બદલાઈ રહેલા વર્લ્ડ ઓર્ડરમાં અગત્યના સ્વિંગ સ્ટેટ તરીકે ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતાની કસોટી ચાલી રહી છે

ચિરંતના ભટ્ટ
છેલ્લા કેટલા ય દિવસોથી આપણે સતત યુદ્ધના સમાચારોના મારા વચ્ચે દિવસો પસાર કરીએ છીએ. દરેકનો પોતાનો અભિપ્રાય છે, જેમાં હંમેશાં તર્ક હોય કે ઇતિહાસની સમજ હોય એવું જરૂરી નથી. શ્વાસ અધ્ધર કરી દેતા સમાચારો અને હૃદયદ્રાવક તસવીરોને કારણે ઘણીવાર મગજ બહેર મારી જાય એવું બને. અમેરિકી વડાના વિધાનો, મૃતકોનો આંકડો અને ત્યાં ફસાયેલા લોકો વિશે સતત ચર્ચાઓ થતી રહેશે અને શું યોગ્ય હતું તેની વાતો પણ થશે.
ચર્ચાના કેન્દ્રમાં રાજકારણ હશે પણ ખરેખર મધ્ય પૂર્વમાં અમેરિકાના હસ્તક્ષેપને સમજવા માટે અર્થશાસ્ત્ર સમજવું જરૂરી છે, જે આ ઘોંઘાટમાં કદાચ ચૂકી જવાય. 1974 પછી મધ્ય પૂર્વમાં અમેરિકાનું સૈન્ય એક જ તર્કને કામે લગાડે છે; તેમાં લોકશાહી, માનવાધિકાર કે આતંકવાદ વિરોધી અભિયાનનો મુદ્દો મુખ્ય નથી, તેમાં માત્ર ‘પેટ્રોડોલર’નો બચાવ જ એક માત્ર હેતુ છે. આ એક એવું અદૃશ્ય માળખું છે જે વોશિંગ્ટન ગમે તેટલું દેવું એકઠું કરે તો પણ અમેરિકી અર્થતંત્રને કાર્યરત રાખે.
1971માં અમેરિકન પ્રેસિડન્ટ નિક્સને જ્યારે ડોલરને સોનાથી અલગ કર્યો, ત્યારે અમેરિકાને તેની કરન્સી માટે એક નવા આધારની જરૂર હતી. 1974માં સાઉદી અરેબિયા સાથેના એક સોદામાં આનો જવાબ મળ્યો: રિયાધ તેના ઓઈલની કિંમત માત્ર ડોલરમાં રાખશે અને તેના નફાને અમેરિકી ટ્રેઝરી બોન્ડ્સમાં રિસાયકલ કરશે. ઓપેક(OPEC)એ પણ આ જ રસ્તો અપનાવ્યો. રાતોરાત, દરેક દેશ જેને ઓઈલની જરૂર હતી, એટલે કે પૃથ્વી પરના દરેક દેશને, ઓઈલ લેતાં પહેલાં ડોલરની જરૂર પડી. અમેરિકી ચલણ માટેની વૈશ્વિક માંગ હવે સોના દ્વારા નહીં પણ ‘કાળા સોના’ (ઓઈલ) દ્વારા નક્કી કરાઈ.
આનો ગર્ભિત અર્થ મોટો છે, કોઈપણ દેશ જે ડૉલર સિવાયનાં નાણાંનો ઉપયોગ કરીને ઓઈલનો વેપાર કરવા માગે એ અમેરિકી સત્તાના નાણાંકીય માળખાં માટે જોખમ ખડું કરે. આવા દેશો દેખીતી રીતે જ અમેરિકા સાથેના સંઘર્ષમાં આવી પડે છે. 2000માં સદ્દામ હુસૈને જાહેરાત કરી કે ઇરાક તેના તેલની કિંમત યુરોમાં નક્કી કરશે; તેમને 2006માં ફાંસી આપવામાં આવી. ગદ્દાફીએ સોના પર આધારિત પાન-આફ્રિકન દીનારનો પ્રસ્તાવ મૂક્યો; 2011માં નાટોએ હસ્તક્ષેપ કર્યો અને તે જ વર્ષે તેમની હત્યા થઈ. ઈરાને સતત તેલના બદલામાં યુઆન અને રૂપિયાનો વિનિમય કર્યો છે અને ચાર દાયકાથી ગૂંગળાવી દેતા આર્થિક યુદ્ધનો સામનો કર્યો છે.
આ કોઈ કોન્સ્પિરેસી થિયરી નથી, પણ જાહેર આર્થિક ઇતિહાસ છે. અમેરિકા મધ્ય પૂર્વમાં માત્ર અરાજકતાને કારણે હસ્તક્ષેપ કરે છે એવું નથી; તે હસ્તક્ષેપ કરે છે કારણ કે આ પ્રદેશ જો કોઈ વૈકલ્પિક ચલણ મામલે એક ન થઈ શકે, તો અમેરિકાના આર્થિક હિતો સચવાઈ જાય. આ પ્રદેશમાં અસ્થિરતા એ નીતિની નિષ્ફળતા નથી, પણ એ નીતિનો જ એક ભાગ છે. નિક્સન પછીના દરેક પ્રમુખે આ જ વારસો સંભાળ્યો છે—બુશે તેને સ્વતંત્રતાનું નામ આપ્યું, ઓબામાએ જવાબદારીનું, જ્યારે ટ્રમ્પે ‘અમેરિકા ફર્સ્ટ’ કહીને શાંતિરક્ષક હોવાનો ડોળ કરવાનું બંધ કરી દીધું છે. આ અમેરિકાની વિદેશ નીતિથી અલગ નથી, પણ અમેરિકાની જે નીતિની આ સૌથી સચોટ અભિવ્યક્તિ છે.
અમેરિકાની વૃત્તિનો ઇતિહાસ શું શીખવે છે?
ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતાને ટાર્ગેટ કરીને અમેરિકાએ એક બહુ જોખમી મર્યાદા ઓળંગી છે. અમેરિકાની અગાઉની સરકારોએ આવું કોઈપણ પગલું ક્યારે ય નહોતું લીધું. 2020માં સોલેઈમાનીની હત્યા થઈ ત્યારે આ પરંપરા તૂટી, પણ તેઓ સૈન્ય કમાન્ડર હતા. ઈરાનના સર્વોચ્ચ નેતા રાજકીય, લશ્કરી અને ધાર્મિક સત્તાનું પ્રતીક છે. તેમનો ખાત્મો સમગ્ર ક્રાંતિકારી વ્યવસ્થાની વૈધતા, તેના કાયદાકીય હોવા પર સવાલ ખડો કરી શકે છે. આમ થવાથી ઈરાનના પ્રોક્સી જૂથો (હિઝબુલ્લા, હુથીઓ, અને ઈરાકમાં શિયા મિલિશિયા) પરનું કેન્દ્રીય નિયંત્રણ તોડી શકે છે. આમ થવાથી આ આતંકી જૂથોને પોતાના બદઈરાદાઓને અલમાં મુકતા અટકાવવા મુશ્કેલ બની જશે.
ઇતિહાસ શીખવે છે કે જ્યારે બે સત્તાઓ (જેમ કે 6ઠ્ઠી સદીમાં બાયઝેન્ટાઇન અને સસાનિયન) વર્ચસ્વના જંગમાં એકબીજાને થકવી નાખે છે, ત્યારે એક એવો શૂન્યાવકાશ પેદા થાય છે જેમાં નવા ખેલાડીઓ ઉતરી આવે છે. અમેરિકા અને ઈરાન 45 વર્ષથી આ જ સમીકરણમાં છે. સવાલ એ નથી કે સતત વધી રહેલો તણાવ ઈરાનનું પતન નોતરશે કે કેમ પણ સવાલ એ છે કે ઈરાન પછી જે ખાલીપો ખડો થશે એ કોણ ભરશે? કદાચ એવું મધ્ય પૂર્વ જ્યાં તુર્કી અને ગલ્ફ દેશો અને બીજા ડઝનબંધ બિન રાજ્ય સંગઠનો વચ્ચે વિખેરાયેલી સ્પર્ધા ચાલ્યા કરશે, કોઈ કેન્દ્ર નહીં હોય, યુદ્ધ વિરામ પર હસ્તાક્ષર નહીં થાય અને વાટાઘાટો કરી શકાય એવી શાંતિ પણ નહીં હોય.
ભારત માટે વ્યૂહાત્મક કસોટી
આમ તો અત્યારે વૈશ્વિક કટોકટીની જે સ્થિતિ છે તેમાં ભારત હાંસિયામાં ટાંકેલી કોઈ નાની નોંધ જેવો લાગે. આવું વિશ્લેષણ એક મોટી ભૂલ છે. બદલાયેલા વર્લ્ડ ઓર્ડરમાં ભારત સૌથી નિર્ણયાક સ્વિંગ સ્ટેટ છે. 2020માં જ્યારે સોલેઈમાનીની હત્યા થઈ હતી, ત્યારે ભારતે સત્તાવાર રીતે ‘ચિંતા’ વ્યક્ત કરી હતી. પરંતુ આ વખતે ઈરાનના સર્વોચ્ચ નેતા ખમેનીની હત્યા અને ત્યાંના હોસ્પિટલ-શાળાઓ પરના હુમલાઓ છતાં ભારતનું સત્તાવાર મૌન તેની બદલાતી વ્યૂહનીતિ અને ઈઝરાયેલ સાથે મજબૂત થતા સંબંધો દર્શાવે છે. ભારત અત્યારે ઈઝરાયેલ સાથેના વ્યૂહાત્મક સુરક્ષા સંબંધો અને ગલ્ફ દેશોમાં વસતા 1 કરોડ ભારતીયોની સુરક્ષા વચ્ચે અત્યંત કઠિન સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.”
ભારતે અમેરિકાના પેટ્રોડોલરના દબાણને નજરમાં રાખીને ઊર્જા હિતોને લગતા નિર્ણયો લેવા પડે છે. આપણે અમેરિકા સાથે ‘ક્વાડ’માં હોવા છતાં રશિયન તેલ ખરીદીએ છીએ અને વોશિંગ્ટનના દબાણ છતાં ઈરાનમાં ચાબહાર બંદર બનાવીએ છીએ. આ વિરોધાભાસ આપણી નબળાઈ નથી, પણ તાકાત છે, જે આપણને વ્યૂહાત્મક સ્વાયત્તતા આપે છે. આપણી પાસે 200 મિલિયન મુસ્લિમ નાગરિકો અને હિન્દુ રાષ્ટ્રવાદી સરકાર પણ છે. આપણે ચીન અને રશિયાની સાથે એસ.સી.ઓ.(SCO)માં અને બ્રિક્સ(BRICS)માં ડોલર વેપારના વિકલ્પો શોધી રહ્યા છીએ તો સાથે અમેરિકા માટે સૌથી મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદારોમાંના એક છીએ. કોઈ બીજા દેશ પાસે આ સંજોગો નથી.
તોતિંગ ખર્ચા અવગણવા શક્ય નથી. ઈરાની ઓઈલ ભારતીય રિફાઈનરીઓ માટે અગત્યનું રહ્યું છે. મધ્ય એશિયા સુધીનો માર્ગ છે એવો ચાબહાર પાકિસ્તાનને બાયપાસ કરે છે તે હોર્મુઝમાં અસ્થિરતાને કારણે અત્યારે જોખમમાં છે. આપણી વ્યૂહાત્મક સ્વાયત્તતા અત્યારે સીધી કસોટી પર છે. ઈરાન સાથેનો આપણો વેપાર જે 2018માં $17 બિલિયન હતો, તે ઘટીને 2025માં માત્ર $1.68 બિલિયન રહી ગયો છે. ચાબહાર બંદર, જે ભારતનો મહત્ત્વનો પ્રોજેક્ટ છે, તેના કોનાર્ક એરપોર્ટને તાજેતરમાં ઈઝરાયેલી મિસાઈલોએ નિશાન બનાવ્યું છે. વધુમાં, એપ્રિલ 2026માં ચાબહાર માટેની અમેરિકી પ્રતિબંધ મુક્તિ (waiver) ખતમ થવા જઈ રહી છે, જે ભારત માટે એક મોટો વ્યૂહાત્મક પડકાર છે. ઓઈલના ભાવમાં દર 10 ડોલરનો વધારો ભારતના ગરીબો પર ટેક્સનો સીધો ફટકો છે. અમેરિકી પગલાં સામે મુસ્લિમ વિશ્વનો આક્રોશ ભારતની આંતરિક રાજનીતિમાં એવી અસર કરે છે જેને કોઈપણ સરકાર પૂરી રીતે નિયંત્રિત કરી શકે તેમ નથી. પરંતુ નહેરુના સમયથી ચાલી આવતી વ્યૂહાત્મક સ્વાયત્તતા (Strategic Autonomy) આવા સમય માટે જ રચાઈ હતી.
ઉપાય અઘરો નથી પણ અમલીકરણ માટે હિંમત જોઈએ : ક્વાડનો ઉપયોગ જેમાં લેખે લાગી શકે તેમ છે તેને માટે કરો, જેમ કે ટેકનોલોજી સપ્લાય ચેઈન્સ, સેમિકન્ડક્ટર એક્સેસ, દરિયાઈ સુરક્ષા. વળી આપણી ઉર્જા આયાતને ડોલર-આધારિત દબાણથી બચાવવા માટે બ્રિક્સ અને દ્વિપક્ષીય રૂપિયાની વ્યવસ્થાનો ઉપયોગ કરવો જોઇએ. વોશિંગ્ટનના મૂડને ધ્યાનમાં લીધા વગર ચાબહારની કામગીરી ચાલુ રાખવી જોઇએ. ગલ્ફ સ્ટેટ્સ સાથે સંવાદ વધારવો કારણ કે પ્રાદેશિક સ્થિરતાને મામલે ભારત સાથે તેમના હિતો મેળ ખાય છે, ભલે તેઓ અમેરિકાના સાચા-ખોટા સાહસોને સહન કરવાને મામલે આપણા જેટલી સહનશક્તિ ન ધરાવતા હોય.
સૌથી જરૂરી બાબત એ છે કે અત્યારે જ સંધર્ષ ચાલે છે તેને સંસ્કૃતિઓના સંઘર્ષ તરીકે સ્વીકારવાના દબાણનો પ્રતિકાર કરવો જોઇએ. અમેરિકાનું નેરેટિવ તેને યહૂદી-ખ્રિસ્તી પશ્ચિમ અને ઇસ્લામી પૂર્વ વચ્ચેની લડાઈ તરીકે રજૂ કરે છે. ઈરાની નેરેટિવ તેને સામ્રાજ્યવાદ સામે મુસ્લિમ એકતાની લડાઈનું નામ આપે છે. આ બન્ને નેરેટિવ તેને જ ફાયદો કરાવશે જે તેને સ્વીકારશે.
આપણો વારસો સાંસ્કૃતિક બહુમતી છે માટે જ જે અબ્રાહમિક દલીલો આપણી છે જ નહીં એમાં આપણે પક્ષ લેવાની જરૂર નથી. આપણે સ્પષ્ટ અને સક્રિય રહેવાનું છે. આપણે એ રાષ્ટ્ર બનવાનું છે જે સંવાદ બધા સાથે સાથે છે, પોતાનું હિત જુએ છે.
સમયનું ચક્ર અને સાક્ષી
મેસોપોટેમિયામાં લડનારા દરેક સામ્રાજ્યને પોતાનું નેરેટિવ સાચું જ લાગતું હતું. બંને પક્ષો બીજાની આક્રમકતા વિશે સાચા હતા અને પોતાની નિર્દોષતા વિશે ખોટા બંને થાક્યા ત્યારે ભવિષ્ય એવાના હાથમાં ગયું જેમની તેમને કલ્પના નહોતી.
ભારત માટે હવે પડકાર વધુ વિકટ છે. આ વર્ષે ભારત BRICS સમિટનું આયોજન કરી રહ્યું છે, જેમાં ઈરાન અને UAE બંને સભ્યો છે. આ સમિટ ભારતની મુત્સદ્દીગીરી માટે સૌથી મોટી કસોટી સાબિત થશે, કારણ કે બંને દેશો અત્યારે એકબીજાના વિરોધી છે.
બાય ધી વેઃ
આ ઇતિહાસમાં અમેરિકા અપવાદ નથી. ટ્રમ્પની અમેરિકી સત્તા સાવ ઉઘાડી છે, સ્પષ્ટ છે, આ સરકાર મીઠાશથી કે લાગણીને નામે કંઇ બોલતી નથી. આ પહેલાં જે હતું તેમાં અમેરિકન પગલાંઓમાં પરોપકાર વર્તાતો, સ્વાર્થ નહીં. જો કે આપણે આવી સ્પષ્ટતાને શાણપણ ન માની લેવી જોઇએ. બેફામ બોલવું એ સમજદારી કે જ્ઞાન નથી. અમેરિકા ફર્સ્ટને નામે જે કરાઈ રહ્યું છે તે ખતરનાક છે. ભારત માટે સવાલ એ નથી કે કોનો પક્ષ લેવો, આપણે એ વિચારવું જોઈએ કે આપણે 2050માં કેવી વૈશ્વિક વ્યવસ્થાનો હિસ્સો બનવા માંગીએ છીએ, આપણે જે વૈશ્વિક શક્તિ બનવાનો દાવો કરીએ છીએ, એ શક્તિની જેમ ઠહેરાવથી વર્તવા તૈયાર છીએ ખરા? આપણે વ્યૂહાત્મક સ્પષ્ટતા સાથે આપણા આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને એટલા આત્મવિશ્વાસ સાથે વહેવાર કરી શકીશું જેથી કોઈપણ મહાસત્તાનો એજન્ડા આપોઆપ આપણો એજન્ડા ન બની જાય? સમયનું ચક્ર ફરે છે. તેને કોણ ચલાવે છે એ એકમાત્ર સવાલ જ અગત્યનો છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 માર્ચ 2026
![]()

