Opinion Magazine
Number of visits: 9448780
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અક્ષર બિરાદરી જોગ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 September 2020

ગુજરાતી સાહિત્ય પરિષદ સાથેનું મારું ભાવાત્મક સંધાન સંભારું છું ત્યારે માનસપટ પર ઊભરતી પહેલી છબી ૧૯૫૫માં ગોવર્ધનરામના શતાબ્દીવર્ષે નડિયાદમાં મળેલી પરિષદના અહેવાલોએ ઝિલાયેલી છે. કાલિદાસની સર્ગશક્તિ હોય મારી કને તો સિંહના દાંત ગણવા કરતા શિશુ ભરત શું નાટ્યચિત્ર આલેખું, પણ હમણાં તો એટલું જ કહું કે કનૈયાલાલ મુનશીની એકચક્રી પકડ સામે સંસ્થામાં લોકશાહી ખુલ્લાશ વાસ્તે પડકાર – મુદ્રામાં ઉમાશંકર જાણે કે અવિધિસરના મેન ઑફ ધ મૅચ રૂપે સૌ સમક્ષ આવ્યા હતા.

અલબત્ત, પરિષદ સાથેનું પહેલું પ્રત્યક્ષ સંધાન તો તે પછી નવા બંધારણને ધોરણે અમદાવાદમાં કાકા કાલેલકરની અધ્યક્ષતામાં મળેલા યશસ્વી અધિવેશન વેળાનું. તે પછી નાનાવિધ સત્ર ને સભામાં સામેલ થવાનું કદાપિ છૂટ્યું નથી – ને છેલ્લા ત્રણ દાયકાથી તો મધ્યસ્થ સમિતિ, કારોબારી, પ્રકાશનમંત્રી, મહામંત્રી (વહીવટી મંત્રી), ઉપપ્રમુખ સહિતને હોદ્દે જવાબદારી સંભાળવાનું બન્યું છે, તો વિભાગીય અધ્યક્ષ તરીકે નિર્વહણ કરવાનું પણ બન્યું છે. ઉશનસ્‌, જયન્ત પાઠક, રઘુવીર ચૌધરી, બકુલ ત્રિપાઠી, નિરંજન ભગત, ધીરુબહેન પટેલ, ધીરુ પરીખ, ચંદ્રકાન્ત ટોપીવાળા, સિતાંશુ યશશ્ચંદ્ર આદિ પ્રમુખોના કાળમાં યથાસંભવ સહભાગી થવાનું સહજ ક્રમે થતું રહ્યું છે. આમાં જે સીમાચિહ્નો બની આવ્યાં તેમાં જો હું યશભાગી હોઉં તો સહિયારી જવાબદારીને ધોરણે મારે હિસ્સે મર્યાદાઓ પણ બેલાશક હોય જ. છેલ્લાં દસપંદર વરસમાંથી નમૂના દાખલ બે ઉલ્લેખો કરું તો નારાયણ દેસાઈના પરિષદપ્રવેશમાં અને સ્વાયત્તતાને મુદ્દે સ્ટૅન્ડ બાબતે મેં કંઈક ઠીક ભૂમિકા ભજવી છે.

રણજિતરામનું અસ્મિતાસ્વપ્ન, નટરાજની પેઠે અંગાંગ ઉત્સ્ફૂર્ત ચૈતન્યે પલટાતા સમયમાં ઉત્તરોત્તર શોધનવર્ધનપૂર્વક ચરિતાર્થ થતું રહે એ માટે કોઈ પણ સહૃદય અક્ષરકર્મીને સહજ એમ મારી રીતેભાતે મથતો રહ્યો છું. આજની તારીખે ગુજરાતના અક્ષરજીવન અને જાહેરજીવનના સાર્થક પારસ્પર્યની સંગમભૂમિએ ઊભી જે સમજવાનું છે તે એ કે સાહિત્ય પરિષદ કોઈ હી ઑલ્સો રેન જેવી ઇત્યાદિ પ્રકારની સંસ્થા નથી, પણ નીરક્ષરવિવેકપૂર્વક નરવાનક્કુર અવાજ અને નીરમ ને નેજાશી એની કાર્યભૂમિકા છે.

પરિષદનું આ પ્રજાસૂય, રિપીટ, પ્રજાસૂય દાયિત્વ, આંતરબાહ્ય સ્વાયત્તતા અને શુચિતાની આ જે જદ્દોજહદ, એમાં કંઈક અગ્રભાગી-કંઈક સહભાગી થવાની આ દાયકાઓમાં મારી કોશિશ રહી છે અને એના અનુસંધાનમાં મારી ઉમેદવારી છે, એમ હું સમજું છું.

૧૯૬૮-૬૯માં ‘વિશ્વમાનવ’ની સંપાદકીય જવાબદારી સ્વીકારી, ૧૯૭૧માં ‘જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી’ સાથે સંકળાયો તે પછી વિધિવત્‌ અધ્યાપન સહજ ક્રમે છૂટતું ગયું અને જાહેરજીવનલક્ષી લોકશિક્ષણને અગ્રતા મળતી ગઈ. કટોકટીના કારાવાસ પછી બહાર આવી સહજક્રમે એના જ અગ્રસંધાન રૂપે ‘જનસત્તા-લોકસત્તા’ અખબારોમાં વરિષ્ઠ તંત્રી તરેહની ભૂમિકા સંભાળવાનું બન્યું, તો ‘દિવ્ય ભાસ્કર’ના આરંભકાળે સંપાદકીય સલાહકાર પણ રહ્યો. ‘અખંડ આનંદ’ના દ્વિજ અવતારમાં નિમિત્ત બન્યો તો એપ્રિલ ૧૯૯૨થી ‘નિરીક્ષક’નું દાયિત્વ પણ (હવે તો રજતવર્ષો વટીને) સંભાળું છું.

સંપાદકીય કામગીરી દરમિયાન લખવાનું અને ગ્રંથસ્થ કરવાનું પરસ્પર વ્યસ્ત સંબંધમાં રહ્યું છે. પાંત્રીસેક વરસ પર દિલીપ ચંદુલાલ, ડંકેશ ઓઝા અને ચંદુ મહેરિયાએ ત્યાં સુધી લખાયેલા લેખોમાંથી સ્થાયી મૂલ્યવત્તા ધરાવતા ‘વ્યક્તિ અને વિચાર’ તરીકેના ત્રણેક ગ્રંથોની સામગ્રી તારવી આપી હતી. હમણાં પાંચ-સાત વરસ પર ઉર્વીર્શી કોઠારી ને ચંદુ મહેરિયાએ તે પછીના વિપુલ લેખરાશિમાં સહેજે ત્રણ ગ્રંથો જેટલી પસંદગીલાયક સામગ્રી જોઈ હતી. દસ વરસમાં જે કેટલીક વ્યાખ્યાનમાળાઓ થઈ, જેમ કે ‘ટૉલ્સ્ટોયથી ગાંધી’, ‘સ્વતંત્ર પ્રકૃતિ તમામ-એક માનવી જ કાં ગુલામ’, ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’, ‘સ્વર્ગમાં બાકી કશી યારો જો નવજવાં’, ‘ભારતવર્ષની સ્વરાજસાધના’, એ પ્રત્યેક સ્વતંત્ર પુસ્તક પેઠે સામગ્રીસમ્પન્ન છે. આ એક નાનીશી તપસીલ.

તેમ છતાં, આજની તારીખે મારું કથયિત્વ બલકે પ્રતિપાદન એ છે કે પ્રજાકીય સંસ્થારૂપે પરિષદની એક ચોક્કસ કાર્યભૂમિકા છે અને એને અંગે ન તો મેદાન છોડી શકાય, ન તો હાથ ઊંચા કરી દઈ શકાય. અને વાતનો બંધ વાળું તે પૂર્વે રવીન્દ્રનાથના ‘પ્રાંતિક’ના વાર્તિક રૂપે ઉમાશંકરનું એ ટિપ્પણ સંભારું કે શ્વાસ છે ત્યાં સુધી હિસાબ આપવો રહે છે … ગોવર્ધનરામના સાક્ષરજીવનની નવ્ય આવૃત્તિ જાણે !

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2020; પૃ. 09

Loading

14 September 2020 admin
← આ મુશ્કેલ સમયમાં (36)
સુજ્ઞ સંવાદ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved