Opinion Magazine
Number of visits: 9448780
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કસોટીનો થાક અને નાપાસ થવાનો ડર અનુભવી રહ્યા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|14 December 2017

આજકાલ દેશ આખામાં લોકજીભે એક જ પ્રશ્ન પુછાઈ રહ્યો છે : ગુજરાતમાં BJPનું શું થશે?

હકીકતમાં પ્રશ્ન એવો છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું શું થશે? એવો પ્રશ્ન તમે ભાગ્યે જ સાંભળ્યો હશે જેમાં કોઈએ પૂછ્યું હોય કે ગુજરાતમાં કૉન્ગ્રેસનું શું થશે? અથવા રાહુલ ગાંધીનું શું થશે? કૉન્ગ્રેસ અને રાહુલ ગાંધી ગુજરાતમાં એક વિકલ્પ કરતાં સરપ્રાઇઝ તરીકે વિન્ગમાં ઊભા છે અને એ સરપ્રાઇઝ દિવસોદિવસ ઘેરું બની રહ્યું છે.

શાસક પક્ષનો પરાજય થયો હોય એ કોઈ નવી ઘટના નથી. ઓછામાં ઓછા સોએક પ્રસંગ હું ટાંકી શકું એમ છું જેમાં કેન્દ્રના શાસક પક્ષનો રાજ્યોમાં પરાજય થયો હોય.

ડૉ. મનમોહન સિંહની UPA સરકારની બીજી મુદતમાં કૉન્ગ્રેસે એક પછી એક અડધો ડઝન રાજ્યો ગુમાવી દીધાં હતાં. ખુદ ઇન્દિરા ગાંધીને ૧૯૭૧ની લોકસભાની ચૂટણીમાં અને ૧૯૭૨ની વિધાનસભાઓની ચૂંટણીમાં અસાધારણ વિજય મેળવ્યા પછી માત્ર બે વરસમાં ગુજરાતમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. BJPની વાત કરીએ તો નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી BJPનો પહેલાં દિલ્હીમાં અને એ પછી અનુક્રમે બિહાર તેમ જ પંજાબમાં પરાજય થયો હતો. પંજાબમાં BJP અકાલી દળ સાથે જુનિયર પાર્ટનર હતી. આમાં દિલ્હીનો પરાજય તો કારમો હતો. ૭૦માંથી ૬૭ બેઠકો પર BJPનો પરાજય થયો હતો અને માત્ર ત્રણ બેઠકો મળી હતી. હજી વરસ પહેલાં દિલ્હીમાં BJPને ૩૧ બેઠકો મળી હતી.

તો પછી ગુજરાતમાં BJPના જય-પરાજયને આટલું બધું મહત્ત્વ શા માટે આપવામાં આવી રહ્યું છે? વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતનનું રાજ્ય છે એટલે? વડા પ્રધાનના વતનના રાજ્યમાં શાસક પક્ષનો પરાજય થયો હોય એવી ઘટના પણ એક કરતાં વધુ વખત બની છે. ઇન્દિરા ગાંધી જ્યારે વડાં પ્રધાન હતાં ત્યારે ૧૯૬૭માં અને ૧૯૭૭માં તેમના વતનના રાજ્ય ઉત્તર પ્રદેશમાં કૉન્ગ્રેસનો પરાજય થયો હતો. મોરારજી દેસાઈ વડા પ્રધાન હતા એ દરમ્યાન ભલે નહીં, પરંતુ એ પછી તરત ૧૯૮૦માં જનતા પાર્ટીનો ગુજરાતમાં પરાજય થયો હતો. ૧૯૯૧થી ૧૯૯૬નાં વર્ષોમાં પી.વી. નરસિંહ રાવ વડા પ્રધાન હતા એ દરમ્યાન ૧૯૯૪માં તેમના વતનના રાજ્ય આંધ્ર પ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસનો પરાજય થયો હતો. એ પરાજય સાધારણ પરાજય નહોતો, પરંતુ દિલ્હીમાં BJPના થયેલા પરાજય જેવો આકરો હતો. આંધ્ર પ્રદેશ વિધાનસભાની કુલ ૨૯૪ બેઠકોમાંથી કૉન્ગ્રેસને માત્ર ૨૬ બેઠકો મળી હતી. આમ છતાં અહીં હું વાચકને જણાવી દઉં કે નરસિંહ રાવ ભારતના અત્યંત સફળ વડા પ્રધાન તરીકે ઇતિહાસમાં અમર રહેવાના છે.

આમ વડા પ્રધાનના વતનના રાજ્યમાં શાસક પક્ષનો પરાજય થયો હોય એ પણ કોઈ નવાઈની વાત નથી અને નવાઈની વાત હોવી પણ ન જોઈએ. ભારત એક સમવાય સંઘ (ફેડરલ સ્ટેટ) છે એટલે સંઘનાં રાજ્યોમાં ચૂંટણીઓ યોજાતી રહેતી હોય છે. જો દરેક ચૂંટણીને વડા પ્રધાનની લોકપ્રિયતાની કસોટીમાં ફેરવી નાખવામાં આવે અને વડા પ્રધાન પોતે જો એ રીતે એને જોવા લાગે તો વડા પ્રધાન શાસન જ ન કરી શકે. ભારતની જેમ અમેરિકા, જર્મની અને બીજા દેશોમાં પ્રાંતોમાં અને હજી નીચે સ્થાનિક સ્તરે ચૂંટણીઓ યોજાતી જ રહે છે, પરંતુ એમાં થતા જય-પરાજયને બહુ મહત્ત્વ આપવામાં નથી આવતું.

ભારતમાં કારણ વિના લોકપ્રિયતાના બૅરોમીટર છાતીએ બાંધીને વડા પ્રધાન અને રાજ્યોના મુખ્ય પ્રધાનો ફરે છે એ મૂર્ખતા છે. આનો અર્થ એ થયો કે હજી આપણા શાસકોએ સાચા અર્થમાં ફેડરલિઝમ અપનાવ્યું નથી. ફેડરલિઝમ એના સ્પિરિટ સાથે અપનાવી લેવામાં આવે તો વારંવાર આવી પડતી લોકપ્રિયતાની કસોટીમાંથી મુક્તિ મળી જશે. જો કે એમ કરવામાં રાજ્યોને અને એની નીચેની સ્વરાજ સંસ્થાઓને એની હકની લોકતાંત્રિક જગ્યા (ડેમોક્રેટિક સ્પેસ) આપવી પડે અને આપણા શાસકો એ આપવા નથી માગતા. લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવી જોઈએ એવી વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર હિમાયત કરે છે એની પાછળ કસોટીનો થાક છે અને નાપાસ થવાનો ડર છે.

આ તો બધું થાય ત્યારે, પણ અત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કસોટીનો થાક અનુભવી રહ્યા છે અને નાપાસ થવાનો ડર અનુભવી રહ્યા છે એનું શું કારણ? એટલો ડર જેટલો ડર આ પહેલાં કોઈ વડા પ્રધાને નથી અનુભવ્યો. એવું શું છે કે આખા દેશમાં લોકજીભે એક જ પ્રશ્ન પુછાઈ રહ્યો છે કે ગુજરાતમાં BJPનું અર્થાત નરેન્દ્ર મોદીનું શું થશે? આવી સ્થિતિ પેદા થવાનાં શું કારણો છે અને કોણ એના માટે જવાબદાર છે?

********

– 2 –

નરેન્દ્ર મોદી એ ભૂલી ગયા છે કે તેઓ વડા પ્રધાન છે અને એ પદની બહુ મોટી ગરિમા છે

ગયા રવિવારે એક ચૂંટણીસભાને સંબોધતાં વડા પ્રધાને કહ્યું હતું કે છઠ્ઠી ડિસેમ્બરે દિલ્હીમાં મણિશંકર અય્યરના ઘરે પાકિસ્તાનના એલચી અને બીજા અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાતમાં BJPને હરાવવા વિશે અને કૉન્ગ્રેસના વિજય વિશે ચર્ચા થઈ હતી.

વડા પ્રધાનની લૅન્ગ્વેજ અને બૉડી-લૅન્ગ્વેજ એવી હતી કે તેઓ મણિશંકર અય્યરના ઘરે કાવતરું રચાયું હોવાનું સૂચવતા હતા. આ પહેલાં તેમણે મણિશંકર અય્યરના નીચ કિસમ કા આદમીવાળા વિધાનનો અર્થવિપર્યાસ કરીને આક્ષેપ કર્યો હતો કે અય્યરે તેમને નીચ જાતિના ગણાવ્યા હતા.

વડા પ્રધાન રઘવાયા થયા છે અને છેલ્લા એક મહિનાથી તેઓ બેફામ બોલે છે. રાહુલ ગાંધીના જાત, ધર્મ, જનોઈ, તિલક વગેરે બાબતે કમરપટ્ટા તળે ઘા કરનારાં અનેક નિવેદનો તેઓ કરી ચૂક્યા છે જે વડા પ્રધાનના હોદ્દાને શોભા આપનારાં ન હોય. જો કે આ બધામાં રવિવારે પાકિસ્તાન સાથે મળીને BJPને ગુજરાતમાં હરાવવાના કૉન્ગ્રેસના કાવતરાનો આરોપ કરીને તો તેમણે દરેક મર્યાદા ઓળંગી છે. તેઓ એ પણ ભૂલી ગયા હતા કે તેઓ વડા પ્રધાન છે અને એ પદની બહુ મોટી ગરિમા છે.

મણિશંકર અય્યરના ઘરે જે બેઠક યોજાઈ હતી એમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ હતા, ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ડૉ. હામિદ અન્સારી હતા, ભૂતપૂર્વ વિદેશપ્રધાન નટવર સિંહ હતા, ભૂતપૂર્વ લશ્કરી વડા દીપક કપૂર હતા, ભૂતપૂર્વ વિદેશસચિવ સલમાન હૈદર હતા, નિવૃત્ત ડિપ્લોમેટ ચિન્મય ઘારેખાન હતા, ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના ભૂતપૂર્વ તંત્રી પ્રેમ શંકર જહા હતા અને બીજા અનેક વિદેશનીતિના જાણકારો અને પત્રકારો હતા. શું તેમણે પાકિસ્તાનીઓ સાથે મળીને ગુજરાતમાં BJPને હરાવવાનું કાવતરું કર્યું હતું? ભૂતપૂર્વ વડા પ્રધાન, ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ, ભૂતપૂર્વ વિદેશપ્રધાન, ભૂતપૂર્વ સેનાધ્યક્ષ દેશદ્રોહી કાવતરાખોર છે એમ વડા પ્રધાન કહેવા માગે છે? નરેન્દ્ર મોદી એટલા રઘવાયા થયા છે કે તેઓ શું બોલે છે અને કોના વિશે બોલે છે એનું પણ ભાન રહેતું નથી.

એ બેઠકમાં ઉપસ્થિત લોકોનાં એક પછી એક નિવેદનો આવી રહ્યાં છે કે એ બેઠકમાં ગુજરાતનો ઉલ્લેખ સુધ્ધાં કરવામાં નહોતો આવ્યો. કરવાં જ પડે એમ છે, કારણ કે જે લોકો એ બેઠકમાં ઉપસ્થિત હતા તેમના પર દેશદ્રોહનો અને કાવતરાંનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે અને આરોપકર્તા ભારતના વડા પ્રધાન છે. ભૂતપૂર્વ સેનાધ્યક્ષ દીપક કપૂરે કહ્યું હતું કે અય્યરના ઘરે યોજાયેલી બેઠકમાં કેવળ દ્વિરાષ્ટ્રીય સંબંધો વિશે ચર્ચા થઈ હતી અને બે દેશ વચ્ચે સંબંધો સુધારવા માટે તેમ જ પ્રશ્નો સમજવા માટે આવી બેઠકો થતી હોય છે અને થતી રહેવી જોઈએ. તેમણે કહ્યું હતું કે ઘરઆંગણાના રાજકારણની ચર્ચા લશ્કરી અધિકારીઓ કરતા નથી અને વિદેશીઓ સાથે તો મુદ્દલ કરતા નથી.

હવે ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું પણ નિવેદન આવી પડ્યું છે. સાધારણ રીતે વિવાદમાં ન પડનારા અને બકવાસ તરફ આંખ આડા કાન કરનારા મિતભાષી તેમ જ મૃદુભાષી ડૉ. મનમોહન સિંહે કહેવું પડ્યું છે કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન છે અને તેમણે વડા પ્રધાનની જેમ બોલવું અને વર્તવું જોઈએ. શો સમ મૅચ્યૉરિટી આ એક વાક્ય જનોઈવાઢ કરનારું છે. આ એક વાક્યે નરેન્દ્ર મોદીના હજાર બકવાસનો રકાસ કરી નાખ્યો છે. આ જ તો ફરક છે ભદ્રતા અને અભદ્રતામાં. ભદ્ર પુરુષની અણગમો વ્યક્ત કરનારી એક નજર પણ છોભીલા પાડવા માટે પૂરતી હોય છે જો લાજ-શરમ હોય તો. દુખ સાથે કહેવું પડે છે કે વડા પ્રધાનમાં એનો પહેલેથી જ અભાવ છે અને અત્યારે ગુજરાતમાં તેઓ જે પ્રકારનો પરાજયનો ભય અને ભયજન્ય રઘવાટ અનુભવી રહ્યા છે એ જોતાં તેમની પાસેથી સભ્યતાની અપેક્ષા રાખવી એ વધારે પડતું છે.

રાજકીય ગજાને લાગેવળગે છે ત્યાં સુધી રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીની કોઈ તુલના ન થઈ શકે. ઑગસ્ટ મહિના સુધી વિરાટ અને વામનનું અંતર હતું. આજે આ અંતર ઘટી રહ્યું છે તો એને માટે કોણ જવાબદાર છે? રાહુલ ગાંધીએ કદ પ્રાપ્ત કર્યું છે એમ કહેવા કરતાં નરેન્દ્ર મોદીએ રાહુલના કદમાં વધારો કરી આપ્યો છે એમ કહેવું પડે. પપ્પુ તરીકે ઓળખાવો, ઠેકડી ઉડાડો, જાત અને કુળ વિશે પ્રશ્ન કરો, ગંદી ઇશારતો કરો અને કરાવો, રાહુલ માટે ક્રૉસ બ્રીડ અને વર્ણસંકર જેવો શબ્દપ્રયોગ કરો, રાજકીય વિરોધીને ભીંતસરસો ધકેલી દો, તેને શ્વાસ લેવાનો મોકો ન આપો ત્યારે તમને ખબર પણ ન પડે એમ લોકોની સહાનુભૂતિ એ વ્યક્તિ તરફ વધવા માંડે છે જેને અભિમન્યુની જેમ વિક્ટિમ બનાવવામાં આવે છે. શરૂઆતની આનંદની કિકિયારીઓ શાંત થવા લાગે છે અને પછી એમ લાગવા માંડે છે કે આપણો હીરો નિર્બળ સાથે અત્યાચાર કરી રહ્યો છે. સામે પક્ષે નિર્બળ હોવા છતાં વિક્ટિમ જ્યારે મર્યાદા ન ઓળંગવાનું આત્મબળ બતાવે ત્યારે દાવ પલટાઈ જતો હોય છે. ગુજરાતમાં આવું જ બની રહ્યું છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 12 અને 13 ડિસેમ્બર 2017

Loading

14 December 2017 admin
← Now is the time for a transformational move
In Defence Of My Dinner That Has Enraged Modi →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved