સાર્ત્રે મનુષ્ય-વ્યક્તિને મળેલી અપારની અબાધિત સ્વતન્ત્રતાનો ખૂબ જ પક્ષ લીધો છે – કહો કે, વકીલાત કરી છે.

એ સ્વતન્ત્રતાની કવાયતે કરીને માણસ પોતાના જીવનની ભૂમિકા ઘડે છે. એટલે, બીજાંઓના આધાર વિના માણસ પોતાનું અસ્તિત્વ સરજી શકે છે. એની એવી આત્મસર્જકતાને ઈશ્વરની સર્જકતા સાથે સરખાવી શકાય; પણ સાર્ત્ર ઈશ્વરમાં નથી માનતા.

પરન્તુ તેઓ એ જ મુદ્દો વિકસાવે છે અને કહે છે કે માણસ સ્વતન્ત્ર છે તેથી પોતાની પસંદગીઓ પ્રમાણે વર્તે છે. પોતાને પસંદ પડે એ સ્વીકારે, ન પણ સ્વીકારે, ‘હા’ પાડે, ‘ના’ પણ પાડે. એમ પોતાની સ્વતન્ત્રતાને પ્રયોજવાની એની પાસે વિધ વિધની શક્યતાઓ હોય છે. માણસ નામે સ્વતન્ત્ર અમથાલાલ સકારાત્મક અને નકારાત્મક ઘણું ઘણું અને જાતભાતનું વિચારી શકે છે, બોલી શકે છે, કરી શકે છે.

પરન્તુ જો માણસને ગડ બેસે કે પોતાની અંદર શૂન્યતા છે, તો એ હાંફળોફાંફળો થઈ જાય છે ને ઍન્ગ્વિશ અનુભવે છે. ઍન્ગ્વિશ એટલે મનોયાતના; દેસીમાં કહું કે જીવને થતો, કઢાપો.

એવી પીડા વખતે, માણસથી અપારની પેલી સ્વતન્ત્રતા વેઠાતી નથી. સ્વતન્ત્ર છું એ હકીકત એનાથી સ્હૅવાતી નથી. અને ઍન્ગ્વિશથી છૂટવા માણસ બૅડ ફેઇથનો આશરો કરી લે છે. બૅડ ફેઈથ એટલે આત્મવંચના, જાત-છેતરામણી. માણસમાત્ર, અમથાલાલ કે આપણામાંનો કોઈપણ લાલ કે લાલી પોતાની જાતને અવારનવાર છેતરે છે.

આત્મવંચકે શૂન્યતા અનુભવી હોય છે. આત્મવંચના દરમ્યાન એને નક્કી સમજાય છે કે પોતે સ્વતન્ત્ર ખરો પણ ખરેખર તો સ્વતન્ત્ર નથી. એનો એ નિર્ણય એક નૉંધપાત્ર એવો માનવીય નિર્ણય હોય છે, એક સ્વરૂપની માનવીય વાસ્તવિકતા હોય છે. એવી મનોસ્થિતિમાં એની ચેતના બધી નકારાત્મકતાને બહારની તરફ નહીં પણ અંદરની તરફ ધકેલે છે. એને સાર્ત્ર બૅડ ફેઇથ અથવા આત્મવંચના કહે છે. મૂળમાં, એ માટે એમણે ‘mauvaise foi’ સંજ્ઞા પ્રયોજી છે.

ખરી વાત તો એ છે કે આપણે સ્વતન્ત્ર છીએ એટલે દરેકે દરેક બાબતે જવાબદાર છીએ. આપણા દાયિત્વને છેડો નથી. પરન્તુ આપણે જાતને અને બીજાંઓને છેતરીએ છીએ અને એમ જ ઠસાવીએ છીએ કે – વસ્તુઓ તો ભાઈ, આમ જ હોય ! વળી, આપણાં કાર્યોની જવાબદારી કે કાર્યોનો ભાર ઉઠાવવા માટે પણ આપણે તૈયાર નથી હોતા, નન્નો ભણીએ છીએ. પદ્ધતિસરનાં કામો ન કરવાં પડે એ માટે બહાનાં બતાવીએ છીએ, તર્ક લડાવીએ છીએ, કારણો અને પરિબળો શોધી કાઢીએ છીએ. એવી ખૅંચતાણમાં સપડાયેલા આપણે ટ્રિકો અને જુક્તિઓ ખૉળી કાઢીએ છીએ. એવી એક ટ્રિક તે, બૅડ ફેઇથ.

સાર્ત્રના કહેવા પ્રમાણે, કેટલીક વાર આત્મવંચનાને આપણે સામાન્ય બાબત ગણી લઈએ છીએ. એમ કે, એ તો જીવનનું એક સર્વસાધારણ પાસું છે. પરન્તુ આત્મવંચનાને આપણે ફગાવી શકતા નથી તેમ આપણે એને ગ્રહી પણ નથી શકતા. આત્મવંચના સંભવે છે પણ એ જરાયે ઇચ્છનીય તો નથી. કેમ કે, એ જેનું અસ્તિત્વ નથી તેને પુરવાર કરનારું સામર્થ્ય છે; કહેવાય કે એ એવી એક સત્તા છે.

માણસ પોતાને ગમતી પણ સાચી ન હોય એવી કોઈપણ પરિસ્થિતિની ધારણા કરી શકે છે. જુઓ, આત્મવંચનાનાં રૂપો બદલાતાં રહે છે. સાર્ત્ર એ માટે ‘metastable’ સંજ્ઞા પ્રયોજે છે. જેમ કે, જૂઠ આચરવું કે બોલવું આત્મવંચના છે.

જૂઠડાને ખબર હોય છે કે સાચું શું છે, પણ સાચને એ સંતાડી રાખે છે. પોતાની વાણી વડે નકારીને અંદરના સાચને અકબંધ રાખે છે. જૂઠના આચરણ વખતે બે જણનું હોવું જરૂરી છે : એક તો એ પોતે અને એને જોનારો કે સાંભળનારો એક બીજો. જૂઠડો એમ સમજીને ચાલે છે કે ‘મારું’ અસ્તિત્વ એ ‘બીજા’-ની અને ‘બીજાનું’ અસ્તિત્વ એ મારી નૉંખી નૉંખી પણ ભલી એવી પૂર્વધારણાઓ છે. એક જૂઠ બોલે છે, બીજો સાંભળે છે. સમજો, એ છે અણગમતા સાચને છુપાવવાનો કે સાચને ગમતીલા જૂઠ રૂપે ઠસાવવાનો રૂડો એવો પ્રયાસ ! સાર્ત્ર એટલે સુધી કહે છે કે જૂઠ આચરનાર અને એને ચલાવી લેનાર બન્ને, જોવા જઈએ તો, એક જ છે !

એકમેકથી વિરોધી એવી વિભાવનાઓ ઘડવાની કુનેહને સાર્ત્ર કલા ગણે છે. એ વિભાવનાઓમાં આઇડીઆ અને એ આઇડીઆનું નૅગેશન બન્ને ગૂંથાયાં હોય છે – જે વિચાર સૂઝ્યો એ અને એ જ વિચારનો નકાર ! એમાં મનુષ્યની બેવડી સમ્પદા ખરચાય છે. ત્યારે માણસ ફૅક્ટિસિટી અને ટ્રાન્સેન્ડન્સ બન્નેને અનુભવતો હોય છે.

ફૅક્ટિસિટી અને ટ્રાન્સેન્ડન્સને સાર્ત્ર બૅડ ફેઇથનાં સાધન સમજે છે.

ફૅક્ટિસિટી – તથ્યાત્મકતા – એટલે, આપણને જે કંઈ થાય છે એ બધું જ. હકીકત-સ્વરૂપ જે કંઈ છે એ બધું જ. એ મનુષ્યજીવનનું તથ્યમય પાસું છે. પરન્તુ ઘણી વાર આપણે આપણાં તથ્યોને ઓળંગી જઈએ છીએ. કેમ કે આપણી હકીકતોથી ઊઠીને આપણને કશે પેલે પાર પ્હૉંચી જવું હોય છે. એમ ઊઠી જવા દે છે એ માનસિકતાનું નામ, ટ્રાન્સેન્ડન્સ છે. ટ્રાન્સેન્ડન્સ એટલે પારગામીતા. આપણી બદલાતી રહેતી વર્તણૂકને વિશેની આપણી આસ્થા. આપણે જે નથી તે છીએ પ્રકારની મનોસ્થતિને વિશેનો આપણો ભલોભોળો ભરોસો.

તથ્યાત્મકતા અને આપણી વચ્ચે શૂન્યતા હંમેશાં દખલગીરી કરે છે. આત્મવંચક વ્યક્તિ એટલી હદે વંચક હોય છે કે એ પારગામીતાને સારુ હકીકતોને અને હકીકતોને સારુ પારગામીતાને ચાતરી જાય છે. એટલે શું થાય છે? એ જ કે આત્મવંચના, હકીકતોને ભોગે પારગામીતાને અને પારગામીતાને ભોગે હકીકતોને દૃઢ કરી નાખે છે. પરિણામે, જે નથી તે છે અને જે છે તે નથી સ્વરૂપની માનવીય વાસ્તવિકતા જનમે છે. માણસ જો શૂરોપૂરો કે સમ્પૂર્ણ હોત તો આમ ન બનત, આત્મવંચના પણ ન હોત. પરન્તુ ખાટલે મોટી ખોડ એ છે કે મનુષ્ય હમ્મેશનો આછો-અધૂરો છે.

આત્મવંચનાને સાર્ત્ર બે ભાતની કલ્પે છે :

પહેલી ભાતમાં, માણસ વસ્તુ એટલે કે કશી પસંદગીઓ વિનાનો બીઇન્ગ-ઇન-ઇટસૅલ્ફ બની જાય છે, સભાન સત અથવા બીઇન્ગ ફૉર-ઇટસૅલ્ફ નથી રહેતો. આ ભાત સમજવા માટે સાર્ત્ર કોઈ ચૉક્કસ પુરુષ માટે પહેલી વાર ડેટ પર ગયેલી યુવતીનો દાખલો આપે છે :

પુરુષ યુવતીનો હાથ પકડે છે ત્યારે યુવતીને પુરુષના ઇરાદાની ખબર હોય છે. પણ યુવતી પેલાનો હાથ ઝૂલતો છોડી દે છે – જાણે હાથ કશી વસ્તુ હોય ! પેલાએ કરેલાં જાતીય ઈંગિતોને તેમ જ કાયાને વિશેનાં વખાણને પણ યુવતીએ અવગણ્યાં હોય છે. એ રીતે, યુવતીએ ‘હા’ કે ના’-ની ક્ષણને નકારી હોય છે. પણ એ બધું શરીર વિશે હતું. જો કે પેલાના શબ્દોએ તો યુવતીની ચેતના પર અસર કરેલી. પરિણામ એ આવ્યું કે આખી વાત શરીરવિષયક ન રહી, શરીરથી છૂટી પડી ગઈ. એ પછી યુવતી અમૂર્ત અને એવી જ બધી વાયવ્યઈ અને અંટસંટ વાતો ચલાવે છે. પોતે જે જાણે છે તેને ટાળવાને એ બસ એમ કર્યે રાખે છે. યુવતી આત્મવંચના કરે છે.

જ્યારે, બીજી ભાતમાં, માણસ બીઇન્ગ-ફૉર-અધર્સ હોવાનો ઢૉંગ કરે છે. ખાસ તો એ બીજાઓએ સંપડાવેલી ભૂમિકાઓ ભજવે છે. પોતાના ‘ઝાં જેને’ ગ્રન્થમાં સાર્ત્રે આ ભાતની ચર્ચા કરી છે. સાર્ત્ર અનુસાર, સામાન્યપણે આપણે બીજાઓએ સૂચવેલાં કામો કરીએ છીએ. જેમ કે, કાફેનો વેઇટર, જોવા જઇએ તો, વેઇટરની ભૂમિકા ભજવે છે. હકીકતે, એ કોઈનો પતિ, પિતા કે ભાઈ છે ! એને ખબર છે કે વેઇટર હોવું એ જ એની ભૂમિકા છે; પણ એનો અર્થ એટલો જ કે એની ચેતના એની એ ભૂમિકા સાથે એકરૂપ નથી અને તેથી એ પોતે પણ એ ભૂમિકા સાથે એકરૂપ નથી.

જુઓને, એના આંટાફેરા એકદમના વેઇટર-છાપ હતા. વાતચીતની ઢબ પણ એવી જ હતી. એનો અવાજ સૌને ખુશ કરવા રસ-ટપકતો હતો. ખાવાનાંની ડિશો એ લાવતો તે પણ એકદમની ચૉકક્સાઈથી અને એવી જ ખાસ અદાથી. એના આંટાફેરા ઝડપી ને આગેકદમ હતા, પણ, ન ખાસ ઉતાવળા, ન ખાસ ધીમા. એની એ અતિશયિત વર્તણૂકથી જણાઈ આવતું’તું કે એ ભાઈ વેઇટરની ભૂમિકા ભજવી રહ્યો છે – જાણે આ દુનિયામાં એ કશી વસ્તુ હોય ! – જાણે એ વેઇટર-ત્વ માટેનું કશું સ્વસંચાલિત મશીન હોય ! જો કે એને એવું પણ ભાન હતું જ કે પોતે કંઈ વેઇટર થોડો છે? ના, નથી જ. જાતને પોતે ખાલી બસ પટાવી રહ્યો છે, છેતરી રહ્યો છે. પોતે-જે-નથી એવા ઢંગમાં વેઇટર વેઇટર છે. એ જે ભૂમિકા ભજવે છે એ એની આત્મવંચનાનું પરિણામ છે.

સાર્ત્ર દર્શાવે છે કે યુવતી અને વેઇટર બન્ને આત્મવંચનામાં વર્તે છે અને એ રીતે જોતાં, તેઓ પોતાની સ્વતન્ત્રતાને નકારે છે. જો કે, સાર્ત્ર સરસ કહે છે, તે જ વખતે તેઓ બન્ને પોતાની એ જ સ્વતન્ત્રતાને સ્તો વાપરે છે ! તેમને દેખીતી રીતની જાણ છે જ કે તેઓ સ્વતન્ત્ર છે પણ એમ સ્વીકારવાની તેઓ ના પાડે છે ! આ સંદર્ભમાં, આત્મવંચના વિરોધાભાસી છે : આત્મવંચનામાં વર્તતી વ્યક્તિ પોતાની સ્વતન્ત્રતાને નકારે છે, પણ એ નકારને સારુ એ જ સ્વતન્ત્રતા પર ભરોસો પણ રાખે છે …

સાર્ત્રની જીવન-મિત્ર સિમૉં દ બુવાએ આત્મવંચક સ્ત્રીઓના ત્રણ પ્રકાર વર્ણવ્યા છે : એક છે, નાર્સિસિસ્ટ, એટલે કે આત્મરતિમાં રાચનારી. હંમેશાં પોતાને ડીઝાયરેબલ ઑબ્જેક્ટ સમજે છે – એમ કે હું હંમેશાં ઇચ્છવાજોગ પદાર્થ છું ! બીજી છે, મિસ્ટિક, એટલે કે રહસ્યમયી. પોતાની સ્વતન્ત્રતાને એ નિરપેક્ષ વાતોમાં જોતરી રાખે છે. ત્રીજી છે, પ્રેમિકા એટલે કે, પ્રેમમાં પડેલી સ્ત્રી. એ એના પુરુષ-પદાર્થમાં જાતને ઓળઘોળ કરી મેલે છે.

દ બુવાએ ‘સીરિયસ મૅન’-ને પણ વિચાર્યો છે. એણે કશા બહારી ધ્યેય માટે – દેશ સમાજ કે સંસ્કૃતિ માટે – ફનાગીરી સ્વીકારી હોય છે. જેમ જેમ પોતાની સ્વતન્ત્રતાને એ નકારતો ચાલશે તેમતેમ એ આત્મવંચનામાં ગરકતો જશે.

આત્મવંચના એટલે આમ તો, જવાબદારીમાંથી ભાગી છૂટવાની વાત. સ્વતન્ત્રતાને સામે ચાલીને જતી કરવાની વાત. એટલું જ નહીં, એવી ડંફાસ કે હું નિશ્ચયી છું એમ ઠસાવવાની વાત. અમથાલાલ હંમેશાં – મારો કક્કો ખરો – કરતા હોય છે. કાયમ એવો ડૉળ કરે છે, ચ્હૅરા પર એવો ઢૉંગી મિજાજ જમાવી રાખે છે.

આત્મવંચના એવું પલાયન છે કે એ પછી માણસ પોતાને હાથ નથી આવતો. માણસને થાય છે કે – હું હવે મુક્ત નથી … – હું જે ઇચ્છું છું એ હવે નહીં કરી શકું … આત્મવંચના એવી કઠોર અવસ્થા છે.

= = =

(16 Feb 2020 : Ahmedabad, India)

https://www.facebook.com/suman.shah.94/posts/3075680822462810

Loading

25 February 2020 admin
← બિકમીંગ : મિશેલ ઓબામા
જ્યારે મોટેરા માધવબાગ બન્યું અને ‘સુધારાવાળા’ પરાસ્ત થયા →

Search by

Opinion

  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved