Opinion Magazine
Number of visits: 9446074
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અવિશ્વાસની વધતી ખાઈ : મણિપુરથી સંસદ સુધી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 July 2023

રાજ ગોસ્વામી

બે મહિના પહેલાં, આપણે આ કોલમમાં લખ્યું હતું કે, “પૂર્વોત્તર રાજ્યો પ્રત્યે દેશના બાકી ભાગોમાં કેવી ઉપેક્ષા છે તેનું તાજું ઉદાહરણ મણિપુર છે. મણિપુરમાં સ્થાનિક જાતિઓ વચ્ચે સ્ફોટક પરિસ્થિતિ નિર્માણ થઇ છે, પરંતુ તેમને મુખ્ય ધારાનાં મીડિયામાં તેના વિશે કશું જ વાંચવા નહીં મળે. મણિપુરમાં આદિવાસી સમૂહો વચ્ચે હિંસાનાં પગલે લશ્કરે ફ્લેગ માર્ચ કરી છે. ઇમ્ફાલ, ચુરચાંદપુર અને કોંગપોકપીમાં હિંસક ઘટનાઓ પછી રાજ્યના આઠ જિલ્લાઓમાં અચોક્કસમુદ્દતનો કર્ફ્યું લાદવામાં આવ્યો છે. મણિપુર સરકારે આગામી પાંચ દિવસ સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. રાજ્યના વિવિધ ભાગોમાં હિંસાના પગલે 4,000 લોકોએ લશ્કરી અને સરકારી છાવણીઓમાં આશ્રય લીધો છે.

ભારતીય મહિલા મુક્કેબાજ મેરી કોમે ગુરુવારે વહેલી સવારે લગભગ પોણા ત્રણે વાગે ટ્વીટ કરીને વડા પ્રધાનની મદદ માગી હતી. તેણે લખ્યું હતું, “મારું રાજ્ય મણિપુર સળગી રહ્યું છે. મહેરબાની કરીને મદદ કરો.” મેરીએ વડા પ્રધાન મોદી, વડા પ્રધાન કાર્યાલય, ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને ટેગ કરીને હિંસાની તસવીર પણ જોડી હતી.”

અગાઉ લખ્યું હતું તેમ, તાજેતરની ઉશ્કેરણીનું નવું કારણ મણિપુર હાઇકોર્ટનો એ ફેંસલો હતો, જેમાં તેણે બહુમતી (53 ટકા) મૈતેઈ સમુદાયના લોકોને અનુસૂચિત જનજાતિનું આરક્ષણ આપવા કહ્યું હતું. તેનાથી કૂકી લોકો અકળાયા હતા અને તેમની એક વિરોધ રેલીમાંથી હિંસાની શરૂઆત થઇ હતી. બંને સમુદાયો વચ્ચેના અવિશ્વાસનો મામલો 1960ના દાયકા જૂનો છે અને સમય સમય પર તેમની વચ્ચે હિંસા થતી રહી છે.

અલગ-અલગ સરકારોએ અલગ-અલગ રીતે આ સમસ્યાને ઉકેલવા પ્રયાસ કર્યા છે, પરંતુ રાજકીય લાભ લેવાની વૃત્તિ કહો, અણઆવડત કહો, ઉત્તર-પૂર્વના પ્રદેશો તરફ બાકી ભારતની ઉદાસી કહો કે પછી આ ત્રણે બાબતોનો સરવાળો કહો, સરવાળે મણિપુર સળગતું જ રહ્યું છે અને વર્તમાન બિરેન સિંહની સરકારમાં એ આગમાં ઘી હોમાયું છે. આરોપો તો એવા થઇ રહ્યા છે કે બિરેન સિંહની સરકારે આ વખતે મૈતેઈ સમુદાયનો પક્ષ લઈને કૂકી સમાજના લોકોને નિશાન બનવા દીધા છે.

બીજી બાજુ, સરકારનો દાવો એવો છે કે કૂકી લોકો મોટા પ્રમાણમાં ડ્રગ્સના કારોબારમાં સંડોવાયેલા છે (કૂકીઓનું મણિપુરના પર્વતીય વિસ્તારોમાં પ્રભુત્વ છે) અને પાડોશી મ્યાનમારમાંથી પણ ઘણા ઘુસણખોરો એમાં મદદ કરી રહ્યા છે. બિરેન સિંહની સરકારે ડ્રગ્સના ધંધા પર અને ઘુસણખોરી પર પંજો કસ્યો છે એટલે કૂકીઓને તે ગમ્યું નથી.

ગમે તે કારણ હોય, પણ મેરી કોમના મણિપુરની એ આગ ન ઠરી અને ઊલટાની એવી વકરી કે કૂકી સમાજની બે મહિલાઓને નગ્ન કરીને સાર્વજનિક રીતે તેમની સાથે બેઈજ્જતીના એક વીડિયો મારફતે એ આગની જાણકારી આખી દુનિયાને થઇ. ભારતની સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ચેતવણી આપવી પડી કે સરકાર જો કોઈ પગલાં નહીં ભરે તો અમારે કંઇક કરવું પડશે.

વડા પ્રધાન, જે છેલ્લા બે મહિનાથી મણિપુરના મુદ્દે મૌન હતા, તેમણે ચુપ્પી તોડવી પડી અને દેશના લોકોને કહેવું પડ્યું કે આ ઘટનાથી તેમને વ્યથા થઇ છે અને 140 કરોડ લોકોને શરમ અનુભવવી પડી છે. મણિપુરની દીકરીઓ સાથે જે થયું છે તેને માફ કરી શકાય તેમ નથી.

વિરોધ પક્ષો જ નહીં, નાગરિક સમાજના લોકો અને મણિપુરમાં ભા.જ.પ.ના જ નેતાઓએ પણ કહ્યું કે વડા પ્રધાને મણિપુરની હિંસામાં સમયસર પગલું ભરવામાં મોડું કરી દીધું છે. વીડિયો આવ્યા પછી મણિપુરની પોલીસે આ સ્ત્રીઓને નગ્ન કરનાર 7 લોકોની ધરપકડ કરી છે, પરંતુ ત્યાંના મૈતેઈ અને કૂકી સમાજ વચ્ચે વૈમનસ્ય અને અવિશ્વાસની જે ખાઈ પહોળી થઇ છે તે જલદી ભરાવાની નથી.

ઊલટાનું, મણિપુરની ઘટનાના પડઘા પૂરા ઉત્તર-પૂર્વમાં અને દિલ્હીની રાજનીતિમાં પડ્યા છે. નજીકના મિઝોરામમાંથી મૈઈતી સમુદાયના લોકોએ ઉચાળા ભરવાના શરૂ કર્યા છે. મણિપુરની હિંસાના પગલે મિઝોરામમાં ‘આદિવાસીઓ માટે ન્યાય’ની રેલીનું આયોજન થતાં, સોમવારે 1,000 મૈતેઈ લોકો આસામ જતા રહ્યા હતા. આસામ સરકારે સરહદ પર રાહત શિબિરો પણ સ્થાપી છે. બીજી તરફ, ઓલ આસામ મણિપુર સ્ટુડન્ટ એસોસીએશને મિઝો લોકોને આસામ ખાલી કરવાની ધમકી આપતાં દક્ષિણ આસામમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

શાંતિ માટે સુરક્ષા બળોના તમામ પ્રયાસો છતાં, 26મી તારીખે મ્યાનમાર સરહદે આવેલા એક ગામમાં 30 ખાલી ઘરોને સળગાવી દેવાંમાં આવ્યાં હતા. એ પહેલાં, સુરક્ષા બળોને લઇ જવા માટેની બે બસોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે છેલ્લાં 9 વર્ષમાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં શાંતિ સ્થાપવા માટે ઘણી મહેનત કરી છે અને તેમાં ઘણા અંશે સફળતા પણ મળી છે, પરંતુ જાણકાર લોકો કહે છે કે મણિપુરની હિંસાને જો ડામવામાં ન આવી તો કર્યું કારવ્યું ધૂળમાં મળે તેમ છે.

વૈશ્વિક આતંકવાદ પર નજર રાખીને તેનાં સંભવિત જોખમો પર લોકોને અને સરકારોને સાવધ કરવાનું કામ કરતા અમેરિકા સ્થિત કાઉન્ટર ટેરરિઝમ ગ્રુપના 19 જૂનના એક અહેવાલ અનુસાર, મણિપુરના મૈતેઈ અને કૂકી સમુદાયના લોકોના સામાજિક, રાજકીય અને આર્થિક અસંતોષને જો દૂર કરવામાં નહીં આવે, તો આતંકવાદની દૃષ્ટિએ ઉત્તર-પૂર્વ સુરક્ષા એજન્સીઓ માટે માથાનો દુઃખાવો બનેલું રહેશે.

અહેવાલ લખે છે, “એવી પૂરી શક્યતા છે કે મણિપુરની અશાંતિ પાડોશી રાજ્યોમાં ફેલાઈ જાય. અન્ય રાજ્યોમાં રહેતા નિરાશ્રિતો ખાવા-પીવા અને આશ્રયોમાં ભાગ પડાવશે અને એથી સ્થાનિક લોકોમાં નારાજગી વધશે. મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાના સૂચનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં ધ્રુવીકરણ ઊભું થયું છે.”

મણિપુરે કેન્દ્રની રાજનીતિમાં પણ આકરું ધ્રુવીકરણ ઊભું કર્યું છે. 18મી જુલાઈએ શરૂ થયેલા સંસદના ચોમાસું સત્ર પર મણિપુર છવાયેલું રહ્યું હતું. આ લખાય છે ત્યાં સુધી, આખું અઠવાડિયું કોઈ કામકાજ વગર જ પસાર થયું છે. વિરોધ પક્ષોના નવા સંગઠિત ‘ઇન્ડિયા’ મોરચાએ મણિપુર અંગે સંસદમાં ચર્ચાની અને વડા પ્રધાનના નિવેદનની માંગણી કરીને બંને ગૃહોને ઠપ્પ કરી દીધાં હતા. કાઁગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઓફિસમાં એકઠા થયેલાં વિપક્ષી નેતાઓએ નક્કી કર્યું હતું કે ગૃહમાં મણિપુરની ચર્ચા ન થાય અને વડા પ્રધાન નિવેદન ન કરે તો કોઈ કામકાજ થવા ન દેવું.

સરકાર (જો રાજસ્થાન અને બંગાળમાં સ્ત્રીઓ પર અત્યાચારની ચર્ચા પણ કરવામાં આવે તો) મણિપુર અંગે ચર્ચા માટે તૈયાર હતી, પરંતુ વિરોધ પક્ષો વડા પ્રધાનનું નિવેદન માગી રહ્યા છે, જેના માટે સરકાર તૈયાર નહોતી. મણિપુરનો વીડિયો સામે આવ્યો અને સુપ્રીમ કોર્ટે પણ સખ્ત ટીપ્પણી કરી તે દિવસે સંસદમાં આવતાં પહેલાં, વડા પ્રધાને બહાર પત્રકારો સમક્ષ ઘટનાની ટીકા કરતુ નિવેદન કર્યું હતું, પરંતુ વિપક્ષી નેતાઓની માંગ હતી કે વડા પ્રધાને ગૃહમાં બોલવું જોઈએ. સરકાર આના માટે તૈયાર નહોતી.

છેવટે, 26 પક્ષોના ‘ઇન્ડિયા’ મોરચે મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મુકવાનું નક્કી કર્યું હતું. 543 સભ્યોના ગૃહમાં, ભા.જ.પ.ની આગેવાની હેઠળના એન.ડી.એ. મોરચા પાસે 330થી વધુ સભ્યો છે, ઇન્ડિયા પાસે 140ની આસપાસ છે અને 60 સભ્યો બંનેમાંથી એકે ય જૂથમાં નથી. દેખીતી રીતે જ, સરકાર આ પ્રસ્તાવ જીતી જવાની છે, પરંતુ વિપક્ષો માટે મુદ્દો એ નથી. તેમને તો મણિપુરના મુદ્દે સરકારને ઘેરવી છે અને એ બહાને ગૃહમાં વડા પ્રધાનનું મોઢું ખોલાવું છે.

સંસદીય લોકશાહીમાં, અવિશ્વાસના પ્રસ્તાવને વિપક્ષોનું હથિયાર કહેવાય છે. પ્રસ્તાવ મારફતે તે સરકારની નિષ્ફળતાની ગૃહમાં ચર્ચા કરે છે અને સરકારે તેનો જવાબ પણ આપવો પડે છે. 1999માં, અટલ બિહારી વાજપેઈની સરકાર એક મતથી અવિશ્વાસનો પ્રસ્તાવ હારી ગઈ હતી, પરંતુ ગૃહમાં તેની જે વિસ્તૃત ચર્ચા થઇ હતી તે આજે પણ સંસદીય લોકશાહીના વિધાર્થીઓ માટે અગત્યનો પાઠ છે. 2018માં, આંધ્ર પ્રદેશના મુદ્દે તેલુગુ દેસમ પાર્ટી મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી હતી, જે 199 મતોથી સરકાર જીતી ગઈ હતી.

તે વખતે, પ્રસ્તાવનો જવાબ આપતાં, વડા પ્રધાન મોદીએ કાઁગ્રેસને ટોણો માર્યો હતો, “તમે જરા વધુ મહેનત કરો એવી હું આશા કરું છું, જેથી 2023માં તમને ફરીથી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનો અવસર મળે.”

કાઁન્ગ્રસે તો એના માટે શું મહેનત કરી હતી એ તો ખબર નથી, પણ મણિપુરની બિરેન સિંહની સરકારે તો ચોક્કસ એવી સ્થિતિ સર્જી છે કે મણિપુરમાં બે સમુદાયો વચ્ચે જે અવિશ્વાસ પેદા થયો છે તે સંસદમાં પણ પહોંચ્યો છે.

લાસ્ટ લાઈન:

“માણસો બ્રિજ ઓછા અને દિવાલો વધુ બનાવે છે.”

— જોસેફ ફોર્ટ ન્યુટન, અમેરિકન ધર્મઉપદેશક

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 30 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

30 July 2023 Vipool Kalyani
← મણિપુર વંશીય હિંસાઃ  ડ્રગ્ઝનો વ્યાપાર, રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકીઓની ત્રિરાશીનો ખોટી રકમનો દાખલો
નિરંજન ભગતના અનુવાદોનો સર્વસંગ્રહ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved