Opinion Magazine
Number of visits: 9504427
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાપુ સાથેના પાવન પ્રસંગો

રામનારાયણ ચોધરી|Gandhiana|17 April 2025

રામનારાયણ ચોધરી

1920ના ડિસેમ્બરમાં નાગપુરમાં કાઁગ્રેસનું અધિવેશન હતું. શ્રી મહંમદઅલી ઝીણા કોઈક ઠરાવ પર બોલવા ઊભા થયા હતા. બાપુને તે વખતે ‘મહાત્મા’ની ઉપાધિ મળી ગઈ હતી.  ઝીણાસાહેબની ભાષા અંગ્રેજી અને પહેરવેશ પણ અંગ્રેજી હતો. બાપુનું નામ આવ્યું ત્યાં તેમણે ‘મહાત્મા ગાંધી’ ન કહેતાં ‘મિસ્ટર ગાંધી’ કહ્યું, એટલે મૌલાના મહમંદઅલીએ ઊભા થઈ ને કહ્યું, ‘મિસ્ટર નહીં, મહાત્મા ગાંધી કહો’. પ્રેક્ષકોએ પણ  ‘મહાત્મા ગાંધી કહો’ એવી બૂમો પાડી, પણ ઝીણાસાહેબ ન ડગ્યા. વયોવૃદ્ધ પ્રમુખ શ્રી વિજય રાઘવાચાર્યે પણ તેમને સમજાવ્યા કે આમજનતાની ભાવનાનો ખ્યાલ કરવો સારો, પણ જનાબ ઝીણા એકના બે ન થયા. પછી બાપુએ ઊઠીને લોકોને મીઠો ઠપકો આપતાં કહ્યું, ‘હું મહાત્મા નથી, સામાન્ય માણસ છું. ઝીણા સાહેબના વિચાર-સ્વાતંત્ર્યમાં દખલ કરીને તમે મને માન નથી આપતા. આપણો વિચાર  બીજાઓ પર લાદીને આપણે શુદ્ધ સ્વરાજ નહીં લઈ શકીએ. જ્યાં સુધી કોઈની ભાષામાં કશું અશિષ્ટ ન હોય ત્યાં સુધી તે બીજા વિશે ગમે તે અભિપ્રાય ધરાવી શકે ને પ્રગટ કરી શકે.’ ત્યારે લોકો કંઈક શાંત પડ્યા.

•

સાબરમતી આશ્રમમાં એક દિવસ સરદાર વલ્લભભાઈ અને બાપુ બેઠા હતા. બાપુની સામે બાજઠ પર તેમનો લખવા-વાંચવાનો સરંજામ રહેતો. પેન્સિલ જમણી બાજુ રહેતી હશે. સરદાર સાથે વાત કરતા તેમણે પેન્સિલ લેવા જમણી બાજુ હાથ લંબાવ્યો, તો પેન્સિલ ત્યાં નહોતી; ડાબી બાજુએથી મળી. બાપુના ચહેરા પર વ્યગ્રતાની આછી છાયા જણાઈ. એમને તરત પ્યારેલાલજીને બૂમ પાડી. પ્યારેલાલજી આવ્યા એટલે તેમને પૂછ્યું, ‘મારી પેન્સિલ ક્યાં મૂકી દીધી હતી ?’ સવાલ પૂછવાની રીત અને બાપુનો ચહેરો જોઈને પ્યારેલાલજી સમજી ગયા અને નિરુત્તર થઈને છત તરફ જોવા લાગ્યા. તેમને ઝંખવાણા પડેલા જોઈને સરદારે બાજી સંભાળી લીધી; જરા સ્મિત કરીને બોલ્યા, ‘એ તો કવિ છે.’ બાપુ હસ્યા. 

સરદારના ગયા પછી મેં પૂછ્યું, ‘બાપુ, આ તો બહુ સામાન્ય બાબત હતી.’ બાપુ તરત ગંભીર થઈને કહેવા લાગ્યા, ‘માણસના જીવનમાં વ્યવસ્થિતતા હોવી બહુ જરૂરી છે. જો સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી કુદરતના નિયમોનું પાલન ન કરે તો ક્ષણવારમાં આખું વિશ્વ વેરણ-છેરણ થઈ જાય. મારા જેવા માણસની એક એક ક્ષણ કામથી ભરેલી રહે છે. મારી વસ્તુઓ તેને ઠેકાણે ન મળે તો મારો કેટલો સમય બગડે, મને કેટલી અગવડ થાય અને કામને કેટલું નુકસાન થાય ? મારા નિકટના સાથીઓને તો આ બધી બાબતોનો ખ્યાલ રહેવો જ જોઈએ. અને અંગ્રેજીમાં ગંદકીની વ્યાખ્યા શી છે, તે જાણો છો ?’

‘ના, જી,’ કહીને મેં મારું અજ્ઞાન પ્રગટ કર્યું, એટલે બાપુ બોલ્યા, ‘જે કોઈ વસ્તુ પોતાને સ્થાને ન હોય તે કચરો છે. મળમૂત્ર યોગ્ય રીતે ખેતરમાં પહોંચી જાય તો ધરતી સોનું આપવા માંડે છે અને આમ તેમ ખુલ્લાં પડ્યાં રહે તો અનેક રોગ ઉત્પન્ન કરે ચે.’

•

એક રાતે રસોડામાં ચોર પેઠો. તે દિવસોમાં આશ્રમવાસીઓ વારાફરતી ટુકડીઓ બનાવીને પહેરો ભરતા હતા. ચોરને પકડવામાં આવ્યો. રાતે તો તેને કોટડીમાં પૂરી રાખવામાં આવ્યો. સવારે બાપુ નાસ્તો કરતા હતા તે વખતે તેને તેમની આગળ રજૂ કરવામાં આવ્યો. તેમણે સૌથી પહેલાં પૂછ્યું, ‘આને નાસ્તો કરાવ્યો છે ?’ ચોરને નાસ્તો કરાવીને લાવવામાં આવ્યો એટલે બાપુએ તેને બહુ પ્રેમથી સમજાવ્યું કે ચોરી ન કરવી જોઈએ. ચોરી કરવી એ પાપ છે, અને ગરીબાઈને કારણે ચોરી કરી હોય તો આશ્રમમાં કામ પણ મળશે. 

ચોર તો ચાલ્યો ગયો, પણ સાંજે પ્રાર્થનામાં બાપુએ કહ્યું, ‘સમાજમાં ચોરી થાય છે તેનું કારણ એ છે કે મોટા ભાગના લોકોને સખત મજૂરી કરવા છતાં પૂરતું ખાવાનું કે પહેરવાનું નથી મળતું અને થોડાક લોકો શારીરિક શ્રમ ન કરવા છતાં આરામથી રહે છે. આપણે આશ્રમવાળાઓએ વ્રત તો ગરિબાઈનું – અપરિગ્રહનું લીધું છે, પણ આપણી પાસે વધારાનો સંગ્રહ કેટલો છે ? તે જોઈને પડોશના ગામવાળાઓને ઈર્ષા આવે તો તેમાં શું આશ્ચર્ય ? આપણે અંતરમુખ થઈને એવું આચરણ કરવું જોઈએ જેથી બીજાઓને ઉદ્દવેગ ન થાય.’

•

હરિજન-યાત્રામાં બાપુ અજમેર આવ્યા હતા. એમની પાછળ લાગેલી લાલનાથની ટોળી પણ આવી પહોંચી. એ ટોળી બાપુના સનાતની વિરોધીઓની હતી અને બાપુ જ્યાં જતા ત્યાં તેમની પાછળ જતી, તેમને કાળા ઝંડા બતાવતી અને તેમના અસ્પૃશ્યતા નિવારણના કાર્ય સામે પ્રચાર કરતી. બાપુ પોતાને માટે જેટલી સ્વતંત્રતા ઈચ્છતા તેટલી જ પોતાના વિરોધીઓને પણ આપવાના પક્ષના હતા. એટલે દરેક જગ્યાએ ટોળીના રક્ષણનો ખ્યાલ રાખતા અને પોતાના સાથીઓ તથા જનતાને તેમના પ્રત્યે સહનશીલતા રાખવાનો ઉપદેશ આપતા. ખૂબ સાવધાની રાખવા છતાં, દુર્ભાગ્યે અજમેરમાં એ લોકોને મારપીટ થઈ. તેથી ગાંધીજીને ભારે આઘાત લાગ્યો. તેમણે લાલનાથને મલમપટ્ટી કરાવી અને તેમને મંચ પર બોલાવીને તેમના ઘા બતાવી લોકોને શરમાવ્યા અને લાલનાથને પોતાના વિરોધી વિચારો જાહેર કરવાની તક આપી. કરાંચી પહોંચ્યા પછી બાપુએ આ બનાવના પ્રાયશ્ચિત તરીકે સાત દિવસના ઉપવાસ કરવાનું જાહેર કર્યું.

•

હરિજન સેવક સંઘમાંના અમે લોકો હરિજનોને દારૂ તથા મુડદાલ માંસની સાથે દરેક પ્રકારનું માંસ પણ છોડવાનું કહેતા હતા. એક દિવસ છાપામાં વાંચ્યું કે ઓરિસ્સાના પ્રવાસ દરમિયાન બાપુએ કહ્યું કે, ‘દરિયા કિનારે રહેતા ગરીબ લોકોને બીજી રીતે પોષક તત્ત્વો નથી મળતાં તેમને માછલી છોડવાનું કહેતાં મારો જીવ નથી ચાલતો.’ તે જ દિવસથી મેં હરિજનોને માંસાહાર છોડવા વિશે કહેવાનું બંધ કર્યું, પણ મારો આ નિર્ણય ભાવનાપ્રધાન હતો. સિદ્ધાંતની દૃષ્ટિએ મારી શંકા ઊભી હતી. તે શંકાનું સમાધાન તો થોડા વખત પછી વર્ધામાં ગાંધી સેવા સંઘનું સંમેલન થયું અને તેમાં સભ્યોની લાયકાત વિશે ચર્ચા થઈ ત્યારે થયું. કેટલાક લોકો માંસાહારીઓને સભ્ય બનાવવાની વિરુદ્ધ હતા. તેમાં હું પણ હતો. હિંસક માણસને અહિંસક સંસ્થાનો સભ્ય કેમ બનાવાય એ મારી સમજમાં ઊતરતું નહોતું. 

તે પ્રસંગે બાપુએ કહ્યું તેનો સાર આ હતો : ‘જેઓ વંશપરંપરાથી અથવા લાંબા કાળથી માંસાહારથી ટેવાયેલા છે અને માંસ જેમના ખોરાકનો એક કુદરતી ભાગ બની ગયો છે તેમને માંસ છોડવાનું કહેવું એ એક પ્રકારની હિંસા છે. તેમની આ હિંસાને અનિવાર્ય હિંસા માનીને સહન કરી લેવી જોઈશે. હા, જેઓ ચોરીછૂપીથી ખાય છે અથવા જેમને ત્યાં માંસ ખાવાનો રિવાજ ન હોવા છતાં હવે નવેસરથી ખાવા લાગ્યા હોય તેમને આપણે સંઘના સભ્ય ન બનાવી શકીએ.’

પાછળથી મારા જાણવામાં એટલે સુધી આવ્યું કે એક વાર ડૉ. સૈયદ મહમૂદ બીમાર થઈને સેવાગ્રામ આવ્યા હતા ત્યારે તેમને મરઘીનો શેરવો તૈયાર કરાવીને આપ્યો હતો. તે જ પ્રમાણે મૌલાના આઝાદને આશ્રમમાં સિગારેટ પીવાની છૂટ હતી અને પંડિત મોતીલાલ નેહરુને આશ્રમમાં ચા બનાવીને આપવામાં આવતી હતી. પણ છૂટછાટ તો મહેમાનો માટે હતી. બાપુ તો નિકટના સાથીઓ પર પણ સખતાઈ ન કરવાનું અને મુખ્ય અને ગૌણ વસ્તુઓમાં વિવેક કરવાનું ધ્યાન રાખતા. તેથી જ તો કિશોરલાલભાઈ, મહાદેવભાઈ વગેરેને જુદું રસોડું રાખીને આશ્રમમાં વર્જિત એવી ખાંડ, મસાલા અને તળેલી વસ્તુઓ પણ ખાવાની છૂટ આવતી હતી.

•

ખબરપત્રીઓને મુલાકાત આપતી વખતે બાપુ બહુ સાવધ રહેતા. મુલાકાતનો રિપોર્ટ તેમને બતાવીને મોકલવામાં આવે તેવો આગ્રહ રાખતા. કોઈ વાર ખોટો રિપોર્ટ આવતો તો ખબરપત્રીને ઠપકાર્યા વિના ન રહેતા. ખબરપત્રી પોતાની ભૂલ કબૂલ ન કરે અને કહ્યાં છતાં ન સુધરે તો પછી તેને મુલાકાત ન આપતા. કેટલાંક પરદેશી છાપાં તો તાર કરીને અને ઉત્તર માટે પૈસા મોકલીને તે સમયે ચર્ચાતા મહત્ત્વના પ્રશ્નો વિશે તેમના વિચારો મેળવી લેતાં. ઓછામાં ઓછા શબ્દોમાં આવા તારો મોકલવાની કળા તેમણે એટલી ખીલવી હતી કે તેમાં એક પણ વધારાનો શબ્દ આવતો નહીં.

તેઓ જ્યાં જતા ત્યાંનો ટપાલ અને તારનો સમય જાણી લેતા અને ટપાલ વખતસર મોકલવાનું ધ્યાન રાખતા. ‘યંગ ઇન્ડિયા’ અને ‘હરિજન’ પત્રોમા લેખો તેઓ પ્રવાસમાંથી પણ બરાબર વખતસર મોકલી દેતા.

આગગાડીનો સમય પણ જાણતા અને કઈ ગાડીનું કનેકશન ક્યાં મળશે તે પણ તેમને બરાબર યાદ રહેતું. હરિજનયાત્રામાં હું મદ્રાસથી અજમેર આવવા નીકળ્યો ત્યારે મને ઠેઠ સુધીની ગાડીઓનાં કનેકશન એવાં ચોક્કસ બતાવી દીધાં કે રસ્તામાં મને ક્યાં ય કશું પૂછવવાની જરૂર ન પડી.

સૌજન્ય : “અકાલ પુરુષ”; માર્ચ 2025; પૃ. 18-20 

Loading

17 April 2025 Vipool Kalyani
← આ સન્માન મારું નહીં, મારી ભાષાનું છે : હિમાંશી શેલત
સરપંચ પતિપ્રથા મહિલા અનામતના હેતુને નબળો પાડે છે →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved