Opinion Magazine
Number of visits: 9446072
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણને એક મોતની પીડા થાય છે, પણ એક કરોડ મોતની કેમ થતી નથી?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|17 July 2020

લંડનથી પ્રગટ થતા પ્રતિષ્ઠિત ‘ધ ઇકોનોમિસ્ટ’ સામયિકના તાજા અંકમાં ડરામણી ભવિષ્યવાણી છે, “દુનિયામાં કોરોના વાઈરસની બીજી લહેર તો આવી જ નથી, કારણ કે હજુ પહેલી પૂરી નથી થઇ. અંદાજે એક કરોડ લોકો સંક્રમિત થઇ ગયા છે, અને તમે હવે મહામારીમાંથી રસ ગુમાવી દીધો છે, પણ યાદ રાખજો, કોરોનાએ તમારામાંથી રસ નથી ગુમાવ્યો.” છ મહિનામાં આપણે કોરોનાના કેદખાનાથી એટલા ત્રસ્ત થઇ ગયા છીએ કે હવે ‘નોર્મલ’ થવા લાગ્યા છીએ. ક્યાં સુધી ખોફમાં, તનાવમાં, ચિંતામાં, ડરમાં રહેવું? એની પણ એક સીમા હોય છે. માણસનું મગજ નિરંતર ખોફમાં રહેવા સર્જાયું નથી. તેણે ખોફ સાથે નોર્મલ થવું જ પડે.

તમને યાદ છે જ્યારે ભારતમાં કોરોનાના કારણે પહેલું મોત થયું હતું, પછી બીજું મોત થયું હતું અને પછી ત્રીજા-ચોથા-પાંચમાં મોતના સમાચાર આવ્યા હતા, ત્યારે તમારી પ્રતિક્રિયા કેવી હતી? તમને અરેરાટી થઇ હતી, દુઃખ થયું હતું, તમે ચિંતામાં એની વાતો કરતા હતા, સાવધ થવા મહામારીની વિગતો વાંચતા હતા, અને આજે, જુલાઈ મહિનામાં ભારતમાં ૨૦,૦૦૦ લોકોના મોત થઇ ચૂક્યાં છે, અને આપણે હવે એની વાત કરવાનું બંધ કરી દીધું છે. પૂરી દુનિયામાં ૫,૫૦,૦૦૦ લોકોનાં મોત થયાં છે. અત્યારની કે પાછળની એક પણ પેઢીએ છ મહિનામાં આટલા બધા લોકોના મૃત્યુ જોયાં નથી, અને છતાં હવે આપણે દિન-પ્રતિદિન ‘નોર્મલ’ થતા જઈએ છીએ.

આમાં માનવીય માનસિકતાની એક અજીબો-ગરીબ સચ્ચાઈ છે : એક વ્યક્તિના મોતનો આપણી લાગણીઓ પર તગડો પ્રભાવ પડે છે, પણ જેમ જેમ મોતની સંખ્યા વધતી જાય છે, તેમ તેમ આપણી દરકાર ઘટતી જાય છે. જે લોકોને પંજાબમાં ત્રાસવાદ જ્યારે ચરમસીમાએ હતો, ત્યારનો સમય જો યાદ હોય, તો સમાચારપત્રોમાં રોજ તેના રાઉન્ડ-અપ રિપોર્ટ આવતા હતા : “છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના અલગ-અલગ ક્ષેત્રોમાં ત્રાસવાદી હુમલાની બનેલી છૂટક ઘટનાઓમાં ૨૫ લોકો માર્યા ગયા હતા અને ૧૦૦થી વધુ ઘાયલ થયા હતા.” આ એટલું રૂટીન થઇ ગયું કે સમાચારપત્રોમાં એક નાનકડી જગ્યામાં ૨૫ લોકોનાં મોતના સમાચારની નોંધ લેવાતી હતી. આવું કેમ થતું હશે?

રશિયન સરમુખત્યાર જોસેફ સ્ટાલિન જ્યારે કમિસાર ઓફ મ્યુનિશન્સ (શસ્ત્રસરંજામનો કમિશનર) હતો, ત્યારે યુક્રેનમાં પડેલા દુષ્કાળની ચર્ચા કરવા માટે તેણે ઉચ્ચ અધિકારીઓની એક બેઠક બોલાવી હતી. તેમાં એક અધિકારીએ ઊભા થઈને યુક્રેનમાં માણસોની કેવી દયનીય સ્થિતિ છે અને લાખો લોકો ભૂખથી કેવી રીતે મરી રહ્યા છે, તેનું ભાષણ આપ્યું. તેણે ભાષણની શરૂઆત મોતના આંકડાથી કરી, પણ સ્ટાલિને તેને વચ્ચે જ અટકાવીને કહ્યું, “ભૂખથી એક માણસ મરે તો ટ્રેજેડી કહેવાય, પણ લાખો મરે તો સ્ટેટિસ્ટિક્સ કહેવાય.”

એ એક માનવીય વિચિત્રતા જ છે કે આપણે એક મોતની જેટલી તીવ્ર પીડા અનુભવીએ છીએ, એટલી વિશાળ સંખ્યામાં નથી અનુભવતા. પછી તે આપણા માટે સંખ્યા જ બની જાય છે. મનોવૈજ્ઞાનિક તેને સાઇકિક નમ્બિંગ કહે છે, સાઇકિક એટલે માનસિક અને નમ્બિંગ એટલે સુન્નતા અથવા ક્ષુબ્ધતા. આપણે તેને શાહમૃગ વૃત્તિ કહી શકીએ. તબાહી એટલી વિશાળ હોય કે મન સુન્ન થઇ જાય, જડ થઇ જાય અને અહેસાસ ગુમાવી દે. સાઇકિક નમ્બિંગ માણસની હમદર્દીની સીમા નક્કી કરે છે. દુનિયામાં કોરોનાના ૧૧,૭૬૯,૩૧૯ કેસ છે અને મોત ૫,૫૦,૦૦૦ છે. આપણે આપણા પડોશમાં કે ઘરમાં સંક્રમણનો એક કેસ જોઈએ, તો તેમાં આશા જોઈ શકીએ અને પીડા અનુભવી શકીએ, પણ ૧ કરોડ જીવનો સવાલ હોય તો? અસંભવ છે. આપણું મન આટલી બધી જિંદગીઓ અંગે વિચારી શકતું નથી, એટલે એ ખાલી સ્ટેટિસ્ટિક્સ બની જાય છે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ ઓરેગોનમાં મનોવૈજ્ઞાનિક પોલ સ્લાવિકે આ સાઇકિક નમ્બિંગ અંગે ઘણું કામ કર્યું છે. તેમને હંમેશાં એ સવાલ થતો રહ્યો છે કે દુનિયા કેમ સામૂહિક અત્યાચારો અને વિશાળ પ્રમાણમાં લોકોના કષ્ટ પ્રત્યે બેપરવા થઇ જાય છે? સ્લાવિકે તેના એક દાયકાના અભ્યાસમાં તારણ કાઢ્યું હતું કે મનુષ્યનું મન લાખો કે કરોડોની સંખ્યામાં લોકો વિશે વિચાર કરવામાં કે હમદર્દી અનુભવવામાં સક્ષમ નથી. એટલા માટે દિલ્હીના તોફાનોમાં માર્યા ગયેલા લોકો વિશે કે દિલ્હીમાંથી પગપાળા પલાયન થયેલા શ્રમિકો વિશે મોટા ભાગના લોકો એક હદ પછી હમદર્દી અનુભવતા બંધ થઇ ગયા હતા. દુનિયામાં રાજકારણીઓ કોઈ એક વર્ગ પર અત્યાચાર સામે આંખ આડા કાન કરી શકે છે, તેનું કારણ આ જ છે.

આમાં એક આર્થિક થિયરી કામ કરે છે, જેને વેલ્યુ ફંક્શન કહે છે. એમાં જેમ જેમ પૈસાની રકમ વધતી જાય, તેમ તેમ તેમ તેની વેલ્યુ બદલાતી જાય. દાખલા તરીકે મારી પાસે એક પણ રૂપિયો ના હોય અને ૧૦૦ રૂપિયા મળે અને મારી પાસે ૧૦૦ રૂપિયા હોય અને ૨૦૦ રૂપિયા મળે, તો હું બંનેની વેલ્યુ જુદી મહેસૂસ કરીશ. નાના સ્તરે નાનકડો ફેરફાર પણ મોટો પ્રભાવ ઊભો કરે, પણ મોટા સ્તરે પ્રભાવ ઊભો કરવા માટે મોટા ફેરફારની જરૂર પડે. આ જ થિયરી માણસોની જિંદગીઓને પણ લાગુ પડે છે. સીરિયામાં ૨૦૧૧થી ગૃહયુદ્ધ ચાલે છે અને એમાં જાનહાનિનો આંકડો સતત વધતો હતો. એ એટલું ‘નોર્મલ’ થઇ ગયું હતું કે દુનિયાને નોંધ લેવાનું બંધ કરી દીધું હતું, પરંતુ ૨૦૧૫માં, અલન કુર્દી નામના ત્રણ વર્ષના સીરિયન છોકરાનો મૃતદેહ ભૂમધ્ય મહાસાગરમાંથી તણાઈને બીચ પર આવ્યો, ત્યારે આખી દુનિયામાં સીરિયાના નિરાશ્રિતોની કટોકટી પર ધ્યાન ખેંચાયું.

આપણે જો એમ માનતા હોઈએ કે દરેક મનુષ્યનાં જીવનનું મૂલ્ય એકસમાન છે, તો પછી જેમ જેમ મનુષ્યોનું જીવન ખતરામાં પડે, તેમ તેમ તે જીવનને બચાવવાનું મૂલ્ય પણ સીધી લીટીમાં વધવું જોઈએ. સરવાળાનું આ સાદું ગણિત છે. કોરોના મહામારી જેવી સામૂહિક આપદાઓમાં માણસો જેમ જેમ મરવા લાગે, તેમ તેમ હયાત જીવનને બચાવવાની આપણી ભાવના સીધી લીટીમાં ઉપર જવી જોઈએ. પણ થાય છે ઊંધું; શરૂઆતના પ્રથમ ૧૦૦ લોકોના મૃત્યુ વખતે આપણી જે ચિંતા અને દરકાર હતી, તે જુલાઈ મહિનામાં ૨૦,૦૦૦ લોકોના મોત પર આવીને ગાયબ થઇ ગઈ છે. સરકારે કહ્યું હતું કે આપણે કોરોના સાથે જીવવાનું શીખવું પડશે. આપણે રોજના સરેરાશ ૪૫૦ લોકોના મોત સાથે જીવવાનું શીખી ગયા છીએ!

આપણી નૈતિકતાનું વર્તુળ ઘણું નાનું હોય છે. અમુક વર્ગો માણસોની રક્ષા કરે, પણ પ્રાણીઓની નથી કરતા. એક ધર્મના લોકો બીજા ધર્મના લોકોનો સંહાર કરતાં અચકાતા નથી. આતંકવાદીઓ મોટી કત્લેઆમથી ‘ખુશ’ થાય છે. મનોરોગી માણસ સમાજના લોકોને રહેંસી નાખીને પણ કશું મહેસૂસ ના કરે. માનવ ઇતિહાસમાં મોટા પ્રમાણમાં યુદ્ધો, અત્યાચારો અને કત્લેઆમ થઇ છે, તેનું કારણ આ સીમિત વર્તુળ છે.

આપણે નિષ્ઠુર છીએ એવું નથી, પણ આપણે આટલા મોટા પ્રમાણમાં જીવનની તબાહીને લાગણીના સ્તરે પ્રોસેસ કરી નથી શકતા. એ જ કારણે ૧૦ લાખથી વધુ યહૂદીઓને મારી નાખનાર હિટલર અને તેના નાઝી અધિકારીઓ જર્મન પ્રજામાં ‘લોકપ્રિય’ હતા. આપણે જેમ ૩૦ મીણબત્તીઓ અને ૩૧ મીણબત્તીઓ વચ્ચેનો ફર્ક સમજી શકતા નથી, તેવી રીતે આપણી લાગણી ૩૦ મોત અને ૩૧ મોત વચ્ચેનો ફર્ક જોતી નથી.

એટલા માટે જ આપણે ઇતિહાસને સતત ભણતા રહેવું જોઈએ. ઇતિહાસ આપણને સતત એ યાદ કરાવતો રહે છે કે સમાજને બહેતર બનાવવો હોય, તો દરેક વ્યક્તિએ તેની આસપાસની દરેક વ્યક્તિની દરકાર કરતાં રહેવું પડશે અને તો જ મોટી સંખ્યામાં લોકોની દરકાર લેવાશે. મધર ટેરેસાએ એટલા માટે જ કહ્યું હતું કે, “હું જો ટોળાં તરફ જોઉં, તો કશું કરી જ ના શકું, પણ એક માણસ તરફ જોઉં, તો કરુણા કરી શકું.”

સૌજન્ય : લેખકની ફેઇસબૂક દિવાલેથી સાભાર −

https://www.facebook.com/permalink.php?story_fbid=2640315252963184&id=1379939932334062&__tn__=K-R

Loading

17 July 2020 admin
← અજાણ અસ્તિત્વ
ચલ મન મુંબઈ નગરી—53 →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved