Opinion Magazine
Number of visits: 9448998
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આયોજનના વાંકે પૂરની તબાહી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|9 September 2017

પૂરગ્રસ્ત લોકોને અપાતી સહાય અને રાહતનાં ધોરણોમાં પણ તળિયાઝાટક ફેરફારો કરવાની જરૂર છે

હજુ તો ભાદરવો અધવાર્યો છે ને દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં સો ટકા કરતાં વધુ વરસાદ વરસી ગયો છે. દેશના અડધા ભાગમાં પૂરનું સંકટ ઊભું થયું છે. ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને નેપાળમાં પણ જળપ્રલયની સ્થિતિ ઊભી થઈ. દક્ષિણ એશિયામાં 4.2 કરોડ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. સમૃદ્ધ દેશ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં વાવાઝોડા પછીના ભારે વરસાદથી ભારે ખાનાખરાબી થઈ છે. તો પૂર્વ આફ્રિકાના કેન્યા, સોમાલિયા, ઈથોપિયા, તાન્ઝાનિયા અને યુગાન્ડામાં વરસાદના અભાવે અનાજપાણીનું સંકટ ઊભું થયું છે.

ભારતમાં બિહાર, અસમ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને કર્ણાટક ભારે વરસાદ અને પૂરથી સવિશેષ અસરગ્રસ્ત છે. દેશની લગભગ અડધી વસ્તી અલ્પ સમય માટે તો આશરે દસ કરોડ લોકો લાંબા ગાળા માટે પૂરથી ભારે પ્રભાવિત થયા છે. ઓગસ્ટના અંત સુધીમાં બિહારમાં 514, ગુજરાતમાં 247, અસમમાં 157, ઉત્તર પ્રદેશમાં 103, અરુણાચલમાં 48, મણિપુરમાં 22 અને નાગાલેન્ડમાં 19 લોકોનાં મોત થયાનું સત્તાવાર રીતે કહેવાયું છે. લાખો લોકો ઘરબાર વગરના થયાં છે, ખેતીને અબજો રૂપિયાનું નુકસાન થયું છે.

બિહાર માટે પૂર વરસોવરસ સર્જાતી તારાજી અને તબાહીની જાણે કે વાર્ષિક ઘટના છે. એક અંદાજ મુજબ બિહારની 76 ટકા વસ્તી પૂર અસરગ્રસ્ત મનાય છે. આ વરસે પણ સત્તાની સાઠમારીના દિવસોમાં રાજ્યની સામાન્ય પ્રજા પૂરનો માર સહન કરી રહી હતી. કોસી નદી એના કાંઠે વસનારા માટે દેવી અને ડાકણ બંને છે. કોસીનું પૂર એટલું ભયાનક હોય છે અને તે એટલી મોટી તબાહી સર્જે છે કે મૈથિલી ભાષામાં તો ‘ભલે વર કાના જેવો હોય તો પણ મા મને તું કોસી કાંઠે ન પરણાવતી’, એવી કન્યાના મુખે માબાપને થતી વિનવણીની કહેતી પ્રચલિત છે. કોસી કાંઠાના ગરીબો પૂરનો માર સહન કરીને ફરી બેઠા જ થઈ શકતા નથી. 

બિહારમાં આવતા પૂરનાં કારણોમાં, નેપાળમાંથી બિહારમાં વહેતી કોસી નદી તેમ બંગાળનો ગંગા નદી પરનો ફરક્કા બેરેજ મનાય છે. ગત વરસે તો રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમારે ફરક્કા બંધ તોડી નાખવા અને બિહારને પૂરથી કાયમી ઉગારી લેવા માગણી કરી હતી. તેના લીધે ગંગામાં મોટા પ્રમાણમાં કાંપ જમા થઈ ગયો છે. તેનાથી ગંગાનો પ્રવાહ ધીમો પડી ગયાનું, વહેણ પહોળું અને પાણી છીછરું થઈ ગયાનું કહેવાય છે. મુખ્યપ્રધાને રાષ્ટ્રીય કાંપ નીતિ ઘડવા અને ફરક્કાનો કાંપ દૂર કરવા પણ માગણી કરી હતી.

એકંદરે નપાણિયો મનાતો ગુજરાતનો બનાસકાંઠા અને પાટણ વિસ્તાર આ વખતે જુલાઈના ભારે વરસાદથી પાણીપાણી થઈ ગયો હતો. સામાન્ય કરતાં અતિ ભારે વરસાદે તો મુશ્કેલી સર્જી જ હતી, પણ બનાસકાંઠાના ધાનેરા અને બીજે જે મોટી જાનહાનિ થઈ તેના મૂળમાં રાજસ્થાનનો જૈતપુરા બંધ ઓવરફ્લો થવો અને બંધના દરવાજા ન ખોલ્યાનું કારણ મનાય છે. દાંતીવાડા અને સીપુ બંધમાં ખૂબ પાણી જમા થયાં બાદ અચાનક છોડવું, નર્મદાની નહેરોમાં ગાબડાં અને પાળા તૂટવા, કેટલેક ઠેકાણે પૂરની જાણ થયા બાદ સલામત સ્થળે જવા પૂરતો સમય ન મળ્યાના કારણે પણ લોકોને હાલાકી વેઠવી પડી છે. વડાપ્રધાને રાષ્ટ્રપ્રમુખની સોગંદવિધિ આટોપીને ઉત્તર ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું તેના પરથી સ્થિતિની ગંભીરતા પરખાઈ હતી. પરંતુ ચૂંટણીવરસમાં નબળા વિપક્ષ અને રાજ્યસભા ચૂંટણીની ચડસાચડસીમાં રાજ્ય સરકાર પોતાની ભૂલો ઢાંકવામાં સફળ થઈ.

ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્તોની થોડી તસવીરો છપાય, થોડી સંવેદનાસભર કહાનીઓ દેખાડાય, ટૂંકા અને લાંબાગાળાના પગલાંની ઠાલી જાહેરાતો થાય ને એટલામાં તો પૂરના પાણી ઓસરે તેના કરતાં વધુ ઝડપે તેની અસર ઓગળી જાય છે. જેમ બિહારના પૂરના મૂળમાં પાડોશી દેશ નેપાળ કે રાજ્ય બંગાળ કારણભૂત છે તેમ ગુજરાતમાં રાજસ્થાનનો બંધ જવાબદાર છે. પણ રાજ્યો કે દેશ વચ્ચે આ બાબતમાં કોઈ સંકલન ઊભું થઈ શકતું નથી. તેથી દર વરસે તબાહીની કથાઓ દોહરાયા કરે છે.

પૂરગ્રસ્ત રાજ્યો અને લોકોને અપાતી સહાય અને રાહતનાં ધોરણો પણ તળિયાઝાટક ફેરફારો માગે છે. હવાઈ નિરીક્ષણો પછી વડાપ્રધાને ગુજરાત અને બિહાર બેઉને એકસરખી 500 કરોડની કેન્દ્રીય સહાયની ઘોષણા કરી હતી. ગુજરાત કરતાં બિહારમાં પૂરની અસરનો વ્યાપ અને મૃત્યુઆંક બમણો હતો તેમ છતાં બેઉને એકસરખી સહાય ‘ટકે શેર ભાજી’ જેવી છે. કેન્દ્ર સરકારે કયા ધોરણે બિહાર અને ગુજરાતને એકસરખી રાહત આપી છે તે સમજવું અઘરું છે. વળી આ સહાય નીતીશ કુમારે બિહારમાં ભાજપનું શરણું સ્વીકાર્યા બાદની છે. એટલે વિપક્ષી રાજ્ય પ્રત્યે ઓરમાયા વર્તન અને અન્યાયનું ગાણું પણ ગાઈ શકાતું નથી.

ગુજરાતમાં મુખ્યમંત્રીએ જાતે આખી સરકાર લઈને પૂરગ્રસ્ત વિસ્તારમાં પાંચ દિવસ ધામા નાખવા પડ્યા હતા. છતાં એક મહિને પણ ઘણાં ગામોમાં પૂરનાં પાણી કે કાદવ કીચડ સાફ ન થયાંની ફરિયાદો છે. ગુજરાત સરકારે પૂર અસરગ્રસ્તોને જે દસ દિવસની કેશડોલ (પુખ્તને રોજના 65 રૂ. સગીરને 45 રૂ.) આપી તે સાવ ઓછી છે. નદીના વહેણમાં આવતાં અને કાયમી અસરગ્રસ્ત ગામોનું સ્થળાંતર બહુ ગમી જાય એવું પગલું લાગે છે. પરંતુ કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ વિના આમ કરવું યોગ્ય નથી. આ ક્ષેત્રના નિષ્ણાતોનો મત છે કે માનવીએ પૂરથી ભાગવાનું નથી, પણ તેની સાથે જીવતા શિખવાનું છે.

મુંબઈ, ચેન્નઈ અને બેંગલુરુએ ભારે વરસાદને કારણે જે હાલાકી વેઠવી પડે છે તે તો સાવ જ માનવસર્જિત છે. ચોમાસા પૂર્વે જ ઊભી થનારી સ્થિતિ અંગેનો કોઈ એક્શન પ્લાન કાર્યરત થતો નથી. વળી અનેક નગરો મહાનગરોની નાની નદીઓને પૂરી દઈ તેમાં રહેઠાણો બનાવવામાં આવ્યા છે. તેથી પાણીનો કુદરતી પ્રવાહ વહેતો અટકી જાય છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવી કે જ્યાં છે તેની યોગ્ય જાળવણી ન થવી તે પણ મોટું કારણ છે. એકલા મુંબઈમાં જ મીઠી, ઉલ્હાસ, પોઈસર, દહિસર અને ઓશીવાડા જેવી નાની નદીઓ પૂરીને તેના પર તથા કિનારે બાંધકામો થયાં છે. તે તબાહીનું કારણ બને છે.

પૂર, દુકાળ કે અન્ય આફતો કેટલી કુદરતી છે અને કેટલી માનવનિર્મિત એ કહેવું અઘરું નથી. છેલ્લા બે દાયકામાં સ્થપાયેલા પૂરની આગાહી કરતાં 375 ટેલિમેટ્રી સ્ટેશનોમાંથી પોણા ભાગના બંધ હોવાનું ‘કેગ’ના રિપોર્ટમાં કહેવાય કે મુંબઈ હાઈકોર્ટ, સરકાર બાર વરસ પૂર્વેના મુંબઈના વરસાદમાંથી તલભાર શીખી ન હોવાનું કહી આલોચના કરે તે સરકારો ઘોળી પીએ છે. દેશની આર્થિક રાજધાનીની આ હાલત હોય તો કોસી કાંઠાનો ગરીબ તો શી અપેક્ષા રાખે.

સૌજન્ય : ‘ટકે શેર ભાજી …’, “દિવ્ય ભાસ્કર”, 09 સપ્ટેમ્બર 2017

Loading

9 September 2017 admin
← આ બાંયધરી હતી તો કોને આપવામાં હતી? આ ચેતવણી હતી તો કોને માટે હતી? આ સંકલ્પ હતો તો કોનો હતો?
આંતરરાષ્ટ્રીય વિજ્ઞાની (છતાં) ગણિતના શિક્ષકઃ પ્ર. ચુ. વૈદ્ય →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved