Opinion Magazine
Number of visits: 9449338
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અસહમતીનો ભારતીય દસ્તાવેજ

મેહુલ દેવકલા|Opinion - Opinion|1 December 2017

પુસ્તકનું નામ : ઇન્ડિયા ડિસેન્ટ્‌સ, સંપાદક : અશોક વાજપેયી, સ્પીકિંગ ટાઇગર પબ્લિકેશન, પ્રકાશન વર્ષ : ૨૦૧૭.

એક ફિલ્મને લઈને તેના કલાકર તેમ જ દિગ્દર્શકને જે રીતે શિરચ્છેદની ખુલ્લેઆમ ધમકીઓ અપાઈ રહી છે, એ સમયગાળામાં જ એક સુંદર રીતે સંપાદિત પુસ્તક હાથમાં આવ્યું છે. પુસ્તકનું નામ છે – ‘ઇન્ડિયા ડિસેન્ટ્‌સ’ અને એના સંપાદક છે પ્રસિદ્ધ હિંદીકવિ અને કળામર્મજ્ઞ અશોક વાજપેયી.

લગભગ સાડા પાંચસો પાનાંના આ પુસ્તકમાં છેલ્લાં ત્રણ હજાર વર્ષોનાં સમયગાળાનાં મહત્ત્વનાં – અસહમતી, તર્ક અને દલીલના ભારતીય વિચારોનું સંપાદન કરવામાં આવ્યું છે. આ સંપાદનમાં ઋગ્વેદનાં નાસદીય સુક્તથી શરૂ કરીને, બૌદ્ધ અને જૈનપરંપરાનાં ચિંતન તેમ જ ભર્તૃહરિ, બિલ્હાન, બસવાના, પ્રાચીન તમિળકવિઓ, તુલસીદાસ, લાલદેવ, ભક્તિપંરપરાના કવિઓ, ગુરુનાનક, અમીર ખુશરો, બુલ્લે શાહ અને અન્ય સૂફી સંતો, દારા શિકોહ, પ્રાચીન તેલુગુ-કવિઓ, મીર તાકી મીરથી ગાલિબ સુધીનાંની રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પુસ્તકની ભૂમિકા બાંધતા અશોક વાજપેયી નોંધે છે કે, હિંદુધર્મના શરૂઆતનાં ગ્રંથોમાં પૂરતાં પ્રમાણો છે કે ભારતીય સભ્યતા તર્કના પાયા પર ઊભી થયેલી સંસ્કૃિત છે. વિવિધતા જ આપણી સંસ્કૃિતની ખરી ઓળખ છે. બુદ્ધ, મહાવીર અને નાનકે કર્મકાંડો અને રૂઢિવાદી હિંદુધર્મથી અલગ આધ્યાત્મિક, તત્ત્વમીમાંસા અને મુક્તિની શોધના પોતીકા માર્ગો અપનાવ્યા હતા.

શાસ્ત્રાર્થની ઊજળી ભારતીય પરંપરા કે જેમાં શૈવ અને વૈષ્ણવો, શંકરાચાર્ય, હિંદુઓ અને બૌદ્ધો, બૌદ્ધો અને જૈનો તર્ક અને દર્શનનાં પોતાના મતમતાંતરો જાહેરમાં ચર્ચતા હતા. વાજપેયી નોંધે છે કે મહાકાવ્ય રામાયણનાં વિધવિધ રૂપાંતરો થયાં છે. સંથાલીમાં આદિજાતિનું રામાયણ તો કન્નડ રામાયણ અને વળી હિંદીનું રામચરિતમાનસ આનાં પ્રમાણ છે. મહાયાન અને હિનયાન તેમ જ શ્વેતાંબર અને દિગંબરમાં વિભાજિત થયેલા બૌદ્ધ અને જૈનધર્મો ભિન્ન મતમતાંતરોને અપનાવવાની મૂળ ભારતીય સભ્યતાનાં દર્શન કરાવે છે.

અશોક વાજપેયી પ્રસ્તાવનામાં નોંધે છે કે, ભક્તિયુગના કવિઓનું એક મોટું યોગદાન એ રહ્યું કે તેમણે ધર્મને એક ચોક્કસ વર્ગના આધિપત્યમાંથી છોડાવીને સામાન્ય માણસ સુધી પહોંચાડ્યો. ભક્તિયુગના મહત્ત્વના કવિઓ શોષિતવર્ગોમાંથી આવતા હતા, જેમ કે કબીર, ચેન્હૈયા, રવિદાસ, નામદેવ વગેરે એમની રચનાઓએ બ્રાહ્મણવાદના એકાધિકાર સામે અસહમતીનો અવાજ બુલંદ કર્યો હતો. આ કવિઓ આજના સમયમાં પણ લોકહૈયે અને લોકકંઠે વસેલા છે. પૂર્વપીઠિકામાં જ આગળ વાજપેયી લખે છે કે, વીસમી સદીની શરૂઆતમાં મહાત્મા ગાંધીએ અસહમતી અને પ્રતિરોધને – સવિનય કાનૂનભંગ, સત્યાગ્રહ અને અસહકાર નામની તદ્દન નવી જ સંજ્ઞાઓ દ્વારા જનજન સુધી પહોંચાડ્યો. જ્યારે સમગ્ર વિશ્વ સશસ્ત્ર-ચળવળો અને યુદ્ધોમાં લિપ્ત હતું, ત્યારે મહાત્માએ સત્ય અને અહિંસારૂપ અસહમતિની એક નવી કેડી કંડારી હતી. પોતાના કટ્ટર આલોચક આંબેડકરને ગાંધીએ, નેહરુની કૅબિનેટમાં મહત્ત્વનું સ્થાન અપાવવાની સાથે ભારતીય સંવિધાન-નિર્માણનું અતિ મહત્ત્વનું કામ પણ સોંપ્યું. અસહમતીને અવકાશ અને સન્માન આપવાની ઊજળી ભારતીય પરંપરાનું આ ઉદાહરણ છે.

રામમોહન રૉય, ફૂલે દંપતી, બાળગંગાધર ટિલક, મહાત્મા ગાંધી, ટાગોર, કાન્ત નસરુલ ઇસ્લામ, પેરિયાર, ભગતસિંહ, આંબેડકર, બોઝ, ઇસ્મત ચુગતાઈ, મન્ટો અને ક્રિષ્ણ ચંદરનાં વિચારો અને કૃતિઓનું સૂઝપૂર્વકનું સંપાદન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે.

પુસ્તકના બીજા ભાગ – ડિસેન્ટ ઍન્ડ ડેમોક્રસી-માં સંવિધાન નિર્માણની દલીલોથી માંડી કૃપાલાની, બાપુરાવ જગતાપ, રઘુવીર સહાય, સંત રામઉદાસી, પાશ, બલરાજ સહાની, જયપ્રકાશ નારાયણ, નિર્મલ વર્મા, નામદેવ ઢસાળથી લઈને ઉમાશંકર જોશી, અમર્ત્ય સેન, ઇરોમ શર્મિલા જેવા નેતાઓ, કલાકારો અને કવિઓનાં ભાષણો, વિચારો, પત્રો અને કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વર્તમાન સમયના કવિઓ જેમણે સામાન્ય જનની જઠરાગ્નિ અને સાંપ્રત સમયસ્યાઓને પોતાની રચનાઓમાં આલેખી છે, એવા ગદ્દર, નવનીતા દેવ સેન, રૉબિન નાનગોપી અને કાનજી પટેલનાં કાવ્યો પણ આ પુસ્તકમાં સ્થાન પામ્યાં છે. ગુજરાતી ગાંધીવાદી ચિંતક પ્રકાશ ન. શાહના ૨૦૦૨ના વર્ષ પછી તુરંતમાં લખાયેલા લેખથી માંડીને રોહિત વેમુલાના અંતિમ પત્ર અને રવીશકુમારના આ વર્ષે કુલદીપ નાયર પત્રકાર- સન્માન-સ્વીકાર વખતે અપાયેલાં ભાષણ સુધીનાં અસહમતી અને પ્રતિરોધના અવાજોને આ પુસ્તકમાં અક્ષરદેહ આપવામાં આવ્યો છે.

આઝાદીના સૂર્યોદયકાળે ગાંધીવધથી લઈને ઇંદિરાના આપાતકાળના દુઃસ્વપ્નથી પસાર થઈને બૌદ્ધિકોની હત્યા સુધીના સાંપ્રતસમયને રેખાંકિત કરતા અશોક વાજપેયી નોંધે છે કે કવિઓ, લેખકો, કલાકારો અને દાર્શનિકોએ ભારતીય અસહમતી અને તર્કની મશાલ કપરાકાળમાં પણ પ્રજ્વલિત રાખી છે. સ્વતંત્રતા અને સમાનતાના આપણા સાંસ્કૃિતક અને બંધારણીય વારસાને રચનાત્મક અને બૌદ્ધિક પ્રતિરોધ થકી જીવંત રાખવાનો આશાવાદ પણ વાજપેયીના સૂરમાં છે.

અંતમાં રવીશકુમારના જ શબ્દોમાં સમાપન કરીશ કે બને ત્યાં સુધી સંભાવનાઓને બચાવીને રાખવી. આપણા સમયને આશા કે નિરાશાનાં ચશ્માંથી જોવાને બદલે એ જોવું રહ્યું કે, આપણે એ પથ પર ઊભા છીએ કે જ્યાં રેલવેનું એન્જિન એકદમ ધસમસતું આવી રહ્યું છે. આશા કે નિરાશા આપણને બચાવી નહીં શકે. આશા એ છે કે રેલગાડી મને નહીં કચડે અને નિરાશા એ છે કે એ તો કચડી જ નાખશે. સમય બહુ ઓછો છે અને રેલગાડીની ઝડપ બહુ જ વધારે છે.      વડોદરા

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2017; પૃ. 14

Loading

1 December 2017 admin
← ‘હું છું વિકાસ …’
સોહરાબુદ્દીન કેસનાં સ્ફોટક નવાં તથ્યો : પીંજરામાં પોપટ! →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved