Opinion Magazine
Number of visits: 9446690
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઓડિયન્સને અજવાળામાં લાવતું નાટક: ‘અદ્ભુત’

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 June 2023

રવીન્દ્ર પારેખ

મે 23-24, ‘23ની રાત્રે સાયન્સ સેન્ટરનાં, એમ્ફી થિયેટરમાં આઇડિયા અનલિમિટેડ, મુંબઈનાં બે નાટકો જોયાં, ‘વોટ્સ અપ‘ અને ‘અદ્ભુત’ -નએકપાત્રી નાટકો. ‘વૉટ્સએપ’નો નાયક ચિરાગ વોરા અને ‘અદ્ભુત’ની નાયિકા RJ દેવકી. બંનેના દિગ્દર્શક મનોજ શાહ. ‘અદ્ભુત’નો એક શો તો ‘સંસ્કૃતિ’ને ઉપક્રમે 24 જૂનની રાત્રે 7થી 9 દરમિયાન રીગલ બેનક્વેટ, વલસાડમાં પણ થવા જઇ રહ્યો છે, તો એની વાત કરવાનું પ્રસ્તુત પણ છે, પણ એ પહેલાં એના દિગ્દર્શક, અભિનેતા, પ્રોડ્યુસર મનોજ શાહ વિષે થોડું કહું.

મનોજ શાહને તેમનાં પહેલાં નાટક ‘માસ્ટર ફૂલમણિ’થી ઓળખું. એ 1999ના અરસામાં ‘ગાંધીસ્મૃતિ’માં ભજવાયેલું ને એનો ‘લોકસમર્થન’માં વિગતે રિવ્યૂ પણ કરેલો. નવી રંગભૂમિ પર ભજવાતું એ જૂની રંગભૂમિનું નાટક હતું, જેમાં પણ ચિરાગ વોરા જ નાયિકાનું પાત્ર ભજવે છે. એ પછી પણ ‘અપૂર્વ અવસર’, ‘અખો આખા બોલો’, ‘મોહનનો મસાલો’, ‘વોટ્સ અપ’, ‘અદ્ભુત’ જેવાં નાટકોમાં મનોજભાઈનું સાહસ – દિગ્દર્શન, સ્ક્રિપ્ટ, અભિનેતા-અભિનેત્રીની પસંદગીથી માંડીને નાટકનાં દરેક પાસાં સંદર્ભે અનુભવ્યું છે. એમને અનલિમિટેડ આઈડિયાઝમાં રસ છે એટલે જ એમનાં પ્રોડક્શનનું નામ પણ ‘આઈડિયાઝ અનલિમિટેડ’ છે. એ પોતે સ્ક્રિપ્ટ પાછળ ખૂબ મહેનત કરે છે અને કલાકારો પાસે કરાવે પણ છે. સ્ટેજ પર એક જ કલાકાર હોય ને તેને કેન્દ્રમાં રાખીને દોઢ કલાકથી વધુ સમય સુધી સળંગ નાટક સર્જવું રમત

મનોજ શાહ

નથી. કલાકારને મોકળું મેદાન મળે છે ને એ જ વાત એને માટે પડકારરૂપ પણ બને છે, તે એટલે કે તેણે સતત દોઢેક કલાક સુધી પ્રેક્ષકોની આંખોનો સામનો કરવાનો આવે છે. મનોજભાઈએ ડઝનેક નાટકો તો એકપાત્રી જ કરાવ્યાં છે. આવું ભારતમાં થયાનું તો જાણમાં નથી. મનોજ શાહે દિગ્દર્શિત કરેલાં નાટકોની સંખ્યા 90થી વધુ છે. એમનું છેલ્લું નાટક ‘એપલ’ 2022માં પ્રસ્તુત થયું છે ને એ પછી પણ નાટકો સોનો આંકડો પાર કરશે જ એવી શ્રદ્ધા છે. મનોજભાઈની વિશેષતા એ છે કે એમને નાટક દ્વારા સાહિત્ય પદાર્થમાં, સાહિત્યિક, આધ્યાત્મિક, સર્જનાત્મક ચરિત્રોમાં રસ પડે છે અને એવું ગુજરાતી તખ્તા પર ખાસ થયું નથી. એમનું નામ ગિનેસ બુકમાં એટલે નોંધાયું છે, કારણ એક જ દિવસમાં ‘મોહનનો મસાલો’ એમણે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં પ્રસ્તુત કરવાનું અભૂતપૂર્વ કાર્ય કર્યું છે.

ઉત્તમ ગડા લિખિત ‘વોટ્સ અપ’ અર્ધવર્તુળાકારે ગોઠવાયેલા પ્રેક્ષકો સામે શરૂ થાય છે. ત્રીસેકની ઉંમરનો ચિરાગ, મોબાઈલ ફોનને રિસીવ કરતાં, સામે ફોન કરતાં અને મેસેજની આપલે કરતાં તે ભજવે છે. પોતે એના ભાઈને જેલ જતો બચાવવા, શિકાગો જવા, એરપોર્ટ પર આવ્યો છે, ત્યાં એની ગર્લફ્રેન્ડ, એની સાળી, એની પત્ની, એનો ભાઈ, એની બહેન, એનો ભાવિ બનેવી, બહેનના ભાવિ સસરા મોબાઈલમાંથી ટપકી પડ્યાં હોય તેમ ચિરાગને અકળાવે છે ને દોઢેક કલાકમાં ઘણાં પાત્રોનો સામનો તે મોબાઇલમાં કરે છે. નાટકમાં થોડાંક પુનરાવર્તનોને બાદ કરતાં ચિરાગ વોરાએ વિવિધ રસોનો અનુભવ પ્રેક્ષકોને કરાવ્યો છે. સ્ટેજ પર ચિરાગ જ છે, પણ તેની સાથે મોબાઈલ દ્વારા આખું કુટુંબ, તેની વિચિત્રતાઓ સહિત પ્રેક્ષકો અનુભવે છે. આમાં સ્ક્રિપ્ટને ફોલો કરવાની સગવડ ચિરાગને હતી, પણ ‘અદ્ભુત’માં એ તક દેવકીને ખાસ ન હતી.

RJ તરીકે જાણીતી દેવકીને ધ્રુવ ભટ્ટના ‘અકૂપાર’માં જોયેલી. એનો રિવ્યૂ કરેલો અને બીજે દિવસે સાહિત્ય સંગમમાં આખી ટીમનો ઇન્ટરવ્યૂ પણ કરેલો. અદિતિની અને આખી ટીમની મહેનતે ‘ધ્રુવ ભટ્ટ’ની અદ્ભુત નવલનું નાટયરૂપ સરસ રીતે ઉજાળી આપેલું.

ડંકન મેકમિલનની કૃતિ ’એવરી બ્રિલિયન્ટ થિંગ’નું સતચિત પુરાણિકે કરેલું ગુજરાતી રૂપાંતર ‘અદ્ભુત’, એ રીતે પણ અદ્ભુત છે કે એમાં અડધી ન લખાયેલી સ્ક્રિપ્ટ, અભિનય ન કરી શકતા પ્રેક્ષકોના હાથમાં છે. સ્ટેજ પર દેવકી તમામ ચંચળતાઓ સાથે જે રીતે આખેઆખાં ઓડિયન્સને વ્યાપી વળે છે એ કાબિલે દાદ છે. એ એકેએક પ્રેક્ષકને ‘અદ્ભુત’ નાટકનો કાર્ડ આપે છે. એની પાછળ એક નંબર છે ને એની નીચે કેટલીક પંક્તિઓ છે, જેમાં કવિતા છે, નાટક છે, ઇતિહાસ છે, અર્થ-અનર્થ બધું જ છે ને એ બધું સૂચક પણ છે. આમ આ નાટક છે, પણ એમાં પ્રેક્ષકોનાં જીવનનો અંશ પણ ક્યાંક સીધી રીતે ઉકેલાતો આવે છે ને સાધારણ રીતે નાટકમાં એવું ઓછું બનતું હોય છે. આમ વાતમાં બહુ દમ નથી, પણ દમ નીકળી જવા સુધીની નિરાશા, એકમાંથી બીજા પ્રસંગોમાં હળવાશથી પરોવાતી રહે છે. વાત નિરાશાથી, ડિપ્રેશનથી શરૂ થાય છે, પણ એની વાત  ફોડ પાડ્યા વગર થાય છે. વાત એવી છે કે દેવકી માને બચાવવા અદ્ભુત વસ્તુઓનું લિસ્ટ બનાવે છે. આમ તો એ એકલી જ સ્ટેજ પર છે, પણ તે એ રીતે એકલી નથી, કારણ અન્ય પાત્રો તેણે જ ઓડિયન્સમાંથી ઊભાં કરવાનાં છે. એ કોણ હશે તેની તેને ખબર નથી.

તે નાની છે ને તેનું ડોગી મરવાનું છે. તેને વધુ પીડા ન થાય એટલે મર્સી કિલિંગ માટે તે ડોક્ટરની પાસે આવે છે. એ બતાવવું છે, તો એ ઓડિયન્સમાં પહોંચે છે ને કોઈનો દુપટ્ટો માંગે છે. એને એવી રીતે ખભે નાખે છે કે એ માંદું ડોગી લાગે. હવે ટ્રીટમેન્ટ માટે ડૉક્ટર જોઈએ, તો તેની ઉઘરાણી પણ તેણે ઓડિયન્સમાંથી જ કરી. એક ડૉક્ટર ખરેખર જ આવ્યા. એમને પશુ ચિકિત્સક બનાવ્યા. ઓડિયન્સમાંથી જ પેન માંગી. એ ઇન્જેકશન બન્યું ને ડોક્ટરે દેવકીને ખભે પડેલાં ડોગીને તે આપ્યું. પછી તો જે થવાનું હતું તે થયું, પણ નાની છોકરી એ કારણે વ્યથિત છે કે કાલે તો ડોગી નહીં હોય, પણ એની ચીજ વસ્તુઓ હશે ને તે એની યાદને વધારે ઉપસાવશે. આમ તો આખું નાટક સ્મૃતિ સંહિતા જ છે. દેવકીની અનેક સ્મૃતિઓ એની હતાશા, એનાં હર્ષ, એની વ્યથાને શબ્દ આપે છે, પણ તે રડીને બેસી રહેતી નથી. તે ઓડિયન્સમાંથી પપ્પા ઊભા કરે છે, તેમની સાથે સ્કૂટર પર નીકળે છે ત્યારે પપ્પા તો તાજા તાજા જ પપ્પા થયા છે એટલે એમને સ્કૂટર પર આગળ કેમ ઊભાં રહેવું એની સૂચના આપવાનું પોતાને કહે છે. એ સૂચના બરાબર ન અપાય ત્યાં સુધી સૂચના આપવાનું ચાલુ રહે છે. એ રીતે આખું નાટક વર્કશોપ પણ છે.

વચમાં વચમાં પ્રેક્ષકોને અપાયેલા કાર્ડના નંબર દેવકી બોલતી રહે છે ને જેની પાસે એ કાર્ડ હોય તેણે એ નંબરની લાઇન વાંચવાની છે. એ દ્વારા ગીતની પંક્તિઓ, ફિલ્મી પંક્તિઓ, ગરબો, પાત્રની ઉક્તિ,  ઐતિહાસિક ઘટના… વગેરે દ્વારા નાટકને તો ગતિ મળી જ, પણ પ્રેક્ષકોના પણ એ સંદર્ભો સજીવન થયા. એ પણ પોતાની સ્મૃતિઓમાં ડોકિયું કરતાં રહ્યાં. એની સમાંતરે દેવકી સ્કૂલની સ્મૃતિમાં ખોવાઈ. એ માટે ઓડિયન્સમાંથી શિક્ષિકા શોધાઈ. કોલેજના અધ્યાપક પાસે એ ‘લલિતા દુ:ખદર્શક’ નાટક શીખેલી. એ નાટકના સંવાદો કેમ બોલાય તે અધ્યાપકને એણે શીખવ્યું ને એ પ્રમાણે બોલાવ્યું પણ ખરું. એ દ્વારા, તે વખતે ‘લલિતા દુ:ખદર્શક’નો જે પ્રભાવ હતો એનો ખ્યાલ પણ અપાયો. પછી તો ઓડિયન્સમાંથી જ પ્રેમી પણ શોધી કઢાયો. સ્ટેજ પરની પ્રાસંગિકતા સાથે જે તે પ્રેક્ષકની પણ કોઈ અંતરંગ વાતો ટકરાતી આવી ને એ દ્વારા નાની નાની રમૂજો પણ નાટકનો ભાગ બનતી ગઈ. ગમ્મત એ હતી કે ‘વોટ્સ અપ’માં પોતાનાં પાત્રો પારકાં થતાં હતાં, જ્યારે ‘અદ્ભુત’માં પારકાં પાત્રો પોતાનાં થતાં હતાં. અંતે, પ્રેક્ષકોના હર્ષોલ્લાસ વચ્ચે ને નાટકનાં શોની જાહેરાત સાથે નાટક પૂરું થયું.

પણ, આ નાટક ઘણી બધી રીતે અદ્ભુત છે. તે એ રીતે કે નાટક માટે જોઈતાં પાત્રો-પિતા, પ્રેમી, પ્રાધ્યાપક, ડૉક્ટર, શિક્ષક… વગેરે ઓડિયન્સમાંથી ઉપજાવી લેવાયાં છે. ગમ્મત એ છે કે ઓડિયન્સમાંથી કોણ પાત્ર થઈને સ્ટેજનાં અજવાળામાં આવશે એની નથી પ્રેક્ષકોને ખબર કે નથી તો નાયિકાને ખબર ! મુખ્ય પાત્રને બાદ કરતાં અન્ય તમામ પાત્રો ઓડિયન્સમાંથી તૈયાર કરાયાં છે તે નોંધપાત્ર ઘટના છે. આજ સુધી પ્રેક્ષકો અંધારામાં હતાં. આ પહેલું નાટક છે જે એક સાથે આટલાં પ્રેક્ષકોને પાત્રો બનાવીને સ્ટેજનાં અજવાળામાં લાવે છે. દિગ્દર્શક અને દેવકી માટે પડકાર એ હતો કે દરેક નાટકે તેમણે બદલાવાનું ન હતું, પણ પ્રેક્ષકો અને પ્રેક્ષકોમાંથી આવનારાં પાત્રો બદલાતાં રહેવાનાં હતાં ને દરેક જોડે દરેક નાટકે નાયિકાએ આ બદલાવ સાથે પાનાં પાડવાનાં હતાં. સાધારણ રીતે તો સ્ટેજ પર, અન્ય પાત્રના સંવાદ પરથી સામેનાં પાત્રને આગળની લાઇન્સ મળતી હોય છે, પણ અહીં તો દેવકી જ હતી ને સામે જે પાત્રો આવવાના હતાં એ પોતે જ એમનાં સંવાદોથી અજાણ હતાં તો, દેવકીને કોઈ ક્લુ મળવાની ખાતરી કેવી રીતે હોય? બીજું એ કે પ્રેક્ષકો નાટક જોવાની તૈયારી સિવાય બીજી કોઈ તૈયારી સાથે ભાગ્યે જ આવે છે, ત્યાં સીટ લીધાં પછી તેડું આવે કે સ્ટેજ પર જવાનું છે ને સંવાદો બોલવાના છે, તો મોતિયા જ મરી જાય કે બીજું કૈં? એવા પ્રેક્ષકોને દેવકી-દિગ્દર્શક સ્ટેજ સુધી લાવે છે, તેમની પાસે એક્ટિંગ કરાવે છે, સંવાદ બોલાવે છે ને બરાબર ન થાય ત્યાં સુધી સુધરાવે છે. આ કપરું કામ છે ને એ પાર પડ્યું એમાં જ દેવકીનો વિજય છે. સાચું તો એ છે કે દેવકીએ પોતાની એક્ટિંગ તો કરવાની જ હતી, પણ આવનાર પ્રેક્ષકને પાત્ર બનાવવા વધારાની એક્ટિંગ પણ, એમને શીખવવા કરવાની હતી ને એવું તો દરેક શો વખતે કરવાનું હતું ને એ ખરેખર કસોટી કરનારું હતું. વારુ, અહીં જે સ્ટોરી હતી તે ચોક્કસ ક્રમે આગળ વધતી ન હતી. એમાં પ્રસંગો આગળ પાછળ થતા રહેતા હતા. એ સ્થિતિમાં દેવકી માટે આ સ્ક્રિપ્ટ મોટો પડકાર બની રહી હોય તો નવાઈ નહીં !

ટૂંકમાં,‘અદ્ભુત’માં એવી સંવેદનાઓ ઊઘડે છે જેની બારાખડી અગાઉ લખાઈ નથી. એને માટે મનોજ શાહ, દેવકી અને એમની આખી ટીમને અભિનંદનો આપીએ એટલાં ઓછાં છે. સૌને હૃદયપૂર્વકનાં અભિનંદનો ને શુભેચ્છાઓ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : “ધબકાર”, 22 જૂન 2023

Loading

22 June 2023 Vipool Kalyani
← બંગડીબંધન
રાજદ્રોહ કાયદાની બંધારણીયતા અને ઉપયોગિતા →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved