Opinion Magazine
Number of visits: 9448743
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અંધશ્રદ્ધા સમજણશક્તિનો નાશ કરે

નગીનદાસ સંઘવી|Opinion - Opinion|7 September 2017

પંજાબમાં બની બેઠેલા ભગવાન ગુરુ ગુરમીત સિંઘ રામરહીમનાં પરાક્રમો 2001માં જાહેર થયાં અને સોળ વરસે સજા થઇ.

સચ્ચા ડેરા સૌદાના ધર્મગુરુ રામરહીમને યૌન શોષણના ગુનામાં પંચકુલાની સી.બી.આઈ.ની ખાસ કોર્ટે તેને દોષી જાહેર કરીને સજા સંભળાવી છે.

ભક્તો પાસે બડાઇ મારનાર બાબો સજા સાંભળીને ઢળી પડ્યો, રડ્યો અને હાથ જોડીને ન્યાયાધીશ પાસે માફી માગી. તે બધું જોયાજાણ્યા પછી તેમના ભક્તોની આંખ ઊઘડી હોવાનો સંભવ નથી. અંધાપો માત્ર નજરશક્તિ કે જોવાની શક્તિ ખલાસ કરે છે પણ અંધશ્રદ્ધા તો માણસની સમજશક્તિનો નાશ કરતી હોવાથી કશું જોવા જાણવા કે તેનું અર્થઘટન કરવાની તેની શક્તિ ખલાસ થઇ જાય છે.

આપણા દેશમાં પ્રાચીન સમયમાં ગુરુ ઉપર આંધળો વિશ્વાસ મૂકવાની પ્રથા હતી એ હકીકત છે, પણ એ સમયે ગુરુઓ પણ ભક્તોએ પોતાના ઉપર મૂકેલા વિશ્વાસને યથાર્થ ઠેરવતા. આજની વાત કરીએ તો આ તદ્દન આંધળી ગુરુભક્તિ બહુ મોટી સમસ્યાનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. આપણા દેશમાં આવા અનેક સંપ્રદાયો અને ગુરુઓ છે, જેમના લાખો એવા અનુયાયીઓ પણ છે. આ પ્રકારના અનુયાયીઓમાં જ આવી આંધળી ગુરુભક્તિ જોવા મળતી હોય છે.

અંધશ્રદ્ધાળુ માણસ જીવતું મડદું છે અને તેનામાં માત્ર વિકૃતિ સિવાય બીજા કોઇ ફેરફાર થવાની શક્યતા નથી. ગુનેગાર હોવાની જાહેરાત થયા અગાઉ બાબાનો જન્મદિવસ ઊજવાયો અને બાબાએ 50 કિલો વજનની છ ફૂટ ઊંચી કેક તલવારથી કાપી. તે સમારંભમાં હાજર રહેલા હરિયાણાના ભાજપી પ્રધાને તેમને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ પણ કરેલા. આવા બીજા કેટલા પ્રધાનો હશે તે આપણને જાણવા મળે તો મુખ્યમંત્રી ખટ્ટરે બાબાના અનુયાયીઓને આપેલી છૂટછાટો વધારે સારી રીતે સમજી શકાય.

આપણી મોટી કમનસીબી એ છે કે આવા બાબાઓ ઠેરઠેર જોવા મળે છે. તેમનો પ્રભાવ, તેમના અનુયાયીઓની સંખ્યા, તેમના વૈભવ વિલાસની માત્રા ઓછી વધતી હોય છે પણ તદ્દન બુડથલ જેવા લોકો ભગવાન શી રીતે બની જાય છે તે સમજવાનું કામ સહેલું નથી. આવો ભારતીય સમાજ એકવીસમી નહીં પણ બાવીસમી સદીમાં પણ આવો જ રહેશે કે શું તેવી ચિંતા દરેક સમજદાર નાગરિકને થવી જોઇએ. પરદેશની વિદ્યાપીઠમાં અણુશાસ્ત્રનો અભ્યાસ કરવા જતો વિદ્યાર્થી શુકન જોઇને, ચાંદલો કરીને અથવા શ્રીફળ લઇને એરપોર્ટ સુધી જાય તેવાં દૃશ્યો જોવાનું સહેલું છે. ભારતની પ્રજા ધાર્મિક છે તેવું કહેવાય છે પણ આ તો નર્યો અધર્મ છે. તેથી પરદેશીઓ આપણા સમાજ માટે કડવાં વિશેષણ વાપરે તો તેમને દોષ આપી શકાય નહીં. આવા ગુરુઓ-બાબાઓ, સંતો, મહંતો, આચાર્યો-ભગવંતોની પાપલીલા પ્રકાશમાં આવે ત્યાં સુધી રાહ જોવાના બદલે આવા બાબાઓની યાદી બનાવવાનું અને તેમના પર ચાંપતી દેખરેખ રાખવાનું કામ બજાવવા માટે ખાસ પોલીસ ટુકડી દરેક રાજ્યમાં ઊભી કરવી જરૂરી છે. મુશ્કેલી એ છે કે પોલીસો પણ ગુરુલીલાથી મુક્ત હોતા નથી. ગુરમીત સિંઘ રામરહીમને ભગાડવાનો પ્રયાસ કરનાર પાંચ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સામે હરિયાણામાં કારવાઇ શરૂ થઇ છે.

જૂનો જમાનો હોત તો એકવીસ વખત પૃથ્વીને નક્ષત્રી બનાવનાર પરશુરામને નવો અવતાર લઇને બાબાઓના ઉચ્છેદનું કામ સોંપી શકાય પણ તે જમાનો હવે રહ્યો નથી તેથી તેમનો બૌદ્ધિક ઉચ્છેદ કરવો પડશે.

આ ચુકાદા અંગે સર્વોચ્ચ અદાલતે કરેલી ટીકા ગુજરાતીઓએ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખી છે. આ બાબાની નાનકડી આવૃત્તિ જેવા આસારામ બાપુ સામેનો ખટલો શરૂ થવાના કોઇ ચિહ્્ન દેખાતાં નથી તે બાબતે સર્વોચ્ચ અદાલતે ચિંતા દર્શાવી છે. ગુજરાતના મુખ્યમંત્રીએ બધો દોષ અદાલત પર ઠાલવી દીધો છે. આ ખટલો ક્યારે ચલાવવો તે અદાલત નક્કી કરશે તેવી તેમની રજૂઆત અડધી સાચી, અડધી ખોટી છે. ખટલો અદાલતે ચલવવાનો છે અને તેની તારીખો અને કાર્યપદ્ધતિ અદાલત ઠરાવશે. પણ પોલીસ તપાસ પૂરી થાય, આરોપો ઘડાય, અદાલતમાં આરોપનામું રજૂ થાય પછી કેસ ચાલી શકે. પોલીસ તપાસ હજુ પૂરી થઇ નથી. થોડા સાક્ષીઓ મરી ગયા છે કે મારી નાખવામાં આવ્યા છે છતાં પોલીસ ખાતાના પેટનું પાણી હલતું નથી. વધારે ચોંકાવનારી વાત તો એ છે કે પોલીસે હજુ ફરિયાદ નોંધાવનાર બહેનની કેફિયત પણ લીધી નથી તેવું સર્વોચ્ચ અદાલતે કહ્યું છે. મુખ્ય ફરિયાદીની રજૂઆત પોલીસ નોંધે તેના આધારે તપાસ આગળ ચાલે પણ ગુજરાતનું વહીવટી તંત્ર અથવા પોલીસ ખાતું તો પહેલું પગલું ભરવા પણ તૈયાર નથી. પોલીસ તપાસ પૂરી થયા પછી જ અદાલત આગળ ચાલી શકે. દોષ અદાલતનો, પોલીસ તંત્રનો અને અન્વયે પ્રધાન મંડળનો છે કારણ કે પોલીસની કામગીરી ખાતાનો હવાલો સંભાળતા મંત્રીશ્રીના આદેશ પ્રમાણે ઓછી-વધતી ઝડપે ચાલે છે. રૂપાણીએ લોકોની આંખમાં ધૂળ નાખીને પોતાની જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો છે અને તે સફળ થવાનો છે. આસારામ બાપુના ચુસ્ત ભક્તો અને કટ્ટર દુશ્મનો સિવાય મોટાભાગના લોકો તો આ બાબત ભૂલી પણ ગયા છે. કેસ જોડે સંકળાયેલી ઘટના બને ત્યારે લોકો થોડો વખત રસ દાખવે છે.

ગુરમીત સિંઘ કે આસારામ બાપુ તો છીંડીએ ચડેલા ચોર છે. તેમને સજા થવી જોઇએ. બાકીના બાબાઓ અંગે પોલીસ, અદાલત કે સરકાર કશું કરી શકે તેમ નથી પણ સામાજિક સુરક્ષા અને મૂલ્યોનું જતન કરનાર લોકોએ તો આ ગુરુવાદને જ જડમૂળથી નાબૂદ કરવાના રસ્તા શોધવા જરૂરી છે. આવી સુધારણા લોકોએ જાતે જ કરવી જોઇએ અને સમાજે જાતે જ સુધરવું જોઇએ તેવું કહેવાનો કશો અર્થ નથી. બાબાઓનું ચલણ તેમની શક્તિ કે આવડત પર ચાલતું નથી, લોકોની શ્રદ્ધા અને માન્યતાના આધારે ચાલે છે.

લોકોને છેતરાવું છે તેથી આવા ધુતારા લોકોનો ધંધો પુરજોશમાં ચાલતો રહે છે. લોકો પોતાની જાતે કશું કરી શકવાના નથી. જાળમાં ફસાયેલાં પંખીઓ કે પીંજરે પુરાયેલો વાઘ પોતાની જાતે મુક્ત થઇ શકવાનો નથી. તેથી આ સમસ્યા એક વિષચક્ર બની ગઇ છે.

e.mail : nagingujarat@gmail.com

સૌજન્ય : ‘પરિક્રમા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 04 સપ્ટેમ્બર 2017

Loading

7 September 2017 admin
← પ્રાઇવસી: સ્નોડેનથી ટોઈલેટ સુધી …
લોકસંઘર્ષમાં સ્ત્રીઓની ભાગીદારી →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved