Opinion Magazine
Number of visits: 9448785
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘આવારા મસીહા’ શરદબાબુ અને ‘શ્રીકાન્ત’

સોનલ પરીખ|Opinion - Opinion|18 October 2023

શ્રીકાન્ત રાજલક્ષ્મીને પતિતા ગણતો નથી, છતાં કોઈ ઊંડા સંસ્કારને કારણે તેને સ્વીકારી શકતો નથી; રાજલક્ષ્મીએ પોતાની શોક્યના પુત્ર બંકુનું ‘માતૃપદ’ સ્વીકાર્યું છે, તેથી તે પણ સંકોચ અનુભવે છે. ‘પ્રબળ પ્રેમ પાસે જ ખેંચતો નથી, એ દૂર પણ ધકેલે છે’, અનુભવતો શ્રીકાન્ત ત્યાંથી નીકળી જાય છે. ભ્રમણકથામાં અન્નદા, અભયા અને કમલલતાની વાતો ગૂંથાતી જાય છે, પણ તેનું કેન્દ્ર રહે છે શ્રીકાન્ત-રાજલક્ષ્મીનો પ્રણય …

‘ભારતેશ્વર’ સામયિકની ઑફિસમાં એક જટાજૂટવાળો ભગવાધારી આવીને ઊભો રહ્યો, ‘મને પેન, શાહી અને કાગળ આપો.’ માણસો નવાઈ પામ્યા, પણ સામયિકના માલિક પ્રમથનાથ ઓળખી ગયા, ‘અરે, તમે? આવી હાલતમાં?’ ‘હું લખ લખ કરતો એટલે પિતાજી ખીજવાયા. મેં ઘર છોડી દીધું. નોટબુક પૂરી થઈ ગઈ એટલે આવ્યો.’ આ ભગવાધારી એ જ આપણા પ્રિય શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય એટલે કે શરદબાબુ. એમનો જન્મદિન 15 સપ્ટેમ્બરે ગયો એ નિમિત્તે વાત કરીએ એમની અને એમની જ પ્રતિચ્છવિરૂપ ‘શ્રીકાન્ત’ની.

આ શરદબાબુનો જન્મ 15 સપ્ટેમ્બર 1876માં હુગલી જિલ્લાના એક ગામમાં થયો. માતા ભુવનમોહિની જાણીતા ગાંગુલી પરિવારમાંથી આવેલાં. પિતા મતિલાલે થોડુંઘણું લખ્યું હતું, પણ દીકરો લખવાના ચાળે ન ચડે ને કોઈ ઢંગનું કામ કરી કમાતો થાય એવી એમની ઈચ્છા. શરત એમ કરતો નહીં, તેથી ચકમક ઝર્યા કરતી. અંતે એ ઘર છોડી ચાલ્યો ગયો. 

પિતાના અવસાનના ખબર મળતા શરત ઘેર પાછા ફર્યા. 1903માં નોકરી કરવા રંગૂન ગયા. ત્યાં શાંતિદેવી સાથે લગ્ન થયાં. એક બાળક થયું, પણ પ્લેગમાં બંને મૃત્યુ પામ્યાં. પછી હિરણ્યમયી સાથે લગ્ન થયાં. 

બ્રહ્મદેશ જતાં પહેલાં મામાના નામે લખેલી ‘મંદિર’ વાર્તાને પ્રથમ પારિતોષિક મળ્યું હતું. પહેલી નવલકથા ‘બડીદીદી’ ‘ભારતી’ સાપ્તાહિકમાં હપ્તાવાર પ્રગટ થઈ. ‘અનિલાદેવી’ના તખલ્લુસથી ‘રામેર સુમતિ’, ‘પંથનિર્દેશ’ અને ‘બિન્દુર છેલે’ નામની વાર્તાઓ પ્રગટ થતાં તેઓ ખ્યાતિ પામ્યા અને નિયમિત આવક થવા માંડી, તેથી 1916માં બ્રહ્મદેશની નોકરી છોડી શરદબાબુ કૉલકાતા આવ્યા.

શિશિરકુમાર ભાદુડીએ એમની એક વાર્તા પરથી નાટક કર્યું. તે પછી ત્રણ મૂક ફિલ્મો શરદબાબુની વાર્તાઓ પરથી બની. એમાંની એક ‘દેવદાસ’ (1928) હતી. એના પરથી 1935માં બરુઆએ એમની પહેલી ટૉકી બનાવી. 1936માં સાયગલવાળી હિંદી ‘દેવદાસ’ બની. 1955માં દિલિપકુમારવાળી દેવદાસ આવી એ દરમ્યાન બીજી ત્રણ દેવદાસ બની ગઈ હતી. આ અસ્થિર અને સ્વનાશ-કટિબદ્ધ અભાગી પ્રેમી લોકોને એટલો ગમી ગયો કે ‘દેવદાસ’ કુલ 18 વાર રૂપેરી પડદે આવી. જો કે શરદબાબુને એ પાત્ર બહુ ગમતું નહીં. ગુલઝારે ધર્મેન્દ્ર, હેમા માલિની અને શર્મિલા ટાગોરને લઈને ‘દેવદાસ’ બનાવવા વિચાર્યું હતું, પછી એને બદલે ‘પંડિત મશાય’ પરથી ‘ખુશ્બૂ’ બનાવી. બાસુ ચેટર્જી, બિમલ રૉય, હૃષિકેશ મુખર્જી, સંજય લીલા ભણસાલી અને અનુરાગ કશ્યપે શરદબાબુની વાર્તાઓ પરથી ફિલ્મો બનાવી છે. વિષ્ણુ પ્રભાકરે લખેલી શરદબાબુની જીવનકથાનું નામ ‘આવારા મસીહા’ છે. ‘દેવદાસ’ અને ‘પરિણીતા’ને ઘણા હિંદી નવલકથા જ માને છે. ગુજરાતી વાચકોને શરદબાબુ મુનશી કે ર.વ.દે. જેટલા જ પોતાના લાગ્યા છે. કેરળમાં શરદબાબુ મલયાલમ લેખકો જેટલા જ લોકપ્રિય છે. શરદબાબુની વાર્તાઓ પરથી 77 ફિલ્મો બની છે. દૂરદર્શને 1987માં ‘શ્રીકાન્ત’ ધારાવાહિક બનાવેલી જે કોરોનાકાળમાં ફરી બતાવાઈ હતી.

ટાગોર અને બંકિમચંદ્ર એમની પ્રેરણામૂર્તિઓ. બર્માના એક સહકર્મી પરથી એમણે ‘ચરિત્રહીન’ લખી હતી. તત્કાલીન સામાજિક આચાર સામે વિદ્રોહનો સૂર હોવાથી એ મુશ્કેલીથી છપાઈ હતી. જો કે આવો સૂર એમની નવલકથાઓમાં પહેલેથી હતો. રંગૂનના મજૂરો એમને ફરિશ્તા માનતા, પણ સગાંસંબંધીઓ અને બ્રહ્મોસમાજીઓ એમને રખડુ અને કુલમર્યાદાને ડુબાડનાર ગણતા. ‘પથેર દાબી’એ તો બ્રિટિશ સરકારને પણ નારાજ કરી. ‘આવારા મસીહા’ વાંચી તો આ જ લોકો કહેવા લાગ્યા, ‘બંગાળમાં ટાગોર પછી કોઈ મહાન નવલકથાકાર થયો હોય તો તે છે શરતચંદ્ર.’

શરદબાબુએ 25 નવલકથાઓ તથા 7 વાર્તાસંગ્રહો આપ્યા છે. ‘બડીદીદી’, ‘વિરાજવહુ’, ‘પરિણીતા’, ‘પલ્લીસમાજ, ‘વૈકુંઠેર વિલ’, ‘શ્રીકાન્ત’, ‘દેવદાસ’, ‘ચરિત્રહીન’, ‘દત્તા’, ‘ગૃહદાહ’, ‘પથેર દાબિ’, ‘શેષ પ્રશ્ન’, ‘વિપ્રદાસ’ અને ‘શુભદા’ તેમની અત્યંત લોકપ્રિય નવલકથાઓ છે; જ્યારે ‘બિન્દુર છેલે’, ‘નિષ્કૃતિ’, ‘મેજદીદી’, ‘કાશીનાથ’, ‘રામેર સુમતિ’, ‘આંધારે આલો’ અને ‘મહેશ’ તેમની ઉત્કૃષ્ટ વાર્તાઓ છે. એમાંની ‘ષોડશી’, ‘રમા’ તથા ‘વિજ્યા’નું તેમણે નાટ્યરૂપાંતર કર્યું છે. દેશબંધુ ચિત્તરંજન દાસ અને સુભાષચંદ્ર બોઝના સંપર્કને લીધે તેઓ રાજકીય પ્રવૃત્તિઓમાં જોડાયા હતા. 

‘શ્રીકાન્ત’ના ચાર ભાગ લખતાં તેમને 17 વર્ષ થયાં. ઘર છોડ્યું ને વર્ષો સુધી ખૂબ ભ્રમણ કર્યું, એથી મળેલા જીવનના પ્રત્યક્ષ અનુભવની છાયા એમની આ અને અન્ય નવલકથાઓમાં છે. શ્રીકાન્તના જીવનમાં બનતી ઘણી બધી ઘટનાઓ અને એમાંની ઘણી વ્યક્તિઓ શરદચંદ્રના જીવન સાથે જોડાઈ હોવાની પૂરી શક્યતા છે. લેખકે પણ એ કબૂલ્યું છે. 

નવલકથા પહેલા પુરુષમાં કહેવાઈ છે. એ આરંભમાં જ કહે છે : ‘મારા આ “ભવ-ભટક્યા” જીવનને પાછલે પહોરે ઊભા રહીને તેનો જ એક અધ્યાય કહેવા બેસતાં આજે કેટકેટલી વાતો યાદ આવે છે?’ શ્રીકાન્તની ભ્રમણવૃત્તિને પોષણ મળ્યું છે નીડર મિત્ર ઈન્દ્રનાથ પાસેથી. તેની જ પાસેથી તે શીખ્યો છે સંકુચિત હિંદુત્વની આભડછેટને વશ ન થવાનું. ઈન્દ્રનાથ શ્રીકાન્તને અન્નદાનો પરિચય કરાવે છે. પતિને ખાતર ધર્મ ત્યજી જીવનભરનું કલંક વહોરી લેતી અન્નદાના સતીધર્મને જોઈ શ્રીકાન્તને એક સત્ય લાધે છે – ‘ત્યાર પછી હું સ્ત્રીના કલંકની વાત સહેજમાં માની લઈ શકતો નથી.’

રાજકુમારના નિમંત્રણથી ફરવા ગયેલા શ્રીકાન્તને મળે છે પિયારીબાઈ – એક બજારુ ગાનારી. પિયારી શ્રીકાન્તની એ જ બાલસખી છે, જે શ્રીકાન્તને બંચીફળની માળા પહેરાવતી. બાળક શ્રીકાન્ત અધિકારપૂર્વક તેને મારતો અને તે સહી લેતી. શ્રીકાન્ત સખત બીમારીમાં પટકાતાં પિયારી તેને પોતાને ત્યાં પટણા લાવી સાજો કરે છે. શ્રીકાન્ત રાજલક્ષ્મીને પતિતા ગણતો નથી, છતાં કોઈ ઊંડા સંસ્કારને કારણે તેને સ્વીકારી શકતો નથી; રાજલક્ષ્મીએ પોતાની શોક્યના પુત્ર બંકુનું ‘માતૃપદ’ સ્વીકાર્યું છે, તેથી તે પણ સંકોચ અનુભવે છે. ‘પ્રબળ પ્રેમ પાસે જ ખેંચતો નથી, એ દૂર પણ ધકેલે છે’, અનુભવતો શ્રીકાન્ત ત્યાંથી નીકળી જાય છે.

નવલકથાના બીજા ભાગમાં શ્રીકાન્તની બર્માયાત્રા મુખ્ય છે. પ્રવાસ-નિવાસ દરમિયાન તેને અભયાનો દીર્ઘ પરિચય થાય છે. અભયા પતિને શોધવા બર્મા આવી છે. પતિ મળે છે. એ દુષ્ટ છે ને એક બર્મી સ્ત્રી સાથે રહે છે, છતાં અભયા તેને સ્વીકારે છે. પણ પતિ તેને માર મારી કાઢી મૂકે છે ત્યારે અભયા ગામથી જેની સાથે બર્મા આવી હતી તે રોહિણીબાબુ સાથે રહેવા લાગે છે. શ્રીકાન્તને એમાં હિંદુ સ્ત્રીનું પતન લાગે છે. અભયા કહે છે, ‘પુરુષની ક્રૂરતા તમને માન્ય છે અને હું વિવાહના મંત્રોને બંધનકર્તા ન માનું તો પતિતા બનું છું. આવું કેમ, શ્રીકાન્તબાબુ, હું સ્ત્રી છું એટલે?’ રાજલક્ષ્મીને આની જાણ થતાં તે અભયાને ‘સહસ્રકોટિ વંદન’ કહેવડાવે છે. અભયા દ્વારા શ્રીકાન્ત-રાજલક્ષ્મીને તેમના માન્ય સંસ્કારપ્રભાવમાંથી મુક્ત બનવાની દિશા મળે છે. 

ત્રીજા ભાગમાં રાજલક્ષ્મી શ્રીકાન્તને લઈ ગંગામાટિ નામના ગામમાં જાય છે અને ત્યાં પોતાના કલંકિત જીવનને શુદ્ધ કરવા વ્રતતપમાં મગ્ન બને છે. બર્મા જતાં પહેલાં શ્રીકાન્ત રાજલક્ષ્મીને મળવા કાશી જાય છે ત્યારે રાજલક્ષ્મીને કપાવેલા કેશવાળી અને ઉપવાસથી રુક્ષ બનેલી જુએ છે. પુંટુ નામની કન્યા સાથે શ્રીકાન્તના લગ્નની વાત ચાલે છે તે જાણી રાજલક્ષ્મી અનુમતિ તો નથી જ આપતી, પણ કાશીવાસ છોડવા તૈયાર થાય છે. 

નવલકથા અહીં પૂરી થઈ શકત, પણ ચોથા ભાગમાં કવિમિત્ર ગહર શ્રીકાન્તને મુરારિપુરના વૈષ્ણવ અખાડામાં લઈ જાય છે. ત્યાં વૈષ્ણવી કમલલતા મળે છે. કમલલતામાં પ્રેમભક્તિ સાથે નારીસહજ પ્રેમાસક્તિ પણ છે. રાજલક્ષ્મી નવા રૂપે મુરારિપુર આવે છે અને મહંતનાં આશીર્વાદ મેળવે છે. બીમાર ગહરની સેવા કરવા બદલ અખાડાએ કમલલતાને ‘ધર્મચ્યુત’ ઠરાવી કાઢી મૂકી છે. કમલલતા કાશી જવા નીકળે છે, એ જ ટ્રેનમાં શ્રીકાન્ત ગંગામાટિ જઈ રહ્યો છે એ ઘટના સાથે કથા પૂરી થાય છે. 

શ્રીકાન્તની ભ્રમણકથામાં આમ અન્નદા, અભયા અને કમલલતાની વાતો ગૂંથાતી જાય છે, પણ તેનું કેન્દ્ર રહે છે શ્રીકાન્ત-રાજલક્ષ્મીનો પ્રણય. શરદબાબુ આ નવલકથામાં ગજબના ખીલ્યા છે. લેખક જેમાં ખીલે, એ કૃતિ ઝીલવાનો મોકો વાચકે જવા દેવો જોઈએ નહીં.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 17 સપ્ટેમ્બર  2023

Loading

18 October 2023 Vipool Kalyani
← ગૂજરાત વિદ્યાપીઠ એકસો ચારમે મોચવાતી પ્રવેશે છે
તર્પણ   →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved