Opinion Magazine
Number of visits: 9449500
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આગરાના તાજમહલને પર્યટકોની નજરની બહાર ધકેલવા પાછળ કઈ માનસિકતા છે?

રમેશ ઓઝા|Opinion - Opinion|9 October 2017

તાજમહલ હિન્દુ રાજવીએ બંધાવેલું સ્થાપત્ય નથી, એ એક મકબરો છે અને ભારત પર મુસલમાનોના શાસનની ગવાહી તરીકે ઊભો છે એટલે એને લોકોથી ઓઝલ કરવો જોઈએ? 

અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ બામિયાનની બુદ્ધની પ્રતિમાઓ તોડી નાખી અને ઉત્તર પ્રદેશમાં BJP સરકારે પર્યટનની યાદીમાંથી તાજમહલ હટાવી દીધો એ બે ઘટનામાં કોઈ સમાનતા ખરી?

આક્રમકતા, ક્રૂરતા અને જંગલીપણાની જો તુલના કરો તો બે ઘટના વચ્ચે કોઈ સમાનતા નથી; પણ માનસિકતાની તુલના કરો તો? તો બન્ને ઘટના સમાન છે. બન્ને ઘટનાઓ ધાર્મિક અને સાંસ્કૃિતક પૂર્વગ્રહોની છે. બન્ને ઘટના પોતાને અભિપ્રેત સાંસ્કૃિતક રાષ્ટ્રવાદમાંથી ન ગમતી કેટલીક ચીજોની બાદબાકી કરવાની અને નકારવાની છે. જો માનસિકતા સમાન હોય તો સાવધાન થઈ જવાની જરૂર છે, કારણ કે કૃતિ એ માનસિકતાનું પરિણામ છે. એક વાર મસ્તિષ્કમાં ઝેર રેડાયું તો પછી એના ઝરા ફૂટતા અને ઘનીભૂત થતાં વાર લાગતી નથી. કૃતિ તો માત્ર એને અનુસરે છે અને એનું પ્રમાણ ઓછુંવત્તું હોઈ શકે છે. જેટલું ઝેર વધારે એટલી આક્રમકતા વધારે. આમ માનસિકતા નિર્ણાયક ભાગ ભજવે છે.

આ દ્રષ્ટિએ જોઈએ તો બામિયાનની ઘટના અને લખનઉની ઘટનામાં ઘણું સામ્ય છે. પૂર્વગ્રહોનું કૃતિમાં રૂપાંતર થવાનું શરૂ થઈ ગયું છે. અત્યારે તાજમહલને પર્યટનસ્થળોની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યો છે. આવતી કાલે તાજને તાળાં લાગી શકે છે અને જો ભારતનો સહિયારો સાંસ્કૃિતક વારસો બચાવવા માટે ઊહાપોહ નહીં કરો તો એના બામિયાન જેવા હાલ થઈ શકે છે. કેટલાક માથાફરેલા તાલિબાનોએ બામિયાનની બુદ્ધની પ્રાચીન મૂર્તિઓએ તોડવાનું ગાંડપણ કર્યું હતું એમ ન કહી શકાય. એ પેદા કરવામાં આવેલી અને સિંચિત કરેલી નકારાત્મક (એક્સક્લુઝિવ) રાષ્ટ્રવાદી માનસિકતાનું પરિણામ હતું. ઝેરનું પહેલું ટીપું રેડાયું અને બામિયાનની પ્રતિમાઓ તોડી પાડવામાં આવી એની વચ્ચે સો-બસો કે પાંચસો વરસનું અંતર હશે, પરંતુ પરિણામ તો એ માનસિકતાનું જ છે.

એટલે તો ગાંધીજીની હત્યા કરનારા નાથુરામ ગોડસેને માથાફરેલા માણસ તરીકે ઓળખાવવામાં આવે તો એક બુદ્ધિશાળી માણસ તરીકે આપણે સાવધાન થઈ જવું જોઈએ. ના, એ માથાફરેલા માણસનું દુષ્કૃત્ય નહોતું; ખાસ વિકસાવવામાં આવેલી વિચારધારા અને માનસિકતાનું પરિણામ હતું, ગાંધીવિચારને નકારવા માટે આયોજનપૂવર્‍ક કરવામાં આવેલી હત્યા હતી. ગાંધીજીની હત્યા થઈ એ પછી તરત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને બીજા હિન્દુ કોમવાદીઓ એ શરમજનક ઘટનાને માથાફરેલા માણસના ગાંડપણ તરીકે ઓળખાવવા લાગ્યા હતા. કેટલાક સિનિયર કૉન્ગ્રેસી નેતાઓ પણ નાથુરામના કૃત્યને માથાફરેલા માણસના ગાંડપણ તરીકે ઓળખાવવા લાગ્યા હતા. નાથુરામને માથાફરેલા માણસ તરીકે ઓળખાવનારા કૉન્ગ્રેસી નેતાઓમાંથી કેટલાક જાણીબૂજીને સંઘને મદદરૂપ થવા આમ કરતા હતા, કારણ કે તેઓ અંદરથી હિન્દુ પક્ષપાત ધરાવતા હતા. તેઓ સંઘની વિચારધારા અને નાથુરામના કૃત્ય વચ્ચેની કડી ન જોડાય એ માટે પ્રયત્નશીલ હતા. બીજા કેટલાક કૉન્ગ્રેસીઓ ભોળપણથી આમ કહેતા હતા. તેમને વિચારધારાજન્ય હિંસાની ગંભીરતા સમજાતી નહોતી. હજી બે દિવસ પહેલાં કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથ સિંહે નાથુરામના કૃત્યને માથાફરેલા માણસના દુષ્કૃત્ય તરીકે ઓળખાવીને એની નિંદા કરી હતી.

એક જવાહરલાલ નેહરુ હતા જેમણે નાથુરામના કૃત્યને માથાફરેલા માણસના ગાંડપણ તરીકે ઓળખાવવાની ના પાડી દીધી હતી. એ કૃત્ય ચોક્કસ વિચારધારાનું પરિણામ હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને, BJPને અને વર્તમાન વડા પ્રધાનને નેહરુ માટે આટલો અણગમો કેમ છે એનો ખુલાસો આમાંથી મળી જશે. ગાંધીજીની હત્યા કરવાનું નાથુરામનું કૃત્ય ચોક્કસ વિચારધારાનું પરિણામ હતું એમ કહેવામાં આવે તો એનો અર્થ એવો થાય કે ભારતમાં ફાસીવાદી વિચારધારા અને સંગઠનો અસ્તિત્વ ધરાવે છે જે વિશ્વવંદ્ય મહાત્માની હત્યા પણ કરી શકે છે. જો નેહરુએ પણ નાથુરામને માથાફરેલા માણસ તરીકે ઓળખાવ્યો હોત તો તેમના માટે અત્યારે જે નફરત ફેલાવવામાં આવી રહી છે એવું ન બન્યું હોત. તેમની પણ અલાહાબાદના સંગમ પર ત્રણસો ફૂટની પ્રતિમા મૂકવાનું વિચારાયું હોત. નેહરુએ ધરાર આગ્રહ રાખ્યો હતો કે ગાંધીજીની હત્યા ફાસીવાદી વિચારધારાનું પરિણામ છે અને નાથુરામને માથાફરેલા માણસ તરીકે ઓળખાવીને આવી સંકુચિત વિચારધારા ફેલાવનારાઓને જવાબદારીથી મુક્ત ન કરી શકાય.

જેમ નાથુરામ ગોડસે માથાફરેલ માણસ નહોતો અને ચોક્કસ વિચારધારાથી પ્રેરાઈને ગાંધીજીની હત્યા કરી હતી એમ બામિયાનની બુદ્ધની મૂર્તિઓ તોડનારાઓ પણ માથાફરેલા નહોતા. તેમણે પણ ચોક્કસ વિચારધારાથી પ્રેરાઈને બુદ્ધની મૂર્તિઓ તોડી હતી. આ જ રીતે આગરાના તાજમહલને પર્યટકોની નજરની બહાર ધકેલવા પાછળ પણ આ જ માનસિકતા છે. કોઈ એમ ન કહી શકે કે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન માથાફરેલા માણસ છે. ગાંધીજી જે વાત કરે છે એ હિન્દુ રાષ્ટ્રવાદની બહારની અને એને પ્રતિકૂળ છે એટલે એનો અંત લાવવો જોઈએ. બુદ્ધ અને બૌદ્ધદર્શન ઇસ્લામના સિદ્ધાંતની બહાર છે અને તેમની સમજ મુજબ તેને પ્રતિકૂળ છે માટે એનો અંત આવવો જોઈએ. ગાંધીજીની માફક બુદ્ધ પોતે તો હયાત હતા નહીં એટલે તેમની પ્રતિમાઓ તોડવામાં આવી હતી. તાજમહલ હિન્દુ રાજવીએ બંધાવેલું સ્થાપત્ય નથી, એ એક મકબરો છે અને ભારત પર મુસલમાનોના શાસનની ગવાહી તરીકે ઊભો છે એટલે એને લોકોથી ઓઝલ કરવો જોઈએ. ગાંધીજી આપણા નથી, પણ આપણાથી અલગ છે; બુદ્ધ આપણા નથી, પરંતુ ઇસ્લામથી અલગ છે; તાજમહલ આપણો નથી, પરંતુ આપણાથી અલગ છે એટલે તેમને લોકોથી ઓઝલ કરવાની જરૂર છે.

તો માનસિકતા ઓઝલ કરવાની છે. પર્યટનસ્થળોની યાદીમાંથી સ્થાપત્યોને ઓઝલ કરવાનાં છે. પાઠ્યપુસ્તકોમાંથી અન્યોના વિજયને ઓઝલ કરવાના છે, ઇતિહાસમાંથી બીજાઓની સિદ્ધિઓને ઓઝલ કરવાની છે, લઘુમતી કોમના અવાજને ઓઝલ કરવાનો છે, હિન્દી ભાષામાંથી પર્શિયન કે ઉર્દૂ શબ્દોને ઓઝલ કરવાના છે, ઉર્દૂ ભાષાને મુસલમાનોની ભાષા તરીકે ઓળખાવીને એને ઓઝલ કરવાની છે, અન્યોનાં સ્મારકો ઓઝલ કરવાનાં છે, અન્યોનાં નામ જો રસ્તાઓને આપવામાં આવ્યાં હોય તો એને ઓઝલ કરવાનાં છે, યુનિવર્સિટીઓમાંથી ઉદારતાને ઓઝલ કરવાની છે, શંકા કરે અને પ્રશ્નો પૂછે એવા સ્વતંત્ર વિચારકોને ઓઝલ કરવાના છે એમ લાંબી યાદી છે. અત્યારે જે આદેશ બહાર પાડીને કે કહ્યા વિના ચૂપચાપ થાય છે એ જો ઊહાપોહ નહીં કરો તો આવતી કાલે કાયદાઓ બદલીને કે બનાવીને કરવામાં આવશે. એ પછી પણ જો ઊહાપોહ નહીં કરો તો બંધારણ બદલીને દેશનો સત્તાવાર ચહેરો બદલવામાં આવશે. એ પછી પણ જો મૂંગા રહેશો તો જે ગાંધીજી સાથે કરવામાં આવ્યું કે બામિયાનમાં કરવામાં આવ્યું એ થઈ શકે છે. આમ બોલવું કે ઊહાપોહ કરવો એ આપણો નાગરિક અને માનવીય એમ બન્ને ધર્મ છે.

વિવેકી મુસલમાનોનો અવાજ જો બુલંદ હોત તો બામિયાન જેવી ઘટના ન બની હોત. અત્યારે મુસ્લિમવિશ્વમાં જે બની રહ્યું છે એ ન બન્યું હોત. વિવેકી મુસલમાનોનો અવાજ મોળો પડ્યો અને આજે જે સ્થિતિ છે એ આપણી સામે છે. પાકિસ્તાન બન્યું એ પછી સવાલ ઉપસ્થિતિ થયો હતો કે ઇતિહાસ ક્યાંથી શરૂ કરીને ક્યાં સુધીનો ભણાવવો જોઈએ અને કેવો ભણાવવો જોઈએ? પાકિસ્તાનના મુસલમાનોનો અત્યાર સુધીનો ઇતિહાસ અવિભાજિત હિન્દુસ્તાનમાં હિન્દુઓ સાથેનો રહ્યો છે તો એનું નિરૂપણ કઈ રીતે કરવું જોઈએ? ઉર્દૂ ભાષાના જાણીતા કવિ ફૈઝ અહમદ ફૈઝે આ બે પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે ‘એમાં મૂંઝવણ કઈ વાતની છે? જ્યાંથી શરૂઆત થઈ ત્યાંથી શરૂઆત કરવામાં આવે અને જેની સાથે જેમ અને જેવું જીવ્યા એનું નિરૂપણ કરવામાં આવે.’

માનવસમાજના ઇતિહાસની શરૂઆત જગતમાં ઇસ્લામની સ્થાપના થઈ એ પહેલાંથી થઈ હતી એટલે ઇતિહાસ ત્યાંથી ભણાવવામાં આવે જ્યાંથી શરૂઆત થઈ હતી. જો માનવજીવન માટે ધર્મ અનિવાર્ય હોત, ઇસ્લામ જ એકમાત્ર સાચો ધર્મ હોત, ઇસ્લામનાં જીવનમૂલ્યો અને જીવનશૈલી જ અંતિમ અને અનિવાર્ય હોત તો માણસ આ પૃથ્વી પર આવ્યો ત્યારે જ ધર્મને સાથે લઈને આવ્યો હોત અને એ પણ ઇસ્લામ ધર્મ હોત. આજે જગતમાં સેંકડો ધર્મો અને સંપ્રદાયો છે અને કેટલાક લોકો નાસ્તિક પણ છે. આમ ઇતિહાસ ભણાવવાની શરૂઆત ઇસ્લામથી ન થઈ શકે, કારણ કે ઇસ્લામથી જગતની શરૂઆત થઈ નહોતી.

રહી વાત અવિભાજિત ભારતમાં હિન્દુઓ સાથેના મુસલમાનોના ઇતિહાસની તો એમાં પણ જે છે અને હતું એ ભણાવવામાં આવે. ભારતના મોટા ભાગના મુસલમાનો પહેલાં હિન્દુઓ હતા, એને કારણે ઇસ્લામ પર હિન્દુ રીતરિવાજ અને સંસ્કૃિતની અસર છે, એને કારણે ભારતીય ઇસ્લામનું સ્વરૂપ વેગળું છે, ભારતમાં વિદેશી મુસલમાનો આક્રમણકાર તરીકે આવ્યા હતા, એમાંના મોટા ભાગનાએ ધર્મ અને રાજકારણ વેગળાં રાખ્યા હતાં તો કેટલાકે ભેળસેળ પણ કરી હતી, મોટા ભાગના ઇતિહાસપટ પર હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે મધુર સંબંધો હતા પણ વચ્ચે-વચ્ચે લડી પડતા હતા, અંગ્રેજો આવ્યા પછી તેમણે સત્તા ટકાવી રાખવા લડાવ્યા હતા, લડાવી મારવા માટે તેમણે ખાસ પ્રકારનો તેમને માફક આવે એવો ઇતિહાસ લખાવ્યો હતો, એ ઇતિહાસ બન્ને સમાજમાં કોમવાદી માનસિકતા ધરાવનારાઓને પણ માફક આવતો હતો એટલે તેમણે એનો ઉપયોગ કર્યો હતો જેને કારણે ભારતનું વિભાજન થયું હતું વગેરે. જે છે એ ભણાવવામાં આવે. એને માટે રાષ્ટ્રીય ચર્ચાની ક્યાં જરૂર આવી?

ઇતિહાસલેખનમાં કહેવાતી રાષ્ટ્રીય ચર્ચાની જરૂર ત્યારે પડે જ્યારે કોઈ એજન્ડા હોય. હકીકતોને ઓઝલ કરવી હોય અને જુઠ્ઠાણાંઓને સ્થાપિત કરવાં હોય ત્યારે રાષ્ટ્રીય ચર્ચાનો આશ્રય લેવામાં આવે છે. જે લોકો ઇસ્લામનાં જીવનમૂલ્યોને તેમ જ જીવનશૈલીને માનવસમાજ માટે આખરી અને અનિવાર્ય માને છે તેમણે કેટલીક ચીજો ઓઝલ કરવી પડે છે અને કેટલીક સ્થાપવી પડે છે. એની શરૂઆત બે-ચાર સદી પહેલાં થઈ હતી અને બામિયાન એનું પરિણામ હતું.

આ બાજુ હિન્દુ ધર્મ, હિન્દુ જીવનમૂલ્યો, હિન્દુ જીવનશૈલી માનવસમાજ માટે આખરી અને અનિવાર્ય છે એમ માનનારાઓ હિન્દુ રાષ્ટ્ર સ્થાપવા માગે છે અને એ માટે તેઓ કેટલીક હકીકતો નકારવા માગે છે તો કેટલીક ઓઝલ કરવા માગે છે અને કેટલાંક અસત્યોને સત્ય તરીકે સ્થાપવા માગે છે. આગરાના તાજમહલને પર્યટકો માટે ઓઝલ કરવામાં આવ્યો છે એ એની શરૂઆત છે અને જો નહીં બોલો તો બામિયાન સામે છે. એટલે જ પ્રારંભમાં કહ્યું હતું એમ બામિયાનની મૂર્તિઓને ધ્વસ્ત કરવાની ઘટનામાં અને તાજમહલને ઓઝલ કરવાની ઘટનામાં માનસિકતાનું સામ્ય છે અને એ ખતરનાક છે માટે વિવેકને ઢંઢોળો.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 08 અૉક્ટોબર 2017

Loading

9 October 2017 admin
← Mother, Father and Child
નોબેલ અને ન્યુિક્લયર બૉમ્બ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved