ગુજરાતમાં નવયુગની નાંદી સમા એલેક્ઝાન્ડર કિન્લોક ફોર્બ્સનો આજે [07 જુલાઈ] જન્મ દિવસ. એમને વિષે ઘણું લખાયું છે, સાચું, અડધું સાચું, તેનાથી ય ઓછું સાચું હોય એવું પણ. અહીં તેમના જીવનનો અને કાર્યનો વિગતવાર પરિચય આપવા ધાર્યું છે. લખાણ ઘણું લાંબુ છે એટલે ક્રમશ; રજૂ કરવું પડશે. જેમનામાં ધીરજ હોય તે વાંચશે.
૧
કરેલ કીર્તિમેર, દુનિયામાં તે દેખવા
ફાર્બસ રૂપે ફેર, ભોજ પધાર્યો ભૂમિમાં.
અર્વાચીન ગુજરાતની પ્રતિષ્ઠા કરવામાં એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે (7 જુલાઈ 1821 – 31 ઑગસ્ટ 1865) જે મહત્ત્વનો ફાળો આપ્યો, તેને પરંપરાગત ઉપમાનો દ્વારા, કોઈ અજ્ઞાત કવિની આ પંક્તિઓ સચોટ રીતે દર્શાવે છે. ગુજરાત બહાર ફાર્બસ મુખ્યત્ત્વે ‘રાસમાળા’ના કર્તા તરીકે જાણીતા છે. પણ અર્વાચીનતાની જે ગંગા ઓગણીસમી સદીના મધ્યભાગમાં ગુજરાતમાં – અને ખાસ કરીને અમદાવાદમાં – અવતરી તેના ભગીરથ હતા ફાર્બસ. નવા વિચારો, નવી સંસ્થાઓ, નવાં સાધનો, નવી સગવડો, વગેરેનો તેમણે પુરસ્કાર કર્યો, તો સાથોસાથ ગુજરાતનાં ઇતિહાસ, કળા, સંસ્કૃતિ, ભાષા, સાહિત્ય, વગેરેનો અભ્યાસ કરી તેનું ઉચિત ગૌરવ કર્યું અને ‘રાસમાળા’ના બે દળદાર ગ્રંથ દ્વારા ગુજરાતના ભૂતકાળની મહત્તા પહેલીવાર અંગ્રેજીભાષી વિદ્વાનો અને અભ્યાસીઓ આગળ રજૂ કરી.
આજે કદાચ આપણને ખ્યાલ ન આવે, પણ ફાર્બસના જમાનાનું ગુજરાત એ રાજકીય રીતે એક એકમ નહોતું, પણ અનેક નાનાં નાનાં દેશી રાજ્યોમાં વહેંચાયેલું હતું. ગુજરાતનો કેટલોક પ્રદેશ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન હેઠળ હતો. જ્યારે બાકીનો પ્રદેશ ૨૦૦ કરતાં વધુ દેશી રાજ્યો વચ્ચે વહેંચાયેલો હતો. બ્રિટિશ સરકારે આ રાજ્યોને જુદા જુદા વર્ગોમાં વહેંચી નાખ્યાં હતાં. તેમાં જે રાજ્યો પહેલા વર્ગમાં હતાં તે રાજ્યોના રાજવીઓના હાથમાં સારી એવી સત્તા હતી. પણ બાકીનાં બધાં રાજ્યો તો બ્રિટિશ સરકારના રેસિડન્ટ કે પોલિટિકલ એજન્ટના લગભગ તાબેદાર જેવા હતા. આ રાજવીઓ માહોમાહે લડ્યા કરતા, પણ તેમાંના ઘણાખરા અર્વાચીનતાના, અને તેના પ્રતિનિધિ જેવાં બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ, મુદ્રણ, પુસ્તક પ્રકાશન, અખબારો, વગેરેના વિરોધી હતા. ઓગણીસમી સદીની હજી તો શરૂઆત થઇ ત્યારે જ મુંબઈ શહેરનું તો એક નવા, પચરંગી, અર્વાચીન નગરમાં રૂપાંતર થવાનું શરૂ થઇ ગયું હતું. પણ અમદાવાદ, કે આજના ગુજરાતના બીજા કોઈ શહેર વિષે એમ કહી શકાય નહિ. મધ્યકાલીન જીવનનું ઘારણ હજી એમની આંખોમાં હતું. ગોરાઓ ‘માઈબાપ’ હતા, પણ તેમની જીવન શૈલી અપનાવવા જેવી લાગતી નહોતી. પણ હવે જમાનો બદલાયો છે, નવા વિચારો, નવાં સાધનો, નવી સંસ્થાઓનો સમય આવી પહોંચ્યો છે એ વાતનો ખ્યાલ ફાર્બસે ગુજરાતને – અને ખાસ કરીને અમદાવાદને – આપ્યો.
ફાર્બસના બાપ્તિસ્માની નોંધ
ફાર્બસનો જન્મ લંડન શહેરમાં ૧૮૨૧ના જુલાઈ મહિનાની સાતમી તારીખે થયો હતો. જોન ફાર્બસ-મિચેલ અને એન પોવેલને કુલ છ સંતાનો. તેમાં એલેક્ઝાન્ડર સૌથી નાના. તેમના બીજા ભાઈઓનાં નામ આ પ્રમાણે હતાં : ડંકન, મેજર જોન જ્યોર્જ, આર્થર એન્ડ્રુઝ ચાર્લ્સ, ડેવિડ અર્સ્કિન, અને ફ્રેડરિક ફોર્બ્સ. યુવાન વયે એલેક્ઝાન્ડરની આંખોમાં સ્થાપત્ય વિશારદ થવાનું સપનું અંજાયું હતું. પ્રખ્યાત અંગ્રેજ સ્થપતિ બસેવી પાસે તેમણે આઠેક મહિના અભ્યાસ પણ કર્યો. પણ પછી તેમણે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીમાં જોડાવાનું પસંદ કર્યું. તે માટે ઇસ્ટ ઇન્ડિયા કોલેજમાં જોડાવાનું જરૂરી હતું.
એ વખતે આ કોલેજમાં પ્રવેશ માટેની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાતી. ૧૮૪૧ના જાન્યુઆરીની ૭, ૮, અને ૯ તારીખે લેવાયેલી પરીક્ષામાં ફાર્બસ બેઠા અને બીજા સોળ પરીક્ષાર્થીઓ સાથે એ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. પછીથી તેઓ કંપનીની સિવિલ સર્વિસમાં જોડાયા અને હેલબરી અને ઈમ્પિરિયલ સર્વિસ કોલેજમાં અભ્યાસ કર્યો. અહીંના અભ્યાસકાળ દરમ્યાન તેઓ પ્રખ્યાત ઇન્ડોલોજિસ્ટ સર વિલિયમ જોન્સનાં પુસ્તકોના પરિચયમાં આવ્યા. અગાઉ સ્થાપત્યકલાનો ભલે થોડો, પણ અભ્યાસ કર્યો હતો, અને હવે આ પુસ્તકો દ્વારા તેઓ ભારતનાં ઇતિહાસ અને સંસ્કૃતિના પરિચયમાં આવ્યા. હિન્દુસ્તાનમાંના લાંબા વસવાટ દરમ્યાન તેનાં ઇતિહાસ, સંસ્કૃતિ, ભાષા, અને સાહિત્યમાં જે ઊંડો રસ ફાર્બસે લીધો તેનાં મૂળ આ બે ઘટનામાં શોધી શકાય. તાલીમ પૂરી થયા પછી બોમ્બે પ્રેસિડેન્સીની સિવિલ સર્વિસમાં ફાર્બસ ૧૮૪૨ના ડિસેમ્બરની ૩૦મી તારીખે જોડાયા. ત્યારે તેમની ઉંમર હતી ૨૧ વર્ષની. પણ તે પછી લગભગ એક વર્ષે, ૧૮૪૩ના નવેમ્બરની ૧૫મી તારીખે તેમણે પહેલી વાર હિન્દુસ્તાનની ધરતી પર – મુંબઈના બારામાં — પગ મૂક્યો. અહીં આવ્યા પછી મુંબઈમાં જ ૧૮૪૬ના માર્ચની પચ્ચીસમી તારીખે માર્ગારેટ મોઇર ફોર્બ્સ-મિચેલ સાથે ફાર્બસનાં લગ્ન થયાં. લાંબા લગ્ન જીવન દરમ્યાન તેમને છ સંતાનો થયાં : માર્ગારેટ થિયોડોરા લોરેન્સ ફોર્બ્સ-મિચેલ, એમેલાઇન મારિયા એલિઝાબેથ ફોર્બ્સ-મિચેલ, રેવરન્ડ જોન ફ્રેઝર ફોર્બ્સ-મિચેલ, હેન્રી ડેવિડ અર્સકિન ફોર્બ્સ-મિચેલ, એલેક્ઝાન્ડર એબરનેથી ફોર્બ્સ-મિચેલ, રેવરન્ડ એડવર્ડ એસ્મે ફોર્બ્સ-મિચેલ. સરકારી નોકરીમાંથી રજા લઇ ફાર્બસ થોડા વખત માટે સ્વદેશ પાછા ગયેલા તે સમય ગાળાને બાદ કરતા જિંદગીનાં બાકીનાં બધાં વર્ષો તેમણે હિન્દુસ્તાનમાં, બલ્કે બોમ્બે પ્રેસિડેન્સીમાં જ વિતાવ્યાં હતાં. પૂના ખાતે ૪૪ વર્ષની ઉંમરે ૧૮૬૫ના ઓગસ્ટની ૩૧મી તારીખે તેમનું અવસાન થયું. ત્યાર બાદ તેમનાં પત્ની માર્ગારેટ સ્વદેશ પાછાં ગયાં હતાં. ૧૯૦૪ના નવેમ્બરની પહેલી તારીખે ૭૯ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું.
હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂક્યા પછી ફાર્બસે પહેલું કામ કર્યું તે હિન્દુસ્તાની ભાષા શીખવાનું. આ માટે તેમને અહમદનગર મોકલવામાં આવ્યા. ૧૮૪૩ના નવેમ્બરની ૨૦મી તારીખે તેઓ અહમદનગર પહોંચ્યા તે પછી બે મહિનાના ટૂંકા ગાળામાં તેમણે હિન્દુસ્તાની ભાષાની પરીક્ષા આપી હતી અને તેમાં સફળ થયા હતા. ત્યાર બાદ અહમદનગરના થર્ડ આસિસ્ટન્ટ કલેકટર તરીકે તેમની નિમણૂક થઇ હતી. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના લંડનમાં બેઠેલા ડિરેક્ટરોએ ઘડેલા નિયમો પ્રમાણે હિન્દુસ્તાનમાં કામ કરવા આવનાર દરેક બ્રિટિશ અધિકારી માટે હિન્દુસ્તાની ભાષાનું જ્ઞાન ફરજિયાત હતું. પણ ડિરેકટરોને એ હકીકતનો ખ્યાલ નહોતો કે દેશના ઘણા મોટા ભાગોમાં હિન્દુસ્તાનીનું નહિ, પણ બીજી ‘દેશી’ ભાષાઓનું ચલણ છે. ૧૮૧૯માં માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન જ્યારે બેમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર બન્યા, ત્યારે તેમના ધ્યાનમાં આ હકીકત આવી. આથી તેમણે વધારાનો નિયમ બનાવ્યો કે આ વિસ્તારમાં કામ કરનાર દરેક બ્રિટિશ અધિકારીને હિન્દુસ્તાની ઉપરાંત ઓછામાં ઓછી બીજી એક ‘દેશી’ ભાષા (મરાઠી, ગુજરાતી, કાનડી વગેરે) આવડતી હોવી જોઈએ. આવી જાણકારી મેળવનારને જ નોકરીમાં બઢતી મળે એવો નિયમ પણ તેમણે કર્યો. ૧૮૪૪ના ઓક્ટોબરની ૧૦મી તારીખે ફાર્બસે મરાઠી માટેની પરીક્ષામાં પણ સફળતા મેળવી. પરિણામે ૧૮૪૪ના નવેમ્બરની આઠમી તારીખથી તેમને બઢતી મળી, અને તેમની નિમણૂક ખાનદેશના ‘સેકન્ડ આસિસ્ટન્ટ કલેકટર’ તરીકે થઇ. ૧૮૪૬ના એપ્રિલ સુધી તેઓ આ પદે રહ્યા. એ વર્ષના એપ્રિલની છઠ્ઠી તારીખે ફાર્બસની નિમણૂક મુંબઈની સદર અદાલત (બોમ્બે હાઈ કોર્ટની પુરોગામી અદાલત)ના એક્ટિંગ ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે થઇ. પણ બે જ દિવસ પછી, આઠમી એપ્રિલે તેમની નિમણૂક અમદાવાદના આસિસ્ટન્ટ જજ તરીકે થઇ. જો કે એ વર્ષના નવેમ્બર સુધી તેઓ મુંબઈમાં જ રહી સદર અદાલતનું કામ કરતા રહ્યા. એ પછી નવેમ્બર મહિનામાં તેઓ અમદાવાદ ગયા. અને ત્યારથી તેમના ગુજરાત સાથેના પરસ્પર હિતકારી સંબંધની શરૂઆત થઇ.
અમદાવાદ બ્રિટિશ હકૂમત નીચે આવ્યું છેક ૧૮૧૮માં. પરિણામે મુંબઈ કે પૂનાની સરખામણીમાં અર્વાચીનતાનો વાયરો અમદાવાદમાં પ્રમાણમાં મોડો વાયો. ૧૮૧૮માં જ્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ અમદાવાદ હસ્તગત કર્યું ત્યારે તે એક મૃતપ્રાય શહેર હતું. A History of Gujarat : from the Earliest Period to the Present Times નામના પુસ્તકમાં એદલજી ડોસાભાઈ લખે છે : “જ્યારે કંપની સરકારના તાબા હેઠળ અમદાવાદ આવ્યું ત્યારે તે એક ખંડિયર જેવું શહેર હતું. કેટલાં ય મકાનો, મસ્જિદો, વગેરે સાવ બિસ્માર હાલતમાં હતાં અને તેમાં ચોર-લૂંટારા વાસ કરતા હતા. કરવેરા એટલા તો આકરા હતા કે તેને પરિણામે વેપાર-ધંધા લગભગ પડી ભાંગ્યા હતા. કેટલીક વસ્તુઓ પર તો તેની કિંમતના પચ્ચીસ ટકા જેટલો વેરો ઉઘરાવાતો હતો.”૧ જ્યારે ‘અમદાવાદનો ઇતિહાસ’(૧૮૫૧)માં મગનલાલ વખતચંદ નોંધે છે : “ગાયકવાડ સરસૂબાની વખતમાં અમદાવાદમાં ગમે તેવો શાહુકાર હોએ પણ ધાયાધોયાં લૂગડાં તથા મોહોટા પહનાના જાડાં થેપાડાં તેહેનાથી પહેરાતાં નહિ પણ ઢેંચણ સમું પોતીયું, તેહેના ઉપર બાસ્તાનો જાંમો ને માથે છીંટની વગર તોરાની પાઘડી પેહેરાતી. ને કદી કોઈ એથી લગીર સારાં લૂગડાં પહેરે તો સરસુબાના રાખેલા ચાડીઆ ચાડી ખાએ એટલે તે માણસને બોલાવી તેહેને કેહે કે ‘તમારી પાસે પુંજી ઘણી છે માટે પાંચ-દશ હજાર સરકારને આપો.’ કદી તે ના કેહે તો તેની છાતીએ પથ્થર મૂકીને લે, તેથી કોઈ ખુલ્લી રીતે ઉઘરાણી કરી શકતું નહિ. ચોરીઓ પણ પ્રમાણમાં પુષ્કળ અને ધોળે દહાડે થતી કેમ કે હાકેમને તેમાંથી ચોથાઈ મળતી, અને ન્યાય પણ એ રીતે છચોક વેચાતો.”
૧૮૪૬ના અંત ભાગમાં ફાર્બસ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે ત્યાં નહોતી બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી ઝાઝી નિશાળો, નહોતાં ઝાઝાં છાપખાનાં, નહોતી કોઈ સાહિત્યિક કે સાંસ્કૃતિક સંસ્થા. એ વખતે અમદાવાદમાંથી નહોતાં પ્રગટ થતાં પુસ્તકો, અખબારો, કે સામયિકો. અમદાવાદ અને મુંબઈ વચ્ચેની સીધી રેલવે સેવા પણ છેક ૧૮૬૪માં શરૂ થઇ. એ વખતના ગુજરાતની મનોદશા દર્શાવતો એક પ્રસંગ ‘સ્મરણમુકુર’માં નરસિંહરાવ દિવેટિયાએ આલેખ્યો છે : “મારા પિતાની કોર્ટમાં બે કારકૂનો ટપાલની રાહ જોતા બેઠા છે. ટપાલ આવી, દરેકના પોતપોતાના ‘બુધાવારીયાં’ (એ વખતે અમદાવાદથી દર બુધવારે પ્રગટ થતું એકમાત્ર અખબાર ‘બુધવારીયું’ તરીકે ઓળખાતું) આવ્યાં. (એક જ પત્રની પ્રતો) પાણી પીવાની ઓરડીમાં બંને ઉત્સાહભેર જાય છે, અને એક વાંચે છે અને બીજો પોતાની પ્રત તપાસે છે. અંતે ‘વાહ! શબ્દે શબ્દ બરોબર છે, લગારે ભૂલ નથી. તારી ને મારી નકલ બરોબર છે;’ એમ આશ્ચર્ય તથા માનનો ભાવ દર્શાવતા બંને પાછા જાય છે.” (જોડણી હાલની વ્યવસ્થા પ્રમાણે કરી લીધી છે). હા સુરત, ભરૂચ, અમદાવાદ જેવાં કેટલાંક શહેરોમાં બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી રડીખડી નિશાળો હતી ખરી, પણ આ નિશાળોમાં ભણાવતા માસ્તરોને પોતાને જ જે ભણાવતા હતા તેમાં વિશ્વાસ નહોતો. ‘દુર્ગારામ ચરિત્ર’માં મહીપતરામ નીલકંઠ કહે છે : “મુંબઈમાં મહેતાજીઓએ ભૂગોળ તથા ખગોળ વિદ્યાઓમાં પ્રવેશ કર્યો હતો, ને ઉપરીના હુકમથી હવે તે બાબતો નિશાળમાં ચલાવી. પુરાણોમાં લખ્યા પ્રમાણે એ વિદ્યાઓ નહિ હોવાથી લોકમાં નિંદા ચાલી. નિત્યાનંદ અને પરમાનંદના સંવાદ રૂપે છપાયેલી એ વિશેની ચોપડી ભણે તે લોકને ગમે નહિ. પ્રાણશંકર છોકરાને કહેતા કે સાહેબ પરીક્ષા લેવા આવે ને પૂછે ત્યારે કહેવું કે પૃથ્વી ગોળ છે, ને ફરે છે. પણ તે તમે માનશો નહિ, કેમ કે પૃથ્વી ગોળ હોય ને ફરે તો આપણાં ઘર પડી જાય. તે પડતાં નથી માટે એ વાત ખોટી છે. પ્રાણશંકર મહેતાજીના સમજવામાં આ વિદ્યાઓ આવી ન હતી. પણ બુદ્ધિવાન દુર્ગારામથી તે સમજાઈ હતી, ને તે નિશાળીઆઓને સમજણ પાડી બરોબર શીખવતા. એથી લોક તેને ધર્મ ભ્રષ્ટ કહી નીંદવા લાગ્યા.” (રમેશ મ. શુક્લ સંપાદિત મહીપતરામ ગ્રંથાવલી, ખંડ ૧)
૨
ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ
ફાર્બસે પોતાની આસપાસ જે જોયું તેનાથી એક વાત તો તેમના મનમાં ઠસી ગઈ : આ સમાજને અર્વાચીનતા તરફ લઇ જવા માટે કામ કરવાની જરૂર છે. શરૂઆત ભલે ગમે તેટલી નાની હોય, પણ શરૂઆત કરવી તો પડશે જ. પણ લોકોની ભાષા – ગુજરાતી – જાણ્યા વગર આ દિશામાં ઝાઝું કામ થઇ શકે નહિ એ હકીકતથી પણ ફાર્બસ સભાન હતા. અમદાવાદમાં ૧૮૪૬માં પહેલવહેલી અંગ્રેજી સ્કૂલ શરૂ થઇ તેમાં ભોગીલાલ પ્રાણવલ્લભદાસ ‘માસ્તર’ તરીકે કામ કરતા હતા. એટલે ફાર્બસે તેમની પાસેથી ગુજરાતી ભાષા શીખવાનું શરૂ કર્યું. ત્યાર પછી અમદાવાદના ઉત્તમરામ, વિજાપુરના એક બારોટ, નડિયાદના કવિ રણછોડ, વગેરેને અજમાવી જોયા, પણ ફાર્બસને એકેથી સંતોષ ન થયો.

દલપતરામ કવિ
ભોળાનાથ સારાભાઈ અમદાવાદની દીવાની અદાલતમાં મુનસફ હતા અને તેમની સાથે ફાર્બસને સારો પરિચય હતો. આથી કોઈ સારું નામ સૂચવવા ફાર્બસે ભોળાનાથભાઈને વિનંતી કરી. અગાઉ દલપતરામ પાસે ભોળાનાથભાઈ પિંગળ ભણ્યા હતા, અને તેમને દલપતરામનો સારો પરિચય હતો. ભોળાનાથભાઈની સૂચનાથી ફાર્બસે વઢવાણથી કવિ દલપતરામને મળવા બોલાવ્યા. પોતાના શિક્ષક અંગે ફાર્બસની અપેક્ષાઓ કેવી હતી તે અંગે કવિ નાનાલાલ કહે છે : “કર્નલ ટોડે રાજસ્થાનની ગાથા લખી ત્યારે તેમની કને એક જતી હતા … રાસમાળા રચવામાં એવા સહાયક ને ઉદ્બોધક ગુર્જર યતીજી ફાર્બસને જોઈતા હતા, કે જે વ્રજ ભાષા અને ચારણી ભાષામાંના જૂના રાસાઓનાં અને સંસ્કૃત, પ્રાકૃત, ને જૂની ગુજરાતીમાંના જૈન રાસાઓના અર્થ ઉકેલાવે, ને પ્રજાના અણસમજાતા રીતરિવાજ, સંસ્કાર-પ્રકરણો અને સંસ્કૃતિના થર ઉપર લખેલા કાળમંત્રો ભણાવે. આપણો પ્રાચીન ઇતિહાસ રાસાઓના કાવ્યગ્રંથોમાં હતો, એટલે ઇતિહાસ સંશોધનને અંગે કવિતાનો શોખ પણ ફાર્બસને જાગ્યો હતો. કવિતા સમજનાર અને સમજાવનાર, ઇતિહાસ ઉકેલાવનાર, દેશાચારનાં અંતર રહસ્ય ભાખનાર, પ્રજાની કાળપગલીઓમાંની રેખાઓમાંના અક્ષર વાંચીને વંચાવનાર, કર્નલ ટોડને મળ્યો હતો તેવો દેશની સંસ્કૃતિનો ભોમિયો ફાર્બસસાહેબ શોધતા હતા.” (કવીશ્વર દલપતરામ, ભાગ ૧) ફાર્બસના અવસાન પછી ‘આનરએબલ ફારબસસાહેબનું મરણ’ નામની દલપતરામની લાંબી લેખમાળા ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થઇ હતી. તેમાં ફાર્બસ સાથેના પહેલા મેળાપ અંગે તેઓ કહે છે : “તેને (ફાર્બસને) અંગ્રેજી કવિતાના ગ્રંથોનો અભ્યાસ હતો, તેથી ગુજરાતી કવિતાના ગ્રંથો ભણવાની મરજી થઇ, ત્યારે અમદાવાદમાંથી તથા વિજાપુરમાંથી બ્રાહ્મણ, ભાટ, વગેરે કેટલાએક કવિઓને બોલાવ્યા, પણ પોતાને કોઈ પસંદ પડ્યો નહિ. પછી રાવસાહેબ ભોળાનાથ સારાભાઈને પૂછ્યાથી તેઓએ મારું નામ બતાવ્યું. તે વખતે હું મારી જન્મભૂમિમાં વઢવાણમાં રહેતો હતો, ત્યાંથી મને તેડવા સારૂ શેઠ પ્રેમાભાઈ હિમાભાઈની મારફતે વઢવાણ મખસુદ માણસ મોકલ્યું. તેથી હું અમદાવાદમાં હાજર થયો … સન ૧૮૪૮ના નવેમ્બર મહિનાની તા. ૧ને રોજ સાહેબની મારે મુલાકાત થઇ, અને મારી બનાવેલી કવિતા સંભળાવી તેથી તે ઘણા ખુશ થયા. અને રૂ. ૨૪૦નું વર્ષ કરીને મને પોતાની પાસે રાખ્યો.” (દલપત ગ્રંથાવલી, ભાગ ૫) અહીં નોંધવું જોઈએ કે ‘કવીશ્વર દલપતરામ’માં કવિ નાનાલાલે આ વાત જે રીતે રજૂ કરી છે તે રીતે ખુદ દલપતરામ રજૂ નથી કરતા. દલપતરામે તો માત્ર એટલું જ કહ્યું છે કે રૂ. ૨૪૦ના વાર્ષિક પગારે તેઓ નોકરીમાં રહ્યા. જ્યારે નાનાલાલ આખી વાત આ રીતે રજૂ કરે છે: “પછી પગાર વાર્તાની ઘડીક ગમ્મત જામી. ત્યારે .. એ … એ શો પગાર તમે લેશો? છેવટે ફાર્બસે વ્યવહાર પ્રશ્ન પૂછ્યો. સાહેબ આપશે તે. અમે બે માણસ અને એક બાળકી છીએ. સો-સવાસોએકનું ખર્ચ છે. દલપતરામે ઉત્તર વાળ્યો … સાહેબ બોલ્યા : જુવો ને કવેશર! મારે તો મારા પગારમાંથી પગાર આપવાનો છે. મને જ આઠસોક રૂપિયા મળે છે. હું તો માસિક વીસ રૂપિયા આપી શકું … દલપતરામે ફાર્બસને સમજાવ્યું : સાહેબ! અમારે ત્યાં વાણોતરીની વરસૂણ હોય છે. ને સાહેબને મેં તો સો-સવાસોનો વરસૂણીયો પગાર કહ્યો હતો. મેં તો સો-સવા સો માગ્યા હતા. આપ તો મને બમણા આપવાનું કહો છો. સાહેબ ખડખડાટ હસી પડ્યા.” (કવીશ્વર દલપતરામ, ભાગ ૨, પૂર્વાર્ધમાંથી સંકલિત અંશ)
થોડા વખતમાં ફાર્બસ ગુજરાતી વાંચતાં અને બોલતાં શીખી ગયા. ફાર્બસ અને દલપતરામ મળ્યા તે પહેલાં દલપતરામે વ્રજ અને ડિંગળમાં પદ્યરચનાઓ કરી હતી. ભાટ-ચારણો પણ મોટે ભાગે આ બે બોલીમાં રચનાઓ કરતા. ફાર્બસને ઉપયોગી થાય તેવા ઘણા ગ્રંથો આ બે બોલીમાં લખાયેલા હતા. આથી ફાર્બસે એવા કેટલાક ગ્રંથોનો દલપતરામ પાસે ગુજરાતીમાં અનુવાદ કરાવ્યો. પણ ભાટ-ચારણની આવી કૃતિઓ હસ્તપ્રતો રૂપે જ ઉપલબ્ધ હતી. જેમની પાસે હોય તે સહેલાઈથી બીજા કોઈને જોવા પણ ન દે, ત્યાં તેની નકલ કરવા તો દે જ ક્યાંથી? દલપતરામ સ્વામિનારાયણ પંથના અનુયાયી હતા, તેમણે સારો એવો પ્રવાસ ખેડ્યો હતો, અને કેટલાક ભાટ-ચારણોના પરિચયમાં પણ હતા. એટલે તેઓ કંઈ નહિ તો નકલ કરી લેવા માટે હસ્તપ્રતો મેળવી શકે એમ હતું. આથી ફાર્બસે દલપતરામને હસ્તપ્રતો (કે તેની નકલો) એકઠી કરવાનું કામ પણ સોંપ્યું. તે માટે દલપતરામે સારા એવા પ્રવાસો ખેડ્યા. ફાર્બસ અને દલપતરામ વચ્ચે ઉંમરનો ઝાઝો તફાવત નહોતો, અને ફાર્બસ સ્વભાવે વિનમ્ર, વિવેકી, અને માયાળુ સ્વભાવના હતા. આથી થોડા વખતમાં જ દલપતરામ અને ફાર્બસ વચ્ચેનો સંબંધ સાહેબ અને તેના નોકરનો નહિ, પણ મિત્રો જેવો બની રહ્યો.
e.mail : deepakbmehta@gmail.com