Opinion Magazine
Number of visits: 9451860
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય ઇસ્લામમાં જાતિપ્રથાના ભેદભાવ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|18 May 2017

દલિત મુસલમાનોના સામાજિક ભેદભાવની વ્યથાનો ઉકેલ અનામતમાં નહીં, સામાજિક-ધાર્મિક સુધારણામાં છે

આજકાલ માધ્યમોમાં ‘તીન તલાક’ અને મુસ્લિમ મહિલાઓના માનવ અધિકારોનો મુદ્દો છવાયેલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વરમાં મળેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં પક્ષને ‘પછાત મુસ્લિમો’ની કોન્ફરન્સ બોલાવવા અને તેમના પ્રશ્નો ચર્ચવા આપેલી સલાહ પાછળ ધકેલાઈ ગઈ છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ દેશમાં મુસ્લિમોની વસ્તી ૧૭.૨૨ કરોડ એટલે કે દેશની કુલ વસ્તીના ૧૪.૨૩ ટકા છે. આ મુસ્લિમો પૈકીનો બહુમતી વર્ગ પછાત મુસલમાનોનો છે અને તેમાં પોણા ભાગના દલિત મુસલમાનો છે.

સામાન્ય રીતે ઈસ્લામ સમાનતામાં માનનારો ધર્મ મનાય છે. ઈસ્લામનો અર્થ જ બરાબરી છે. તેમાં જાતિપ્રથા નથી. પરંતુ ભારતના હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા અને જાતિપ્રથાએ બીજા ધર્મોમાં પણ પગપેસારો કર્યો છે. એટલે સમાનતાના સિદ્ધાંતમાં માનનારા ઈસ્લામમાં પણ ઉચ્ચનીચના ભેદ અમલમાં છે. વળી આવા ભેદ કંઈ આજકાલના નથી. મુસ્લિમોમાં ઉચ્ચનીચ દર્શાવતા ત્રણ શબ્દો અશરાફ, અજલાફ અને અરજાલ ઉર્દૂ કે ફારસી શબ્દો નથી પરંતુ અરબી શબ્દો છે!

તે મુસલમાનોમાં પ્રવર્તતી આભડછેટનો વિસ્તાર દર્શાવે છે. એટલે દલિત મુસલમાનો ઈસ્લામમાં લાંબા સમયથી અને સમગ્ર દક્ષિણ એશિયામાં અસ્તિત્વમાં હોવાનું માની શકાય. આ સ્થિતિ ઈસ્લામની સમાનતાની વાતને પોથીમાંનાં રીંગણા પુરવાર કરે છે. ભારતના મોટાભાગના મુસલમાનો ધર્માંતરિત છે. પરંતુ જે હિંદુઓની કહેવાતી નીચલી જાતિમાંથી ધર્મપરિવર્તન કરીને મુસ્લિમો બન્યા છે અને અગાઉના ધર્મના નીચા ગણાતા ધંધા રોજગાર કરે છે તેઓ ધર્મપલટા પછી ઈસ્લામમાં પણ નીચા અને દલિત મુસલમાન જ બની રહ્યા છે.

ભારતીય મુસ્લિમોમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના કોટિક્રમ જોવા મળે છે. સૈયદ, શેખ, પઠાણ, મલેક, મિરજા અને મોગલ જેવા મુસ્લિમો અશરાફ કહેતાં સૌથી ઉચ્ચપ્રકારના મુસલમાનો ગણાય છે. ખેતકામદાર એવા શેખ અને કારીગર કોમો એવી દરજી, રંગરેજ, ભઠિયારા, ધોબી, વાળંદ વગેરે મધ્યમ દરજજાના અજલાફ તો સફાઈકામ અને અસ્વચ્છ એવા વ્યવસાયો કરતાં હલાલખોર અને લાલબેગી અરજાલ અર્થાત્‌ સૌથી નીચા મુસલમાનો મનાય છે.

ભારતના હિંદુઓમાં જે હાલત દલિત હિંદુઓની છે તે જ હાલત ભારતના મુસલમાનોમાં દલિત મુસલમાનોની છે. 'ઓલ ઈન્ડિયા પસમાંદા મુસ્લિમ મહાજ'ના અગ્રણી અલી અનવરે દોઢેક દાયકા પૂર્વે બિહારની રાજધાની પટણાના ૧૦૦ દલિત મુસલમાન પરિવારોના ૫૯૨ સભ્યોનો અભ્યાસ કર્યો હતો. મુસ્લિમ ધોબી, હલાલખોર, બક્ખો, પવંરિયા, માછીમાર, નાલબંદ અને નટ મુસ્લિમોના આ અભ્યાસનું તારણ હતું કે, આ સો કુટુંબોમાં એક જ યુવાન સ્નાતક હતો, ૭ મેટ્રિક હતા, જો કે તે તમામ બેરોજગાર હતા.

અશિક્ષિતોનું પ્રમાણ ૬૨.૫ ટકા હતું. ૨૫ ટકા પરિવારો રોજ એક જ ટંક ખાવાનું પામતા હતા. માંસાહાર મુસ્લિમોનો ખોરાક મનાય છે, પણ સર્વેક્ષણ હેઠળના ૭૦ ટકા પરિવારો મહિને એક વાર અને બાકીના ૩૦ ટકા અઠવાડિયે એકવાર માંસ ખાઈ શકતા હતા. ૭૮ ટકા લોકો પાસે પગમાં પહેરવાના ચંપલ નહોતા. ૫૮ ટકા પરિવારો ઘરવિહોણા હતા. જે ૪૨ ટકા પાસે ઘરનાં નામે ભાંગ્યાતૂટ્યા મકાનો હતાં તેમાંથી ૨૮ ટકાના ઘરમાં જ જાજરૂની સગવડ હતી.

આર્થિક અને શૈક્ષણિક બેહાલીમાં જીવતા આ દલિત મુસલમાનો સામાજિક ભેદભાવો રોજેરોજ સહન કરતા રહ્યા હતા. મસ્જિદમાં નમાજ વખતે ભેગા રહેવા સિવાય સતત જુદાપણું અનુભવતા હતા. મરણ પછી તેમને દફન માટે કબર મળતી નહોતી. લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ કથિત ઉચ્ચ મુસલમાનો તેમના ત્યાં આવતા નથી કે તેમના પ્રસંગોમાં બોલાવતા નથી. રોટીબેટી વ્યવહાર થતો નથી અને  અલગ વસ્તીમાં રહેતા હતા.

પટણાના દલિત મુસલમાનો વિશેના અલી અનવરના આ લઘુ અભ્યાસના નિષ્કર્ષો ગત વરસના  ઉત્તરપ્રદેશના દલિત મુસલમાનોના અભ્યાસમાં પણ જોવા મળે છે. ગિરી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડિઝ, લખનૌ દ્વારા પ્રશાંત ત્રિવેદી, શ્રીનિવાસ ગોલી, ફહિયુદ્દિન અને સુરિન્દર કુમાર એ ચાર સંશોધકોએ યુ.પી.ના ૧૪ જિલ્લાના ૭,૧૯૫ પરિવારોનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં દલિત મુસલમાનો પ્રત્યે ભેદભાવ આચરવામાં આવતો હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું. આવો ભેદભાવ કથિત ઉચ્ચ વર્ણના હિંદુઓ અને મુસલમાનો બંને તેમના પ્રત્યે રાખે છે.

૨૦.૫૫ ટકા કથિત ઉચ્ચ વર્ણના મુસલમાનો અને ૨૫ ટકા કથિત ઉચ્ચ વર્ણના હિંદુઓ દલિત મુસલમાનો પ્રત્યે ભેદભાવ રાખતા હોવાનું જોવા મળ્યું હતું. ૮ ટકા દલિત મુસલમાન બાળકોને શાળાના વર્ગ ખંડોમાં અને મધ્યાહ્ન ભોજનમાં અલગ બેસાડવામાં આવતા હતા. દલિત મુસલમાનોના મ્રુતદેહોને કબ્રસ્તાનમાં દાટવા દેવામાં આવતા નથી કે અલગ ખૂણામાં દફન કરવું પડે છે. મસ્જિદમાં સાથે નમાજ પઢવા દેવામાં આવે છે પણ ત્યાં ય ભેદભાવનો અનુભવ થાય છે.

દલિત મુસલમાનો જુદા જ વસે છે અને સામાજિક ધાર્મિક પ્રસંગોએ અન્ય કહેવાતા મુસલમાનો ન એમના ત્યાં આવે છે કે ન તો એમને બોલાવે છે. ૧૩ ટકા દલિત મુસલમાનોને કથિત ઉચ્ચ વર્ણના મુસલમાનોના ઘરમાં અલગ વાસણમાં જમવાનું અને પાણી આપવામાં આવે છે. એમને સામાજિક પ્રસંગોએ અલગ જમવા બેસાડે છે. તેમને અપમાનજનક અને વ્યવસાયસૂચક શબ્દોથી સંબોધવામાં આવે છે.

લગભગ તમામ પછાત અને દલિત મુસલમાનોનો સમાવેશ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોમાં થયો છે.

તે મુજબ તેમને શિક્ષણ અને નોકરીઓમાં અનામતનો લાભ મળે છે. મુસ્લિમોનો એક વર્ગ તમામ મુસ્લિમો માટે અનામત માંગે છે, તો દલિત મુસલમાનોના નેતાઓ તેમનો સમાવેશ અનુસૂચિત જાતિમાં કરવા સતત મથે છે. હિંદુઓની જે નીચલી જ્ઞાતિઓએ જાતિભેદ અને આભડછેટમાંથી છૂટકારો મેળવવા ધર્મપરિવર્તન કર્યું છે તે નવા ધર્મમાં પણ યોગ્ય સ્થાન મેળવી શકી નથી. આજે તે અનુસૂચિત જાતિમાં સ્થાન માંગે છે તેનો અર્થ તેમનું ધર્મપરિવર્તન અર્થહીન બની ગયું છે.

ડો. આંબેડકરના પગલે દલિતોએ મોટા પાયે હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે.  આવા નવબૌદ્ધોને વી.પી. સિંહના વડાપ્રધાનકાળ વખતે અનુસૂચિત જાતિમાં સામેલ કરી અનામતના લાભ આપવામાં આવ્યા છે. એટલે દલિત ખ્રિસ્તીઓ અને દલિત મુસલમાનો પણ અનુસૂચિત જાતિમાં સામેલ થવા માંગે છે. તેમની આ માગણીના વાજબીપણાની ચર્ચા બાજુ પર રાખીને આ ધર્મો ધર્માંતરિતોને સમાનતાના હક કેમ આપતા નથી તેની ચર્ચા કરવા જેવી છે.

હાલની દલિત મુસલમાન એવી ઓળખ તેઓ પહેલાં દલિત છે અને પછી મુસલમાન છે તેમ દર્શાવે છે. તેથી તેમણે પોતાની દલિત મુસલમાનની ઓળખને બદલે મુસલમાન દલિતની ઓળખ પ્રસ્થાપિત કરવી જોઈએ. મહાત્મા ગાંધીએ ખ્રિસ્તીઓ અને મુસલમાનો તેમના ધર્મ બંધુઓ પ્રત્યે જે આભડછેટ અને ભેદભાવ રાખે છે તેને હિંદુઓની દેન તરીકે સ્વીકારીને કહ્યું હતું કે હિંદુઓએ પોતાના ધર્મમાં રહેલી આભડછેટ સમાપ્ત કરીને બીજા ધર્મોનું માર્ગદર્શન કરવું જોઈએ.

શેષ કામ બીજા ધર્મોએ જાતે કરવું જોઈએ. ગાંધીજીના આ શબ્દોમાં રહેલું દર્દ અને વાસ્તવ ન માત્ર હિંદુઓએ તમામ ધર્મોએ સમજવું પડશે. દલિત મુસલમાનોની સામાજિક ભેદભાવની અજાણી વ્યથાનો ઉકેલ અનામતમાં નથી, સમાજ અને ધર્મસુધારણામાં છે.

સૌજન્ય : ‘પરિવર્તન’, “દિવ્ય ભાસ્કર”, 18 મે 2017  

Loading

18 May 2017 admin
← નિ:શબ્દતા
સાર્થ જોડણીકોશઃ મહિમા અને મર્યાદા →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved