Opinion Magazine
Number of visits: 9447103
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘આપ’ને વિકલ્પ તરીકે સ્વીકારતા પહેલાં ઝીણી નજરે તેનું નિરીક્ષણ કરવું જરૂરી

રમેશ ઓઝા|Opinion - Opinion|10 April 2022

આમ આદમી પાર્ટી કૉન્ગ્રેસની જગ્યા લઈ શકશે? અને જો લઈ શકે તો એ દેશના હિતમાં હશે? પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(‘આપ’)ને ભવ્ય વિજય મળ્યો એ પછી આ બે પ્રશ્ને અત્યારે દેશમાં ચર્ચા ચાલી રહી છે. બીજી રીતે કહીએ તો કેવો પક્ષ બી.જે.પી.નો વિકલ્પ હોઈ શકે અને હોવો જોઈએ અને ‘આપ’ આવો હોવો જોઈએ એવો વિકલ્પ બની શકશે?

તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે દેશને સશક્ત કૉન્ગ્રેસની જરૂર છે, કારણ કે લોકતંત્ર માટે મજબૂત વિરોધ પક્ષ જરૂરી હોય છે. તેઓ આમ આદમી પાર્ટીને હજુ બી.જે.પી.ના વિકલ્પ તરીકે જોતા હોય એમ લાગતું નથી. અથવા એવું પણ બને કે તેમને જેવો વિરોધ પક્ષ અભિપ્રેત છે એવો ‘આપ’ નહીં લાગતો હોય. કદાચ ગડકરીને કૉન્ગ્રેસ જેવા વિરોધ પક્ષની જરૂર છે અને ‘આપ’ એવો પક્ષ નહીં લાગતો હોય.

સંસદીય-ચૂંટણીકીય-રાજકીય વિકલ્પ એક વાત છે અને વિચારધારાઓના વિકલ્પ બીજી વાત છે. બી.જે.પી. એક વિચારધારા છે અને તેના વિકલ્પની જરૂર છે. એક જમાનામાં કૉન્ગ્રેસના વિકલ્પે ઘણા રાજકીય પક્ષો રચાયા, થોડો સમય આશા જગાવી અને આથમી ગયા. સમાજવાદી પક્ષ અને સ્વતંત્ર પક્ષનો અહીં ઉલ્લેખ કરવો જોઈએ. સમાજવાદીઓને એમ લાગતું હતું કે કૉન્ગ્રેસ જમણેરી છે, ભદ્રવર્ગનું એમાં વર્ચસ છે અને વંચિતોને કૉન્ગ્રેસમાં ન્યાય મળી શકે એમ નથી. આનાથી ઊલટું સ્વતંત્ર પક્ષના નેતાઓને લાગતું હતું કે કૉન્ગ્રેસ ડાબેરી છે અને સમાજવાદી સમાજ રચનાને નામે વ્યક્તિકીય પુરુષાર્થને રૂંધે છે. વિકાસ માટે મોકળાશ અનિવાર્ય છે. બન્ને પક્ષોના નેતાઓ એક જ સમયે કૉન્ગ્રેસને બે અલગ ચશ્માંથી જોતા હતા. એક દિવસ એવું બન્યું કે સમાજવાદી પક્ષને જ્ઞાતિવાદી રાજકારણ કરનારાઓ ભરખી ગયા અને સ્વતંત્ર પક્ષને જમીનદારો અને રાજવીઓ ભરખી ગયા.

સમાજવાદી પક્ષ અને સ્વતંત્ર પક્ષ કૉન્ગ્રેસનો રાજકીય વિકલ્પ નહીં બની શક્યા અને વિલય પામ્યા, પણ એ જ સમયે સ્થપાયેલો ભારતીય જન સંઘ (અત્યારનો ભારતીય જનતા પક્ષ) પડતા આખડતા એક દિવસ કૉન્ગ્રેસનો વિકલ્પ બની ગયો. વિકલ્પના આ સ્વરૂપને સમજવાની જરૂર છે. સંઘ પરિવાર એક શિસ્તબદ્ધ પરિવાર છે, તેની પાસે કાર્યકર્તાઓની મોટી ફોજ (કેડર) છે વગેરે કારણો આપવામાં આવે છે અને એ મોટી શક્તિ પણ છે, પણ એનાથી વધારે મોટું કારણ એ છે કે બી.જે.પી.ને એક એવું ભારત અભિપ્રેત છે જે કૉન્ગ્રેસની કલ્પનાનાં ભારત કરતાં અલગ છે. સંઘપરિવારે તેની કલ્પનાના ભારતનું નિર્માણ કરવા શિસ્તબદ્ધ કાર્યકર્તાઓની કેડર તૈયાર કરી છે. તેમને માટે સત્તા સાધન છે અને સાધ્ય તેમની કલ્પનાનાનું ભારતનું નિર્માણ છે. સમાજવાદીઓને અને સ્વતંત્ર પક્ષના નેતાઓને કૉન્ગ્રેસની કલ્પનાના ભારત સામે કોઈ વિરોધ નહોતો. સમાજવાદીઓ અને સ્વતંત્ર પક્ષના નેતાઓ પોતાના પક્ષને કૉન્ગ્રેસનો સંસદીય-ચૂંટણીકીય-રાજકીય વિકલ્પ બનાવવા માગતા હતા. કૉન્ગ્રેસ અને અન્ય મધ્યમમાર્ગી પક્ષોની કલ્પનાનું ભારત અને સંઘપરિવારની કલ્પનાના ભારતમાં શો ફરક છે એ વિષે તો હું અનેકવાર લખી ચુક્યો છું, એટલે તેના વિષે વિસ્તારથી લખવાની જરૂર નથી. બી.જે.પી.ને હિંદુઓની સરસાઈવાળું ભારત જોઈએ છે અને બીજાઓને ભેદભાવ રહિત સહિયારું. સુખનો રસ્તો સહિયારાપણાંમાં છે એ સનાતન સત્ય છે. બહુમતી રાષ્ટ્રવાદમાં કોઈનું સુખ તો નથી જ પણ એ બહુમતી કોમને વધારે નુકસાન પહોંચાડે છે. કારણ બહુ સ્પષ્ટ છે. શક્તિ જુદી વસ્તુ છે અને માથાભરેપણું જુદી વસ્તુ છે. માથાભરે લોકો મદ અને મસ્તીમાં તક ગુમાવે અને બીજા આગળ નીકળી જાય.

જો સમાજવાદીઓ અને સ્વતંત્ર પક્ષના નેતાઓ કૉન્ગ્રેસનો સંસદીય-ચૂંટણીકીય-રાજકીય વિકલ્પ આપી શક્યા હોત (અને એ સમયે એની જ માત્ર જરૂર હતી) તો આજે દેશનો ઇતિહાસ જુદો હોત. એક જ દિશાના રાજકીય વિકલ્પના અભાવમાં વિપરીત દિશાના રાજકીય વિકલ્પને જગ્યા બનાવવાની તક મળી. જગતના મોટા ભાગના વિકસિત લોકશાહી દેશોમાં સશક્ત રાજકીય વિકલ્પો છે અને એ એકંદરે એક જ દિશાના છે. ભારતમાં સમાજવાદી પક્ષ અને સ્વતંત્ર પક્ષની નિષ્ફળતાને કારણે વિપરીત દિશાના એટલે કે કૉન્ગ્રેસને અને બીજા રાજકીય પક્ષોને જેવું ભારત અભિપ્રેત છે એનાથી વિપરીત ભારત જેને અભિપ્રેત છે એ લોકોને તક મળી.

આટલી પાર્શ્વભૂમિ પછી સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે દેશને અત્યારે બી.જે.પી.ના સંસદીય-ચૂંટણીકીય-રાજકીય વિકલ્પની જરૂર ઓછી છે, દેશને ભારત અંગે સંકલ્પનાકીય વિકલ્પ આપે એવા રાષ્ટ્રીય પક્ષની વધારે જરૂર છે. બીજા શબ્દોમાં કહીએ તો સહિયારા ભારતને પ્રતિબદ્ધ હોય એવા વિકલ્પની જરૂર છે.

હવે આમ આદમી પાર્ટીની વાત. ‘આપ’ની પક્ષ સ્થાપાયો એ પહેલાંની અને એ પછીની અત્યાર સુધીની યાત્રા ઉપર નજર નાખશો તો ખાતરી થતી નથી કે તેને બી.જે.પી.ની કલ્પનાના ભારત સામે કોઈ વાંધો હોય. એક સમયે સમાજવાદી પક્ષને અને સ્વતંત્ર પક્ષને જેમ કૉન્ગ્રેસની કલ્પનાના ભારત સામે વાંધો નહોતો અને તેઓ કૉન્ગ્રેસનો કેવળ સંસદીય-ચૂંટણીકીય-રાજકીય વિકલ્પ બનવા માગતા હતા એ જ રીતે એમ લાગે છે કે ‘આપ’ને બી.જે.પી.ની કલ્પનાના ભારત સામે વાંધો નથી. એ કેવળ બી.જે.પી.નો સંસદીય-ચૂંટણીકીય-રાજકીય વિકલ્પ બનવા માગે છે. આમ આદમી પાર્ટીએ ક્યારે ય સહિયારા-સેક્યુલર ભારત અંગે સ્પષ્ટ ભૂમિકા લીધી નથી. જે લોકો પક્ષની અંદર ભારતની સંકલ્પના વિષે પ્રશ્ન ઊઠાવે છે તેને અરવિંદ કેજરીવાલ સિફતથી દૂર કરી દે છે.

દેશને બી.જે.પી.ના સંસદીય-ચૂંટણીકીય-રાજકીય વિકલ્પની જરૂર નથી, સહિયારા ભારત અંગેની  સંકલ્પનાત્મક ભૂમિકાએ દેશને લઈ જનારા રાજકીય પક્ષની જરૂર છે અને એ પણ રાષ્ટ્રીય સ્તરે. આ દેશની મૂળભૂત જરૂરિયાત છે જેમાં સત્તા અને સત્તાકીય વિકલ્પ ગૌણ છે. આમ આદમી પાર્ટીને જો હિંદુ ભારત સામે વાંધો ન હોય અને જો સહિયારા ભારત માટે પ્રતિબદ્ધ ન હોય તો એ પક્ષ માત્ર સત્તાપરિવર્તનો માટે ઉપયોગી નીવડશે. સમાજવાદી પક્ષને અને સ્વતંત્ર પક્ષને એ સમયે જો સફળતા મળી હોત તો જેમ સહિયારા ભારતને લાભ થયો હોત અને હિંદુ ભારતનો માર્ગ અવરોધાયો હોત એમ જ અત્યારે જો ‘આપ’ને સફળતા મળે તો હિંદુ ભારતને લાભ થશે અને સહિયારા ભારતનો માર્ગ અવરોધાશે.

માટે સહિયારા ભારતને પ્રતિબદ્ધ ભારતીય નાગરિકોએ ‘આપ’ને વિકલ્પ તરીકે સ્વીકારતા પહેલાં ઝીણી નજરે તેનું નિરીક્ષણ કરવું જરૂરી છે. સમરકંદ બોખારા ઓવારી જવાની જરૂર નથી. એ કદાચ સંઘપરિવારની આયોજનપૂર્વકની ‘બી’ ટીમ પણ હોય. ‘એ’ ટીમ પણ તેમની અને ‘બી’ ટીમ પણ તેમની. તમે એક વાત તો નોંધી જ હશે કે નરેન્દ્ર મોદી અને સઘળો સંઘપરિવાર જેટલી ટીકા નિર્બળ બની રહેલા રાહુલ ગાંધીની કરે છે એટલી સબળ બની રહેલા અરવિંદ કેજરીવાલની નથી કરતા. આપણી પોતાની ‘એ’ અને ‘બી’ ટીમ ભલે વારાફરતી રમ્યા કરે, પણ બિલકુલ વિરુદ્ધ દિશાની ‘સી’ ટીમ ન ઘૂસવી જોઈએ. સમાજવાદીઓ અને સ્વતંત્ર પક્ષના નેતાઓએ આપસ-આપસમાં લડીને અને બિલકુલ વિરુદ્ધ દિશાની ‘સી’ ટીમ માટે રસ્તો કરી આપવાની ભૂલ કરી હતી. એ ભૂલ ન થાય તેની યોજનાના ભાગરૂપે ‘આપ’ને એક સમવિચારી વિકલ્પ તરીકે સ્થાપિત કરવામાં આવતો હોય તો આશ્ચર્ય નહીં.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 ઍપ્રિલ 2022

Loading

10 April 2022 admin
← ચાલો, જાતને સવાલો કરીએ (૩)
પાત્રતા ન હોય એવા લોકો રાજકારણમાં અને શિક્ષણમાં ઉચ્ચ હોદ્દાઓ પર ગોઠવાયેલા છે … →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved